એક રાજાના મહેલમાં એક મધરાતે એક ચોર દાખલ થયો. એણે રાજાને રાણીને કહેતાં સાંભળ્યો : ‘નદીતટ પર રહેતા સાધુઓમાંથી એકને હું મારી કુંવરી પરણાવીશ.’ ચોરે મનમાં વિચાર્યું, ‘આ સુંદર તક છે. સાધુનો વેશ ધારણ કરીને આવતીકાલે હું સાધુઓમાં બેસીશ. કદાચ રાજકુંવરી મને પણ મળી જાય.’
બીજે દિવસે એણે તેમ કર્યું. બીજે દિવસે રાજાના માણસો રાજકુંવરીનું પાણિગ્રહણ કરવા માટે સાધુઓને સમજાવવા આવ્યા ત્યારે, કોઈ સાધુએ હા ન પાડી. આખરે રાજાના માણસો સાધુવેશધારી ચોર પાસે આવ્યા અને એની સમક્ષ પણ એ જ વાત મૂકી. ચોર મૂંગો રહ્યો.
અમલદારો રાજા પાસે પાછા ગયા અને બોલ્યા : ‘એક જુવાન સાધુ છે તે કદાચ હા પાડે ને કુંવરીને પરણે. બીજા બધા તો ના જ કહે છે.’
એટલે રાજા જાતે એ સાધુ પાસે ગયો અને એણે પોતાની કુંવરી સાથે લગ્ન કરવા એ સાધુને સમજાવ્યો. પણ ચોરનું હૃદયપરિવર્તન થયું હતું. એ વિચારવા લાગ્યો : ‘મેં માત્ર સાધુવેશ ઢોંગ ખાતર પહેર્યો અને જુઓ ! આ રાજા આટલું કરગરે છે. જો સાચો સાધુ બનું તો, મારા ભાગ્યમાં કેટલી સારી વસ્તુઓ હશે !’ આ વિચારોની પ્રબળ અસર હેઠળ, ખોટા ઢોંગ હેઠળ પરણવાને બદલે એ તે જ દિવસથી સુધરવા લાગ્યો અને સાચો સાધુ બની ગયો. લગ્ન જ કર્યાં નહીં. અંતે, ખૂબ પવિત્ર સાધુ બન્યો. સાચાના ઢોંગનાં પણ કોઈકવાર સારાં પરિણામો આવે.
Your Content Goes Here