(ઓક્ટોબર ’૦૫ થી આગળ)

જો આપણી પ્રવૃત્તિઓ શુદ્ધ હોય, સંસ્કાર શુભ હોય તો, આપણે એને મહત્ત્વ આપવું ન જોઈએ. આમ કરવું એ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ખોટું છે. જો કોઈ આમ કહે, ‘મારી એક ખરાબ – ટેવ છે, બાળપણથી જ અત્યાર સુધી હું આ ખરાબ ટેવનો ભોગ બનતો રહ્યો છું.’ એ સાચું છે કે ટેવ એ આપણો બીજો સ્વભાવ છે પરંતુ એનાથી પણ મોટું સત્ય એ છે કે જે એને પ્રભાવહીન કરી દે છે. જો ટેવ આપણો બીજો સ્વભાવ હોય તો આપણો કોઈ પ્રથમ સ્વભાવ હશે ખરો. એ કયો છે? મૂળત: આપણે દિવ્ય પ્રકૃતિના છીએ, આપણે ચૈતન્યમૂર્તિ છીએ; આ બાબત પર શા માટે આપણે વધુ ભાર દેતા નથી? આપણે દૈહિક પતનને શા માટે મહત્ત્વનું ગણીએ છીએ? જો શારીરિક ઇચ્છાઓને લીધે આપણે કેવળ અશુદ્ધ પ્રવૃત્તિઓને ગ્રહણ કરીએ છીએ તો પછી આ વાત પણ કેમ સાચી નથી કે આપણે ચૈતન્યમૂર્તિ છીએ? અર્થાત્‌ શું એ વાત સાચી નથી કે આપણે સ્વભાવે જ દૈવી છીએ અને દૈવત્વ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. એટલે આપણે આ ભાવાત્મક પ્રવૃત્તિઓને વિકસાવવી જોઈએ અને આપણે એવું કરી શકીએ તો આપણે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ.

કેટલાક લોકો એવું વિચારે છે કે તેમના જીવનમાં કોઈપણ પ્રકારની પ્રગતિ તેઓ કરી શકે તેમ નથી, કારણ કે તેઓ કુસંસ્કારોની સાથે જન્મ્યા છે અને એમનું જીવન વિફળતાઓમાં જ પૂર્ણ થશે. વિચારવાની આ રીત ખોટી છે. આપણે આ ભાવનાને ભાવાત્મક વિચારો દ્વારા પ્રભાવહીન કરી દેવી જોઈએ. એટલે કે આપણે આપણી ભીતર રહેલ દિવ્યતાનું વારંવાર ચિંતન-મનન કરવું જોઈએ. આપણે એ વિચારવું જોઈએ કે પવિત્રતા એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, અર્થાત્‌ આપણે બધા શુદ્ધ ચૈતન્યરૂપ છીએ. જો આપણે એમ વિચારીએ કે આપણે દિવ્ય છીએ તો આપણે સદૈવ સાવધાન અને સતર્ક રહેવું જોઈએ. કેટલીક વાર આપણે ભયંકર ભૂલ કરી નાખીએ છીએ. ધારો કે આપણા મનમાં બાહ્ય જગતના પ્રભાવથી ઉત્પન્ન થતા કેટલાક તુચ્છ વિચાર-તરંગ ઊઠે છે. કેટલીક વાર આપણે આટલી નાની એવી પ્રવૃત્તિ, આપણને કોઈપણ પ્રકારે હાનિ કરી શકે તેમ નથી એમ વિચારીને એની ઉપેક્ષા કરીએ છીએ. આવું વિચારીને આપણે મૌલિક ભૂલ કરીએ છીએ. બાબત ભલેને ગમે તેટલી સૂક્ષ્મ કેમ ન હોય, તુચ્છ જેવી કેમ ન લાગતી હોય, પણ જો આપણે એ વિશે સતર્ક ન રહીએ તો પછીથી આપણે ભારે નુકસાન વેઠવું પડે. કોઈપણ જીજ્ઞાસુના આધ્યાત્મિક પતન માટે કોઈપણ પ્રકારનો મોહ-આસક્તિ પૂરતો છે. આપણે સાવધાનીપૂર્વક ઘાતક ઉત્તેજનાઓથી બચવું જોઈએ. આપણે આપણા મનને મહાન વિચારોમાં પરોવેલું રાખવું જોઈએ.આપણે કોઈપણ પ્રકારે નિમ્ન કક્ષાની પ્રવૃત્તિઓને પોતાના પર સવાર થવાનો અવસર આપવો ન જોઈએ. રામકૃષ્ણ મઠ-મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વિરજાનંદજી મહારાજે એમના દીક્ષિત શિષ્યો માટે રચિત એક મહત્ત્વપૂર્ણ પુસ્તક રચ્યું છે. જે પછીથી ‘પરમાર્થ પ્રસંગ’ એ નામે સામાન્ય વાચકો માટે પણ પ્રકાશિત થયું હતું. એ પુસ્તકમાં સ્વામી વિરજાનંદજીએ પોતાના બધા શિષ્યોને આ શબ્દોમાં સચેત કર્યા છે : ‘હંમેશાં સતર્ક રહો, પોતાના મન પર એક ક્ષણ માટે પણ વિશ્વાસ ન રાખો. ક્યારેક ક્યારેક દુષ્ટતા સૂક્ષ્મ રૂપે ગુણ, દયા કે મિત્રનું રૂપ ધારણ કરીને આપણને મોહિત કરી શકે છે.’ ક્યારેક ક્યારેક આપણે આમ વિચારીએ છીએ : ‘અરે! મારે કોઈને મદદ કરવી જોઈએ. આ જ મારું કર્તવ્ય છે, મારો ધર્મ પણ છે અને મિત્રતા માટે એ જરૂરી પણ છે.’ પરંતુ આપણા પતનનું કારણ પણ એ જ બની શકે છે. આ પ્રકારની દયા, કર્તવ્ય ભાવના કે સેવાની ભાવનાથી વ્યક્તિ કોઈ બીજી વિશેષ વ્યક્તિ સાથે આસક્ત બની જાય છે. એટલે આપણે ઘણા સતર્ક રહેવું જોઈએ.

