18 જુલાઈ ગુરુપૂર્ણિમાના અવસરે

[શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (મે, 1985)માંથી સાભાર લેવામાં આવેલ છે. ભાષાંતરકાર – શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી. – સં.]

‘દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે. એટલા માટે જ અંગ્રેજીમાં એને ‘ઇનિશિએશન-Initiation’ કહેવાય છે કે જેનો અર્થ, ‘આરંભ કરવો’, અથવા ‘કોઈ વ્યક્તિને કોઈક નિશ્ચિત માર્ગ કે દિશા તરફ યાત્રા કરવા માટે તૈયાર કરવી,’ એવો થાય છે. દરેક વિશિષ્ટ દીક્ષાનું સાધ્ય તો અલગ-અલગ હોઈ શકે છે. અને એની પદ્ધતિઓ પણ જુદીજુદી હોઈ શકે છે. ધર્મગ્રંથોમાં ‘યજ્ઞદીક્ષા – કંઈક પ્રાપ્ત કરવાના હેતુથી કોઈક ખાસ પ્રકારના યજ્ઞનું અનુષ્ઠાન’ – કરવાનો ઉલ્લેખ મળે છે. પરંતુ આપણે તો અહીં આપણું ધ્યાન કેવળ ‘મંત્રદીક્ષા’ના વિષય પૂરતું જ મર્યાદિત રાખીશું કે જેનો અર્થ, કોઈક વ્યક્તિને ‘કોઈક વ્યક્તિને ‘કોઈક મંત્રનો જપ કરવા માટે વ્રત લેવડાવવું,’ એવો થાય છે.

મંત્ર શું છે? મંત્ર એક એવું આધ્યાત્મિક કે ગુહ્ય સૂત્ર છે કે જેનું વારંવાર રટણ-આવર્તન, અજ્ઞાનના બંધનમાંથી તેમજ જન્મમરણના સકંજામાંથી મુક્ત કરે છે. મંત્રદીક્ષાનું આ જ પ્રયોજન છે. દીક્ષા શું છે અને આપણી આધ્યાત્મિક સાધનામાં એ કેટલી મહત્ત્વપૂર્ણ છે, એ વિષયમાં આપણા મનમાં એક મોટો ભ્રમ ફેલાયેલો છે. કેટલાંય માણસો, દીક્ષાનો શો અર્થ છે, અને એની પ્રક્રિયાથી શું મેળવવાનું છે, એ બાબતમાં પોતાના મનમાં કશાય સ્પષ્ટ ખ્યાલ વગર જ દીક્ષા લઈ લેવા ઇચ્છે છે. દીક્ષા શબ્દનો પ્રયોગ હું માત્ર આપણી આધ્યાત્મિક ઉપલબ્ધિઓ માટે ગુરુ દ્વારા નક્કી કરાયેલા સૂત્રનું નિયમિત રટણ કરવાનું વ્રત લેવાના અર્થમાં જ કરીશ. મંત્ર શબ્દની વ્યાખ્યા સંસ્કૃતમાં આવી રીતે કરવામાં આવી છે. `मननात् त्रायते इति मंत्रः ।’ અર્થાત્ મંત્ર એને કહેવામાં આવે છે કે જેનું ધ્યાન કરવામાં આવતાં માણસ જન્મમરણના ફેરામાંથી, ભવસાગરમાંથી, માયાના સંસારમાંથી છુટકારો પામી જાય. મંત્ર શબ્દનો આ જ વ્યુત્પત્તિમૂલક અર્થ છે. અને દીક્ષાનો અર્થ એ થાય છે કે ગુરુ દ્વારા નિર્ધારિત એક ખાસ પદ્ધતિથી મંત્રજપનો પ્રારંભ કરવો.

પ્રાચીન કાળમાં મંત્રનો અર્થ ‘વેદોમાં આવતા શ્લોકો’, એવો થતો હતો. બધા વેદો મંત્રો અને બ્રાહ્મણોથી યુક્ત છે. मंत्रब्राह्मणयोर्वेदनामधेयम् – ‘વેદ શબ્દનો અર્થ, મંત્ર અને બ્રાહ્મણ એવો કરવામાં આવે છે.’ મંત્રો જુદાજુદા યજ્ઞોના સંદર્ભમાં ઋષિઓએ ઉચ્ચારેલા ઉદ્ગારો છે. અને બ્રાહ્મણગ્રંથો વેદના એ અંશનો નિર્દેશ કરે છે કે જે એ મંત્રોના ઉપયોગનું વિવેચન કરે છે. બ્રાહ્મણગ્રંથો એ બતાવે છે કે જુદાજુદા યજ્ઞ વગેરેમાં મંત્રોનો કેવી રીતે પ્રયોગ કરવો જોઈએ. પણ સમય જતાં તંત્રોમાં મંત્ર શબ્દ એક જુદો જ અર્થ ધારણ કરી લે છે. તાંત્રિક દૃષ્ટિથી ‘મંત્ર’ શબ્દનો અર્થ, ‘અમુક શબ્દોનું એક એવું ખાસ રહસ્યમય ગુહ્ય સૂત્ર કે જે ઈશ્વરના કોઈક પાસાંને સૂચવે’ – એવો થાય છે. આવા મંત્રો એવી ભાષામાં લખાયેલા હોય છે કે જે અદીક્ષિત વ્યક્તિઓ માટે બોધગમ્ય હોય નહિ. તાંત્રિક મંત્રોનું સ્વરૂપ જ રહસ્યમય હોય છે એ ઈશ્વરના-દેવ કે દેવીના એક વિશિષ્ટ પાસાંને સૂચિત કરનારા, અર્થગર્ભિત અક્ષરોવાળા હોય છે.

મંત્ર – પછી તે વૈદિક હોય કે તાંત્રિક – એ કોઈ માનવપ્રાણીની રચનાઓ નથી. એ ગુરુઓ અને શિષ્યોની પરંપરાથી ઉત્તરોત્તર ચાલતા આવ્યા છે – એવી માન્યતા છે. વેદ અને તંત્ર બંને કહે છે કે મંત્ર શાશ્વત છે, અનાદિ અને નિત્ય છે. વેદો જો એમ કહે છે કે મંત્રો ઋષિઓ આગળ પ્રગટ થયા, તો તંત્રો પ્રમાણે મંત્રો પાર્વતીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં શિવજીનાં વચનો છે. પાર્વતી પ્રશ્ન પૂછે છે અને શિવ એમને સમજાવે છે. તાંત્રિક અભિપ્રાય પ્રમાણે મંત્ર એક એવું રહસ્યપૂર્ણ સૂત્ર છે કે જે ઈશ્વરના એક ખાસ પાસાંનું પ્રતીકાત્મક રૂપ હોય છે. ઈશ્વરનાં જુદાંજુદાં પાસાંઓ માટે જુદાજુદા મંત્રો છે. મંત્રદીક્ષાનો અર્થ એવો છે કે ગુરુ દ્વારા પોતાના શિષ્યને એક વિશેષ મંત્ર આપવો. શિષ્ય આવા મંત્રનો જપ કરવાનું અથવા એનું ધ્યાન કરવાનું વ્રત લે છે.

