(સપ્ટેમ્બર, ૨૦૦૦ થી આગળ)
પ્રતીક અને પથ
પ્રતીકની સહાય વિના કોઈ એ અતીન્દ્રિય વસ્તુને ગ્રહણ ન કરી શકે; પછી ભલે એ પ્રતીક માટીની મૂર્તિના રૂપે ન હોય પરંતુ શબ્દ કે અન્ય રૂપે તો હશે જ. શબ્દ પ્રતીક પણ છેવટે તો એક પ્રતીક જ છે. પ્રતીક એ મૂળ વસ્તુ નથી, પરંતુ મૂળ વસ્તુને પ્રાપ્ત કરવા એ પ્રતીકની મદદથી આગળ વધવું રહે છે. એટલે જ જેને આપણે નિમ્નસ્તરની ઉપાસના કહીએ છીએ તે પણ વાસ્તવિક રીતે ઉપેક્ષા કરવા જેવી નથી; કારણ કે, આ ઉપાસના પણ કોઈને કોઈ લોકોને આગળ વધવા સહાયરૂપ બને છે.
જ્યારે આપણે પોતે જ આપણા માર્ગે ચાલવા નથી ઇચ્છતા ત્યારે આપણી પાસે બીજાના માર્ગની નિંદા કરવાનો પર્યાપ્ત સમય મળે છે. અને જો આપણને આપણા પથમાં શ્રદ્ધા હોય તેમજ આપણને એ પથે ચાલવાની વ્યાકુળતા પણ હોય તો આપણી પાસે બીજાના પથ તરફ જોઈને તેની આલોચના-ટીકા કરવાનો સમય જ નથી રહેતો; કારણ કે, ત્યારે આપણું સમગ્ર મન ‘હું કેવી રીતે મારા પોતાના પથ ૫૨ આગળ વધું’ એ જ વિચારમાં કેન્દ્રિત થઈ જાય છે. શ્રી ઠાકુર કહે છેઃ ‘શું તમે બધા પથની પરીક્ષા કરીને જોયું છે?’ આ બધા પથ તો દૂર રહ્યા, પણ જે માર્ગને મેં ગ્રહણ કર્યો છે એની ય પરીક્ષા કરીને જોયું નથી. આપણામાંના અનેક કહે છે કે, આ બધી મેથડ Kinder garden method – બાલવાડી પદ્ધતિ છે. આપણે તો મોટા થયા છીએ એટલે બાળકોની જેમ રમકડાંમાં ખોવાઈ જવા રાજી નથી. સારી વાત છે! તો શેનાથી રાજી રહીશું? ગાલ ફુલાવીને ઓકી નાખ્યું : તે તો ‘નિત્ય’ છે. ‘શુદ્ધ’ છે. વગેરે વગેરે. પરંતુ ‘નિત્ય’ એટલે શું છે એય નથી જાણતાં અને ‘શુદ્ધ’ કહેવાનું તાત્પર્ય શું છે એ પણ નથી સમજતા.
શ્રીરામકૃષ્ણ : વિભિન્ન સાધનાઓ અને ઉપલબ્ધિ
આ છે સામાન્ય માનવની અવસ્થા. એટલે શ્રી ઠાકુર કહે છે : ‘તમે એ વિષે શા માટે કહેવા કે બોલવા ઇચ્છો છો? ઈશ્વરે ભિન્ન ભિન્ન મનુષ્યો સર્જ્યા છે અને ભિન્ન ભિન્ન પ્રકૃતિના મનુષ્યો માટે ભિન્નભિન્ન પથ પણ આપ્યા છે.’ જો આપણે પોતપોતાના પથે ચાલતા રહીશું તો ધીમે ધીમે આ બધું આપણે સમજી શકીશું. શ્રી ઠાકુર સ્વયં પોતાની અનુભૂતિથી આ પરીક્ષિત સત્ય બધાંને કહેતા : બધા માર્ગે ચાલીને એમના સુધી પહોંચી શકાય છે. તે જ એક માત્ર લક્ષ્ય છે.’ આ વાત શ્રી ઠાકુર એટલે નથી કહેતા કે શાસ્ત્રોએ આવું લખ્યું છે કે એમાં આવું આવે છે; એમણે આ વાતો સાંભળી છે એટલે એમ નથી કહેતા; પરંતુ એ એટલા માટે કહે છે, કારણ કે એમણે એમના જીવનમાં અનુભવેલું સત્ય છે. ‘સર્વાસામપાં સમુદ્ર એકાયનમ્’ બધાં વારિની ગતિ જેમ સમુદ્ર ભણી હોય છે તેમ સર્વ જીવોનો આધાર તેઓ જ છે. તેમાં જ જીવનું અધિષ્ઠાન છે, તેમાં જીવનો લય છે. જેમ પ્રત્યેક જીવ માટે આ સત્ય છે તેમ પ્રત્યેક ધર્મપથ માટે પણ એ સત્ય છે. વિભિન્ન ધર્મમતોનું અનુશીલન કરીને શ્રી ઠાકુરે આ અનુભૂતિ કરી કે એમના પથ વિભિન્ન હોવા છતાં અંતે તો એ બધા એક સત્ય સુધી પહોંચે છે.