સંગતિની પસંદગીમાં બેદરકારીના દુષ્પ્રભાવો વિશે જાણવા માટે આ હાસ્યજનક વાર્તાનું ઉદાહરણ આપી શકાય. : એકવાર એક આરબે એક તંબુ બનાવ્યો, ત્યાં એક ઊંટ આવ્યો. તંબુના બારણેથી તે પોતાના ડોકને અંદર લઈ જવા ઇચ્છતો હતો. પેલા આરબે એનો વિરોધ કરતા કહ્યું : ‘આ તો મારો તંબુ છે, હું તને અંદર આવવા નહીં દઉં. આ તંબુ પશુઓને રહેવા બનાવ્યો નથી.’ પરંતુ ઊંટે વિનંતીપૂર્વક કહ્યું : ‘મને રજા આપો, હું કેવળ મારું ડોક જ અંદર રાખવા માગું છું.’ પરંતુ ધીમે ધીમે એણે તો પોતાનું ડોકું ય અંદર રાખી દીધું અને પોતાનું શરીર એવી રીતે અંદર લઈ લીધું કે પેલો આરબ ઘણો ગુસ્સે થયો અને ઊંટને તંબુની બહાર કાઢવા ઇચ્છતો હતો. અહીં શરૂઆતમાં ઊંટને પોતાનું ડોક અંદર રાખવાની રજા આપવાની એ આરબની મોટી ભૂલ થઈ ગઈ. ઊંટે કહ્યું : ‘વાત બરાબર પણ જો તમને મારી હાજરી પસંદ ન હોય તો વધુ સારું એ રહેશે કે તમે જ બહાર ચાલ્યા જાવ. હું અહીંથી નથી જવાનો.’ એટલે કેટલીય વાર આપણે આવા ઊંટને અંદર પ્રવેશવાની રજા આપી બેસીએ છીએ. એ વિશે આપણે અત્યંત સાવધાન રહેવું જોઈએ. સુખ આપનાર કોઈપણ વસ્તુ માટે પ્રચંડ કે અનિયંત્રિત ઇચ્છા એક એવો શત્રુ છે કે જે આપણા પતનનું કારણ બની જાય છે.

અસલી આધ્યાત્મિક જીવન માટે અત્યધિક આત્મસંયમ તેમજ પવિત્રતાની જરૂર રહે છે. જેમણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે એવા મહાપુરુષોએ વારંવાર ભારપૂર્વક કહ્યું છે કે, જે લોકો આધ્યાત્મિક જીવનને ગંભીરતાપૂર્વક સ્વીકારે છે જેઓ આ જીવનમાં જ પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરવા ઇચ્છે છે, એ બધાને પૂર્ણ પવિત્રતાની આવશ્યકતા રહે છે. એમણે પરમલક્ષ્ય પ્રાપ્તિની કિંમત ચુકવવી પડે, એમાં કોઈ સોદાબાજી ચાલી ન શકે. આ વાત જેઓ પૂર્ણપણે સંપૂર્ણ જીવન બ્રહ્મચર્ય તેમજ સંયમ સાથે વિતાવે છે કેવળ એવા જ સંન્યાસીઓ માટે જ સાચી છે એવું નથી. પરંતુ ગૃહસ્થ ભક્તોને પણ એ લાગુ પડે છે. જો તેઓ પોતાના લક્ષ્ય એટલે કે પરમાત્મપ્રાપ્તિ કરવા ઇચ્છતા હોય, જો તેઓ આ જીવનમાં વાસ્તવિક રીતે આત્મવિકાસ કરવા ઇચ્છતા હોય તેમજ જીવન્મુક્તની સ્થિતિ મેળવવા ઇચ્છતા હોય તો આ આત્મસંયમ એમને માટે અનિવાર્ય છે. શ્રીરામકૃષ્ણે ગૃહસ્થ ભક્તોને ઉપદેશ-સલાહ આપ્યા છે કે એક કે બે બાળકના જન્મ પછી પતિ-પત્નીએ ભાઈ-બહેનની જેમ રહેવું જોઈએ.

એની પાછળ વિચાર આવો રહ્યો છે કે જ્યાં સુધી આપણે નિમ્નગામી વાસનાઓનું રૂપાંતરણ નથી કરતાં તેમજ સંપૂર્ણ પવિત્રતા સાથે જીવન વિતાવતા નથી ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર સંભવ નથી. આ વિશે સેન્ટ ફ્રાંન્સિસ ઓફ એસીસીના મુખ્ય શિષ્ય બ્રધર ગિલ્સની ઉક્તિ અહીં સમુચિત રહેશે. તેઓ કહે છે : ‘બધા સદ્‌ગુણોમાં બ્રહ્મચર્યને હું સર્વપ્રથમ ગણું છું. કારણ કે મધુર બ્રહ્મચર્ય પોતે સ્વયં સંપૂર્ણ છે. કોઈ પણ અન્ય ગુણ બ્રહ્મચર્યના ગુણ વિના સંપૂર્ણ બની શકતો નથી. પૂર્ણ બ્રહ્મચર્ય વિના આધ્યાત્મિક કૃપાની પ્રાપ્તિ કોઈ પણ મનુષ્ય માટે અસંભવ છે.’

