(શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’માં મહાભારતની સુખ્યાત વાર્તાઓ પર આધારિત લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. એના દ્વારા ભાવિકજનો મહાભારતની આ પ્રાચીન કથાઓ પણ આજે કેટલી પ્રાસંગિક છે એ વાત જાણે અને એ વાર્તાના સારતત્ત્વને પોતાના જીવનમાં યત્કિંચિત પ્રયત્ન કરીને ઝીલે અને જીવે તો પોતાને તો શાંતિ અને સુખ મળશે જ; પણ સાથે ને સાથે સમગ્ર સમાજને પણ સુખશાંતિ અને સાત્ત્વિક આનંદના જગતમાં લઈ જઈ શકશે. આ વાર્તાકથાઓ માતપિતા અને શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને સાંભળવી સુલભ બને એ રીતે કરતાં રહેવું જોઈએ. એનાથી ભાવિ પેઢીમાં ભારતીય સંસ્કૃતિની મહાન મૂલ્યમૂડી ઊતરશે અને પોતાના જીવનને ઊર્ધ્વગામી બનાવી શકશે. – સં.)

અપૂર્વત્યાગ

મહારાજા શાંતનુ એકવાર પોતાના સારથિ સાથે વનવિહાર માટે ગયા. વનપ્રદેશમાં ઘુમતાં ઘુમતાં એમને કોઈ એક વસ્તુની અત્યંત મોહક સુગંધ આવી. સુગંધને સહારે શોધતાં શોધતાં તેઓ એક નદી કિનારે આવ્યા. ત્યાં જોયું તો એક અત્યંત સુંદર યુવતી એક નાવ પાસે ઊભી છે. થોડીક પળો સુધી રાજા અપલક દૃષ્ટિએ એ યુવતીને જોતા રહ્યા. પછી એને પૂછ્યું: ‘હે સુંદરી! તમે કોણ છો? તમારું નામ શું છે?’ યુવતીએ સંકોચ સાથે કહ્યું: ‘મહારાજ, હું નિષાદરાજની પુત્રી સત્યવતી છું. મારા પિતાની આજ્ઞાથી હું અહીં નાવ ચલાવું છું.’

યુવતી પાસેથી એના પિતાનો પરિચય મેળવીને રાજા શાંતનુએ મનમાં ને મનમાં કંઈક નક્કી કર્યું અને સત્યવતીના પિતા પાસે પહોંચી ગયા. મહારાજને પોતાને ઘરે આવેલા જોઈને નિષાદરાજના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ સમયે તેમણે પોતાની શક્તિ અને મતી પ્રમાણે મહારાજનું સ્વાગત કર્યું અને વિનમ્રતાપૂર્વક પૂછ્યું: ‘હે મહારાજ, મારા આ ગરીબના ઘરે આપે પધારવાની કૃપા કેમ કરી? હું આપની શી સેવા કરી શકું?’ રાજાના મોંએથી શબ્દો ન નીકળી શક્યા.

આજે તેઓ નિષાદના ઘરે તેના રાજા કે સ્વામી બનીને નહિ પરંતુ એક સામાન્ય યાચક બનીને આવ્યા હતા. આને લીધે જ હંમેશાં આદેશ આપવા માટે ટેવાયેલી જીભ યાચના માટે હલવાનું નામ લેતી ન હતી. થોડી ક્ષણોમાં વાસનાના આઘાતથી મર્યાદાનું બંધન તૂટ્યું અને રાજા શાંતનુએ એક યાચકના સ્વરે કહ્યું: ‘હે નિષાદરાજ, હું તમારી પાસે તમારી કન્યા સત્યવતીનો હાથ માગવા આવ્યો છું. હું એને મારી રાણી બનાવવા ઇચ્છું છું.’

