કલ્પતરુ તરીકે શ્રીરામકૃષ્ણ

કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને, ‘જ્યોતિ લાધો’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર દિવસ હતો.’ જગતને છોડતાં પહેલાં માટીના હાંડલાને હું બજારમાં ફોડીશ,’ અર્થાત્‌, પોતાની દિવ્યતાને એ પ્રગટ કરશે, એમ ઠાકુરે વચન આપ્યું હતું,’ એમ અક્ષય સેને લખ્યું છે.

ઠાકુર બગીચામાં આવ્યા; પાછળ ભક્તો હતા. એક ઝાડની નીચી ડાળ નીચે  બીજા મિત્રો સાથે બેઠેલા અક્ષયે એમને જોયા. ઠાકુર ઊભા હતા ત્યાં એ દોડી ગયા અને, ભક્તોની વચ્ચે એમને સમાધિમગ્ન ઊભેલા જોયા. અક્ષયે બે ચંપક પુષ્પો ચૂંટી તેને ઠાકુરને ચરણે ધર્યાં.

થોડી વેળા પછી ઠાકુર સામાન્ય દશામાં આવ્યા અને, ભક્તોને એક પછી એક સ્પર્શ કરવા લાગ્યા. એમના આ કૃત્યથી ભક્તોમાં ભાવનો ખૂબ ઉછાળો આવ્યો અને સૌ ઉત્તેજિત થઈ ગયા. કોઈને પોતાના ઇષ્ટનાં દર્શન થયાં; કોઈને કુંડલિનીની જાગૃતિનો અનુભવ થયો; કોઈ અકથ આનંદ અનુભવવા લાગ્યા; અને બીજા કેટલાક ભાવમાં તણાઈ હસવા, રોવા કે બૂમો પાડવા લાગ્યા. થોડે અંતરેથી અક્ષયે આ દૃશ્ય જોયું. પછી અચાનક, ઠાકુરની દૃષ્ટિ એમની ઉપર પડી અને ‘અરે, એય’ કહી એમણે અક્ષયને પાસે બોલાવ્યા. અક્ષય ઠાકુર પાસે દોડતા ગયા. ઠાકુરે એની છાતી પર હાથ મૂક્યો અને એના કાનમાં ધીમેથી એક મંત્ર કહ્યો. તત્ક્ષણ અક્ષયે ઠાકુરના આશીર્વાદ અનુભવ્યા. આનંદના પૂરને એ ખાળી ન શક્યા અને તરત જ એ ધરતી  પર ઢળી પડ્યા. જાણે પોતે ખોડખાંપણવાળા હોય એમ એમનાં અંગો વાંકાં થઈ ગયાં અને એ રુદન કરવા લાગ્યા.

પોતાના ભક્તોમાં પ્રેમ, ભક્તિ, આધ્યાત્મિક દર્શનો અને સમાધિની લહાણી ઠાકુરે કરી ત્યારે ત્યાં પ્રેમનો સાગર છલકાયો. પછીથી હરીશ મુસ્તફી ઠાકુરને ઓરડે ગયો તો ઠાકુરે એને પણ કૃપાથી નવરાવ્યો. એ હર્ષથી પાગલ બની ગયા અને એનાં નેત્રોમાંથી આંસુ વરસવા લાગ્યાં. પાછો નીચે આવી એ શિષ્યોને કહેવા લાગ્યો કે : ‘ભાઈઓ, આ કૃપાને હું ઝીલી શકું તેમ નથી. આ શું છે? મારા જીવનમાં મેં કદી આવું અનુભવ્યું નથી. ઠાકુરની એ અનંત કૃપા છે!’

પછી ઠાકુરે દેવેન્દ્ર મજુમદારને પોતાને ઓરડે બોલાવ્યા અને એને કહ્યું કે : ‘રામે મને અવતાર જાહેર કર્યો છે. રામના આ કથનની તમે સૌ ખરાઈ કરી શકો?’ કેશવના શિષ્યો પણ એને અવતાર કહેતા. દેવેન્દ્રે પછીથી કહ્યું હતું કે, ‘અવતારનું રહસ્ય અમે તે શી રીતે સમજી શકીએ? ઠાકુરે જ સ્પષ્ટતા કરી હતી. જે દહાડે બપોર પછી તેઓ કલ્પતરુ બન્યા હતા તે દહાડે, પહેલાં એમણે થોડાક ભક્તોને ઉપર બોલાવી આશીર્વાદ આપ્યા હતા; પણ એટલેથી એમને સંતોષ ન હતો. પછી તેઓ નીચે આવ્યા, બાગમાં ગયા અને આધ્યાત્મિક જ્યોતની લહાણી કરવા લાગ્યા. તેઓ કોઈની છાતીને તો કોઈને મસ્તકે અડ્યા અને કોઈકના કાનમાં કશુંક કહ્યું.’