લેખકે એક વાર અંગ્રેજી સમાચાર પત્રમાં આ વિષય પરના એક અહેવાલનું અધ્યયન કર્યું હતું. એમાં વક્તાએ કહ્યું : ‘જે લોકો એમ કહે છે કે અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તેઓ એક ભયંકર ભૂલ કરે છે. આવાં કથન હાસ્યાસ્પદ છે. જે વ્યક્તિ ખરેખર પવિત્ર જીવન જીવે છે તે તેનો સાક્ષી બની શકે છે. પાશવિક સ્તરે જીવન જીવવાથી વ્યક્તિ પોતાની જાતને વિકૃત બનાવી દે છે. સંપૂર્ણ આધ્યાત્મિક શક્તિનો સ્રોત પવિત્રતા છે, પરંતુ બ્રધર ગિલ્સ એમાં એક વિશેષણ ‘મધુર’ ઉમેરીને ‘મધુર બ્રહ્મચર્ય’ કહે છે. કેટલીય વાર આપણે વિચારીએ છીએ કે જો આપણે મન, વચન અને કર્મમાં સંયમ અને પવિત્રતા જાળવીશું તો આપણે સંસારનાં અનેક સુખોથી વંચિત રહી જશું. એટલે આપણે સંસારનો આનંદ કે સુખ માણવા જોઈએ. અહીં આપણે એક મૌલિક ભૂલ કરીએ છીએ. આપણે એ સત્યને ભૂલી જઈએ છીએ કે વાસ્તવિક આનંદ ત્યારે જ સંભવ બને છે જ્યારે આપણે સંયમનું જ નહિ પરંતુ આત્મસંયમ સાથેનું જીવન જીવીએ. જો બ્રહ્મચર્ય મધુર નથી અર્થાત્‌ અભિલાષાને અનુકૂળ નથી તો એનાથી કેટલીક ગ્રંથિઓ ઉદ્‌ભવશે. એને લીધે કેટલીકવાર સ્નાયવિક વિકાર પણ ઉદ્‌ભવે છે. એનાથી આગળ બ્રધર ગિલ બરાબર કહે છે કે કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ સંયમ વિના આધ્યાત્મિક કૃપા મળી શકતી નથી. વળી, બ્રધર ગિલ્સના શબ્દોમાં ‘જ્યાં સુધી તમે શરીરની કામવાસનાઓ પર કાબૂ ન મેળવી લો ત્યાં સુધી તમે આધ્યાત્મિક કૃપા મેળવી ન શકો. એટલે પોતાની ક્ષણભંગુર અને કામનાભરી વાસનાઓની વિરુદ્ધ નિરંતર સંઘર્ષ કરતા રહો. એ વાસનાઓ તમારો મોટો શત્રુ છે અને તે દિવસરાત તમારી વિરુદ્ધ યુદ્ધ ચલાવે છે.” પરંતુ આ સંઘર્ષમાં પણ એક કળા છે. એ વાત સ્પષ્ટ છે કે શરીરની અનેક ઇચ્છાઓ હોય છે અને જો એકવાર એના શિકાર બની ગયા તો આપણે પોતાના સદૈવ મુક્ત દૈવી સ્વરૂપની અનુભૂતિ કરી ન શકીએ. એટલે આપણે સાંસારિક કામના કે પ્રલોભનોના રૂપે વિદ્યમાન ભિન્ન ભિન્ન પ્રકારના શત્રુઓની વિરુદ્ધ નિરંતર યુદ્ધ ચાલુ રાખવાનું છે. પરંતુ આ યુદ્ધમાં સામસામેનું આક્રમણ થવું જોઈએ? ના, એનાથી તો શત્રુનું પલ્લું ભારે થઈ જાય. આ સાચી રીત નથી કારણ કે એની પ્રતિક્રિયાઓ હિંસક હશે. એ વાત સાચી છે કે શારીરિક વાસના આપણો સૌથી મોટો શત્રુ છે અને જો આપણે સામેથી આક્રમણ કરીશું તો કેટલાક સ્નાયવિક તણાવ કે ગ્રંથિઓ ઉદ્‌ભવશે. તો પછી આનો ઉપચાર કયો છે?

આપણે ચોક્કસ કોઈ એવા ઉપાય કે એવી ટેકનિકનો પ્રયોગ કરવો જોઈએ જેનાથી આ શત્રુ પર વિજય મેળવી શકાય. બ્રધર ગિલ્સ આ બાબતમાં આપણને એક ઉદાહરણ આપે છે. ધારો કે આપણે પથ્થરના મોટા મોટા ટુકડા કે કોઈ ભારે વજન હટાવવાનો પ્રયાસ કરીએ છીએ. જો આપણે એને બળપૂર્વક હટાવીશું તો એ પ્રયાસમાં આપણને કંઈક લાગી પણ જાય. અને જો એને દૂર કરવા માટે કોઈ કૌશલ કે કોઈ યંત્રનો ઉપયોગ કરીએ તો એ કાર્ય સહજ બની જાય છે. બ્રધર ગિલ્સ કહે છે કે શારીરિક પ્રલોભનો દ્વારા અંદર અપવિત્ર અવગુણ ઉત્પન્ન થાય છે. આ અવગુણો પર સંયમના સદ્‌ગુણો દ્વારા વિજય પ્રાપ્ત કરી શકાય છે. આ ત્યારે જ સંભવ બની શકે કે જ્યારે આપણે વાસ્તવિક રીતે સાચુકલી વિનમ્રતાનો વ્યવહાર કરીએ. ‘The Imitation of Christ’ નામના પ્રસિદ્ધ પુસ્તકના લેખક થોમસ હેમર્લીન નામના અત્યંત પાવન અગસ્ટીનિયન સાધુ હતા. ભારત ભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે પોતાના પરિભ્રમણ સમયે બે પુસ્તકો પોતાની સાથે રાખ્યાં હતાં: ‘ભગવદ્‌ ગીતા’ અને બીજું પુસ્તક ‘The Imitation of Christ’. આ પુસ્તકમાં હેમર્લીન લખે છે: ‘પૃથ્વી પર મનુષ્યનું જીવન પ્રલોભનોથી પરિપૂર્ણ છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ આ પ્રલોભનોથી સાવધાન રહેવું જોઈએ. તેમજ પ્રાર્થના કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય ન સૂતો અને કોઈને ખાઈ જવાનો મોકો શોધતો આ પ્રલોભન રૂપી રાક્ષસ ક્યાંક આપણને દગો દઈ દે એવી તક એને ન મળવી જોઈએ.’

