શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નાઈના ‘Tales and Parable of Sri Ramakrishna’ પ્રકાશનનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ’ નામે પ્રકાશિત થનાર સચિત્રપુસ્તકના અંશો અહીં પ્રસ્તુત છે. – સં.
એકવાર એક માણસ એક જંગલમાં થઈને જતો હતો. ત્યાં એને ત્રણ લૂંટારા ભેટ્યા. એની પર એ ત્રણેય તૂટી પડ્યા અને એની પાસે જે બધું હતું તે લૂંટી લીધું. એ લૂંટારો બોલ્યો, ‘આવડા આને જીવતો રાખવાની જરૂર શી છે?’ આટલું બોલી એ એને પોતાની તલવાર વડે મારી નાખવા જતો હતો ત્યાં બીજો લૂંટારો વચ્ચે પડ્યો ને બોલ્યો : ‘ના, ના. શું કામ એને મારી નાખવો છે? એના હાથપગ બાંધી એને અહીં જ રહેવા દઈએ.’ લૂંટારાઓએ એના હાથપગ બાંધ્યા અને પછી તેઓ ચાલવા લાગ્યા. થોડીવાર પછી ત્રીજો લૂંટારો પાછો આવ્યો અને બોલ્યો : ‘અરે! મને બહુ દુ:ખ થાય છે. હું તમારાં બંધનો છોડી નાખીશ. તમને વાગ્યું તો નથી ને?’ પેલા માણસનાં દોરડાં છોડી અને ત્રીજો લૂંટારો બોલ્યો : ‘મારી સાથે આવો. હું તમને ધોરી માર્ગે ચડાવી દઈશ.’ ઠીક ઠીક સમય પછી એ બંને સીધે માર્ગે આવ્યા. પેલો મુસાફર બોલ્યો : ‘ભાઈ, તમે મારી ઉપર ખૂબ દયા બતાવી છે તો મારે ઘેર ચાલો.’ ‘ના રે ના!’ લૂંટારાએ જવાબમાં કહ્યું, ‘હું ત્યાં આવી શકું નહીં. પોલીસને ખબર પડી જાય.’
આ જગત જ અરણ્ય છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ લૂંટારા એમાં ભટકે છે. માણસનું સત્યનું જ્ઞાન તેઓ જ લૂંટે છે. તમસ્ એનો નાશ કરવા માગે છે. રજસ્ એને સંસારમાં બાંધી રાખે છે. પણ સત્ત્વ એને રજસ્ અને તમસ્ની પકડમાંથી બચાવે છે. સત્ત્વની રક્ષા હેઠળ કામ, ક્રોધ અને તમસ્ની બીજી અસરોથી મનુષ્ય બચી જાય છે. પણ સત્ત્વ પણ લૂંટારો જ છે. પ્રભુના પરમ ધામનો માર્ગ એ દેખાડતો હોવા છતાં મનુષ્યને એ સત્યનું આખરી જ્ઞાન આપી શકે નહીં. એને પંથે ચડાવીને સત્ત્વ એને કહે: ‘ત્યાં જો. ત્યાં તારું ઘર છે.’ બ્રહ્મજ્ઞાનથી સત્ત્વ પણ ખૂબ દૂર છે.’
Your Content Goes Here