તાંત્રિક અને વૈદિક મંત્રોમાં આ ફરક છે: વૈદિક મંત્રવિશેષ તો યજ્ઞોમાં વિશિષ્ટ દેવદેવીઓને પ્રસન્ન કરવા માટે, એમની અનુકૂળતા માટે ઉચ્ચારાયેલ પ્રાર્થનાઓ, સ્તોત્રો વગેરેનાં સંક્ષિપ્ત રૂપો છે, પણ તાંત્રિક મંત્રો દેવત્વના કોઈ ખાસ પાસાંને કે કોઈ દેવદેવીનું સૂચન કરતાં ગુહ્ય સૂત્રો છે. આજના કાળમાં ભારતમાં જે મંત્રદીક્ષા આપવામાં આવે છે, તે મુખ્યત્વે આ તાંત્રિક પ્રક્રિયાનું અનુસરણ કરે છે. વૈદિક યુગમાં પણ દીક્ષા અપાતી હતી. એની કેટલીક પરંપરાઓ આજના સમયમાં ય જીવતી છે. દાખલા તરીકે શિષ્ય જ્યારે પોતાના ગુરુના ઘરમાં પ્રવેશ કરે છે, અને એનો શિષ્યરૂપે જ્યારે સ્વીકાર કરવામાં આવે છે, ત્યારે એને સર્વજ્ઞાત ગાયત્રીમંત્રની દીક્ષા આપવામાં આવે છે. વૈદિક મંત્ર હોવાને કારણે ગાયત્રીનો આકાર મોટો-લાંબો છે, જ્યારે બીજી બાજુ તાંત્રિક મંત્રો કેવળ નાનકડાં સૂત્રો જ છે.

મંત્રોને પૂરતી કાળજીથી જાળવી રાખવા જોઈએ કે જેથી એનાં રૂપ અને ગુણમાં કશો ફેરફાર ન થઈ જાય. એમાં ન તો કશું ઉમેરવું જોઈએ કે ન તો એમાંથી કશું બાદ પણ કરવું જોઈએ. આજના જમાનામાં તો વેદો લખી લેવામાં આવે છે, પરંતુ પહેલાંના કાળમાં કેવળ ગુરુ દ્વારા શિષ્યને (મૌખિક રૂપમાં) આપવામાં આવતા હતા. એને ‘શ્રુતિ’ નામે ઓળખવામાં આવતા. કારણ કે ગુરુમુખે કહેવાયેલા એવા તેમને શિષ્યોએ સાંભળીને સ્મૃતિમાં સાચવવાના હતા. મંત્રોમાં કોઈપણ જાતના ફેરફારને કે કશાય સંપાદનને મંજૂરી આપવામાં આવતી ન હતી. એમાં વ્યાકરણ સંબંધી સંશોધન પણ કરવામાં આવતું નહિ. તે તૈયાર સામગ્રીરૂપ હતા. અને શિષ્યને કેવળ એના ઉપર ધ્યાન કરવાનું તેમ જ ગુરુના ઉપદેશોનું પાલન કરવાનું જ રહેતું. તંત્રો પ્રમાણે પણ મંત્રોમાં કશું જ પરિવર્તન કર્યા વગર જતનથી જાળવવા જોઈએ અને પૂરતી સંભાળપૂર્વક એનું અનુસરણ કરવું જોઈએ. તાંત્રિક મંત્રોની બાબતમાં ‘સંપ્રેષણ’ની ગોપનીયતાને કઠોરતાપૂર્વક લાગુ કરવામાં આવતી હતી. એવું શા માટે? એનું કારણ એ છે કે એવું માનવામાં આવતું કે જો આવી કઠોરતાનું પાલન કરવામાં ન આવે તે મંત્રો એટલા પ્રભાવશાળી અને અમોઘ ન બની શકે કે જેટલા એણે થવું જોઈએ. મંત્રોનું મોટે અવાજે ઉચ્ચારણ કરવાથી એ પોતાની એવી શક્તિ ખોઈ બેસે છે. મંત્રો ખૂબ શક્તિશાળી હોય છે, એ આપણું આધ્યાત્મિક જ્ઞાન પ્રગટ કરવા સારુ ઘણા જ સમર્થ હોય છે – એવી માન્યતા છે. મંત્રનો જપ કરવાથી, એ મંત્રોનું પ્રતિનિધિત્વ કરનાર ઇષ્ટદેવની મૂર્તિ કે એનું ખરું સ્વરૂપ પણ શિષ્ય સામે પ્રગટ થઈ જાય છે.