આપણે પ્રત્યેક ક્ષણે જાગ્રત રહેવું જોઈએ. દાનવ ક્યારેય સૂતા નથી. અને જો એને ખ્યાલ આવે કે કોઈ સ્ત્રી કે પુરુષ અસાવધ છે તો તે તત્કાળ એના પતનનો પ્રયાસ કરે છે. આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ પરંતુ એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રલોભનોથી ક્યારેક ક્યારેક આપણને લાભ પણ થાય છે. કેવી રીતે? ક્યારેક આપણે મિથ્યાભિમાની થઈ જઈએ છીએ, આપણને પોતાની આધ્યાત્મિક પ્રાપ્તિ પર ગર્વ આવી જાય છે. આપણે વિચારીએ છીએ: ‘અરે! ઇન્દ્રિય સુખ માટે મારી કોઈ ઇચ્છા નથી. હું ગહન ધ્યાન કરું છું. હું આધ્યાત્મિક પ્રવચન સાંભળું છું.’ પ્રલોભનોને કારણે જ આપણને આપણી પોતાની આવી ઊણપોનો ખ્યાલ આવે છે અને એ રીતે આપણે વિનમ્ર, સુશિક્ષિત અને પવિત્ર બનીએ છીએ. સચ્ચાઈ તો એ છે કે આપણે બધાએ પ્રલોભનોની અવધિમાંથી પસાર થવું પડે છે. ફ્રાંસના સેન્ટ જોન કહે છે કે પ્રત્યેક મનુષ્યે ‘આત્માની અંધારી રાત’ (The Dark night of the soul) માંથી પસાર થવું પડે છે. આપણને આવું લાગે છે: ‘અરે! હું તો સાંસારિક જીવનસાગરમાં ડૂબી રહ્યો છું. કોઈ પણ રીતે એમાંથી મુક્તિ કે છૂટકારો મળવાની આશા નથી. હું ડૂબતો જ જાઉં છું.’ આને આત્માની અંધારી રાત કહી શકાય. એ વખતે ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રલોભન આપણને દબાવી દે છે. આમ છતાં પણ જો આપણે સાચા યોદ્ધાની જેમ વીરતાપૂર્વક લડીશું તો અંતે વિજય આપણો થવાનો.

કેટલીકવાર પ્રલોભનો આપણા પર સવાર થઈ જાય છે. એટલે શું આપણે નાસી જવું જોઈએ? પરંતુ આપણે મનથી નાસી જઈ શકતા નથી. કેવળ નાસી જવાથી જ પ્રલોભનોમાંથી છૂટકારો મેળવી ન શકાય. આપણે એનો સામનો કરવો પડશે તથા એ બધાં પ્રલોભનોને એક પડકારરૂપે સ્વીકારવા પડશે. ધારો કે આપણે આ જગતથી ભાગીએ છીએ, અહીં પ્રલોભનોથી બધું ભરપૂર છે એમ આપણે ધારીએ છીએ તેમજ એ સ્થાને ફરીથી જવા માગતા પણ નથી. આપણે ભલે એકાંતમાં ચાલ્યા જઈએ પણ ત્યાંય એ જ મન આપણી સાથે આવશે. આપણે ગમે ત્યાં રહીએ પણ ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રલોભનો આપણને ઘેરી લે છે. જો આપણે મનના અભ્યાસ કે અનુશાસનની ટેકનીકને વિકસાવી લઈએ તેમજ ઉપસ્થિત પરિસ્થિતિઓમાંથી બહાર આવવાની ઇચ્છાશક્તિ રાખીએ તેમજ ધૈર્ય અને વિનમ્ર્રતાનો અભ્યાસ કરતા રહીએ તો આપણે પ્રલોભનો પર વિજય મેળવી શકીએ. આમ હોવા છતાં પણ વિશેષત: પ્રારંભમાં આપણે અત્યંત સતર્ક રહેવું જોઈએ.

પ્રલોભનો આપણને કેવી રીતે નુકસાન કરે છે તે હવે જોઈએ. સર્વપ્રથમ એ મનને ખરાબી માટે સલાહ આપે છે. ત્યારે એ ગહન કલ્પનાના રૂપે પ્રગટ થાય છે. જો આપણે કલ્પનાથી નિર્મિત ચિત્રનું અનુસરણ કરીએ તો આપણને થોડો સંતોષ મળે છે. પ્રલોભન કોઈના ય મસ્તકમાં દાનવના રૂપે પ્રવેશ કરે છે અને આપણને આવું સૂચન કરે છે : ‘તમે મારું અનુસરણ કરો, એનાથી પ્રાપ્ત થનારાં ઇન્દ્રિયસુખોની કલ્પના કરો.’ પછી કલ્પના અનુસરણ કરે છે – આ પ્રલોભનના સુખનો વિચાર અનુસરણ કરે છે. ત્યાર પછી થોડી હલચલ થાય છે અંતે આપણે આત્મસમર્પણ કરી દઈએ છીએ તેમજ આપણી સહમતિ પણ પ્રગટ કરી દઈએ છીએ. ધીરે ધીરે મનનું પતન થઈ જાય છે. એનાથી બચવા માટે પ્રારંભમાં જ જ્યારે દાનવ આપણને સલાહ આપવા માંડે ત્યારે આપણે સત્‌-અસત્‌નો વિચાર કરવાનો શરૂ કરી દેવો જોઈએ : ‘ના, આ દાનવ છે, એ મારા કલ્યાણ માટે નથી. એણે મારી સાથે છળકપટ કર્યું છે, મને દગો દીધો છે અને કેટલીય વાર પતન તરફ ધકેલી દીધો છે. જો હું એના પ્રલોભનોમાં ફસાઈને આ વિષયસુખની પાછળ પાછળ ભાગીશ તો હું મારી પોતાની દૈવીશક્તિ અને મારા સાચા આત્માને જાણવા માટે યોગ્ય નહીં રહું.’ એટલે આપણે પ્રારંભમાં જ કાર્યવાહી કરવી જોઈએ.