રાજાના મુખેથી સરી પડેલા આ શબ્દો પર નિષાદને તરત વિશ્વાસ તો ન આવ્યો. પણ બીજી ક્ષણે એણે પરિસ્થિતિને માપી લીધી. તે સમજી ગયો કે શાંતનુ એક મહારાજાના રૂપે નહિ પણ પોતાની પુત્રી પર આસક્ત બનીને, યાચક બનીને તેમને ઘરે પધાર્યા છે. યાચના કે ભીખવૃત્તિ એ માનવની એક મોટી દુર્બળતા છે. નિષાદને રાજાની આ દુર્બળતાનો લાભ લેવાની ઇચ્છા થઈ. તેણે રાજાને કહ્યું: ‘હે મહારાજ, આ તો મારું અહોભાગ્ય ગણાય; પણ મારી એક શરત છે. જો એ શરત આપ સ્વીકારી લો તો હું સત્યવતીના વિવાહ આપની સાથે રાજીથી કરાવી દઉં.’ આ સાંભળીને રાજાએ કહ્યું: ‘હે નિષાદરાજ, તમારી શરત શું છે એ કહો. એને હું પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ.’ રાજાના આ શબ્દો સાંભળીને નિષાદે હવે અધિકારના સ્વરમાં કહ્યું: ‘હે રાજા, આપ એ વચન આપો કે સત્યવતીના ગર્ભથી જે પુત્ર જન્મે તે જ રાજ્યનો ઉત્તરાધિકારી બને. આપના યુવરાજ દેવવ્રત રાજ્યના અધિકારી નહિ બને.’

શાંતનુ પર જાણે કે વજ્રનો ઘા થયો! ક્ષણભર માટે તેઓ કંઈ વિચારી પણ ન શક્યા. બીજી જ પળે એમના માનસ ચક્ષુ સમક્ષ યુવરાજ ગંગાપુત્ર દેવવ્રતનું ચિત્ર ફરવા લાગ્યું. સાથે ને સાથે રાજાના મનમાં આ પ્રશ્ન પણ ઊઠ્યો: ‘શું સત્યવતીને પ્રાપ્ત કરવા માટે ગંગાપુત્રને રાજ્યાધિકારથી અલગ કરવો પડશે? તો પછી લોકો શું કહેશે? અને દેવવ્રત પોતે શું વિચારશે?’ આટલું મોટું મૂલ્ય ચૂકવવા એમનું મન માનતું નથી. બીજી બાજુએ સત્યવતીનું આકર્ષણ પણ એના મનમાંથી ખસતું નથી.

મનુષ્ય જ્યારે લાચાર બનીને કોઈ વસ્તુનો ત્યાગ કરે છે ત્યારે બાહ્ય રીતે ભલે એ વસ્તુ એનાથી દૂર થઈ જાય પરંતુ એનું મન એને છોડી શકતું નથી. ઊલટાનું એ વસ્તુ પ્રત્યે એ વધારે ને વધારે મોહિત થતો જાય છે. મહારાજા શાંતનુની પણ આવી જ દશા થઈ. લોકલજ્જા અને ગંગાપુત્ર દેવવ્રત પ્રત્યેના સ્નેહપ્રેમને કારણે તેઓ નિષાદરાજની શરત પૂરી ન કરી શક્યા. સાથે ને સાથે તેઓ સત્યવતીને પોતાના મનથી ત્યાગી પણ ન શક્યા. સત્યવતીને ન મેળવી શકવાના દુ:ખથી રાજાનું મન અંદરને અંદર કોતરાવા લાગ્યું. એમનું સ્વાસ્થ્ય ધીમે ધીમે બગડવા લાગ્યું. એમના મુખ પરથી પ્રસન્નતા અને હાસ્ય ચાલ્યાં જ ગયાં. પિતાની આ ખિન્ન દશા જોઈને કુમાર દેવવ્રત દુ:ખી દુ:ખી થઈ ગયો. પિતાને પોતાની અસ્વસ્થતા અને ચિંતાનું કારણ પણ પૂછ્યું. પરંતુ એક પિતાની મર્યાદાને કારણે શાંતનુના મુખેથી એ વાત નીકળી નહિ. તેઓ કુમારને કંઈ કહી ન શક્યા. પણ દેવવ્રત તો કુશાગ્રબુદ્ધિવાળા હતા અને પિતાની મનોદશાનો ખ્યાલ એને આવી ગયો. એમણે મંત્રીઓને પોતાના પિતાની આ અસ્વસ્થતા અને ચિંતાનું કારણ પૂછ્યું. જો કે એ લોકો રાજાની ચિંતા અને દુ:ખનું કારણ જાણતા હોવા છતાં પણ તેજસ્વી કુમારની સામે એને પ્રગટ કરવાની હિંમત કરી ન શક્યા. એક વૃદ્ધ મંત્રીએ કહ્યું: ‘યુવરાજ, આપના પિતાના સારથિ આપને એમની ચિંતા અને દુ:ખનું કારણ બતાવી શકે તેમ છે.’

