રામકૃષ્ણ મિશન, સિંગાપુરના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ લખેલા મૂળ અંગ્રેજી પુસ્તક ‘Gospel of The Life Sublime : Vol.1’માંથી કેટલાક અંશોનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આ અગાઉ પ્રકાશિત કર્યો હતો. હવે એમાંથી થોડા વધુ અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

સર વિલિયમ ઓસ્લર કેનેડાના સૌથી વધુ સુખ્યાત ચિકિત્સકોમાંહેના એક ચિકિત્સક હતા. વિદ્યાર્થી અવસ્થામાં ચિંતાઓ, માનસિક તાણ એમને સતત સતાવતાં રહેતાં. જ્યારે તેઓ મોન્ટ્રિયલની જનરલ હોસ્પિટલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને પોતાના ભાવિના ચિંતાભર્યા વિચારોથી જન્મેલી અત્યંત ઘેરી હતાશાએ ઘેરી લીધા હતા. ચિંતા, શંકાકુશંકા અને ભાવિની અચોક્કસતાએ એમને ચારે બાજુએથી મૂંઝવી દીધા હતા. 

અંતિમવર્ષની પરીક્ષા માટે મસમોટા ગ્રંથોનું વાચન મનન તેમને વિક્ષુબ્ધ કરી મૂકતું. એ વર્ષે આ બધા અભ્યાસક્રમને પહોંચી વળશે કે કેમ એ વિશે તેમના મનમાં સંશય હતો. આ બધી અસંખ્ય વીગતો અને તેના પરીક્ષામાં આલેખનના મૂંઝવતા મુશ્કેલ કાર્યને નજર સમક્ષ રાખતાં તેઓ પોતાને એ માટે અસમર્થ ગણતા હતા. પરીક્ષામાં ઉત્તીર્ણ તો થઈ ગયા પણ હવે કામ ધંધો મેળવવાની સમસ્યા એમના મુખ પર તરી આવી. શું તેમણે સ્વતંત્ર ચિકિત્સા વ્યવસાયમાં પડવું જોઈએ? એમાં તો ઘણી મોટી મૂડીનું રોકાણ કરવું પડે અને વળી પાછું એ ચાલે છે કે નહિ એ વાત તો હરિના હાથમાં! 

આ ગળાકાપ સ્પર્ધાની દુનિયામાં કોઈપણ માણસ પોતાની સફળતાની ખાતરી કેવી રીતે અને ક્યાંથી મેળવી શકે! એમનું મન જીવનમાં સફળતા વિશેની ચિંતાવ્યથા અને શંકાકુશંકાથી સમગ્ર રીતે છિન્નભિન્ન રહેતું. પરંતુ, આકસ્મિક રીતે એની નજરે પડેલા વિશ્વના મહાન ચિંતક કાર્લાઈલના એકમાત્ર વિધાને એમના જીવનની અદ્‌ભુત કાયાપલટ કરી નાખી : ‘આપણી સમક્ષ સ્પષ્ટ દેખાતા અને જણાતા કાર્યમાં મંડી પડવું એ આપણા જીવનનું મુખ્ય ધ્યેય અને કાર્ય છે. અને નહિ કે દૂરસુદૂર પડેલા ઝાંખા અંધકારમય ભાવિને જોયા કરવાનું.’ આ કથને એમને નિરાશાની ગર્તામાંથી બહાર કાઢ્યા અને એને લીધે પોતાની જાતને એક સામાન્ય ક્ષુદ્ર માનવમાંથી મહામાનવ-અસામાન્ય માનવ બનાવવા આવશ્યક પ્રેરણાની અમરજ્યોત એમના હૃદયમાં ઝળહળી ઊઠી. એમણે પોતાની જાતને એક જવાઁમર્દને છાજે તેવાં કાર્યો કરવા માટે નવો ઘાટ આપ્યો. કાર્લાઈલનું આ કથન એમના જીવનવિજયમાં એક જાદુઈ ચમત્કારિક સૂત્ર બની ગયું.

પોતાના જીવનકાળમાં એમણે સુખ્યાત જ્હોન હોપકિન્સ ઈન્સ્ટિટ્યૂટને તેના સાર્વત્રિક વિકાસ સાથે વિશ્વમાં અગ્રગણ્ય સ્થાને મૂકી દીધું. એમને ચાર ચાર વિશ્વવિદ્યાલયોમાં પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કરવાનાં સદ્‌ભાગ્ય અને સન્માન સાંપડ્યાં હતાં. તેઓ ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના મેડિસિનશાખાના પ્રાધ્યાપક તરીકે દીર્ઘકાલીન યશસ્વી સેવાઓ આપીને નિવૃત્ત થયા. બ્રિટિશ સરકારે એમને અનેક ચંદ્રકો અને માન-અકરામોથી નવાજ્યા હતા.

એક વખત યેલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે કહ્યું હતું : ‘ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીના સુખ્યાત અને વિલક્ષણ પ્રતિભાવાળા પ્રાધ્યાપક અને લેખક તરીકેની મારી ખ્યાતિ તમારામાંથી કેટલાંકને એમ માનવા પ્રેરશે કે હું એક જન્મજાત પ્રતિભાસંપન્ન, વિલક્ષણ માનવ છું. પણ એ વાત સાચી નથી. મારા નજીકના મિત્રો જાણે છે કે પ્રતિભા શક્તિનાં ક્ષેત્રોમાં હું કેટલો સામાન્ય પ્રતિભાવાળો માનવ છું!’

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.