સાધના

પ્રભુનું કામ કરવાનો સદા પ્રયત્ન કરતા રહો અને તે સાથે જપ તથા ધ્યાન પણ કરતા રહો; જો એવાં કામ કરશો તો મન ખરાબ વિચારોથી ભરાઈ જશે નહીં. કામકાજ વિના એકલા બેઠા રહો તો અનેક વિચારોની ભૂતાવળ ઊઠે અને મનની શાંતિનો ભંગ થાય.

આ માનવદેહ મળ્યો છે, એ તમારું સદ્ભાગ્ય છે. બને એટલી ભગવાનની પ્રાર્થના કરો. ખૂબ મહેનત કરવી જોઈએ. મહેનત કર્યા વિના કંઈ જ મળે એમ નથી. માણસ ગમે તેટલી સાંસારિક પ્રવૃત્તિમાં પડ્યો હોય તોપણ સાધના અને પ્રાર્થના માટે નિયત સમય ફાજલ રાખવો જોઈએ.

જપ કરતી વખતે ભગવાનનું નામ સંપૂર્ણ પ્રેમભાવથી, નિષ્કપટતાથી અને શરણાગતિપૂર્વક લેવું. દૈનિક પ્રાર્થના શરૂ કરતાં પહેલાં સંસારમાં તમારી તદ્દન અસહાય સ્થિતિનો પ્રથમ વિચાર કરવો. અને પછી ધીમે ધીમે તમારા ગુરુએ બતાવ્યા પ્રમાણેની સાધનાની શરૂઆત કરવી.

આધ્યાત્મિક સાધનાને લીધે ભૂતકાળનાં કર્મોનાં બંધન કપાઈ જાય છે, પરંતુ પ્રેમભક્તિ વિના ઈશ્વરનો સાક્ષાત્કાર થાય નહીં. જપ અને સાધનાનું રહસ્ય તમે જાણો છો ? તેનાથી ઇન્દ્રિયોની પ્રબળતા દબાઈ જાય છે.

બેટા ! તપશ્ર્ચર્યા અથવા સેવાપૂજા એ બધું હાલને હાલ કરી લો. સમય ગયા પછી શું એ બધું થઈ શકશે ? જે કંઈ મેળવવાનું હોય તે તરત જ મેળવી લેવું, આ જ યોગ્ય સમય છે.

કલાકોના કલાકો એકાગ્રતા વિના ઈશ્વરની પ્રાર્થના કે ધ્યાન ધરવા કરતાં માત્ર થોડો જ સમય તલ્લીન ચિત્તે તેમ કરવું એ વધારે ફાયદાકારક છે.

‘અમારી ફરજ છે’, એમ સમજીને બધાં આ કે તે સાધના કરે છે. પરંતુ ઈશ્વરને કેટલાં શોધે છે? તમારે તમારી ફરજ બજાવવી જોઈએ એમાં શક નથી. તેને લીધે તમારું મન સારી સ્થિતિમાં રહે છે. પરંતુ જપ, ધ્યાન અને પ્રાર્થના કરવાની પણ ખૂબ જ જરૂર છે. ઓછામાં ઓછું સવારે અને સાંજે તો એ બધું કરવું જ જોઈએ. આ જાતનો અભ્યાસ એ હોડીના સુકાન જેવો છે. સાંજે પ્રાર્થનામાં બેસતી વખતે આખા દિવસમાં પોતે સારાં કે નરસાં કેવાં કામો કર્યાં છે, તેનો માણસ વિવેકબુદ્ધિથી વિચાર કરી લે છે. તે પછી તેણે આગલા દિવસની માનસિક સ્થિતિની સાથે એ દિવસની માનસિક સ્થિતિની તુલના કરવી. ત્યાર બાદ જપ કરતી વખતે પોતાના ઇષ્ટદેવનું ધ્યાન કરવું. ધ્યાન પહેલાં ઇષ્ટદેવનું મુખ જ દેખાય છે, પરંતુ પગથી શરૂ કરીને આખા શરીર પર ધ્યાન ધરવાનો પ્રયત્ન કરવો. તમારા કામકાજની સાથોસાથ જો તમે ધ્યાન ધરો નહીં, તો પછી તમે શુભ કરી રહ્યા છો કે અશુભ, તેની તમને ખબર કેમ પડે ?                                                                                                                (દિવ્યકૃપા, 24-28)

Total Views: 373

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.