ગંગાપુત્ર દેવવ્રત સારથિ પાસે ગયા અને એને પૂછ્યું: ‘હે શ્રેષ્ઠ સારથિ! આપ તો મારા પિતાના હિતેચ્છુ છો. એમનાં ચિંતા અને દુ:ખનું કારણ તમે ચોક્કસ જાણતા જ હશો. મહેરબાની કરીને મને એનું કારણ બતાવો. હું મારા પિતાના દુ:ખને દૂર કરવાનો ઉપાય શોધીશ.’ સારથિએ કહ્યું: ‘યુવરાજ, વાસ્તવમાં તમે જ મહારાજાનાં દુ:ખ અને ચિંતાને દૂર કરી શકો તેમ છો.’ આ સાંભળીને યુવરાજે વચ્ચે જ પૂછી નાખ્યું: ‘હું પિતાની ચિંતા કેવી રીતે દૂર કરી શકું એ મને હમણાં ને હમણાં કહો.’

સારથિએ શાંત અને વિનમ્ર સ્વરે કહ્યું: ‘હે યુવરાજ, નિષાદરાજની કન્યા સત્યવતી પ્રત્યે મહારાજનું મન આકર્ષાયું છે. પરંતુ નિષાદરાજે પોતાની કન્યાના મહારાજ સાથે લગ્ન કરવા માટે એક મોટી શરત મૂકી છે.’ આ સાંભળીને ગંગાપુત્ર દેવવ્રતે અધીર થઈને કહ્યું: ‘કહો, નિષાદરાજે કઈ શરત મૂકી છે? એ શરત હું મારા પ્રાણ અર્પણ કરીને પણ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ.’ યુવરાજના શબ્દો સાંભળીને સારથિએ દુ:ખભર્યા શબ્દોમાં કહ્યું: ‘યુવરાજ, નિષાદરાજની શરત એ છે કે જો તમે રાજ્યનો અધિકાર ત્યજી દો અને સત્યવતીના ગર્ભથી જે પુત્ર જન્મે એ જ રાજ્યનો અધિકારી બને તો તેઓ સત્યવતીના વિવાહ મહારાજ સાથે કરવા તૈયાર છે.’

સારથિના શબ્દો સાંભળીને દેવવ્રતે કહ્યું: ‘હે સારથિ પ્રવર! આપ મને અત્યારે જ નિષાદરાજ પાસે લઈ જાઓ. હું એની શરત પૂરી કરીને સત્યવતીને પિતાજી માટે માગી લઈશ.’ કર્તવ્યવિમૂઢ સારથિ યુવરાજને નિષાદરાજના ઘરે લઈ ગયો. એમની સાથે કેટલાક મંત્રીઓ પણ હતા. પરાક્રમી યુવરાજને પોતાના ઘરે આવેલા જોઈને નિષાદરાજ ભયચકિત બની ગયો. કુમારનું યોગ્ય સ્વાગત કર્યું અને પછી પૂછ્યું: ‘હે યુવરાજ, આપે મારા ગરીબના ઘરે આવવાનું કષ્ટ કેમ લીધું?’ યુવરાજે ગંભીર સ્વરે કહ્યું: ‘નિષાદરાજ, તમે જાણો છો કે આપની પુત્રી સત્યવતી સાથે મારા પિતા લગ્ન કરવા ઇચ્છે છે તથા આપે એને માટે શરત પણ રાખી છે. હું એ શરત પૂરી કરવા આવ્યો છું.’ આમ કહીને ગંગાપુત્ર દેવવ્રતે ઘોષણા કરી : ‘હું આ બધાની સન્મુખ ઘોષણા કરું છું કે આજથી હું યુવરાજપદના બધા રાજ્યાધિકાર ત્યજી દઉં છું. હવે સત્યવતીના ગર્ભથી જન્મેલ સંતાન જ રાજ્યનો ઉત્તરાધિકારી બનશે.’

મર્ત્ય માનવ અમરત્વની યોજના બનાવે છે. મર્યાદિત જીવનવાળો મનુષ્ય અનંતકાળ સુધીની વ્યવસ્થાઓ રચી લેવા ઇચ્છે છે. કુમાર દેવવ્રતે આપેલાં વચનોથી નિષાદ રાજી ન થયો. એના મનમાં વળી એક શંકા ઊભી થઈ. એટલે યુવરાજને પૂછ્યું: ‘હે યુવરાજ આપ તો સત્યનિષ્ઠ છો, એટલે આપના ઉપર તો મને પૂરો વિશ્વાસ છે. પરંતુ હે કુમાર! ભવિષ્યમાં જો આપનાં જ સંતાનો સત્યવતીનાં સંતાનોને હરાવીને રાજ્ય પર અધિકાર કરી લે તો શું થાય?’