થોમસ હેમર્લીન આપણે પવિત્ર બનવું જોઈએ, એમ કહે છે. આપણે પવિત્ર કેવી રીતે બની શકીએ? એમના શબ્દોમાં જોઈએ તો : ‘કોઈપણ જીવ સાથે મોહ ન રાખવો.’ તમારા પ્રિય કેવળ પરમાત્મા છે અને તેઓ પોતાના પ્રતિદ્વંદ્વીને સહન કરતા નથી. તેઓ મનમાં કેવળ એકલા જ રહેવા ઇચ્છે છે.’ જો આપણે શ્રીરામચંદ્ર કે શ્રીરામકૃષ્ણના ભક્ત હોઈએ તો મનમાંથી બીજી વ્યક્તિઓ પ્રત્યેની આસક્તિ તથા અપવિત્રતાને પૂર્ણરૂપે સમાપ્ત કરી દેવી પડશે. જો આપણે પોતાના પરમપ્રિય ઇષ્ટનાં દર્શન કરવા ઇચ્છતા હોઈએ તો, થોમસ હેમર્લીનના શબ્દોમાં આમ કહી શકાય; આપણા મનમાં એકમાત્ર ભગવાનનું સિંહાસન હોવું જોઈએ. એને કોઈપણ રીતે પ્રતિદ્વંદ્વી ગમતો નથી. હવે સ્વાભાવિક રીતે એક પ્રશ્ન ઊભો થાય : ‘આપણે પ્રિયજનો, મા, પતિપત્ની, બાળકો અને અન્ય સંબંધીઓથી ઘેરાયેલા છીએ. આપણે શું કરવું જોઈએ?’ હા, આપણે એ બધા સાથે પ્રેમભાવના રાખીએ છીએ, પરંતુ આપણે એ બધાની અંદર પરમપ્રિય ઇષ્ટનાં દર્શન કરવાનો પ્રયાસ કરવો જોઈએ, આપણો સંપૂર્ણ પ્રેમ કેવળ ઇષ્ટ માટે હોવો જોઈએ. આપણે આપણા પોતાના રામ, કૃષ્ણને દરેક પ્રાણીમાં જોવાના છે, ત્યારે જ આપણે બચી શકીએ. જો આપણે સદૈવ સંયુક્ત ન રહેનારના શરીરમન સાથે જોડાઈ જઈએ તો આપણે નિત્યમુક્ત આત્મા છીએ એ વાત ભૂલી જઈએ છીએ. જો કોઈ વ્યક્તિવિશેષ કે દેહમાં આસક્ત થઈ જઈએ તો આપણને અજ્ઞાન જકડી લે છે. એમાંથી છૂટકારો મળી શકતો નથી. આ જ કારણે : ‘કોઈપણ જીવમાં તમારું મન લગાડો.’ એમ કહેવાયું છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જ ચિરસ્થાયી છે અને બીજા બધા જીવો પ્રત્યેનો પ્રેમ અસ્થાયી અને છલનાપૂર્ણ છે. એવી આપણી ધારણા હોવી જોઈએ. આપણે પોતાના ઇષ્ટમાં સદૈવ ધ્યાન લગાડીને રહેવું જોઈએ; તો જ આપણે મધુર સ્વર્ગમાં રહી શકીએ. થોમસ હેમર્લીન કહે છે : ‘જ્યારે ઈસુ ખ્ર્રિસ્ત ઉપસ્થિત છે તો બધું બરાબર છે, કંઈ પણ મુશ્કેલ લાગતું નથી; પરંતુ જ્યારે ઈસુ ખ્ર્રિસ્ત અનુપસ્થિત હોય ત્યારે પ્રત્યેક કાર્ય કઠિન બની જાય છે.’ જે વ્યક્તિ ભિન્ન ભિન્ન પ્રકારની કાર્યવિધિઓમાં જોડાયેલ રહે છે, એમણે પણ આટલું નક્કી કરી લેવું જોઈએ કે તેઓ પોતાના હૃદયરૂપી દેવળમાં પોતાનાં પ્રિય પરમાત્મા સાથે એકાંતમાં વાતચીત કરી શકે. એનાથી સંસારના મોહ સાથે લડવામાં આપણને આધ્યાત્મિક શક્તિ સાંપડે છે તેમજ બધા સાંસારિક પ્રભાવોમાં તટસ્થ રહેવાની શક્તિ પણ મળી રહે છે. આપણે પરમાત્મારૂપી મુખ્ય આધારસ્તંભને પકડી રાખવો પડશે. જો આપણે કહેવાતી કાર્યવિધિઓમાં ફસાઈ જઈશું તો આપણે આપણા લક્ષ્યથી ભ્રષ્ટ થઈશું. એટલે ભિન્ન ભિન્ન કાર્યવિધિઓમાં સમયે સમયે કે થોડી ઘણી મિનિટો માટે પણ આપણે પોતાના અંતરમનમાં ડૂબીને : ‘હે પ્રભુ! મારી પાસે જપ કે ધ્યાન કરવાનો વધુ સમય નથી, પરંતુ તમે મારા પ્રિય છો એવી મારી ધારણા છે. હું જાણું છું કે તમે કોઈ પ્રતિસ્પર્ધા પસંદ કરતા નથી. તમે મારા મન પર એકાધિકાર સ્થાપવા ઇચ્છો છો. હું જાણું છું કે મારે કોઈ જીવ સાથે મોહ કે આસક્તિ કરવા ન જોઈએ. પરંતુ ધર્મગ્રંથોમાં બતાવેલા માર્ગ પર ચાલવા માટે આવશ્યક શક્તિ હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું? તમારી કૃપા વિના આ કેવી રીતે સંભવ બને?’ આવી પ્રાર્થના કરવી અનિવાર્ય બની રહે છે. આપણે બાહ્ય પદાર્થોથી વિમુક્ત થવું જોઈએ અને અંતરમનની વસ્તુઓ વિશે જાણવું જોઈએ. ભલે બાહ્ય વસ્તુઓ સાથે આપણને ઘણી આસક્તિ હોય તેમ છતાંયે બાહ્ય જગતની દૃશ્ય વસ્તુઓમાં આપણે ફસાઈ જઈએ છીએ. એવા ફસાઈ જઈએ છીએ કે આપણને વાસ્તવિક જગતની સુંદરતાનું જ્ઞાન થતું નથી, આ જ્ઞાન તો નજરે પડતા જગતની પાછળ છૂપાયેલું છે. અંતે આપણી આંખો સામે દેખાતું જગત બ્રહ્મનું પ્રતીયમાન છે. એ દૃશ્યમાન જગતનો આધાર છે. પરંતુ આ પ્રતીયમાન વસ્તુઓ પર આપણે એટલા બધા મુગ્ધ છીએ કે બ્રહ્મ બહિષ્કૃત બની જાય છે; અને આપણે આપણા લક્ષ્યથી દૂર દૂર જઈએ છીએ. આપણે બાહ્ય વસ્તુઓથી વિમુક્ત બનવું જોઈએ અને આંતરિક વસ્તુઓ પ્રત્યે સમર્પિત થવું જોઈએ. વળી થોમસ હેમર્લીનના શબ્દમાં કહીએ તો : ‘અંતર્મુખી મનુષ્ય પાસે ઈશ્વર પ્રાય: જતા હોય છે. એની સાથે એમનાં મધુર પ્રવચન, આનંદપૂર્ણ સાંત્વના, પૂર્ણશાંતિ તથા આશ્ચર્યપૂર્ણ ઘનિષ્ટતા રહે છે.’ જે દિવસે આપણને પરિપૂર્ણતા સાંપડશે તે દિવસે આ વાક્યમાં કહેલા સત્યનું પ્રમાણ આપણને મળી જશે.

