વિશેષ પ્રવચન

પ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ રવિવારે શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી ૭ :૪૫ થી ૯ વાગ્યા સુધી અમેરિકાના સેકરામેન્ટો કેન્દ્રના મિનિસ્ટર ઇન્ચાર્જ શ્રીમત્ સ્વામી પ્રપન્નાનંદજી મહારાજ (દેવદાસ મહારાજ)ના ‘અમેરિકામાં વેદાન્ત ભાવધારા આંદોલન’ વિશે વિશેષ પ્રવચનનું આયોજન થયું હતું.

શ્રીમત્ સ્વામી પ્રપન્નાનંદજી મહારાજે પોતાની મધુરવાણીમાં અને સહજસરળ અંગ્રેજી ભાષામાં વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે વેદાંતના વિચારો અને આદર્શાેનો અમેરિકામાં સ્વામી વિવકાનંદે જબરો પ્રચારપ્રસાર કર્યો હતો. ત્યાર પછી તેમના ગુરુબંધુ સ્વામી અભેદાનંદજી, સ્વામી તુરીયાનંદજી, સ્વામી ત્રિગુણાતીતાનંદજી અને ત્યાર પછી સ્વામી નિખિલાનંદજી, સ્વામી પ્રભવાનંદજી અને સ્વામી અશોકાનંદજી જેવા સમર્થ વક્તાઓએ પોતાની સામર્થ્યભરી અધ્યાત્મવાણી દ્વારા એ ભાવધારાના પ્રચારપ્રસારમાં પોતપોતાનો સિંહફાળો આપ્યો છે. એના પગલે ચાલીને સંઘના બીજા અનેક વરિષ્ઠ સંન્યાસીઓ અને હાલના સંન્યાસીઓએ આ ભાવધારાને વધુ ને વધુ ક્ષેત્રોમાં વહેતી કરી છે. આજે ઘણા અમેરિકનો શાંતિની શોધમાં રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રોમાં આવે છે અને વિશેષ કરીને શ્રીશ્રીમા શારદાદેવીના જીવન-સંદેશમાંથી મનની શાંતિ અને આનંદ મેળવે છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ વક્તૃતા
(૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩)ની ૧૨૫મી જયંતીની ઉજવણી

સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ વક્તૃતા (૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩)ની ૧૨૫મી જયંતીની ઉજવણીના ઉપક્રમે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સવારે ૯.૩૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી (બે સત્રમાં) યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાજકોટની ૧૦ શાળા-કોલેજોનાં ૫૫૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત અન્ય નગરજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.

આ સંમેલનનો મંગલ પ્રારંભ દીપ-પ્રાગટ્ય તથા સંન્યાસી-બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચાર દ્વારા થયો હતો. ત્યાર બાદ રાજકોટ આશ્રમના અધ્યક્ષ પૂજનીય સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. પ્રથમ સત્રમાં ડૉ. નીલાંબરીબહેન દવે, ડૉ. રૂપા મહેતા, અને જાણીતા મેનેજમેન્ટ ગુરુ જી. નારાયણનાં પ્રેરક પ્રવચનો ઉપસ્થિત સર્વજનોએ માણ્યાં હતાં. સંમેલનના મધ્યાંતરે ભક્તિસંગીતનું આયોજન પણ કરાયું હતું. પ્રથમ સત્રના અંતમાં પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો. બપોર પછીના કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ વિશે હિંદી ભાષામાં ફિલ્મ-શો બતાવવામાં આવ્યો હતો.

રામકૃષ્ણ મઠ-મિશન કેરાલાના પૂરપીડિતોની સહાય કરી રહ્યું છેે

આપ સૌ કેરળ રાજ્યની અતિવૃષ્ટિ અને નદીઓનાં વિનાશક પૂરોએ સર્જેલી તારાજીથી વાકેફ છો. રામકૃષ્ણ મઠ-મિશનના કેરળનાં અને આજુબાજુનાં રાજ્યોનાં કેન્દ્રોએ પ્રાથમિક પૂર રાહતકાર્ય આરંભી દીધું છે.

કાલાડી કેન્દ્ર દ્વારા પૂર્ણાનદીએ સર્જેલી તારાજીથી પીડિત ૧૮૦૦ લોકોને પોતાની શાળામાં આશ્રય આપીને તેમનાં ભોજનની વ્યવસ્થા ચાલુ છે. આ ઉપરાંત નાના બાળકોને દૂધ અને ત્રણ ડોક્ટર્સ દ્વારા આરોગ્ય સેવા અપાય છે. આ કેન્દ્રે ચોખા, મસૂરની દાળ, મીઠું, મસાલા, ખાંડ, પાણીના જગ અને મગ, ઓછાડ, ધાબળા, સાદડી, ટૂથબ્રસ, સેનિટરી ચીજવસ્તુઓનું કાલાડીના કાયીપત્તુરના વિસ્તારના હજારો પૂરપીડિત કુટુંબોમાં વિતરણ થયું છે. સૌથી ઓછી અસરવાળું કોચીનું કેન્દ્ર પણ કાલાડીની બજારમાં ન મળતી ચીજવસ્તુઓ મોકલે છે. રાહતકાર્ય ચાલુ છે.

