त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धि
त्रिकर्मकृत् तरति जन्ममृत्यू ।
ब्रह्मयज्ञं देवमीड्यं विदित्वा
निचाय्येमां शान्तिमत्यन्तमेति॥१७॥

त्रिभिः, ત્રણ સાથે (અર્થાત્‌, માતા, પિતા અને ગુરુ સાથે); सन्धिम्‌, ઘનિષ્ઠ સંબંધ; एत्य, પ્રાપ્ત કરીને; (त्रिभिः सन्धिम्‌ एत्य– પહેલાં મનુષ્ય પોતાની માતા પાસેથી, પછી પિતા પાસેથી અને છેલ્લે પોતાના ગુરુ પાસેથી વેદોને શીખીને અથવા તો વેદો અને સ્મૃતિઓને શીખીને તેમજ સજ્જનોના પ્રભાવ તળે રહીને); त्रि-नाचिकेताः, નાચિકેતા યજ્ઞાગ્નિનું ત્રણ વખત અનુષ્ઠાન કર્યું છે; त्रिकर्मकृत, ત્રણ વિધિઓ કરે છે : યજ્ઞનું અનુષ્ઠાન, દાન અને વેદાધ્યયન; जन्ममृत्‍यू, જન્મ અને મરણને; तरति, ઓળંગી જાય છે – પેલી પાર જાય છે.

ब्रह्म-ज-ज्ञम्‌ः ब्रह्म + ज, વિરાટ; (અને) ज्ञ, બધું જાણનાર; (ब्रह्म-ज, એટલે વિરાટ એ વિરાટ્‌ બ્રહ્માથી ઉત્પન્ન થયેલ છે. આ બ્રહ્માને હિરણ્યગર્ભ પણ કહેવામાં આવે છે. જ્યારે હિરણ્યગર્ભ સ્થૂલ બને છે, ત્યારે તે વિરાટ્‌ કહેવાય છે. એટલા માટે આ વિરાટ્‌ હિરણ્યગર્ભમાંથી જન્મે છે, એમ કહેવાય છે. વિરાટ્‌ સર્વવ્યાપક છે. એ ‘ज्ञ’ પણ છે – સર્વ જાણનાર પણ છે.) इॅड्यम्‌, પૂજનીય;देवम्‌, જ્ઞાન આપનાર અથવા પ્રકાશિત કરનાર; विदित्‍वा, જાણીને; (શાસ્ત્રો દ્વારા તે જાણે છે); निचाय्य, એની સાથે પોતાનું અદ્વૈત સાધીને- ઐક્ય અનુભવીને; इमम्‌, આ; (એટલે કે આ સાક્ષાત્કાર દ્વારા); शान्तिम्‌, શાંતિ; अत्‍यन्ताम्‌, અનન્ત; एति, પ્રાપ્ત કરે છે.

માતા, પિતા અને ગુરુ દ્વારા જેને બરાબર સમજણ અપાઈ છે. તેવો મનુષ્ય નચિકેતા નામના આ યજ્ઞાગ્નિનું ત્રણ વખત જો અનુષ્ઠાન કરે, અને સાથો સાથ જો યજ્ઞવિધિ, દાન અને વેદાધ્યયન – એ ત્રણ વસ્તુનું આચરણ કરે તો તે જન્મ અને મૃત્યુને તરી જાય છે.

તે મનુષ્ય પહેલાં તો શાસ્ત્રોની મદદથી વિરાટને ઓળખતો થાય છે. આ વિરાટ્‌ હિરણ્યગર્ભમાંથી ઉત્પન્ન થાય છે. એ વિરાટ્‌ સર્વજ્ઞ, પ્રકાશિત અને પૂજનીય છે. ત્યાર પછી તે મનુષ્ય પોતાને વિરાટ્‌ સાથે એકરૂપ થયેલો અનુભવે છે. અને અનન્ત શાંતિને પ્રાપ્ત કરે છે. આ અનંતશાંતિ હોવા છતાં એ મોક્ષ નથી. પણ મોક્ષ તરફની ઘણી આગળ વધી ગયેલી ગતિ છે. કારણ કે મોક્ષ તો કેવળ આત્મજ્ઞાન જ બક્ષી શકે છે. આત્મજ્ઞાનથી ઓછું કશું પણ મોક્ષ આપી શકતું જ નથી. આમ છતાં પણ જો તમે વિરાટ્‌ સાથે એકતા અનુભવી શકતા હો તો તમે મુક્તિની નજીક તો છો જ. એ વખતે તમને એવો અનુભવ તો ચોક્કસ થશે કે તમે મોક્ષ તરફ પ્રગતિ જરૂર કરી રહ્યા છો. (૧૭)