અમે કેટલાય લોકો એમાંય વિશેષ કરીને યુવાનોના સંપર્કમાં આવીએ છીએ. તેઓ ઈશ્વરની સત્તા વિશે શંકાઓ ધરાવે છે. પરંતુ પરમાત્મા એક જ માત્ર વાસ્તવિકતા છે એ સત્ય છે, એનાથી વિપરીત વિચાર અજ્ઞાનતાનું પરિણામ છે. ઈશ્વર આપણી ભીતર રહેલ છે, પરંતુ આપણે એ વિશે જાગૃત નથી. આ જ માનવની મહાન કરુણાન્તિકા છે. મનુષ્ય જેટલો પવિત્ર થતો જશે તેટલા પ્રમાણમાં તે પોતાની ભીતર ઈશ્વરના મૂર્ત અને વિદ્યમાન રૂપને નિહાળી શકશે. શું આની કોઈ ખાતરી કરી કરાવી શકે? હા, ઈશ્વર અંતર્મુખી મનુષ્યની નિકટ આવે છે.’ આપણામાંથી મોટાભાગના લોકો બહિર્મુખી છીએ. આપણે બાહ્યજગતથી એટલા મોહિત થઈ ગયા છીએ કે આપણે આપણી ભીતર દૃષ્ટિ કરવા ઇચ્છતા નથી. કોઈ પણ બહિર્મુખી માનવ આધ્યાત્મિક આનંદ મેળવવાની આશા રાખી ન શકે. આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરવા મનુષ્યે અંતર્મુખી બનવું પડે. બાહ્ય પ્રવૃત્તિઓ કરવા આપણે બાહ્ય જગત પ્રત્યે પૂરું ધ્યાન આપવું પડે છે. આપણે પોતાની દૈનિક પ્રવૃત્તિઓમાં પણ બહિર્મુખી બનવું પડે, એ વાત સાચી; પરંતુ એની સાથે આપણે પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે અંતર્મુખી પણ બનવું પડશે. જો આપણે અંતર્મુખી બની જઈએ તો ઈશ્વર આપણી પાસે આવશે અને આપણે એમની સાથે મધુર અંતરમનથી વાતચીત પણ કરી શકીશું.

જ્યારે બ્રધર લોરેન્સની સાથે એક સજ્જને રૂબરૂ મુલાકાત લીધી ત્યારે તેમણે એની સાથે એવી શરત રાખી કે એ જે કંઈ કહે એ વાત લોકોને નહીં બતાવે. શરૂઆતના થોડા વર્ષો સુધી બ્રધર લોરેન્સે અત્યંત સંઘર્ષ કર્યો એટલે જ પ્રભુકૃપાથી એમને એટલો આધ્યાત્મિક આનંદ સાંપડ્યો કે જેથી તેઓ પોતાની ભાવનાઓ પર નિયંત્રણ મેળવવામાં મુશ્કેલી અનુભવવા લાગ્યા. એને વ્યક્ત કરતા તેઓ અટકી ન શક્યા. એટલે જ્યારે આપણે કોઈપણ પ્રત્યે આસક્ત ન બનીએ ત્યારે આ બધું સંભવ બને છે.

થોમસ હેમર્લીને ‘The Imitation of Christ’ નામના પુસ્તકમાં કહ્યું છે :

* ‘શરીરસુખની કામનાઓ મિથ્યા છે, ક્ષણિક છે. અત્યંત ઝડપથી વહી જતાં એ શરીરસુખો પ્રત્યે મોહ રાખવો ક્ષુલ્લક છે; અને જ્યાં અનંતસુખ રહેલું છે એના તરફ શીઘ્ર્રતાથી આગળ ન વધવું એ પણ વ્યર્થ છે.’

* ‘એટલે દૃશ્યમાન વસ્તુઓ પ્રત્યેના મોહને ત્યજીને તેમજ સ્વયંના અદૃશ્ય પ્રત્યે આકર્ષાવાનો પ્રયત્ન કરો.’

* ‘જે લોકો કામુક્તાને અનુસરે છે, પોતાના આત્માને દુષિત કરે છે, તેઓ ઈશ્વરની અનુકંપા ખોઈ બેસે છે.’ 

એટલે આપણને આવો સાચો ઉપદેશ આપવામાં આવ્યો છે કે, આપણા મનમાં દેખાતી વસ્તુઓ પ્રત્યેના મોહને ત્યજીને કેવળ ભીતરની અદૃષ્ટ વસ્તુ પ્રત્યે ધ્યાન દેવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે જે દૃશ્ય છે, જે દેખાય છે તે વાસ્તવિક નથી. એટલે આપણે દૃશ્ય વસ્તુઓ પરથી ધ્યાનને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને આપણી ભીતર ડોકિયું કરવું જોઈએ તેમજ અંદર તરફ વળવાનો પ્રયાસ કરવો જોઈએ. અર્થાત્‌ આપણે અંતર્દૃષ્ટિનો અભ્યાસ કરવો જોઈએ. જો આપણે આવું ન કરીએ અને ઇન્દ્રિયોની કામનાની પૂર્તિ કરવામાં મંડ્યા રહીએ તો શું થશે? આપણે ઈશ્વરભક્તિથી વિમુક્ત બની જઈશું. જો આપણે ઈશ્વરના આગમનનું માધુર્યપાન કરવા ઇચ્છતા હોઈએ તો, ઈશ્વર સાથે અંતરંગ વાર્તાલાપ કરવા માગતા હોઈએ તો આપણે વિષયવાસનાઓની પૂર્તિ પાછળ દોડવાનું બંધ કરવું પડશે. નહીં તો આપણો આત્મા દૂષિત થશે તેમજ પ્રભુની અનુકંપાથી આપણે વંચિત રહીશું : ‘જ્યાં કામ છે ત્યાં રામ ન હોઈ શકે; જ્યાં રામ છે ત્યાં કામ ન હોઈ શકે.’ આપણે ઈશ્વર અને કુબેરની એકી સાથે પૂજા ન કરી શકીએ. આપણે આ બેમાંથી એકની પસંદગી કરવી પડશે. ‘The Imitation of Christ’માં આગળ આમ કહ્યું છે : ‘કામુક વ્યક્તિના હૃદય તથા બાહ્ય વસ્તુઓ પ્રત્યે આસક્ત વ્યક્તિ હૃદયને શાંતિ નથી હોતી; પરંતુ આધ્યાત્મિક વ્યક્તિના હૃદયમાં શાંતિ હોય છે.’ આ જ વાસ્તવિક રીતે મહામંત્ર છે અને સત્યનું મહાન સૂત્ર છે.