એ દિવસની ઘટનાનું વર્ણન સ્વામી શારદાનંદે પણ કર્યું છે : બપોર પછી ૩-૦૦ વાગ્યે ઠાકુરે લાલ કિનારનું ધોતિયું પહેર્યું ને ખમીસ, જાડું લાલ કિનારનું ઓઢવાનું વીંટી તથા કાનટોપીથી કાન ઢાંકી અને સ્લિપરની જોડ પહેરી, સ્વામી અદ્‌ભુતાનંદની જોડે ધીમે ધીમે પગથિયાં ઊતર્યા. એમણે મુખ્ય ખંડનું બારીક અવલોકન કર્યું, પશ્ચિમને દરવાજેથી બહાર નીકળ્યા અને બાગના રસ્તા પર ચાલવા લાગ્યા. ઠાકુરને આમ ચાલતા જોઈ, કેટલાક ગૃહસ્થ ભક્તો આનંદપૂર્વક એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા.

તેઓ અર્ધે રસ્તે પહોંચ્યા ત્યાં એમણે રામને અને ગિરીશને આંબાના ઝાડ નીચે બેઠેલા જોયા. ગિરીશને સંબોધીને ઠાકુર બોલ્યા : ‘ગિરીશ તમને (મારામાં) શું દેખાયું કે તમે સૌને (હું અવતાર છું) આવું બધું કહેતા ફરો છો?’

આ સવાલ અચાનક જ પુછાયો હોવા છતાં ગિરીશની શ્રદ્ધા અડગ જ રહી. તેઓ તરત ઊભા થયા. કેડી પર ગયા અને ઠાકુર સામે ઘુંટણિયે પડ્યા. હાથ જોડીને ઠાકુરને પ્રણામ કરીને, લાગણીથી ગળગળે અવાજે તેઓ બોલ્યા : ‘જેની મહત્તાને વર્ણવવા વ્યાસ-વાલ્મીકિને શબ્દો ન મળ્યા તેને વિશે હું તે વધું શું કહી શકું?

શ્રદ્ધાના આ અદ્‌ભુત બોલ સાંભળીને ઠાકુરનાં રુંવાડાં ઊભાં થઈ ગયાં, એમનું મન ઉચ્ચતર દશાએ ચડ્યું અને એમને સમાધિ લાગી. દિવ્ય ભાવથી મંડિત ઠાકુરનું મુખ જોઈ, આનંદપૂર્વક ગિરીશ પોકારી ઊઠ્યા: ‘જય શ્રીરામકૃષ્ણ! જય શ્રીરામકૃષ્ણ!’ અને એ વારંવાર ઠાકુરની ચરણરજ લેવા લાગ્યા. દરમિયાન ઠાકુર અર્ધભાનાવસ્થામાં આવ્યા, એમણે સહાસ્ય ભક્તો સામે જોયું અને કહ્યું કે : ‘મારે તમને વધુ શું કહેવું? તમને સૌને જ્યોતિ લાધો!’

ઠાકુરના આ અફર આશીર્વાદે એમના ભક્તોની આધ્યાત્મિક અનુભૂતિનાં દ્વાર ખોલી આપ્યાં. કેટલાક હસવા તો કેટલાક રોવા લાગ્યા, કોઈ ધ્યાનમાં સરી પડ્યા તો, ઠાકુરના આશીર્વાદ માટે કેટલાક મોટેથી બીજાઓને દૂરથી બોલાવવા લાગ્યા.

હરન દાસે ઠાકુરની ચરણરજ લીધી ત્યારે, એના મસ્તક પર ઠાકુરે પોતાનો પગ મૂક્યો. અક્ષય સેનની છાતીને સ્પર્શીને ઠાકુરે એને મંત્ર આપ્યો. નવગોપાલ ઘોષને એમણે જપ ધ્યાન કરવા કહ્યું; પણ નવગોપાલ કહે છે કે, ‘મારી પાસે એ માટે સમય જ નથી.’ તો ઠાકુર કહે કે : ‘મારું નામ થોડીવાર બોલી શકાશે?’ ‘હા, તેમ કરી શકીશ,’ નવગોપાલે કહ્યું. એટલે ઠાકુર બોલ્યા : ‘એ ચાલશે. તારે બીજું કંઈ કરવું નહીં પડે.’ પછી ઉપેન્દ્ર મજુમદારને એમણે આશીર્વાદ આપતાં ઉપેન્દ્ર સમાધિમાં સરી પડ્યા. ‘તને સમાધિ પ્રાપ્ત થશે’, એમ એમણે ભૂપતિને આશીર્વાદ આપ્યા. ઉપેન્દ્ર મુખોપાધ્યાયે પૈસા માટે પ્રાર્થના કરતાં, ‘તને ખૂબ પૈસો મળશે.’ એમ ઠાકુર બોલ્યા.