જ્ઞાન-કર્મ સમુચ્ચયનો શ્રીશંકરાચાર્ય સખ્ત વિરોધ કરે છે – ઉપાસના અને જ્ઞાનને સાથોસાથ જોડી દેવાના વિચારનો તેઓ ખૂબ વિરોધ કરે છે. આ બંનેને જોડી દેવાનો અર્થ તો બે પરસ્પર વિરોધીઓને – એટલે કે દ્વૈત અને અદ્વૈતને એક સાથે રાખવો – એવો જ થાય! આમ છતાં શંકરાચાર્ય એટલું તો સ્વીકારે છે કે ધીરે ધીરે ક્રમે ક્રમે મુક્તિ ‘ક્રમમુક્તિ’ જેવી વસ્તુ પણ છે તો ખરી જ. એટલે આ મંત્ર, આવા ‘ક્રમમુક્તિ’ના વલણને દર્શાવતા એક વિશિષ્ટ ઉદાહરણરૂપે લઈ શકાય તેમ છે. શંકરાચાર્ય એનું ખંડન કરતા નથી. કદાચ એ વલણનું કારણ એવું હોઈ શકે કે ‘સદ્યોમુક્તિ’ અને ‘ક્રમમુક્તિ’ એ બંને માટે પાળવા જોઈતા નિયમો લગભગ એકસરખા જ છે; અધ્યયન, માર્ગદર્શન, ધ્યાન વગેરે નિયમો એકસરખા જ છે. ‘ક્રમમુક્તિ’માં તો તમે ફક્ત એક ‘ઉપાસના’નો જ ઉમેરો કરો છો પણ, ‘સદ્યોમુક્તિ’માં એની આવશ્યકતા રહેતી નથી. જો એમાં ‘ધ્યાન’ સામેલ હોય તો એ ધીરે ધીરે ઉપાસનાનું સ્થાન લઈ લે છે. અને સાચી ઉપાસના તો ધ્યાન જ છે. ધ્યાન વગરની ઉપાસનાથી કશો જ હેતુ બર આવી શકતો નથી.

આ મંત્ર ‘ક્રમમુક્તિ’ની હિમાયત કરે છે. પણ એ ત્યારે જ કે જ્યારે ‘સદ્યોમુક્તિ’ની શક્યતા ન હોય.

त्रिणाचिकेतस्त्रयमेतद्विदित्वा
य एवं विद्वांश्चिनुते नाचिकेतम् ।
स मृत्युपाशान् पुरत: प्रणोद्य
शोकातिगो मोदते स्वर्गलोके॥१८॥

यः, તે કે જે; एतद्‌, (પૂર્વે બતાવવામાં આવેલ) આ; चयम्‌, ત્રણ વસ્તુઓ (અર્થાત્‌ ઈંટોના પ્રકાર, એની સંખ્યા અને યજ્ઞ કરવાની પદ્ધતિ-વિધિ); विद्वान्‌, જાણનાર; त्रिणाचिकेतः, નચિકેત અગ્નિને ત્રણ વખત ઉપાસે છે; एवम्‌, આ રીતે (અર્થાત્‌ પોતાને એ અગ્નિ સાથે એકરૂપ ઓળખીને); विद्वान्‌, એમ જાણનાર આ જ્ઞાનથી; नाचिकेतम्‌, આ નચિકેત નામના અગ્નિને; चिनुते, સ્થાપે છે અને ઉપાસે છે; सः, તે; मृत्‍युपाशान्‌, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી આસક્તિ અને અન્ય દોષોને લીધે થયેલાં બંધનો દોષોને; पुरतः, મરણની પહેલાં પણ; प्रणोद्य, ખંખેરી નાખીને – ફેંકી દઈને; स्‍वर्गलोके, સ્વર્ગલોકમાં; मोदते, આનંદ કરે છે (અર્થાત્‌, તે પોતે વિરાટ્‌ કરતાં કોઈ જુદો છે જ નહિ એવી અનુભૂતિ કરતો આનંદ માણે છે.