પરંતુ આજકાલ તો વેદો છપાયેલા રૂપે મળી શકે છે, અને ગમે તે વ્યક્તિનો એમાં પ્રવેશ થઈ શકે છે. આવી જ રીતે તાંત્રિક મંત્રો પણ તાંત્રિક ગ્રંથોમાં છપાઈને પ્રકાશિત થયેલા છે, અને ગમે તે વ્યક્તિ એને વાંચી શકે છે. પરંતુ વૈદિક અને તાંત્રિક, એ બંને શાસ્ત્રોમાં હમેશાં આ આદેશ આપવામાં આવ્યો છે કે એમનામાં આ રીતનો મુક્ત પ્રવેશ યોગ્ય નથી. ઉપનિષદોની ઘોષણા છે કે, ‘ફક્ત ગુરુ દ્વારા મેળવેલું જ્ઞાન જ ફળ આપનારું નીવડે છે. आचार्यात् हि एव विदिता विद्या साधिष्ठं प्रापयतींति ।’ (છાન્દોગ્ય ઉપનિષદ 4-9-3) આપણા જીવનમાં આપણે જો જ્ઞાનના એક નાનકડા અંશને પણ ખરેખરો ફળદાયી બનાવવો હોય તો એને અવશ્ય જ ગુરુના શ્રીમુખેથી જ સાંભળવો જોઈએ. આવા અનુસરણની બાબતમાં વેદો અને પુરાણો એ બંનેએ આ સિદ્ધાંતનું ખૂબ ચીવટથી અનુસરણ કરવા માટે ભાર મૂક્યો છે. આ કથન પાછળનો ભાવ એ છે કે ગુરુ કંઈ કેવળ મંત્ર જ આપતા નથી, પણ એની સાથોસાથ શિષ્યને એ પોતાની આધ્યાત્મિક શક્તિમાંથી પણ કેટલીક શક્તિનો સંચાર શિષ્યમાં કરી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ છપાયેલાં પુસ્તકોમાં મંત્રો વાંચે છે, ત્યારે આ પ્રકારનો શક્તિપાત થઈ શકતો નથી. હવે આપણે એને વધુ બોધગમ્ય અને તર્કસંગત રૂપે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે કોઈ પુસ્તકમાં કોઈક આચારસંહિતાઓ વાંચતા હોઈએ તો સંભવ છે કે આપણા ઉપર એનો કંઈક પ્રભાવ પડે. પરંતુ જ્યારે એ આચારગત ઉપદેશોને કોઈક એવી વ્યક્તિને મોઢેથી સાંભળીએ કે જેના ઉપર આપણો પ્રેમ અને શ્રદ્ધા હોય, તો તો સ્વાભાવિક રીતે જ એનો પ્રભાવ આપણા ઉપર કોઈ સાવ અનોખો જ પડવાનો. તો આવી જ રીતે આપણે ભલેને મંત્રદીક્ષા દ્વારા થતા આધ્યાત્મિક શક્તિ સંચારની વાસ્તવિક પ્રક્રિયાને જો કે ન સમજી શકતા હોઈએ, તેમ છતાંય આપણે ઓછામાં ઓછું એટલું તો સમજી જ શકીએ છીએ કે પેટેલા દીવામાંથી જ બીજો દીવો પેટી શકે છે. કોઈ પણ આત્માને પ્રદીપ્ત કરવા માટે કોઈ એવા આત્માની આવશ્યકતા હોય છે કે જે પહેલેથી જ પ્રદીપ્ત થઈ ચૂક્યો હોય. ગુરુ દ્વારા શિષ્યમાં શક્તિસંચારનો આ જ અર્થ છે. આ રીતે જીવિત સંપર્ક સિવાય શક્તિસંચાર શક્ય બનતો નથી.

જીવિત સંપર્ક દ્વારા મંત્ર વધારે શક્તિશાળી બની જાય છે. આ જ શક્તિને સુરક્ષિત રાખવા માટે શાસ્ત્રો, શિષ્યોને એક પ્રકારની ગુપ્તતા જાળવવાનો આદેશ આપે છે, અને આ નિયમનું ઉલ્લંઘન કરનારને કઠોર દંડ દેવાનો નિર્દેશ કરે છે. ખરી રીતે તો મંત્રોને હલ્કા કે તુચ્છ ગણી લેવામાંથી રોકવા, એ જ એનું પ્રયોજન છે. કોઈપણ વ્યક્તિએ મંત્રોને ગંભીરતાપૂર્વક સ્વીકારવા જોઈએ. માણસે મંત્રોનું પરીક્ષણ ન કરવું ઘટે. મંત્રોનું આપણા જીવનમાં ઘણું અદકું મહત્ત્વ છે. ઈશ્વરાનુભૂતિ માટે જ્યારે આપણે પોતાને સમર્પિત જ કરી દેવાનો પ્રયત્ન હોય, ત્યારે તો આપણે અવશ્ય જ આ વાત જાણી-સમજી લેવી જોઈએ કે એ અનુભૂતિ ઉદાસીન ભાવે કરી શકાતી નથી. ગુરુ કેવળ મંત્રનો જ નહિ, પણ એની સાથે સાથે એવા જ્ઞાનનો પણ સંચાર કરે છે કે જેને એમણે પોતાની વ્યક્તિગત અનુભૂતિ દ્વારા અથવા તો એ જ માર્ગે વળેલા ગુરુની અનુભૂતિ દ્વારા પ્રાપ્ત કરેલું હોય છે. અને એટલા જ માટે શિષ્યને સાચી શિક્ષા આપવા માટે એ સમર્થ હોય છે.

આ સંબંધમાં એક બીજી વાત પણ મારા મનમાં ઊગે છે. મંત્રો અસંખ્ય છે. જો એ બધા જ આપણી સામે ખડા કરી દેવામાં આવે, તો આપણે ભારે મૂંઝવણમાં પડી જઈએ કે કોને અપનાવવો અને કોને નકારવો? આ મૂંઝવણને દૂર કરવા માટે, જેને આ મંત્રોનો સાક્ષાત્કાર થયો હોય એવી કોઈ અધિકારી વ્યક્તિનો આદેશ માનવો, એ જ સર્વોત્તમ ઉપાય છે. અને એવી વ્યક્તિ જ ગુરુ છે.

ખાસ કરીને તંત્રશાસ્ત્રમાં ગુરુને સાક્ષાત્ ઈશ્વર ગણવામાં આવ્યા છે. ‘ગુરુસ્તોત્ર’માં કહેવાયું છે કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શિવ છે, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે; આવા ગુરુને મારા નમસ્કાર હો.

`गुरूर्ब्रह्मा गुरुर्विष्णु गुरूर्देवो महेश्वरः ।

गुरूदेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥’