વિષયવાસનાઓ પર નિયંત્રણ રાખવામાં સક્ષમ કોઈપણ અંતર્મુખી વ્યક્તિને માનસિક શાંતિ મળવાની જ. જીવનમાં ઇચ્છાઓની પાછળ દોડતા રહેવાથી સાચું કાર્ય સિદ્ધ થઈ શકે છે પરંતુ વાસ્તવિક રૂપે એ મનુષ્યને અશાંત બનાવી દે છે : ‘કામુક વ્યક્તિના હૃદયમાં ક્યારેય શાંતિ નથી હોતી.’ કામુક વ્યક્તિ એટલે શારીરિક ઇચ્છાઓનું અનુસરણ કરે છે તે : ‘બાહ્ય જગતની વસ્તુઓ પ્રત્યે જે આસક્ત થઈ ગઈ છે એ વ્યક્તિને મનની શાંતિ નહિ મળે.’ આંતરિક જગત એટલું બધું મધુર છે કે બાહ્ય જગતની કોઈપણ વસ્તુ સાથે એની તુલના ન થઈ શકે. જો આપણે આ જગતની કોઈ વસ્તુને લઈને ઘણા લાંબા સમય સુધી તેનું સુખ મેળવતા રહીએ તો થોડા સમય પછી એની પ્રતિક્રિયા થવાની સંભાવના છે. પરંતુ આધ્યાત્મિક આનંદ અંતરમનનું એવું સુખ છે કે જેની કોઈપણ પ્રતિક્રિયા નથી હોતી. બીજી બાજુએ મન સદૈવ કહેતું રહેશે : ‘અહા! હું સદૈવ પ્રસન્ન છું! હું કેટલો આનંદમય છું! અરે! કેટલી પ્રસન્નતા છે! અરે! એમાં કેટલો આનંદ છે! હું આનંદથી પરિપૂર્ણ છું. મારું માનવજીવન સાર્થક થઈ ગયું.’ આપણે શાશ્વત આનંદમાં ડૂબી જઈશું, પરંતુ જ્યાં સુધી અંતર્મુખી ન બનીએ ત્યાં સુધી આ સ્થિતિ આપણે પ્રાપ્ત ન કરી શકીએ. જો આપણે હંમેશાં બાહ્ય જગતના પદાર્થોને શોધતા રહીશું તેમજ ભક્તિમય કે આધ્યાત્મિક મનુષ્ય ન બનીએ તો આપણને શાશ્વત આનંદની પ્રાપ્તિ નહીં થાય. આપણે સત્યના સાચા શોધક બનવું જોઈએ. આપણી પાસે વિવેક-વૈરાગ્ય તેમજ અંતર્મનમાં સ્થિત ઈશ્વર સાથે ગહન પ્રેમ હોવો જોઈએ. આપણે કોઈપણ જીવ પ્રત્યે કોઈપણ પ્રકારની આસક્તિ ન રાખવી જોઈએ. આપણે કેવળ પ્રભુની લગની રાખવી જોઈએ. એટલે કે એક વાક્યમાં આપણે એમ કહી શકીએ કે, આપણે અંતર્મુખી બનવું જોઈએ અને તો જ આપણને વાસ્તવિક શાંતિ મળી શકે.

