રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા
૨૩મી જૂન, ૨૦૧૯ના રોજ અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટે એક ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો આશરે ૫૦૦ ભાવિકોએ લાભ લીધો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ અને અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ધ્યાનની પદ્ધતિ, ધ્યાન માટેની પૂર્વ તૈયારી, મનની એકાગ્રતા અને ધ્યાન, એકાગ્રતા-ધ્યાન દ્વારા મનનાં શાંતિ અને આનંદ કેવી રીતે મેળવવાં તે વિશે નિદર્શન સાથે વક્તવ્યો આપ્યાં હતાં. વક્તવ્યો પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ઘણો રસપ્રદ રહ્યો હતો. કાર્યક્રમના અંતે ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
૨૭મી જૂન, ૨૦૧૯ના રોજ રાજકોટ આશ્રમના પૂર્વાધ્યક્ષ અને હાલ વેદાંત સેન્ટર લંડનના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સર્વસ્થાનંદજીએ યુ.કે.માં રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા કેવી રીતે ચાલે છે તેની વાત કરતાં કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદે અહીં વેદાંતની પ્રવૃત્તિ શરૂ કરી હતી. લંડનની રોયલ ઇન્સ્ટીટ્યૂટ આૅફ પેઈન્ટર્સમાં સ્વામીજીએ ‘રાજયોગ’ પર પ્રવચનો આપેલાં. ૧૯૪૮માં મકાન સાથે વેદાંત સેન્ટરની સ્થાપના થઈ. ૧૯૪૮ થી ૧૯૬૯ સુધી બ્રહ્મલીન સ્વામી ઘનાનંદજીએ આ કેન્દ્રને વિકસાવવા ખૂબ જ મહેનત કરી. ત્યાર પછી સ્વામી ભવ્યાનંદે હાૅલેન્ડ પાર્કમાં ૧૨ એકર જમીન ખરીદી. તેઓ ૧૯૯૩ સુધી રહ્યા. હાૅલેન્ડ પાર્ક વેચીને વધુ સારી જગ્યા લીધી. પશ્ચિમના લોકો ધ્યાનમાં વધુ માને છે. બીબીસીએ વેદાંત વિશે ૨૦ મિનિટની ફિલ્મ બનાવી છે. ૧૯૩૧માં ચર્ચને આપેલું મકાન ૮૦ હજાર પાઉન્ડમાં ખરીદ્યું. અહીં દુર્ગાપૂજા અને જન્માષ્ટમી બે ઉત્સવો થાય છે. ૨૦૦ ભક્તો બેસી શકે તેવું સભાગૃહ છે. ભારતીય વિદ્યાભવન ૫૦૦ બેઠકોવાળું સભાગૃહ ભાડે આપે છે. ૨૭ પાટીદાર સમાજનો સહયોગ મળે છે. એક હોલમાં ૧૪૦૦ ભક્તોનો કાર્યક્રમ થાય છે. સ્વામીજી રહેલા તે સ્થળનાં ચાર સ્મારકો છે. આજે અહીં બુદ્ધિસ્ટ મૂવમેન્ટ ઘણો પ્રભાવ ધરાવે છે. માઈન્ડકુલનેશ મેડિટેશન વધુ લોકપ્રિય બન્યું છે. વેલ્સનું કાલી મંદિર અંગ્રેજો ચલાવે છે. જપયજ્ઞનું પણ ઘણું મહત્ત્વ છે. આયરિશ અને સ્કોટિશ લોકો ભારતીયો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. સ્વામીજીને પણ રામકૃષ્ણ પાસે જવા એક સ્કોટિશ પ્રોફેસરે પ્રેર્યા હતા. ઇટાલી, બલ્ગેરિયાના લોકો પણ આવે છે. સાંપ્રદાયિકતા વિનાના વેદાંતના વિચારો બહુ સહજપણે લોકો સ્વીકારે છે.
પ્રારંભમાં સ્વામી નિખિલેશ્વરાનંદે સ્વાગત પ્રવચન કર્યું હતું. સ્વામી દયાર્ણવાનંદે સ્વામી સર્વસ્થાનંદજીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. સ્વામી આત્મદિપાનંદ અને સ્વામી ઇષ્ટમયાનંદજીએ પ્રસાદીવસ્ર અર્પણ કર્યાં હતાં. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામી સર્વસ્થાનંદજીનું શાલ અર્પણ કરી સન્માન કર્યું હતું.
૪થી જુલાઈ, ગુરુવારે સાંજે ૫ :૩૦ કલાકે શ્રીમંદિરની ચોતરફ જગન્નાથ પ્રભુની છબિવાળી પાલખીને ભક્તજનોએ પરિચાલિત કરી હતી. અંતે પાછી શ્રીમંદિરમાં લાવ્યા હતા. અબીલ, ગુલાલનાં છાંટણાં સાથે ભજનકીર્તનની સૂરાવલીઓનો આનંદ ઉપસ્થિત ભક્તોએ માણ્યો હતો. આ કાર્યક્રમના અંતે ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
૧૬મી જુલાઈ, મંગળવારના શુભદિને શ્રીમંદિરમાં ગુરુપૂર્ણિમાના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણદેવની વિશેષપૂજાનું આયોજન થયું હતું. સવારે ૫ :૦૦ વાગ્યે મંગલ આરતી, સ્તોત્રગાન, વેદપાઠ અને ધ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર પછી વિશેષ પૂજા, હવન અને વચ્ચે વચ્ચે ભજનકીર્તન દ્વારા શ્રીરામકૃષ્ણદેવની આરાધના થઈ હતી. ભોગઆરતી પછી ૨૦૦૦થી વધારે ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. ૧૧ :૧૫ કલાકે આધ્યાત્મિક જીવનમાં ગુરુની આવશ્યકતા વિશે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વ્યાખ્યાન આપ્યું હતું.
Your Content Goes Here