નિષાદનો આ પ્રશ્ન સાંભળીને દેવવ્રત ગંભીર બની ગયા અને ગહનચિંતનમાં ડૂબી ગયા. એણે જોયું કે સત્યવતીને મેળવીને જ મહારાજ શાંતનુ સુખી થઈ શકે તેમ છે અને સત્યવતીની કિંમત હતી કુમાર દેવવ્રત દ્વારા સર્વસ્વનો ત્યાગ! ગંગાપુત્ર દેવવ્રતની આ અગ્નિ પરીક્ષા હતી. પિતાના સુખને માટે સર્વસ્વનો ત્યાગ કરીને જીવનની કઠોર અગ્નિ પરીક્ષા કરનાર તપશ્ચર્યાભર્યા જીવન જીવવું કે પિતાના સુખની ચિંતા ન કરીને અતુલ રાજવૈભવનો અધિકારી બનીને સુખ અને ભોગપૂર્ણ જીવન જીવવું – એ બંનેમાંથી એકનો નિર્ણય એમણે કરવાનો હતો. તરુણતાના ઉમંગ અને ઉલ્લાસ યુવરાજને રાજવૈભવ તરફ ખેંચતા હતા અને ભોગપૂર્ણ જીવનનાં મધુર સ્વપ્ન પણ દેખાડતા હતા. બીજી બાજુએ કર્તવ્યની પ્રખર અગ્નિ એમને ભોગપૂર્ણ જીવનની આહુતિ દેવા અને ત્યાગમય જીવનની વરણી કરવા લલકારી રહ્યું હતું.

પરીક્ષાની આ અત્યંત વિષમપળે યુવરાજના શુભ સંસ્કાર જાગી ઊઠ્યા. એના મુખ પર દૃઢ નિશ્ચયનું પ્રખર તેજ ચમકી ઊઠ્યું. મેઘગંભીર ગર્જના જેવી વાણીમાં એમણે ઉદ્‌ઘોષણા કરી : ‘હે નિષાદરાજ, સાવધાન બનીને સાંભળો. જન્મથી માંડીને આજ સુધી મેં ક્યારેય કોઈ અસત્ય વાણી ઉચ્ચારી નથી. રાજ તો હું પહેલેથી જ ત્યજી ચૂક્યો છું. હવે હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ.’ દેવવ્રતની ભીષણ પ્રતિજ્ઞા સાંભળીને ત્યાં હાજર બધા સ્તબ્ધ રહી ગયા. દેવતાઓએ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરી અને ગંગાપુત્ર દેવવ્રતની ભીષણ પ્રતિજ્ઞાને કારણે એનું નામ ભીષ્મ પડ્યું.

નિષાદરાજે ગદ્‌ગદ્‌ કંઠે કહ્યું: ‘યુવરાજ, તમને ધન્ય છે! હું મારી પુત્રી આપના પિતાને સહર્ષ પ્રદાન કરું છું.’ કુમાર દેવવ્રત સત્યવતીને સન્માનપૂર્વક રથમાં બેસાડીને રાજમહેલમાં લઈ આવ્યા અને પોતાના પિતાની સેવામાં એમને અર્પણ કરી દીધા.

મહાભારતમાં આવતી ભીષ્મ પ્રતિજ્ઞા માનવ ચરિત્રની એક ગૌરવપતાકા છે. એ એક એવો ધ્રુવતારો છે કે જે માનવને સતત માર્ગદર્શન કરે છે અને માનવને પોતાના જીવનના ઉચ્ચ આદર્શો તરફ આગળ વધવા માટે નિરંતર પ્રેરણા આપતો રહે છે. આવેશ અને ઉત્તેજનાની ક્ષણોમાં કોઈ મહાન કાર્ય માટે પોતાના જીવનનો ત્યાગ કરી દેવો એ અવશ્ય મહાન કાર્ય તો છે જ; પરંતુ કોઈ મહાન ઉદ્દેશ્યની પૂર્તિ માટે જીવનપર્યંત અંગેઅંગને સ્પર્શનારી કઠોર તપશ્ચર્યા કે સાધનાનો જીવનમાં સ્વીકાર કરવો એ જીવનનું મહત્તમ કાર્ય છે. ભીષ્મનું જીવન આ કાર્યનું એક જ્વલંત ઉદાહરણ છે. એમનું જીવન સમર્પણપૂર્વક સાધના કરનારા સાધકો માટે આજે પણ પ્રેરણાનું અજસ્ર સ્રોત છે.