ગુરુને પરબ્રહ્મ સ્વરૂપે જ માનવામાં આવ્યા છે. શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા કે સત્-ચિત્-આનંદ (સચ્ચિદાનંદ) ગુરુ છે, એ વેદો અને અન્ય શાસ્ત્રો પ્રમાણેની જ વાત છે. પરંતુ આપણે જ્યારે દીક્ષા લેવા જઈએ છીએ, ત્યારે આપણે એવો અનુભવ તો કરતા હોતા નથી કે આપણને એ બ્રહ્મને નામે ઓળખાતી સર્વશક્તિમાન, પરમ સત્તા દ્વારા જ એ ઉપદેશ મળી રહ્યો છે! આપણે તો એક એવી વ્યક્તિ પાસે જ જઈએ છીએ કે જેને આપણે ગુરુ તરીકે પસંદ કરી હોય. કારણ કે આપણને તો એવો જ અનુભવ થાય છે કે એ વ્યક્તિ આપણને સાચો માર્ગ બતાવવામાં સમર્થ છે. એ વ્યક્તિનો જન્મ થાય છે, એનું મૃત્યુ પણ થાય છે, એનામાં અન્ય માનવગત મર્યાદાઓય હોય છે. પરિણામે એને બ્રહ્મથી અભિન્ન રૂપે જાણી કે લેખી શકાતી નથી. પણ આપણાં શાસ્ત્રો તો ગુરુને પરમ સત્તા અર્થાત્ બ્રહ્મના રૂપમાં જ ઓળખવાનો કઠોર આદેશ આપે છે. શું આનો અર્થ સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો વિરોધ છે એવો નથી થતો? હા, એક રીતે તો એ એવો છે ખરો, પણ એવે વખતે એ મૂર્તિમાં ઈશ્વરની આરાધના કરવાની આપણા લોકોને પડેલી આદતના જેવું જ છે. આપણે ઈશ્વરના કોઈક ખાસ પાસાને સૂચિત કરતી મૂર્તિઓનું નિર્માણ કરીએ છીએ. મૂર્તિ એવા પદાર્થોમાંથી બનાવવામાં આવી હોય છે કે જે જડ હોય છે. અને આપણે એ મૂર્તિ દ્વારા એવા ઈશ્વરનું ધ્યાન કે આરાધના કરીએ છીએ, કે જે અનંત ચેતના સંપન્ન છે! આપણે આવું કરીએ છીએ. કારણ કે આપણું માનસ એ જ્ઞાનાતીત અનંત સત્તાને પૂરેપૂરું સમજી શકતું નથી. એટલે આપણને કોઈક મૂર્તિ કે કોઈ ચિત્ર અથવા તો કોઈક પ્રતીકાત્મક રેખાના રૂપમાં ઈશ્વરના પ્રતિરૂપનું અવલંબન લેવું પડે છે. વિશ્વમાં એવો કોઈ જ ધર્મ નથી કે જેમાં કોઈક પણ પ્રતિમા વગર આરાધના કરવામાં આવતી હોય. જો આપણે કોઈ પ્રતીક દ્વારા એની આરાધના ન કરીએ તો પછી કોઈ બીજા રસ્તે એના વિષે કશો વિચારવિમર્શ કરી શકાય તેમ નથી. મનમાંથી બધીજ મૂર્તિઓને ફગાવી દેવાની જે લોકો આગ્રહભરી સલાહ આપે છે તેઓ પણ કોઈ એક યા બીજા પ્રકારના પ્રતીકનો આશરો લે જ છે.

મંત્રો ઈશ્વરનાં પ્રતીકાત્મક પ્રતિરૂપો છે. આદિષ્ટ-સ્કુરિત શબ્દોના રૂપમાં એ ઈશ્વર જ છે.

મંત્રો, અપૌરુષેય અને સ્વયંસ્ફુરિત શબ્દોના રૂપમાં ઈશ્વરનાં પ્રતીકાત્મક પ્રતિરૂપો છે. એવા ભક્તોનાં દૃષ્ટાન્તો પણ સાંપડે છે કે જેમણે ઈશ્વરની દેદીપ્યમાન યંત્ર કે મંત્રના જ્યોતિર્મય અક્ષરોના રૂપમાં સંપૂર્ણ અનુભૂતિ પ્રાપ્ત કરી હોય. વાસ્તવિક રીતે આ એક રહસ્યાત્મક અનુભૂતિનું ઉદાહરણ છે. અને ધર્મ એવી રહસ્યપૂર્ણ અભિવ્યક્તિઓથી ભરપૂર છે. આવી તર્કાતીત અનુભૂતિઓને કોઈ તર્કની મદદથી આપણે કદીય સિદ્ધ ન કરી શકીએ. દુનિયાના દીક્ષારહિત લોકોને આપણે ક્યારેય નહિ સમજાવી શકીએ કે આ અનુભૂતિઓ વાસ્તવિક છે, ભલે એ ભૌતિક મૂર્તિ અથવા એક શબ્દ કે પછી એક શ્લોક હોય, તો પણ ઈશ્વરની પ્રાપ્તિ માટે સહાય કરતું અતિ આવશ્યક ઉપકરણ છે. માનવમન મૂર્તિ-પ્રતીકો દ્વારા જ પરમ સત્યને પામી શકે છે, નિરાકારને એ પકડી શકતું નથી. અહીં એવો પ્રશ્ન પૂછી શકાય કે શું આપણે સદા-સર્વદા જ સાકારને વળગી રહેવું પડશે કે? ના, સાકારની સહાયથી આપણે નિરાકારને આંબવો છે. મનની વર્તમાન સ્થિતિનું રૂપાંતર કર્યા વગર સીધા જ એકદમ આપણે કદીય નિરાકાર સુધી પહોંચી શકતા નથી. શરૂ શરૂમાં આપું મન, આકારો કે પ્રતીકો વગર કોઈ રીતે વિચારી જ શકતું નથી. એટલા માટે આધ્યાત્મિક સાધના કરવા સારુ પ્રતીક ખૂબ જ જરૂરી છે, અને મંત્રો ઈશ્વરને જ પ્રતિરૂપિત કરનારા શ્લોકો છે.

માની લો કે આપણે કોઈ એક ખાસ મૂર્તિમાં પ્રતિરૂપિત થયેલા ઈશ્વરના એક ખાસ રૂપને ભજીએ છીએ. તો એ તો દેખીતું જ છે કે એ મૂર્તિ ખંડિત થાય કે બેડોળ બની જાય, એ આપણને પસંદ પડતું નથી. એજ પ્રમાણે મંત્ર પણ વિકૃત ન થવો જોઈએ. એનું આવર્તન, એમાં કોઈ પણ જાતનું પરિવર્તન કર્યા વગર બરાબર, અકબંધ રીતે કરવું જોઈએ. આ નિયમનું સખ્તાઈથી પાલન કરવું જોઈએ. વળી, આપણે પોતાને સાધનાની કોઈ એક જ પદ્ધતિ પૂરતા મર્યાદિત રાખવા પડશે.

આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવા માટે હમેશાં ગુરુ પાસે જવું, એ શું જરૂરી જ છે કે? ચોખ્ખી રીતે જ આ એક વ્યવહારુ અભિગમ છે. ગુરુ પાસે કેટલાક અનિવાર્ય ગુણો હોવા જોઈએ. એના વગર એ અજ્ઞાનીનું માર્ગદર્શન કરી શકતો નથી. એની પહેલી યોગ્યતાતો એ છે કે એ અવશ્ય જ શ્રોત્રિય, એટલે કે શાસ્ત્રોનો જ્ઞાતા હોવો જોઈએ. પણ કેવળ પાંડિત્યથી કોઈ ગુરુ બની જતો નથી. એણે પ્રબુદ્ધ અને પરમ જ્ઞાની પણ હોવું જોઈએ. એ એક એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેણે સત્યની પ્રત્યક્ષ અનુભૂતિ પ્રાપ્ત કરી લીધી હોય. ગુરુની બીજી યોગ્યતા એ છે કે એ અનિવાર્ય રૂપે ‘અવૃજિન’ હોવો જોઈએ. અર્થાત્ એનું આચરણ દોષ કે કલંકથી તદ્દન વેગળું હોય. એણે દૃઢતાપૂર્વક શાસ્ત્રીય આદર્શો પ્રમાણે જીવન વ્યતીત કરવું જોઈએ. એણે બધા પાપાચારોથી મુક્ત તેમ જ બિલકુલ પવિત્ર રહેવું જોઈએ. અને છેલ્લે એ સંપૂર્ણપણે ‘અકામહત’ હોવો જોઈએ. એટલે કે શિષ્યની સાથેના એના સંબંધમાં કોઈપણ પ્રકારનો સ્વાર્થપૂર્ણ હેતુ ન હોવો જોઈએ. મંત્ર આપતી વખતે શિષ્ય પાસેથી કોઈપણ જાતનો લાભ મેળવવાની આકાંક્ષાથી એણે મુક્ત રહેવું જોઈએ. કોઈનો ગુરુ તરીકે સ્વીકાર કરતી વખતે આજ મુખ્ય ગુણોનું આપણે ધ્યાન રાખવું ઘટે છે.

તો પછી શિષ્યમાં કયા ગુણો હોવા જરૂરી છે? આધ્યાત્મિક આદર્શોની ખોજમાં શિષ્ય ઉત્સાહી હોવો જોઈએ. ઉપદેશના અનુસરણથી ફક્ત પોતાનું કુતૂહલ શાંત કરવા માગતી વ્યક્તિ જ તે હોવો ન જોઈએ. વળી, ગુરુ દ્વારા અપાયેલા ઉપદેશોને આચરણમાં ઉતારવામાં એણે ગંભીર થવું જોઈએ; એ શુદ્ધ ચારિત્ર્યવાળો પણ હોવો જોઈએ. ગુરુ તેમ જ શિષ્ય એ બંને માટે ચારિત્ર્યની શુદ્ધિની બાબતમાં સરખે સરખો ભાર મૂકવામાં આવ્યો છે. સૌથી વધારે તો શિષ્યે અનિવાર્ય રીતે નમ્ર થવું જોઈએ, એ અહંકારી તો ન જ હોવો જોઈએ. આ ગંભીર શ્રદ્ધાભાવ વિના તો એણે ગુરુની પાસે પણ જવું ન જોઈએ અને એનું મૂલ્યાંકન પણ ન કરવું જોઈએ. એકમાત્ર વિનમ્રતા જ જિજ્ઞાસુને એક એવું સુયોગ્ય વાહન બનાવી શકે છે કે જેના દ્વારા ગુરુના જ્ઞાનનું વહન થઈ શકે. વિનમ્રતા, ચીવટ, પવિત્રતા અને સેવાભાવ વગર ફક્ત ગુરુના સંપર્કથી જ કંઈ શિષ્યને ફાયદો થઈ જતો નથી. આટલા માટે જ ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે ‘જિજ્ઞાસુએ શાસ્ત્રજ્ઞ અને બ્રહ્મનિષ્ઠ ગુરુની પાસે હાથમાં સમિધ લઈને (સમિત્પાણિ થઈને) જ જવું જોઈએ – तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत् समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम्’ (मुण्डकोपनिषद् 1, 2, 12) સમિધ-લાકડાં સેવાનું પ્રતીક છે. એ પ્રાચીન કાળમાં યજ્ઞ કરવા માટે ગુરુને લાકડાંની જરૂર પડતી. લાકડાંના ભારા સાથે ગુરુ પાસે જઈને શિષ્ય, ગુરુની સેવા કરવા માટેની પોતાની તત્પરતા દર્શાવતો હતો. અહીં મહત્ત્વની વાત તો એ છે કે આ સેવાથી ગુરુ પ્રસન્ન થઈ જાય એવું કંઈ નથી, પરંતુ એ કરવામાં આવેલી સેવા શિષ્યની પોતાની શુદ્ધિ માટે આવશ્યક છે. અને એ શુદ્ધિ જ શિષ્યને ગુરુના ઉપદેશો ગ્રહણ કરવા માટે યોગ્ય બનાવે છે. એણે તો ફક્ત ગુરુએ બતાવેલા માર્ગનું – ઉપદેશોનું કશીય બાંધછોડ વગર, અટલ શ્રદ્ધાથી પાલન કરવાનું છે.

ધર્મ કોઈ ધંધાદારી પેઢી નથી. સ્વાર્થી હેતુઓ ગુરુ અને શિષ્યનો સંબંધ બગાડી મૂકે છે. શિષ્યે અવશ્ય વિનમ્રતાભર્યા અને ગુરુસેવામાં ઉત્સાહી રહેવું જોઈએ. એણે ગુરુદેવનાં ચરણોમાં, કશી કિંમત ચૂકવીને શિક્ષણ ખરીદવા આવનારા કોઈ વ્યક્તિની પેઠે નહિ પરંતુ એક સાચા શિક્ષાર્થીના રૂપમાં પોતાનું સમર્પણ કરી દેવું જોઈએ. આધ્યાત્મિક જ્ઞાન તો ગુરુએ આપેલી એવી ભેટ છે કે જે વિનમ્રતા અને સેવાથી જ મેળવી શકાય. ગુરુ શિષ્યને દીક્ષિત કરે છે, એને સુયોગ્ય માર્ગે ચલાવવાનો પ્રારંભ કરે છે. સ્વામી બ્રહ્માનંદ (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય) આ વિષે ઘણું ઘણું કહ્યા કરતા. જો તમે એમના ઉપદેશો વાંચશો તો તમને એમાંથી ખૂબ કિંમતી માર્ગદર્શન મળી શકશે. એમણે કોઈ પણ વિષયને ગૂઢ બનાવ્યા વગર સીધી શિખામણો જ આપી છે.