જે કોઈ પહેલાં વર્ણન કર્યા પ્રમાણે યજ્ઞાદિ વિશે પૂરેપૂરી રીતે જાણે છે. એટલે કે એ યજ્ઞાગ્નિની વેદી બનાવવા માટે કેવા પ્રકારની ઈંટો વાપરવી જોઈએ, એ ઈંટોની સંખ્યા કેટલી હોવી જોઈએ, એમાં અગ્નિની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ. એ બધું જાણે છે, તેવો અધિકારી પુરુષ (વિરાટ સાથે પોતાની એકરૂપતાનું ચિંતન કરતો અધિકારી પુરુષ) પોતાના મરણ પહેલાં પણ અજ્ઞાનનાં બધાં બંધનોને અને અન્ય માનવીય નબળાઈઓને ખંખેરી નાખે છે – ફેંકી દે છે; બધાં માનસિક દુ:ખોને ઓળંગીને તે પોતે સ્વર્ગમાં પોતાની વિરાટ સાથેની એકરૂપતાનું ચિંતન કરતો રહીને આનંદ કરે છે. (૧૮)

આ ‘નાચિકેત’ નામના યજ્ઞનું મહત્ત્વ એ છે કે એ યજ્ઞ કરનારનું વિરાટ્‌ સાથે ઐક્ય સાધે છે. આ યજ્ઞનો ‘અગ્નિ’ પોતે તો કંઈ એવું મહત્ત્વ ધરાવતો નથી, પણ એ પ્રકારનું ધ્યાન-ચિંતન જ એવા સાક્ષાત્કારની પૂર્વશરત છે – એથી જ ઐક્ય સધાય છે અને અહીં એનું મહત્ત્વ છે.

एष तेऽग्निर्नचिकेत: स्वर्ग्यो
यमवृणीथा द्वितीयेन वरेण ।
एतमग्निं तवैव प्रवक्ष्यन्ति जनास-
स्तृतीयं वरं नचिकेतो वृणीष्व ॥ १९ ॥

नचिकेतः, હે નચિકેતા; यम्‌, જે (અગ્નિસંબંધી વરદાન); द्वितीयेन वरेण, (તારા) બીજા વરદાન તરીકે; अवृणीथाः, તેં માગ્યું હતું; ते, તને; एषः स्‍वगर्यः अग्निः, આ સ્વર્ગ તરફ દોરી જતો અગ્નિ (મેં હમણાં જ તને આપ્યો છે); जनासः, માણસો; एतम्‌ अग्निम्‌, આ અગ્નિને; तव एव, તારા ન નામે; प्रवक्ष्यन्ति, ઓળખશે; नचिकेतः, હે નચિકેતા; तृतीयम्‌ वरम्‌, ત્રીજું વરદાન; वृणीष्व, માગ.

હે નચિકેતા, તારા બીજા વરદાન તરીકે તેં અગ્નિસંબંધી જ્ઞાન માગ્યું હતું, તે વરદાન મેં તને હમણાં આપ્યું. લોકો એ અગ્નિને તારે નામે ઓળખશે. હવે તારું ત્રીજું વરદાન માગ. (૧૯)

‘અગ્નિ’ શબ્દ કેટલીકવાર ‘વિરાટ’ના અર્થમાં પણ વપરાય છે અને કેટલીકવાર ‘વિરાટ’ સાથેની એકતા તરફ દોરી જતાં ‘યજ્ઞાગ્નિ’ના અર્થમાં પણ વપરાય છે. પહેલો અર્થ ‘સાધ્ય’ પરક છે અને બીજો અર્થ ‘સાધન-પરક’ છે.