શ્રી ઠાકુરના સર્વધર્મસમન્વયની આ જ મૂળ વાત છે. કોઈએ કહેલું છે કે ધર્મનો સમન્વય એટલે શું? ધર્મ શું ભિન્ન ભિન્ન છે? ધર્મ તો એક જ છે. આ વાત ભાષણ સાંભળતી વખતે તો સારી લાગે છે. પરંતુ ‘ધર્મ એક છે’ એનો અર્થ શો છે? જે લોકો ભિન્ન ભિન્ન ધર્મોનું અનુસરણ કરીને ચાલે છે તેમને જો કોઈ પૂછે તો કહેવાના, ‘આ કેમ બને? તમારો ધર્મ અમારો નથી અને વળી અમારો ધર્મ પણ તમારો નથી.’
આપણી સૌની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. આપણો પાછળનો ઇતિહાસ ભિન્ન છે, આપણે બધાં શૈશવ કાળથી અલગ અલગ રીતે ઉછર્યાં છીએ; આપણી બુદ્ધિ ભિન્ન પ્રકારના સિદ્ધાંતોનું અનુસરણ કરીને ચાલે છે – આ ભેદનો તો આપણે અસ્વીકાર કરી શક્તા નથી અને વળી આપણી સામે જે ભેદ જોઈએ છીએ એનાથી આપણે એમ ન કહી શકીએ કે આપણે એ અલગ અલગ પથ પર ચાલીને એ ભેદોથી પર અતીત અવસ્થામાં આપણે પહોંચી ન શકીએ. એક વર્તુળના પરિઘ પરથી તેના કેન્દ્ર તરફ જવા ભિન્ન ભિન્ન ત્રિજ્યાપથ હોય છે. આ પથી ૫૨થી જેમની કેન્દ્રાભિમુખી ગતિ આરંભાય છે તેમાં એકબીજાનું અંતર શરૂ શરૂમાં ઘણું વધારે રહે છે. પરંતુ જેમ જેમ તેઓ આગળ ધપે છે તેમ તેમ એમના વચ્ચેનું અંતર એટલું ઘટતું જાય છે. અંતે જ્યારે તે કેન્દ્રમાં પહોંચે છે ત્યારે તેમની વચ્ચે કોઈ અંતર જ રહેતું નથી. આ તો એક ઉપમા છે. જો કે આવી રીતે ધર્મને આટલો બધો સરળ બનાવીને સમજાવી શકાતો નથી, કારણ કે જેને હું કેન્દ્ર કહું છું એના વિશેની એકની ધારણાનું બીજા કોઈને જ્ઞાન નથી. આપણે બધા પરસ્પર ભિન્ન દૃષ્ટિએ જોઈએ છીએ, દૂરત્વનો અનુભવ લઈને ચાલીએ છીએ, એટલે પહેલાં તો આપણને એ વાત ૫૨ વિશ્વાસ નથી આવતો કે અંતે તો આપણે એક જ સ્થાને પહોંચવાના છીએ. જો કોઈ આ વાત કહે તો એના પર આપણે અવિશ્વાસ રાખીએ છીએ. હાલમાં અમારા લંડનઃ કેન્દ્રના એક સંન્યાસીને એક વિદ્વાને કહ્યું : ‘શ્રીરામકૃષ્ણદેવે ઈસાઈ ધર્મની સાધના કરી હતી કે એમણે ઈસ્લામનો પથ અંગીકાર કરીને એનું અનુસરણ પણ કર્યું હતું. આ બધી વાત એમની વ્યક્તિગત કલ્પનાઓ છે.’ અર્થાત્ પ્રશ્ન એ છે કે, એ મતોની જે પરંપરાઓ છે, શું શ્રીરામકૃષ્ણદેવે એ બધી પરંપરાઓનો સ્વીકાર કર્યો હતો? હવે આ પરંપરાઓમાં કેટલીક મુખ્ય અને કેટલીક ગૌણ છે – વૃક્ષનાં ડાળપાંદડાં જેવી. જ્યારે આપણે કહીએ છીએ કે શ્રીઠાકુરે ઈસાઈ ધર્મની સાધના કરી હતી ત્યારે આ પ્રશ્ન અપ્રાસંગિક છે કે તેઓ ઈસાઈ ધર્મમાં પૂર્ણ રીતે દીક્ષિત Baptised થયા હતા કે નહીં અથવા એમણે પહેલાં મૌલિક પાપ Original sin પર વિશ્વાસ કર્યો હતો કે નહીં. અહીં તો એટલું જોવાનું પૂરતું છે કે, ડાળખાં-પાંદડાંમાં પડ્યા વિના તેની મુખ્ય વાતો અને તેના મૂળ સિદ્ધાંતો પર તેઓ આગળ ધપ્યા હતા કે નહીં. આ પ્રસંગના અનુસંધાને એક વાત યાદ આવે છે એક ઑસ્ટ્રેલિયન સાધુ બનીને બેલૂર મઠમાં નવા નવા આવ્યા હતા. મારી સાથે એમને ઘણી ઘનિષ્ઠતા થઈ ગઈ હતી. એક દિવસ એમણે હાથે ખાવાનું (છરી-કાંટા-ચમચી વિના) શીખી લીધું છે એ બતાવવા તેઓ થાળી લઈને મારી સામે આવ્યા અને હાથે ખાધું છે એ થોડું બતાવીને થાળી લઈને તેઓ ચાલ્યા ગયા. મારી પાસે બેઠેલા એક ભાઈએ કહ્યું: ‘તમે એ ન કહ્યું કે આ સ્થાન અપવિત્ર – એંઠું થઈ ગયું?’ મેં કહ્યું : જુઓ ભાઈ, એ તો થઈ ગયું. છતાં ય એ સમજશે નહીં કારણ કે, એની ભીતર આવા સંસ્કાર જ નથી.’ આ સાંભળીને એ ભાઈ બોલ્યા : ‘એ સંસ્કાર ભલે ન હોય પણ જ્યારે તે હિંદુ પદ્ધતિએ સાધના કરે છે ત્યારે એ વાત એને બતાવી દેવી જોઈએ.’ આના પ્રત્યુત્તર રૂપે મેં કહ્યું : ‘જો આ જ હિંદુત્વ હોય તો આવું હિંદુત્વ ન હોય તો ય એનું કામ ચાલવાનું છે.’ તાત્પર્ય એ છે કે ઘણી વખત આપણે ગૌણ વસ્તુને મુખ્ય બનાવીને ધર્મનો ઉપહાસ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે : ‘પાણીના પ્યાલાને જમણે હાથે લેવો કે ડાબે હાથે આવું જ વિચારવામાં આપણા દિવસો વીતી ગયા.’ આ વસ્તુ આપણે પ્રાયઃ ભૂલી જઈએ છીએ કે આ મુખ્ય વસ્તુ નથી અને ઈશ્વરપ્રાપ્તિની સાથે એનો કંઈ સંબંધ પણ નથી. એટલે જ જ્યારે આપણે એમ કહીએ છીએ કે શ્રીઠાકુરે બીજા ધર્મપંથોની સાધના કરી હતી ત્યારે આપણે એ પણ સમજીએ છીએ કે એમણે એ ધર્મોની મુખ્ય પદ્ધતિઓનું અનુસરણ કર્યું હતું. આપણે એમની વાતો પરથી, એમના આચરણ અને એમના સ્વભાવના આધારે આ વાત કહી શકીએ છીએ.