અધિકાર-મદ

એકવાર દેવરાજ ઇન્દ્રથી બ્રહ્મહત્યા થઈ ગઈ. આ હત્યાના સંતાપથી તેઓ દુ:ખી દુ:ખી થઈ ગયા અને સ્વર્ગનું રાજ્ય છોડીને કોઈ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા. એમના ચાલ્યા ગયા પછી સ્વર્ગની રાજ્ય વ્યવસ્થા ચલાવવાની સમસ્યા ઊભી થઈ. સ્વર્ગનું રાજ્ય ઉત્તમ રીતે ચાલે એમ બધા દેવતાઓ ઇચ્છતા હતા. પણ આ ઉચિત વ્યવસ્થા કરવાની જવાબદારી કોઈ પોતાને ખભે ઉપાડવા તૈયાર ન હતા. અંતે વિદ્વાન ઋષિમુનિઓ સાથે ચર્ચાવિચારણા કરીને એવો નિર્ણય થયો કે પૃથ્વીના મહાન તેજસ્વી અને ધર્મભાવનાવાળા રાજા નહુષને વિનંતી કરીએ કે તેઓ સ્વર્ગનું રાજ્ય સ્વીકારે અને અહીંની બધી વ્યવસ્થા કરે.

આમ વિચાર કરીને બધા દેવો રાજા નહુષની સભામાં ગયા. દેવતાઓને પોતાની સભામાં આવેલ જોઈને રાજા નહુષ તો ખુશખુશાલ થઈ ગયા. એમનું યથાયોગ્ય સ્વાગત કરીને કહ્યું: ‘હે દેવવૃંદ! આપ સૌએ મારી રાજસભામાં આવવાનું કષ્ટ કેમ લીધું? હું આપની શી સેવા કરી શકું, એ વિશે મને આજ્ઞા આપો.’

દેવતાઓએ કહ્યું: ‘હે રાજા, મહારાજ ઇન્દ્ર કોઈ અજ્ઞાત સ્થાને ચાલ્યા ગયા છે. સ્વર્ગમાં અત્યારે કોઈ રાજા નથી. રાજા વિના સ્વર્ગની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. આપ આ પૃથ્વીના પરાક્રમી અને નીતિનિપુણ શાસક છો. આપને રાજકાજનો પૂરેપૂરો અનુભવ પણ છે, એટલે અમારી સૌની વિનંતી છે કે આપ સ્વર્ગના રાજ્યનો સ્વીકાર કરીને એની સુયોગ્ય વ્યવસ્થા કરો.’

દેવતાઓનો પ્રસ્તાવ સાંભળીને રાજા નહુષના સંકોચનો પાર ન રહ્યો. વિનંતીભર્યા અવાજે એમણે કહ્યું: ‘હે દેવો! હું તો અત્યંત દુર્બળ છું. મારામાં સ્વર્ગની વ્યવસ્થા કે આપ લોકોની રક્ષા કરવાની તાકાત નથી. એટલે હું સ્વર્ગનું રાજ્ય સ્વીકાર કરવામાં મારી જાતને અસમર્થ સમજું છું.’

દેવો અને ઋષિઓએ તેને આશ્વાસન આપતાં કહ્યું: ‘હે રાજા, તમે તમારી દુર્બળતાની ચિંતા ન કરો. તમને દેવ, ગાંધર્વ અને સિદ્ધ ઋષિમુનિઓ દ્વારા શક્તિ મળશે. એ શક્તિથી તમે સ્વર્ગનું રાજ્ય ચલાવવા સમર્થ બની શકશો.’