येयं प्रेते विचिकित्सा मनुष्ये-
ऽस्तीत्येके नायमस्तीति चैके ।
एतद्विद्यामनुशिष्टस्त्वयाऽहं
वराणामेष वरस्तृतीयः॥२०॥

प्रेते मनुष्ये, જ્યારે માણસ મરી જાય છે; या इयम्‌ विचकित्सा, આ વિષયમાં જે આ સામાન્ય ચર્ચા થાય છે; एक, કેટલાક (એટલે કેટલાક લોકો કહે છે કે); अस्‍ति इति, અવશિષ્ટ રહે છે (અર્થાત્‌ મરણ પામેલ શરીરના સંબંધમાં રહેલ કંઈક ‘આત્મા’ જેવું બાકી રહેતું હોય છે); च एके, તો વળી કેટલાક (કહે છે કે-); अयम्‌, આ; न अस्ति इति, (કશું) નથી (બાકી રહેતું); त्वया, તમારા વડે; अनुशिष्टः ઉપદેશાયેલો; अहम् एतद्‌ विद्याम्‌, હું એ જાણું; वराणाम्‌, વરદાનો માંહેનું; एषः, આ; तृतीयः वरः, આ ત્રીજું વરદાન છે.

(નચિકેતા કહે છે કે-) જ્યારે મરણ આવે છે ત્યારે હંમેશાં એ ચર્ચા થયા જ કરે છે કે ત્યાર પછી કશુંક (આત્મા જેવું) બાકી રહે છે કે કેમ? કેટલાક કહે છે કે કે એવું કશુંક રહે છે. (તો વળી) બીજા કેટલાક કહે છે કે એવું કશું જ રહેતું નથી. હું તમારા દ્વારા એ ઉપદેશ જાણવા માગું છું, કે જેથી મને આનો ઉત્તર મળી રહે. મારાં વરદાનો માંહેનું આ ત્રીજું વરદાન હું માગું છું. (૨૦)

અત્યાર સુધી આ ઉપનિષદે આપણને જે શીખવ્યું છે, તે બધું તો સીમિત છે વિરાટ્‌ની સ્થિતિમાં હોવું, તે પણ પૂરતું નથી. જીવનનું સારસર્વસ્વ તો આત્મજ્ઞાન જ છે. નચિકેતાનો આ પ્રશ્ન અહીં સમસ્યાઓનો ધાડાં ખડાં કરી દે છે. વેદાંતમાં આ બધું એટલે કે આત્મજ્ઞાન; એને કેવી રીતે મેળવવું તે, અને એના ફાયદા શા છે, તે બધું કસોટી ઉત્પન્ન કરે તેવું છે. યમ આ બધા પ્રશ્નોના ઉત્તર આપે તે પહેલાં ગમે તેમ પણ નચિકેતાની કસોટી કરી જુએ છે. તે નચિકેતાને બધી જાતના ભોગવિલાસોની ભેટ ધરે છે. પણ નચિકેતા એ બધી વસ્તુઓને ફગાવી દે છે. એને તો ફક્ત આત્મજ્ઞાન જ જોઈએ. છેવટે યમરાજ એનાથી પ્રભાવિત થયા અને એને જે જ્ઞાનની ઝંખના હતી તે આપ્યું.

આ આત્મજ્ઞાનનો માર્ગ સજૈયાની ધાર જેવો ધારદાર અને કઠિન છે. આ માર્ગ ઉપર તો કેવળ બલિષ્ઠ, વીરતમ અને દૃઢ નિશ્ચયવાળા લોકો જ પગલાં ભરવાની હિંમત કરી શકે તેમ છે. આ રીતે આ માર્ગમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવતી હોય, છતાં પણ આ જગતમાં કે જગતની પેલી પાર પણ જે કંઈ સારાં ફળો મળી શકે છે, તે બધાં કરતાં પણ આ માર્ગે ચાલવાનું ફળ વધારે મૂલ્યવાળું છે. એ અનન્ત અને પૂર્ણ સ્વાતંત્ર્ય છે, એ અનંત-સંપૂર્ણ શાંતિ છે, એ અનન્ત આનંદ છે.

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.