એમણે જ્યારે અને જે પથ ગ્રહણ કર્યો ત્યારે તેમણે શક્ય તેટલી વધુ ચોકસાઈથી તેનું અનુસરણ કર્યું. આવી ચોકસાઈથી કરેલા અનુસરણમાં એ સાર્થકતા સમાયેલી છે. આપણે બધા યુક્તિવાદી બનીને અનેક વાતોને ગૌણ કહીને કાપીકૂપી નાખવા માગીએ છીએ, જેમકે આપણે કહીએ છીએઃ અન્નનો દાણો જ અસલ છે, મુખ્ય છે. અને એનું ફોતરું ગૌણ છે, એટલે ફોતરાને ફેંકી દો અને દાણો રાખી લો.
આના ઉત્તરમાં આપણને સચેત કરતાં શ્રી ઠાકુર કહે છે : ‘ફોતરું ય લેવું પડશે.’ જો ફોતરાને ફેંકી દઈએ તો અનાજને બચાવી ન શકાય. ચોખાને વાવવાથી છોડ નહિ ઊગે એને માટે તો કમોદ જ વાવવી પડે, જે પ્રથા છે તે સમગ્રતયા નકામી નથી, પણ એનો એ અર્થ નથી કે આપણે એ પ્રથાને નામે પોગાપંથને-બાહ્યાચારને આશ્રય આપીએ. આપણે એ જોવું જોઈએ કે આપણે બીજાને વધુ ભ્રમિત તો નથી કરી દેતાને! આપણે એના મૂળ તત્ત્વને થોડું સમજાવી દઈએ અને સ્વયં એનું અનુસરણ કરીએ, પછી બધું ઠીકઠાક થઈ રહેશે. જ્યારે આપણે તત્ત્વ સુધી પહોંચીશું ત્યારે આ જ સત્યને સ્વયં અનુભવ દ્વારા સમજી શકીશું. શ્રી ઠાકુર આ જ સત્યમાં વિશ્વાસ રાખતા. એમણે એક વૈજ્ઞાનિકની જેમ પરીક્ષા કરી હોય એ વાત નથી. આપણે કેટલીય વાર શ્રીઠાકુરની પરીક્ષાને વૈજ્ઞાનિક પરીક્ષાની સમકક્ષ ગણાવીએ છીએ. શ્રી ઠાકુરની પ્રણાલી બરાબર એવી નથી. તેઓ તો કહે છે, ‘હે મા, તને અમુક ભક્તો કેવી રીતે જુએ છે, હું પણ તને એવી રીતે જ જોઈશ.’
તેઓ એમ પણ માને છે કે બીજા ભક્તો તેમની માને જ જુએ છે. તેઓ એમની સાધના પદ્ધતિને જાણવા માગે છે, એનો અનુભવ કરવા માગે છે. એટલે ‘મા’ જ બધી વ્યવસ્થા ગોઠવી દે છે, બધા સંયોગ ભેગા કરી દે છે. એના પછી તેઓ અનુભૂતિની ભૂમિ પર દૃઢ પ્રતિક્તિ થઈને કહે છે – બધા પ્રકારની સાધના દ્વારા આપણે એમને પ્રાપ્ત કરીએ છીએ. ‘જેટલા મત એટલા પથ’. આ સત્ય એમના જીવનમાં આવી રીતે પરીક્ષિત થયું છે. પ્રશ્ન ઊભો થાય છે કે શું બધા મતોની પરીક્ષા કરીને એમણે જોયું હતું? ના, વાત એમ નથી. એમણે બધા મતોની પરીક્ષા કરીને નથી જોયું. જેને આપણે (Sample survey) નમૂનાનું સર્વેક્ષણ કહીએ છીએ, શ્રી ઠાકુરની પદ્ધતિને મોટે ભાગે એવા પ્રકારની પદ્ધતિ કહી શકાય.