આધ્યાત્મિક જ્ઞાન કોઈ એવી વસ્તુ નથી કે જે અધ્યયન કરીને મેળવી શકાય. એને તો વિનમ્રતા, ખંત, દૃઢ નિશ્ચય અને પરમશ્રદ્ધાથી યુક્ત થઈને ખૂબ ઊંડો પ્રયાસ કરીને જ પ્રાપ્ત કરી શકાય છે. અને એમાંય શ્રદ્ધા ઉપર વધારે ભાર મૂકવો પડશે. તમે જો વિજ્ઞાનનું કોઈક પુસ્તક વાંચતા હો, તો એમાં ખૂબ શ્રદ્ધા રાખવાની તમને જરૂર પડશે. પણ જ્યારે તમે શાસ્ત્રોનું અધ્યયન કરી રહ્યા હો છો અને ખાસ કરીને તમે જ્યારે ધર્મ-સાધના કરી રહ્યા હો છો ત્યારે તો પરમ શ્રદ્ધાની આવશ્યકતા છે. શ્રદ્ધાની આવશ્યકતા વિશે વેદમાં એક સુંદર દૃષ્ટાન્ત છે. શિષ્ય ગુરુને બ્રહ્મ વિશે ઉપદેશ આપવાની વિનંતી કરે છે. ગુરુ શિષ્યને ઉપદેશ દેતાં કહે છે કે બ્રહ્મ અત્યન્ત સૂક્ષ્મ છે અને આખું બ્રહ્માંડ એમાંથી જ ઉત્પન્ન થયું છે. આ પરમસત્તાનું અદ્વિતીયત્વ દર્શાવતાં એ એક દાખલો આપે છે: “જ્યારે મધમાખીઓ મધ બનાવે છે, ત્યારે એ જુદાંજુદાં ફૂલોમાંથી મકરંદ-પુષ્પરસ એકઠો કરીને એને ભેળસેળ કરી એક બનાવે છે, બરાબર એવી જ રીતે બધા જ આત્માઓ બ્રહ્મમાં એકાકાર થઈ જાય છે.” આ ઉત્તર સાંભળીને શિષ્યે તો ફરીથી એ જ પ્રશ્ન બેવડાવ્યો: “મને ફરીથી એ બધું સમજાવો.” આનો અર્થ એ થયો કે ગુરુના ઉપદેશે શિષ્યમાં અપેક્ષિત અનુભૂતિ ઉપજાવી ન હતી. ત્યારે ગુરુ એક બીજું દૃષ્ટાંત આપે છે. તો પણ શિષ્ય એ જ પ્રશ્ન ફરી ફરી પૂછ્યા કરે છે; ગુરુ ફરી એક ઉદાહરણ આપે છે. આમ છતાં શિષ્ય વળી ફરી એ જ પ્રાર્થના કર્યે રાખે છે! છેવટે ગુરુ કહે છે કે, ‘હે સૌમ્ય, શ્રદ્ધા કરો – श्रद्धस्व सौम्य! (છાન્દોગ્ય ઉપનિષદ 6, 12, 2) બ્રહ્મ કંઈ એવી વસ્તુ નથી કે જેને કોઈ દૃષ્ટાંતોથી સમજી જાય. દૃષ્ટાંતો એવી વસ્તુઓ ઉપર આધારિત છે કે જેને આપણે ઇન્દ્રિયોથી જોઈ શકીએ છીએ, કે અનુભવી શકીએ છીએ, પણ અહીં તો આપણે ઇન્દ્રિયોથી અગમ્ય ઇન્દ્રિયાતીત વસ્તુ તરફ જઈ રહ્યા છીએ કે જે આપણી ઇન્દ્રિયોની પેલી પારની છે. એટલા માટે એવી પૂરતી શ્રદ્ધાની આવશ્યકતા છે કે જે આપણને એ માર્ગ પર ધીરે ધીરે આગળ વધવાને યોગ્ય બનાવી શકે. શ્રદ્ધા વગર તો આપણે ક્યારેય પ્રગતિ કરી શકીશું નહિ.

આનો અર્થ શું એવો કરવાનો છે કે ગુરુએ કહેલી ગમે તે પ્રકારની દરેકેદરેક વાતને માની જ લેવી? નહિ. સાચો ગુરુ તો ભારપૂર્વક એમ કહેશે કે એવું ન કરવું જોઈએ. શ્રીરામકૃષ્ણે પોતે જ પોતાના શિષ્યોને આંખો મીંચીને ગુરુની વાણી માની લેવાની વિરુદ્ધમાં ખૂબ ભારપૂર્વક સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું: “જે કંઈ હું કહું છું, તે બધું એકદમ માની ન લો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમારી સમજણના સાધનથી એની કસોટી કરો. ત્યાર પછી જ જો તે અકાટ્ય અને પ્રતીતિકર લાગે તો જ તેનું અનુસરણ કરો; તે સિવાય નહિ જ.” આ રીતે ગુરુ-ઉપદેશના અનુસરણનો અર્થ એવો નથી કે આપણે આપણી બુદ્ધિને દેશવટો જ આપી દેવો! પરંતુ પછી એ અનુસરણ તો શંકાશીલ મનથી ન જ થવું જોઈએ, શંકાના ડાઘવાળા મનથી ઉપદેશનું અનુસરણ ન થવું જોઈએ. આવું મન, ગુરુએ આપેલ ઉપદેશનું મહત્ત્વ કદીય સમજી શકતું નથી, એટલા માટે શ્રીરામકૃષ્ણ કહે છે: “શક્ય હોય તેટલી ગુરુની કસોટી કરો, પણ એક વાર તમને ખાતરી થઈ જાય કે એ તમને ઉચ્ચતમ ઉદ્દેશ તરફ ખરેખર જ દોરી લઈ જઈ શકે તેમ છે, ત્યારે તો પછી તો કશી બાંધછોડ, કશી શરત કે કશા પ્રતિબંધ વગર સંપૂર્ણપણે તમે પોતાનું આત્મસમર્પણ કરી દો; શરણાગતિનો સ્વીકાર કરી લો.” ગુરુ પાસે આવી જ શ્રદ્ધાથી જવું જોઈએ. અને આવા ગુરુ આપણને ઉચ્ચ લક્ષ્ય તરફ લઈ જઈ શકે છે. જે પૂરેપૂરા જ્ઞાની ન હોય એવા ગુરુ પાસે જઈને શિષ્ય શું કરી શકવાનો હતો? ઉપનિષદમાં એવું કહ્યું છે કે, “તેઓ આંધળાએ દોરેલા આંધળાની માફક જ છે. अन्धनैव नीयमाना यथान्धा” (મુંડક ઉપનિષદ 1:12, 8; કઠોપનિષદ 1, 2, 5) સાચે જ આ ખરેખર હતોત્સાહિત કરનારું વચન છે.