અધિકાર કે સત્તાની લાલસા એ મનુષ્યની નૈસર્ગિક પ્રકૃતિ છે. સંસારના નાનામાં નાના માણસથી માંડીને મહાન માણસો પણ સત્તા કે અધિકાર મેળવવાની લાલસા રાખે છે. જો અવસર કે સુવિધા મળે તો અધિકાર ન ધરાવતો અને અયોગ્ય માનવ પણ સત્તા પ્રાપ્તિ માટે લડતો થઈ જાય છે. જે અધિકારને મેળવવા તે પ્રયત્ન કરે છે તે અધિકાર કે સત્તા મળ્યા પછી તેનું વહન કરવાની શક્તિ તેનામાં છે કે નહિ, એ સમયે તે એનો પણ વિચાર કરતો નથી. સમગ્ર જગતમાં અધિકાર-લાલસાને વશ થઈને મોટા ભાગના માનવીઓ પોતાની યોગ્યતા કરતાં વધારે અધિકાર મેળવી લે છે, એવું પણ જોવા મળે છે. પરિણામે અધિકારના મદથી મત્ત બનીને એવા માનવીનું પતન થાય છે અને સત્તા ગુમાવીને દુ:ખ ભોગવવાનો વારો એના નસીબમાં આવી જાય છે. સંસારના વિરલ અને વિવેકી માનવો જ અધિકારના પ્રલોભનની તક મળતાં પોતાની પાત્રતાનો વિચાર કરે છે અને તે પ્રમાણે તેને સ્વીકારે છે.

રાજા નહુષ પૃથ્વીના રાજા હતા. એમણે સત્તા કે અધિકારમાં ઠીક ઠીક પ્રમાણમાં રસ લીધો હતો. આમ છતાં પણ એકવાર એમનામાં રહેલા વિવેકે એને કહ્યું: ‘હે નહુષ, તું આ અધિકાર ગ્રહણ કરવા પાત્ર નથી.’ વિવેકની આ ચેતવણીને નહુષે દેવતાઓ સામે પ્રગટ પણ કરી. આમ છતાં દેવતાઓના શક્તિપ્રાપ્તિના આશ્વાસન પછી એના અંત:કરણમાં છુપાયેલી સત્તા પ્રાપ્તિની વાસનાને એણે માથે ચડાવી લીધી. તેઓ વિચારવા લાગ્યા: ‘મેં તો કંઈ સ્વર્ગનું રાજ માગ્યું નથી. વળી એને મેળવવાનો પ્રયાસેય નથી કર્યો. એ તો એની મેળે મને મળે છે. એમાંય વળી દેવતાઓ અને ઋષિઓ મને શક્તિ આપવાનું આશ્વાસન પણ આપે છે.’ એ સમયે અહંકારે જાણે કે એની ઇચ્છાની પૂર્તિ કરી : ‘હું તો પૃથ્વીનો રાજા છું. મારામાં રાજકાજ ચલાવવાની યોગ્યતા તો છે જ. એટલે દેવોએ સ્વર્ગનું રાજ્ય ચલાવવા મારી પસંદગી કરી છે.’

અધિકારની લાલસા અને અહંકારના કોલાહલમાં વિવેકનો અવાજ સંભળાયો નહિ. એટલે જ રાજા નહુષે દેવતાઓની વિનંતી સ્વીકારી લીધી. સ્વર્ગના સિંહાસન પર અભિષેક કરીને એમને સ્વર્ગના રાજા બનાવી દીધા. 

પૃથ્વી પર તો રાજા નહુષ ધર્માત્મા ગણાતા. એમણે અનેક ધર્મોનાં અનુષ્ઠાન અને યથાયોગ્ય દાનપુણ્ય પણ કર્યા હતા. સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થયા પછી એમની આ મનોવૃત્તિમાં ફેરફાર થઈ ગયો. અસીમ અધિકાર અને અનોખી ભોગસામગ્રી એમનાં ચરણોમાં આળોટી રહ્યાં હતાં. અધિકારની સાથે જો ભોગ ભોગવવાની સુવિધા મળી જાય તો ભોગવાસના હજારો જીભે મનુષ્યનો ભોગ કરવા લાગે છે. આવો માનવ કામાંધ બનીને વિવેકશૂન્ય થઈ જાય છે. નહુષની પણ આ જ દશા થઈ. સ્વર્ગમાં મળતી ભોગસામગ્રીઓમાં તે સાવ ડૂબી ગયો અને નંદનવન જેવા દેવોનાં ઉદ્યાનોમાં ક્રિડારત રહેવા લાગ્યો. ભોગોમાં રત રહેવાને કારણે એમના મનમાંથી ધર્મના સંસ્કાર ધીમે ધીમે ઘસાવા લાગ્યા. હૃદય જ ધર્મનું નિવાસસ્થાન છે. જેમ એક મ્યાનમાં એક સાથે બે તલવાર ન રહી શકે તેમ એક જ હૃદયમાં ધર્મ અને ભોગ એકી સાથે રહી શકતા નથી. નહુષના હૃદયમાં ભોગજન્ય અધર્મના સંસ્કાર પ્રવેશવા લાગ્યા અને ધર્મના સંસ્કાર ધીમે ધીમે નાશ પામવા લાગ્યા. ધર્મના સંસ્કારોનો નાશ થતાં જ મનુષ્ય પશુ બની જાય છે. નિમ્નકક્ષાની વાસનાઓ એના પર પૂરેપૂરો અધિકાર મેળવી લે છે. આવા માણસનું જીવન વિવેકથી ચાલવાને બદલે વાસનાથી ચાલવા માંડે છે.