એ સમયે જે જે મત પ્રચલિત હતા એ બધાને એમણે જોયા. તદુપરાંત એમની પાસે હતી પોતાની ‘લોકોત્તર દૃષ્ટિ’, એની સામે તત્ત્વ પોતાના સ્વરૂપમાં જ પ્રતિભાસિત થતું; એને ગવેષણા કે વિશ્લેષણ દ્વારા બહાર લાવવાનું ન હતું. એમના શુદ્ધ મનની સામેથી અજ્ઞાનનું આવરણ હટી ગયું હતું. એમણે એ પ્રત્યક્ષ રીતે જોઈ લીધું હતું કે ભિન્ન ભિન્ન મનુષ્યોનું ગંતવ્ય સ્થાન એક જ છે. બધા ઉપાય – માર્ગો દ્વારા એમણે આ જ જોયું હતું કે ભિન્ન ભિન્ન પથે ચાલીને સૌ ‘મા’ને જ જુએ છે. જગતનાં સૃષ્ટિ-સ્થિતિ અને સંહાર કરનારને તેઓ પોતાની ‘મા’ કહે છે. આપણે વળી પાછા શબ્દોને લઈને શબ્દોને સહારે એમ કહીને વિવાદ ન કરીએ કે તેઓ કાલીના ઉપાસક હતા કે વિષ્ણુના, અદ્વૈતવાદી હતા કે વિશિષ્ટાદ્વૈતવાદી. તેઓ આ બધું તો હતા પણ એનાથી ય વધુ તેઓ બીજું ઘણું હતા. સ્વામીજીએ એક જ શબ્દમાં તેમને ‘સર્વધર્મસ્વરૂપિણે’ કહીને પ્રણામ કર્યા છે. સર્વધર્મ સ્વરૂપ જ શા માટે? તેઓ તો ભિન્ન ભિન્ન ભાવે ઈશ્વરોપલબ્ધિ કરીને તસ્વરૂપ જ બની ગયા હતા. ધર્મ જે હતો, અને અત્યારે છે અને ભવિષ્યમાં જે હશે તે બધું જાણે કે એમના જીવનમાંથી પ્રસ્ફુટિત થઈ ગયું છે, કારણ કે એના પ્રકાશનની આવશ્યક્તા ઊભી થઈ હતી; બધાની સામે તે પ્રકાશિત થયું ન હતું.
ઈસાઈએ આવીને એમની ભીતર ઈસુના પ્રકાશની ઉપલબ્ધિ કરાવી હતી; એમણે કહ્યું, ‘તમે જ ઈસુ છો’. આવી રીતે બીજા ઘણાને આમ કહ્યું હતું. એમની ભીતર એક એવા તત્ત્વનો પ્રકાશ થયો હતો, એક એવી વસ્તુની સૃષ્ટિ થઈ હતી, એક એવા સમયે દીપ પ્રજ્વલન થયું હતું કે જેના સહારે આપણે ભલેને ગમે તે દિશામાં જોતા હોઈએ પણ આપણો અંધકાર દૂર થઈ જાય છે. શ્રી ઠાકુરના ધર્મ સમન્વયને જો આપણે આ ભાવથી જોઈશું તો તેની આપણે થોડી ઘણી ધારણા કરી શકીશું.
ખંડ : ૪ : દ્વિતીય દર્શન : ૩
(કથામૃત : ૧ : ૨: ૨, ૨૮ ફેબ્રુઆરી, ૧૮૮૨)
શ્રીઠાકુરની સાથે માસ્ટર મહાશયની પહેલી મુલાકાતના દિવસે બહુ વધુ વાતચીત-ચર્ચા થઈ નહોતી. આ બીજી મુલાકાત છે. જાણે કે શ્રી ઠાકુર માસ્ટર મહાશય વિશે પોતે બધું વ્યવસ્થિત રીતે જાણી લેવા માગે છે, માસ્ટર મહાશયનાં લગ્ન થઈ ચૂક્યાં છે, એટલું જ નહિ એમને બાળબચ્ચાં પણ છે. આ સાંભળીને શ્રી ઠાકુર રામલાલને કહે છે, ‘અરે! લગ્ન ય કરી લીધાં છે! અરે! બાળબચ્ચાં ય છે.’ એમના આ કથનમાં માસ્ટર મહાશયને આક્ષેપનો ભાવ દેખાય છે. એટલા માટે તેમને થોડો વિચિત્ર અનુભવ થાય છે.