અહીં એક પ્રશ્ન ઊભો થાય છે: “આપણે અત્યારે તો બીજાનું માપ કાઢવામાં સમર્થ નથી. અત્યારે આપણું મન સ્પષ્ટ નથી. આપણે શંકાઓ અને તકલીફોથી મુક્ત થયા નથી. તો પછી આપણાથી કેટલેય ઊંચે સતરે રહેલા ગુરુનું મૂલ્યાંકન આપણે કેવી રીતે કરી શકીએ?” એનો ઉત્તર એ છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ગુરુના શુદ્ધ અભિપ્રાયને પહેલાં પારખી લો. તમે પોતે જ જોઈ જાણી લો કે શું તેઓ તમારા આદર્શને અનુરૂપ આચરણ કરી શકે છે ખરા કે? જો એમ હોય તો જ તેને સ્વીકારો. જો તમારે એનો સ્વીકાર કરવાનો હોય તો પૂરા મનથી એનો સ્વીકાર કરો. નહિતર તમારું સંદેહવાળું મન હંમેશાં મુશ્કેલી ઊભી કર્યા કરશે. માની લો કે આપણા ગુરુ પરમ લક્ષ્ય સુધી પહોંચ્યા નથી, તો ઉપનિષદોમાં એવાં દૃષ્ટાન્તો મળે છે કે જ્યારે કેટલાક વિષયોમાં પોતાના અજ્ઞાનનો સ્વીકાર કરી લે છે ત્યારે ગુરુ અને શિષ્ય બંને જેને એ વિષયનું ઉચ્ચતર જ્ઞાન હોય એવી વ્યક્તિઓ પાસે જાય છે. આવા મિથ્યાભિમાનથી મુક્ત અને શિષ્યની પ્રગતિ તેમજ કલ્યાણ પ્રત્યે ગંભીર એવા સાચા ગુરુનું આજ સાચું કાર્ય છે. આવા પ્રસંગે આંધળાથી દોરાયેલા આંધળાને કારણે ઊપજતી આપત્તિ આવશે નહિ. પણ આ એક ખાસ લક્ષ્ય પર પહોંચવા ઉત્સુક બે સહયાત્રીઓ જેવું જ ગણાશે. તેઓ અન્ય લોકોને પણ સાચી દિશા માટે પૂછશે. ક્યારેક ક્યારેક તેઓ ભૂલો પણ કરી શકે છે. પણ એ નિશ્ચયપૂર્વક લક્ષ્ય સુધી તો પહોંચશે જ.

હું એક એવો ગુરુ પ્રાપ્ત કરું છું કે જે મારા અભિપ્રાયથી સર્વોત્તમ છે. તો પણ પછી મને એનાથીય વધારે યોગ્ય ગુરુની આવશ્યકતા હોવી જોઈએ ખરી? જો હું ઉત્સુક હોઈશ તો એવા ગુરુ પણ મારા સંપર્કમાં તો આવવાના જ. અહીં મૂળે તો ઉત્સુકતા-ઉત્કંઠાની આવશ્યકતા છે. આપણે ગંભીરતાથી શોધ કરવી જોઈએ અને જેમ શ્રીરામકૃષ્ણ કહે છે તેમ જો આપણે નિષ્ઠાવાન હોઈએ તો સહાય અવશ્ય જ સાંપડવાની. આધ્યાત્મિક જીવન માટે આ જ નિર્ભેળ-સ્પષ્ટ સત્ય છે. કારણ કે ગુરુ એ ‘બ્રહ્મ’ સિવાય બીજા કોઈ નથી. જો આપણે ભૂલો કરીશું તો ઈશ્વર તો એ જાણે જ છે કે આપણે ગડબડ કરી રહ્યા છીએ. એ જાણે છે કે ક્યારે અને કેવી રીતે એણે આપણા ઉપર કૃપાદૃષ્ટિ કરવાની, ક્યારે કેવી રીતે આપણા તરફ પ્રકાશ પાથરવાનો છે. જો આપણે આપણી શોધમાં ગંભીર હોઈશું તો ભલે ને આપણે ભૂલો પણ કરતા હોઈએ, તો પણ ભય રાખવાની મુદ્દલે જરૂર નથી. આ જ વાતનું આપણે હંમેશાં સ્મરણ રાખવું ઘટે. આ રીતની ગંભીરતા વિના પારંગત બ્રહ્મજ્ઞાનીનું માર્ગદર્શન પણ આપણે માટે ખાસ સહાયક નહિ નીવડે. એટલે ગુરુને એક માર્ગદર્શકરૂપે ગણવા જોઈએ કે જે આપણને આધ્યાત્મિક માર્ગ પર ધીરે ધીરે આગળ વધવામાં મદદરૂપ નીવડે. અને કોઈ ગરબડ ઊભી થતાં આપણામાં ઉચ્ચત્તર જ્ઞાન જગાડે. આ ભાવથી શિષ્યે પોતાના માર્ગમાં આગળ વધવાનું છે.

એક વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે અધ્યાત્મમાર્ગ બહુ સરળ નથી. ઉપનિષદોમાં કહ્યું છે: “જ્ઞાનીજનો કહે છે કે અસ્ત્રાની ધારની પેઠે આ માર્ગ દુષ્કર છે. क्षुरस्य धारा निशिता दुरत्याग दुर्गं पथस्तत्कवयो वदन्ति ।” (કઠ ઉપ. 1, 3, 14) આપણા પગ છોલાઈ જશે. આ એક કષ્ટપ્રદ પ્રક્રિયા છે, છતાં આપણી પાસે જો શૌર્યભર્યું હૃદય હશે તો માર્ગની અવરોધક મુશ્કેલીઓ અને નિરાશાજનક પ્રયત્નો હોવા છતાં આપણે દિલ ચોર્યા વગર આગળ વધી શકીએ છીએ. ઈશ્વરને શોધનારાઓ માટે દૃઢ સંકલ્પ અને શ્રદ્ધા હોવાં અત્યંત આવશ્યક છે. આધ્યાત્મિક અન્વેષણ, ભૌતિક વસ્તુઓની જ્ઞાનપ્રાપ્તિ જેવું નથી કે જેનું પરીક્ષણ આપણી ઇન્દ્રિયો દ્વારા થઈ શકે. અધ્યાત્મક્ષેત્રમાં તો આપણે એવી વસ્તુ ખોળીએ છીએ કે જે ઇન્દ્રિયાતીત છે. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે જો માર્ગમાં જ ગડથોલિયાં ખાઈ જઈએ કે ઓછામાં આત્મસંતોષ લઈ બેસીએ તો પછી આપણે માટે લક્ષ્યસ્થાને પહોંચવાની કોઈ આશા રહેતી નથી. આપણામાં એવી ધીરજ હોવી જોઈએ કે જે જન્મજન્માંતરમાંય ન ખૂટે. ખરેખર, આવી દૃઢતા કંઈ એક-બે દિવસમાં, અરે, કેટકેટલાં વર્ષોમાં પણ મેળવી શકાતી નથી. પણ આપણી ખોજનું પાત્ર એટલું મૂલ્યવાન છે કે એના અન્વેષણમાં સેંકડો જીવન પણ ન્યોચ્છાવર કરી શકાય તેમ છે. પૂરતી કિંમત ચૂકવ્યા વગર તો કશુંય મળી શકે નહિ. આપણે શક્ય બધો જ સંઘર્ષ કર્યા છતાંય કદાચ એ લક્ષ્ય દૂરનું દૂર રહી જાય અને એને પહોંચવામાં આપણને હતાશા પણ જન્મે. તો વળી કદાચ એ લક્ષ્ય હાથવેંતમાં પહોંચી-પકડી શકાય એટલું નજીક પણ લાગે! કોને ખબર છે કે એ શુભ ઘડી ક્યારે આવી પહોંચે છે!