એક દિવસ નહુષ દેવોના ઉદ્યાનમાં ક્રિડામાં મગ્ન હતા. અચાનક એમની દૃષ્ટિ એક અનન્ય સુંદરી પર પડી. એમણે દાસીઓને પૂછ્યું: ‘આ સુંદરી કોણ છે?’ એક દાસીએ વિનમ્રતાથી કહ્યું: ‘મહારાજ, આ તો શતક્રતુ ઇન્દ્રની પત્ની ઈંદ્રાણી છે. ઇન્દ્રના ચાલ્યા જવાથી તે ઘણી દુ:ખી રહે છે.’ વિષયી નહુષ લાલસાભરી દૃષ્ટિથી ઇન્દ્ર પત્ની શચિ તરફ જોતો જ રહ્યો. ઇન્દ્રાણી શરમાઈને ત્યાંથી ચાલી ગઈ. સત્તાના મદમાં મત્ત બનેલ નહુષે બીજે દિવસે પોતાના સભાસદોને કહ્યું: ‘હું સ્વર્ગનો રાજા છું. સ્વર્ગની બધી વસ્તુઓ પર મારો અધિકાર છે. પરંતુ ઇન્દ્રાણી હજી સુધી મારી સેવામાં હાજર થઈ નથી. એણે આજે જ મારા મહેલમાં આવવું પડશે.’ લંપટ નહુષની નિંદનીય આજ્ઞા સાંભળીને શચિ ઘણી દુ:ખી દુ:ખી અને ભયભીત બની ગઈ. પોતાના રક્ષણનો ઉપાય ન દેખાતા તે દેવગુરુ બૃહસ્પતિના શરણમાં આવી ગઈ. રોતાં રોતાં એમણે ગુરુદેવને નહુષની દુષ્ટ ભાવનાના સમાચાર કહ્યા અને પોતાની રક્ષા કરવા વિનંતી કરી.

મહર્ષિ બૃહસ્પતિએ શચિને અભયદાન આપતાં કહ્યું: ‘હે મહારાણી, ચિંતા ન કરો. તમે મારા શરણે આવ્યાં છો. હું તમારી રક્ષા કરીશ જ. નહુષનાં પાપનો ઘડો ભરાઈ રહ્યો છે. પોતાનાં કુકર્મોને લીધે તે પોતે જ નાશ પામશે.’ આ બાજુએ રાજા નહુષને સમાચાર મળ્યા કે શચિ તો ગુરુ બૃહસ્પતિના શરણે ગઈ છે. એટલે તે ખૂબ ગુસ્સે ભરાયો. દેવોએ એને ખૂબ સમજાવ્યો કે તમે સ્વર્ગના અધિપતિ છો એટલે ક્રોધ કરવો આપના માટે ઉચિત નથી. પરનારી પર કુદૃષ્ટિ નાખવાથી થનારા મહાન પાપની પણ ચેતવણી આપીને આ કુકર્મથી દૂર રહેવા કહ્યું. પરંતુ મંદબુદ્ધિ નહુષે કોઈની એકેય વાત ન સાંભળી. ઊલટાનું એણે તો દેવતાઓને પણ આદેશ આપ્યો કે બૃહસ્પતિના ઘરે જઈને શચિને કહો કે તે મારી સેવામાં હાજર થાય.

