(શિખરિણી – સોનેટ)
મને હંમેશા યે મનહિમન થાતું અશુંકશું;
યથા કે કો હસ્તી-મુજભીતર કે બ્હાર કળુંના-
રહે સાથે, જો કે પ્રગટ રીતે ક્યારેય મળુંના.
પરંતુ લાગે કો મીતસરખું બાહ્યાન્તર વસ્યું;
ઘણીયે વેળાએ અશુંકશું થતુંઃ કોક મુજને.
સદાયે જાણે કે નિરખતું નરી વ્હાલપભરી;
કરુણાળુ આંખે, મુજ શુભ ચહે, કિન્તુ ન જરી.
શકે બોલી, દોરે મૂગું મૂગું મને દાખી પથને;
મને કો ભાવે છે ભરપૂર ભૂરું ભાદર્યું ભર્યું.
અને સંભાળે : હું ક્યહીં ન ભટકી જાઉં પથથી;
અને જ્યાં જોઉં તો ખુદ જ ઊતરી આવી રથથી
મને ખોળે લે છે પ્રીતથી ખણી માથું હળું હળું;
નિગૂઢા પ્રેરો; ને અરજુન તણા સારથિ સખા!
તમે પદે કાં ર્હો જીવન રણમાં આપ અલખા?
– ઉશનસ્
Your Content Goes Here