તમારામાંથી ઘણા પેલી બાઈબલની દસ કુમારિકાઓ એક રાત્રે, ગમે તે કારણે સમયસર પાછા ન ફરેલા પોતાના પ્રિયતમને મળવા માટે નીકળી પડી. તેમણે એની રાહ જોયા જ કરી, જોયા જ કરી. એ કુમારિકાઓ માંહેની એકે બીજી કુમારિકાઓને કહ્યું: ‘મારા દીવામાંથી તો તેલ ખૂટી ગયું છે તમે કોઈ મને થોડુંક તેલ ઉછીનું આપશો?’ એમણે એ આપવાની ના પાડી એટલે તે તો પોતાના દીવા માટે તેલની શોધમાં નીકળી. બરાબર એ જ વખતે પેલો પ્રિયતમ આવી પહોંચ્યો! જેમની પાસે પૂરતું તેલ હતું, અને જેમના દીવા ઝળહળી રહ્યા હતા, તેઓ તો પ્રિયતમને પોતાની સાથે લઈને વધૂ-ગૃહમાં ચાલી ગઈ. પણ જેનું તેલ ખૂટી પડ્યું હતું, તે બિચારી કુમારિકાને તો એ પરમ આનંદથી વંચિત જ રહેવું પડ્યું! (બાઈબલમાં આવેલી મેથ્યુવચન અ-1, 12-વાળી કથાથી થોડીક જુદી પડતી કથા મળે છે.) એટલે ઈશ્વરનું આવી રીતે અનુસંધાન કરનાર જીવની એવી જ સ્થિતિ થશે કે જેવી સ્થિતિ, પોતાના દીવામાં ધીરજનું પૂરતું તેલ લીધા વગર જ આગળ વધવાનો પ્રયત્ન કરનાર કન્યાની થઈ! આપણા અન્વેષણનો વિષય એટલો તો મૂલ્યવાન છે કે એને માટે આપણે કેટલું વધારે મૂલ્ય મૂકવીએ છીએ, એનો વિચાર જ કરવાનો હોતો નથી. એને ખરીદવા માટે આપણી પાસે ક્યારેય પૂરતાં નાણાં નહિ જ હોય! એ તો એક અમૂલ્ય વસ્તુ છે.

આ વિષયમાં વેદોમાં એક કથા છે: કોઈક માણસ સોમલતાનો પવિત્ર છોડ વેચવા નીકળ્યો. એ લતાનો રસ સોમયજ્ઞના અનુષ્ઠાનમાં આવશ્યક હોય છે. સોમયજ્ઞનું અનુષ્ઠાન કરતા બીજા માણસોને ખરીદી લેવાની ઇચ્છા થઈ. એટલે એણે સોમલતા માટે ભાવતાલ ઠરાવવાનું શરૂ કર્યું. એણે વીસ કોડીઓથી ઉપરની પહેલાં માંગ મૂકી. પણ દર વખતે એને કહેવામાં આવતું કે ‘રાજા સોમ આનાથી વધારે મૂલ્યવાન છે. – राजा सोमस्ततो भूयान्’ એએમ કહીને એની માગણી સ્વીકારવામાં આવતી ન હતી. પેલા અનુષ્ઠાન કરનારે તો સોમ ખરીદવા માટે પોતાની બધી જ સંપત્તિ હોડમાં મૂકી દીધી પણ તોય એનું કશું વળ્યું નહિ! એને તો એનો એ જ રુક્ષ ઉત્તર મળ્યો: ‘राजा सोमस्ततो भूयान्’ રાજા સોમ એથી અધિક મૂલ્યવાન છે!’ છેવટે જ્યારે એણે જોયું કે, એની કિંમત ચૂકવવામાં એ સમર્થ નહિ થાય ત્યારે એણે એ બધી જ સોમલતા લૂટી લીધી.

આ જ ભાવ શ્રીમદ્ભાગવતમાં સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે: માતા યશોદા કૃષ્ણથી નારાજ થઈ ગયાં હતાં કારણ કે કૃષ્ણે પોતાનાં તોફાનોથી બધાં આડોશીપાડોશીને હેરાનપરેશાન કરી મૂક્યાં હતાં. માતા યશોદાએ કૃષ્ણને ખૂબ ટીખળી છોકરો જાણીને ક્યાંક બાંધી રાખવાનું નક્કી કર્યું, કારણ કે એ તો ગોવાળિયાનું ઘર હતું અને તેથી દોરડાંનો તો ત્યાં તોટો જ ન હતો. તેઓ દોરડાંનો એક ટુકડો લઈ આવ્યાં અને એનાથી કૃષ્ણને બાંધી દીધા; પણ દોરડું બે આંગળ ટૂંકું પડ્યું. ત્યારે એની સાથે એક બીજું દોરડું બાંધ્યું. તો પણ દોરડું બે આંગળ ટૂંકું જ પડ્યું! ત્યારે ઘરમાં જેટલાં દોરડાં હતાં તે બધાં જ કૃષ્ણને બાંધવા માટે લાવવામાં આવ્યાં પણ ત્યારેય એ પૂરાં ન પડ્યાં. યશોદા તો થાકી ગયાં; એમને પરસેવો વળી ગયો. છેવટે જ્યારે તેઓ સાવ થાકીને નિરાશ થઈ ગયાં ત્યારે શ્રીકૃષ્ણે બંધન સ્વીકારી લીધું. આ કથાનું તાત્પર્ય એ છે કે આપણે કોઈપણ સાધનાથી ઈશ્વરને બાંધી રાખી શકતા નથી. પણ કેવળ તે આપણો સ્વીકાર કરે છે એ યાદ રાખવું જોઈએ. છેવટે તો આપણે એની કૃપા પર આધાર રાખવાનો છે. આપણી બધી સાધનાઓની પૂર્ણતા, ઈશ્વર પ્રત્યેની આપણી પૂર્ણ શરણાગતિ અને એની કૃપા ઉપર આધાર રાખવામાં રહેલી છે.

Total Views: 837

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.