કોયીલેન્ડી કેન્દ્ર દ્વારા કુન્નુર જિલ્લાના આર્લામ વિસ્તારનાં ૨૫૦ પૂરપીડિત કુટુંબોમાં ૧૭૫૦ કીલો ચોખા, ૫૦૦ કીલો મસૂરની દાળનું વિરતણ થયું છે. આ ઉપરાંત તૈયાર કપડાં, ટુવાલ, ઓછાડ, પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. રાહતકાર્ય ચાલુ છે.

કોઝીકોડ કેન્દ્ર દ્વારા કોઝીકોડ જિલ્લાનાં ૧૦૦૦ પૂરપીડિત કુટુંબોમાં ચોખા, મસૂરની દાળ, ખાવાનું તેલ, દૂધનો પાવડર, બીસ્કીટ જેવી ચીજવસ્તુઓનું વિતરણ થયું છે. કપડાં અને સેનિટરી વસ્તુઓનું વિતરણ થશે.

કોઈમ્બતુર મિશન-મઠ દ્વારા પલક્કડ જિલ્લાનાં ૨૦૦૦ પૂરપીડિત કુટુંબોમાં જીવનજરૂરિયાતની ખાદ્ય ચીજવસ્તુઓ ઉપરાંત ધાબળા, સાદડી, વાસણ વગેરેનું વિતરણ થયું છે. બીજા વિસ્તારોમાં પણ આ કાર્ય ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે.
તિરુવલ્લ કેન્દ્ર દ્વારા પઠાણમથિટ્ટા જિલ્લાનાં ૩૦૦ પૂરપીડિત કુટુંબોમાં ખાદ્ય પદાર્થાેનું વિતરણ થયું છે. ઉપરાંત ધાબળા, સાદડી, વાસણ વગેરેનું વિતરણ થશે.
ત્રિસુર કેન્દ્ર દ્વારા ૧૬ ઓગસ્ટથી આદત ગ્રામપંચાયતની હાયરસેકન્ડરી શાળામાં ૨૫૦ પૂરપીડિતો માટેનો કેમ્પ ચાલે છે. તેમને ભોજન અને આશ્રય આપવામાં આવ્યો છે. હવે પછી રાહત અને પુનર્વસનકાર્યની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પાલ કેન્દ્ર દ્વારા કોટ્ટાયમ જિલ્લાના પૂરપીડિત આશ્રિતજનો માટે નજીકના રીલીફ કેમ્પમાં રાંધેલું અનાજ, સૂકા ભોજન પદાર્થાે અને સેનિટરી વસ્તુઓનું વિતરણ થયું છે.
કાયમકુલ્લમ કેન્દ્ર દ્વારા આલાપ્પુઝા જિલ્લાનાં પૂરપીડિત કુટુંબોમાં ચોખા, મસૂરની દાળ, બીસ્કીટ, સાદડી, ઓછાડ, મગ, ટુવાલ, મીણબત્તીનું વિતરણ થયું છે. હરિપદ કેન્દ્રના સંન્યાસીઓ પણ આ કેન્દ્રના આશ્રયે રહે છે.
હરિપદ કેન્દ્ર દ્વારા પોતે અસરગ્રસ્ત હોવા છતાં આલાપ્પુઝા જિલ્લાના પૂરપીડિત લોકોને શાકભાજી, બળતણ, પીવાનું પાણી, સાદડી જેવી ચીજવસ્તુનું વિતરણ થયું છે.
કેરાલાની ભયંકર કુદરતી આપત્તિથી પીડિત લોકોને સહાય કરવા ઉદાર દિલના ગૃહસ્થો, જાહેર સેવાભાવી ટ્રસ્ટો, ઉદ્યોગગૃહો, વ્યાપારી સંગઠનો, શૈક્ષણિક સંસ્થાનો અને દેશના સેવાભાવી નાગરિકો ઉદાર દિલે આ સેવાકાર્યમાં પોતાનો હાથ લંબાવે તેવી અમારી નમ્ર વિનંતી. આ સંસ્થાને અપાયેલ દાન આવકવેરાની કલમ ૮૦(જી) હેઠળ કપાતને પાત્ર છે.
આ ઉમદા સેવાકાર્ય માટે દાનની રકમનો ચેક કે ડ્રાફ્ટ ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ’ના નામે અને કેરાળાના રાહત સેવાકાર્ય માટે એવા સ્પષ્ટ ઉલ્લેખ સાથે મોકલવા વિનંતી. વધુ વિગત માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના કાર્યાલયનો સવારે ૯ થી ૧૨ અને બપોરે ૪ થી ૬ વચ્ચે સંપર્ક સાધવા વિનંતી.

Total Views: 258

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.