 થોમસ હેમર્લીને બરાબર જ કહ્યું છે : ‘જેટલો જીવો પ્રત્યેનો અપવિત્ર પ્રેમ દૂષિત કરે છે કે ગળી જાય છે તેટલો કોઈપણ પદાર્થ મનુષ્યના હૃદયને એટલું દૂષિત કરતો નથી કે ગળી જતો નથી.’ જો આવો પ્રશ્ન પૂછવામાં આવે : ‘તો શું આપણે જીવોને ચાહવા ન જોઈએ? શું કોઈએ પોતાના બાળક સાથે પ્રેમ રાખવો ન જોઈએ?’ સ્વાભાવિક રીતે આનો ઉત્તર આવો હશે : ‘મા એ પોતાના બાળકોને ચાહવા જોઈએ, પરંતુ માએ એ બાળકોમાં ગોપાલ (ભગવાન શ્રીકૃષ્ણના બાળરૂપ)નાં દર્શન કરવાં જોઈએ. આ રીતે એ બાબત આવશ્યક છે કે આપણા દૈનિક સંબંધોમાં પણ આધ્યાત્મિક અને દિવ્યતાના ભાવનો સમાવેશ કરીએ. પ્રત્યેક મનુષ્યમાં આપણે પોતાના પરમપ્રિય ઇષ્ટનાં દર્શન કરવાં જોઈએ, પરમપ્રિય ઇષ્ટના રૂપે જ એમને નિહાળવા જોઈએ. આવું થશે તો પછી કોઈપણ પ્રકારની સમસ્યા રહેશે નહીં. થોમસ હેમર્લીન રચિત ‘The Imitation of Christ’ નામના પુસ્તક પછી ચાલો હવે આપણે લોરેન્ઝો સ્કૂપોલી દ્વારા લિખિત ‘Unseen Warfare’નું ઉદાહરણ લઈએ. સ્વભાવે રોમન કેથલિક પાદરી હોવાને લીધે એમણે પણ ‘આત્માની અંધારી રાત’માંથી પસાર થવું પડ્યું હતું. જે લોકો ધાર્મિક જીવનને ગંભીરતાપૂર્વક સ્વીકારે છે તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સાચા પ્રયાસો છોડતા નથી. અર્થાત્‌ તેઓ સતત સંઘર્ષરત રહે છે. જો કોઈ સંઘર્ષ ચાલુ રાખે તો તેને ફળ પણ મળે છે. ક્યાં રૂપે ફળ મળે છે. આપણે હતાશ થઈએ છીએ અને એવું વિચારીએ છીએ કે જાણે કે આપણે ડૂબી રહ્યા છીએ; પરંતુ તો અંતે તો ઈશ્વર આપણા પર કૃપા કરે છે. તેઓ આપણા ઈરાદાને જુએ છે. જ્યારે તેમને એવું લાગે કે એક સાચો આત્મા વિષયોના આકર્ષણ તથા વિભિન્ન વિપરીત પરિસ્થિતિઓ સાથે લડી રહ્યો છે. એ સમયે ઈશ્વર એ સાચા આત્માને, માનવને એનું પ્રતિફળ આપે છે. અંતે આવો ભક્ત અંતર્મુખી તેમજ જિજ્ઞાસુ વ્યક્તિ બને છે, જ્ઞાનના પ્રકાશથી એ ફલિત થાય છે. એટલે આત્માની અંધારી રાત પછી આધ્યાત્મિક પ્રકાશ તથા આધ્યાત્મિક અનુભૂતિ થાય છે, પરંતુ શરત એ છે કે જો વ્યક્તિ સંઘર્ષરત રહે તો. આ રોમન કેથલિક પાદરીને સંઘર્ષોના ભિન્ન ભિન્ન કાળમાંથી પસાર થવું પડ્યું અને પોતાના અનુભવો પરથી એમણે આ પુસ્તક લખ્યું. એમાં સાચા આધ્યાત્મિક જિજ્ઞાસુઓને ઉપદેશ આપવામાં આવ્યો છે. તેઓ આરંભ આ રીતે કરે છે : ‘હું અનુભવ કરું છું કે તમે સંપૂર્ણતાની ઊંચાઈઓને પ્રાપ્ત કરવા ઇચ્છો છો, હું તમારી આ તત્પરતાની પ્રશંસા કરું છું.’ ત્યારે તે આગળ જે કંઈ કહે છે તે કથન આપણને વિવેકચૂડામણિના શ્લોકની યાદ અપાવે છે. એનો ભાવ એની સાથે ઘણો મળતો આવે છે. તેઓ લખે છે કે કોઈ વ્યક્તિએ આમ કહીને પોતાની ઇચ્છા પ્રગટ કરી : ‘ફાધર! જેમ ઈસુએ કહ્યું હતું કે પરિપૂર્ણ બનો કારણ કે આપના દિવ્યપિતા પરિપૂર્ણ છે; હું આ જ જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છું છું. હું કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ વેઠવા તૈયાર છું.’ ત્યારે રોમન કેથલિક પાદરીએ કહ્યું : ‘હું તમારા શ્રેષ્ઠ સંકલ્પને જાણીને અત્યંત પ્રસન્ન થયો છું.’ અને તેમણે આગળ કહ્યું : ‘આપનો ઉત્સાહ ધન્ય હો!’ શંકરાચાર્યે વિવેકચૂડામણિમાં આ જ વિચાર પ્રગટ કર્યા છે. આ પુસ્તક ગુરુ-શિષ્યના સંવાદરૂપે લખાયું છે. એક શિષ્યે આવીને ગુરુને પ્રણામ કર્યા અને પૂછ્યું : ‘બંધન શું છે? એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? એનાથી મુક્તિ કેવી રીતે મળી શકે? અનાત્મા શું છે? તથા પરમાત્મા કોણ છે? આ બંને વચ્ચે વિભેદ કેવી રીતે કરી શકાય? મને આ બધું બતાવો.’ એટલે કૃપાળુ ગુરુએ આવો જવાબ આપ્યો. જેમણે પોતાના જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે અને પોતાના વંશને પવિત્ર કર્યો છે એવા તમે ધન્ય છો, કારણ કે તમે બંધનની શૃંખલાઓ તોડીને બ્રહ્મજ્ઞાની બનવા ઇચ્છો છો.’

આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે : ‘શ્રદ્ધા રાખો અને તમે આ ક્ષણે મુક્ત બનો.’ આપણને એવું કહેવામાં આવે છે કે જ્યારે સ્વામી વિવેકાનંદ સાન્ફ્રાન્સિસ્કોની ખાડીના ક્ષેત્રમાં હતા ત્યારે એમનું મન અત્યંત ઉચ્ચ ભાવાવસ્થામાં હતું. તેઓ સદૈવ આત્માના સ્તરે રહેતા. સ્વામીજી કહેતા : ‘એક સમય એવો આવશે કે જ્યારે મહાપુરુષોનો આવિર્ભાવ થશે તેમજ તેઓ ધર્મની આ શિશુશાળાઓને તિલાંજલિ દેશે અને યથાર્થ ધર્મ-આત્માની આરાધના-અધિક સજીવ અને શક્તિશાળી બનશે.’ આ એક એવો ચમત્કાર છે કે જે આ આધુનિક યુગમાં થવાનો છે. અત્યારે આત્મા સ્વયંને દેહરૂપે જુએ છે અને જીવનના ઉચ્ચ આયામો પ્રત્યે જાગ્રત કે સચેત નથી. આ દુર્લભ માનવજીવન આપણને આપણી પોતાની દિવ્યસત્તાની અનુભૂતિ કરવાના હેતુ માટે મળ્યું છે અને એ ત્યારે જ સંભવ બને ત્યારે આત્માના શરીર સાથેના ત્રુટિપૂર્ણ તાદાત્મ્યને રોકવાનો પ્રયાસ કરીએ અને નિમ્ન કક્ષાના સ્વયંના પ્રલોભનોને નકારી દઈએ. જો એકવાર આવું થાય તો અંતર આત્મા પોતાના આલોક અને તેજ સાથે પ્રદીપ્ત બની ઊઠશે.

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.