કથામૃતમાં આપણે જોઈશું કે શ્રીઠાકુર આવાં પ્રશ્ન બધાને ન પૂછતા. આવા પ્રશ્નો માત્ર એમને જ પૂછતા કે જેમને તેઓ પોતાના અંતરંગરૂપ ગણતા. માસ્ટર મહાશયને જોઈને તેઓ શરૂઆતથી જ એ સમજી ગયા હતા કે એક વિશેષ કાર્યના યંત્રરૂપે તેઓ તેમનો ઉપયોગ કરશે. એટલા માટે તેઓ ઇચ્છતા હતા કે એમનું એ યંત્ર ત્રુટિરહિત કે . ખામી વિનાનું હોવું જોઈએ. માસ્ટર મહાશયે લગ્ન કરી લીધાં હતાં, એમને બાળબચ્ચાં ય હતાં, એટલે સંસારની જવાબદારીનો બોજો એમના શિર પર આવી પડ્યો હતો. આવી દશામાં એમની સ્વતંત્રતા સારા પ્રમાણમાં સીમિત થઈ ગઈ હતી. એટલેતો ‘લગ્ન થઈ ગયાંછે’ આ સાંભળીને ઠાકુર ખેદ વ્યક્ત કરે છે. કંઈ એવું નથી કે સંસારમાં રહીને કોઈ ધર્મ જીવનનો લાભ ન મેળવી શકે. જેને એ લાભ મળવાનો હોય એને ભલે મળે. પરંતુ તેઓ તો માસ્ટર મહાશયનો ઉપયોગ પૂરેપૂરી રીતે પોતાના હાથના યંત્રરૂપે કરવા ઇચ્છતા હતા. તેઓ એમ નહોતા ઇચ્છતા કે માસ્ટર મહાશય થોડો વખત એમના બની રહે અને વળી થોડો વખત સંસારના. શ્રી ઠાકુરની વાતોમાં આપણને આવું જ જણાય છે. પરંતુ એ વાત પણ સાચી છે કે પાછળથી જ્યારે માસ્ટર મહાશય સંસારમાંથી નીકળી જવા ઇચ્છતા હતા ત્યારે શ્રી ઠાકુરે તેમને એમ કરવાની ના કહી હતી. આપણે જોયું છે કે શ્રી ઠાકુરે એ સંબંધે ઘણાને આવો જ ઉપદેશ આપ્યો છે કે જ્યારે સંસારની જવાબદારી માથે આવી પડી છે તો તેને છોડીને ભાગવું યોગ્ય નથી. જ્યાં સુધી આ જવાબદારી આવી નથી ત્યાં સુધી વિચાર કરો, પોતાનું બરાબર નિરીક્ષણ કરો, તરતપાસ કરો કે ક્યો માર્ગ તમારા માટે સુવિધાવાળો રહેશે. તેઓ જેમ વગર વિચાર્યે સંસારનાં બંધનમાં કોઈનું ફસાવું પસંદ નહોતા કરતા તેવી જ રીતે વિચાર કરીને સંસારમાં પ્રવેશ કર્યા પછી સંસાર છોડીને ભાગી જવું પણ તેઓ પસંદ નહોતા કરતા. એટલા માટે હાજરાને પરાણે ઘરે મોકલી દે છે. નરેન્દ્રનાથ હાજરા વતી પેરવી-પ્રયાસ કરે છે તેમજ ઘરે પાછા જવા માટે હાજરા પર દબાણ ન લાવવાની સલાહ આપે છે; પરંતુ શ્રી ઠાકુર કંઈ સાંભળતા નથી. સંસારની જવાબદારી જ્યાં સુધી છે ત્યાં સુધી તેની અવહેલના કરવાથી કંઈ થવાનું નથી. વળી આ જ શ્રી ઠાકુર જે લોકોને પોતાનાં ત્યાગી સંતાનોના રૂપે તૈયાર કરે છે તેમાંથી કોઈનાં લગ્ન ક૨વાની વાત સાંભળતાં જ જાણે કે કોઈએ એના માથામાં લાકડી ફટકારી દીધી હોય તેવું તેઓ અનુભવે છે.