એ સમયે રામલાલ ઠાકુરની પાછળ ઊભો હતો. એ મનમાં વિચાર કરવા લાગ્યો કે : ‘આ સૌ ભક્તોને કંઈ ને કંઈ આધ્યાત્મિક અનુભૂતિ મળી છે. મને શું મળ્યું છે? હું તો માત્ર ઠાકુરનો લોટો અને ટુવાલ લઈ જતો હતો.’ જેવો આ વિચાર મારા મનમાં આવ્યો કે, મારી સામે જોઈ તેઓ બોલ્યા : ‘રામલાલ, તું શો વિચાર કરે છે? આવ અહીં.’ મારી શાલને આઘી કરી એ મારી છાતીને અડ્યા અને બોલ્યા : ‘હવે જો! એ દિવ્ય રૂપનું વર્ણન કરવું કઠિન છે. એ પહેલાં ધ્યાન કરતી વખતે મને મારા ઇષ્ટદેવનું એક અંગ માત્ર દેખાતું. એ ઇષ્ટનાં ચરણ મને દેખાય, ત્યારે મોઢું ન દેખાય અને મુખથી કમ્મર સુધીનું એનું રૂપ દેખાય તો એનાં ચરણ ન દેખાય. વળી મને જે દેખાતું તે કંઈ જીવંત ન હતું. પણ ઠાકુરે મને સ્પર્શ કર્યો તે ભેગું જ ચેતનામય અસ્તિત્વ તરીકે, મારા ઇષ્ટદેવનું પૂર્ણ રૂપ મારા અંતરમાં પ્રગટ્યું; એ જ્યોતિર્મય અને કૃપાળુ હતું.’

સ્વામી શારદાનંદે લખ્યું છે કે : ‘પોતાનો સમર્થ દિવ્ય સ્પર્શ ઠાકુરે બેત્રણ ભક્તોને કર્યો તે પછી, એમની પાસે જઈ વૈકુંઠ પગે લાગ્યો અને બોલ્યો કે, ‘મહાશય, મારી ઉપર આપની કૃપા વરસાવો.’ ઠાકુરે જવાબ આપ્યો કે : ‘તેં તો બધું પ્રાપ્ત કરી લીધું છે.’ વૈકુંઠ કહે : ‘મેં બધું પ્રાપ્ત કરી લીધું છે તેમ આપ કહો છો તો એ તેમ જ હશે. એ હું થોડુંક સમજી શકું તેવી કૃપા કરો.’ ‘વારું’, ઠાકુરે કહ્યું અને, એની છાતીને થોડી વેળા એમણે સ્પર્શ કર્યો. એનું વર્ણન વૈકુંઠે આમ કર્યું છે : ‘એને પરિણામે મારા ચિત્તમાં અદ્‌ભુત પરિવર્તન આવી ગયું. આકાશમાં, મકાનોમાં, વૃક્ષોમાં, સૌ મનુષ્યોમાં, દરેક પદાર્થમાં અને, દરેક દિશામાં, ઠાકરુનું કૃપાળુ, હસતું અને તેજસ્વી રૂપ મને દેખાવા લાગ્યું.’

પછી અતુલ ઘોષ અને કિશોરી રાય ઉપર ઠાકુરે કૃપા વરસાવી. ઠાકુરની કૃપાથી કોઈ વંચિત તો નથી રહી ગયુંને એ જોવા ગિરીશે તપાસ કરી. તેઓ રસોડે ગયા અને રસોઈયાને રોટલી વણતો જોયો. એને તેઓ ઠાકુર પાસે લાવ્યા અને એની ઉપર ઠાકુરે કૃપા વરસાવી.

તે દિવસે (હરમોહન મિત્ર સહિતના) બે માણસોને ઠાકુરે સ્પર્શ કર્યો ન હતો. એમને ઠાકુરે કહ્યું હતું કે, ‘હમણાં નહીં.’ એ પરમ આનંદને દિવસે એ બેઉ ખૂબ નિરાશ થઈ ગયા હતા. પછીથી બીજે એક દિવસે ઠાકુરે એમની ઉપર કૃપા કરી હતી.’ મારી ભમ્મરો વચ્ચે ઠાકુરના સ્પર્શને કારણે હું દેવદેવીઓ જોઈ શકતો હતો’, એમ હરમોહને પછીથી કહ્યું હતું.

આખરે રામલાલની સાથે ઠાકુર પાછા પોતાને ઓરડે ગયા અને બોલ્યા : ‘આ લોકોનાં પાપ મેં લીધાં તેથી મારો દેહ બળે છે. થોડું ગંગાજળ લાવી મારાં અંગો પર છાંટ.’ સાંજે હાજરાને નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) ઠાકુર પાસે લઈ ગયા અને એની પર કૃપા વરસાવવા એમણે ઠાકુરને વિનંતી કરી. ઠાકુરે કહ્યું કે : ‘હજી એનો સમય પાક્યો નથી. પોતાના જીવનને અંતે એ મને જોશે.’ છેવટે ચુનીલાલ બસુ આવ્યા અને નરેન્દ્રનાથે એમને ઠાકુર પાસે મોકલ્યા. ‘તારે શું જોઈએ છે?’ ઠાકુરે એને પૂછ્યું. પણ ચુનીલાલ મૂંગા રહ્યા. પોતાનો દેહ ચીંધીને ઠાકુરે કહ્યું કે : ‘આને પ્રેમ કર, એની પર શ્રદ્ધા રાખ. તું પણ બધું પ્રાપ્ત કરીશ.’

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.