જેનો તેઓ પોતાના હાથના યંત્રરૂપે ઉપયોગ ક૨શે તેણે બધી રીતે સહીસલામત-ઝુટિરહિત બનવું જોઈએ, પૂરેપૂરી રીતે તેમના જ બનવું જોઈએ. અહીં વહેંચણી થાય તો આ યંત્ર સુરક્ષિત ન રહી શકે.
શ્રી ‘મ’ના શિક્ષા ગુરુ શ્રી ઠાકુર માસ્ટર મહાશયને પૂછે છે : ‘સારું, તમારાં પત્ની કેવાં છે? વિદ્યાશક્તિ કે અવિદ્યાશક્તિ?’ ‘વિદ્યાશક્તિ’, ‘અવિદ્યાશક્તિ’- આ બધી વાતો માસ્ટર મહાશયે ક્યારેય સાંભળી નહોતી. ‘વિદ્યા’નો અર્થ તેમને લેખન-વાંચન એટલો સમજાયો હતો એટલે તેમણે એ વિચાર્યું કે શ્રી ઠાકુરે મારાં પત્ની લખી-વાંચી જાણે છે કે કેમ એ જાણવા માગે છે. સાધારણ રીતે આપણે જ્ઞાનીનો અર્થ એ લઈએ છીએ કે જે ઘણું લખી-વાંચી જાણે છે. અને જે લખી વાંચી જાણતો નથી તેને અજ્ઞાની કહીએ છીએ.
આમ વિચારીને માસ્ટ૨ મહાશયે જવાબ આપ્યોઃ ‘જી, સારી છે, પણ અજ્ઞાન છે.’ શ્રી ઠાકુરે ખિન્ન થઈને કહ્યું : અને તમે જ્ઞાની છો?’ માસ્ટર મહાશયને શ્રી ઠાકુર દ્વારા જ્ઞાન, અજ્ઞાનનો નવો અર્થ શીખવા મળ્યો; તેમને એ ખ્યાલ આવ્યો કે ભગવાનને જાણવા એનું નામ જ જ્ઞાન છે અને તેમને ન જાણવા એ અજ્ઞાન છે. શ્રી ઠાકુર પાસેથી માસ્ટર મહાશયને બોધપાઠ મેળવવાના આ શ્રીગણેશ થયાં.
માસ્ટર મહાશયના અહંકારના ચૂરેચૂરા કરવા માટે શ્રી ઠાકુરે જાણે કે, જાણી સમજીને વ્યંગ્યાત્મક શબ્દનો પ્રયોગ કર્યો, કારણ કે જ્યાં સુધી મનુષ્યની ભીતર અહંકાર રહે છે ત્યાં સુધી તેના પર ઉપદેશનો કોઈ પ્રભાવ પડતો નથી. તે વિચારે છે : ‘હવે હું ક્યો વધુ ઉપદેશ લઈશ? હું કાંઈ કમ છું?’ માસ્ટર મહાશય એ જમાનાના ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ હતા; વિદ્યાર્થીઓને પઠન-પાઠન કરાવવું એ એમનું કાર્ય હતું. આવી રીતે માસ્ટર મહાશયે એ નિરક્ષર પૂજારીના ચરણોમાં એક શિક્ષાર્થી-વિદ્યાર્થીના રૂપે બેસવું પડશે એ વાત એમના વિચા૨માં પણ આવી શકે તેમ નહોતી. શ્રી ઠાકુરનો ઉદ્દેશ્ય એ હતો કે માસ્ટર મહાશયના અહંકારના ચૂરેચૂરા કરી નાખવા. એટલે જ તેઓ વ્યંગભર્યો પ્રશ્ન પૂછે છે : ‘અને શું તમે જ્ઞાની છો?’ આ વાતથી માસ્ટર મહાશયના અહંકારને મર્માન્તક આઘાત લાગ્યો.
(ક્રમશઃ)
Your Content Goes Here