લાચાર બનીને દેવો આચાર્ય બૃહસ્પતિ પાસે ગયા અને એમણે નહુષની નીચતાભરી આજ્ઞાની વાત સંભળાવી. સાથે ને સાથે શચિને એની પાસે મોકલવા વિનંતી પણ કરી. દેવતાઓની વાત સાંભળીને શચિ તો વિલાપ કરવા લાગી. પરંતુ આચાર્ય બૃહસ્પતિએ હિંમત આપતાં કહ્યું: ‘મહારાણી, દુ:ખી ન થતાં. તમે નહુષની સભામાં જઈને એટલું કહો કે એને આ માટે થોડો સમય આપે. એ સમય દરમિયાન તમે એકવાર ફરીથી ઇન્દ્રની શોધ કરજો. ઇન્દ્ર સાથે તમારી મુલાકાત થશે અને એ જ તમારી રક્ષા કરવાનો ઉપાય બતાવશે.’

આચાર્ય બૃહસ્પતિની વાતથી શાંત થઈને ઇન્દ્રાણી નહુષની સભામાં ગઈ અને એમને કહ્યું: ‘મહારાજ, હું આપની સેવામાં હાજર થવા આવી છું. પરંતુ હું ફરીથી ઇન્દ્રને શોધી લઉં એ માટે મને એક તક આપો. જો મને ઇન્દ્ર નહિ મળે તો હું આપની સેવામાં ઉપસ્થિત થઈ જઈશ.’ નહુષે કહ્યું : ‘હે સુંદરી! હું તને ઇન્દ્રને શોધવાનો સમય આપું છું. પણ તું તારા આપેલ વચનને યાદ રાખજે. જો ઇન્દ્ર ન મળે તો મારી સેવામાં હાજર થઈ જજે.’

નહુષની સભામાંથી પાછા ફરીને શચિ વળી પાછી બૃહસ્પતિના ઘરે આવી. પાછા ફરીને એમણે નહુષની સાથે થયેલી વાતનો અહેવાલ આચાર્યને સંભળાવ્યો. આચાર્યે શચિને દેવી ઉપશ્રુતિની ઉપાસના કરવા કહ્યું. શચિની પ્રાર્થના સાંભળીને દેવી ઉપશ્રુતિ પ્રગટ થયાં. શચિ તો એમનાં ચરણોમાં પડી ગઈ અને પોતાના પતિનાં દર્શન કરાવવા માટે આજીજી કરવા લાગી. પછી દેવીએ જ્યાં ઇન્દ્ર અજ્ઞાતવાસ સેવી રહ્યા હતા એ સ્થાને શચિને પહોંચાડી દીધી. પોતાના પતિને જોઈને ઇન્દ્રાણી ગળગળી બની ગઈ. એ જ સમયે ત્યાં આચાર્ય બૃહસ્પતિ અને બીજા દેવતાઓ પણ આવી પહોંચ્યા. બધાએ રાજા નહુષની ઉદ્દંડતાની વાત ઇન્દ્રને કહી. કેટલાક દેવોએ તો પરાક્રમ દ્વારા નહુષને રાજગાદી પરથી ઉઠાડીને એને યોગ્ય દંડ કરવાની પણ વાત કરી.

પરંતુ ઇન્દ્રે કહ્યું: ‘હે દેવો! નહુષ અત્યારે સ્વર્ગનો રાજા છે. એને અનેક શક્તિઓ મળી છે. આ સમયે આક્રમણ કે પરાક્રમનું કામ નથી. શક્તિથી એના પર વિજય મેળવવો મુશ્કેલ છે. થોડા જ સમયમાં એ પોતે પોતાનાં પાપોથી નાશ પામશે. હવે આપણે બધાએ ધીરજ સાથે નીતિથી કામ લેવું પડશે.’

ઉપસ્થિત દેવતાઓને સમજાવીને ઇન્દ્રે પોતાનાં પત્ની શચિને કહ્યું: ‘હે મહારાણી! તમે નહુષ પાસે જાઓ અને એને એટલું કહો કે આપ સિદ્ધ ઋષિઓ દ્વારા પાલખી ઉપડાવીને મારા ભવનમાં પધારો. આમ થશે તો હું પ્રસન્નતાપૂર્વક તમારે અધીન થઈશ. હે પવિત્ર સ્મિતવાળા શચિ, આ કૃત્ય દ્વારા દુષ્ટ નહુષનું અવશ્ય પતન થશે જ; એમ નિશ્ચિત જાણજો.’ પતિની આજ્ઞા શિરોમાન્ય ગણીને શચિ રાજા નહુષ સમક્ષ આવ્યાં અને કહ્યું: ‘હે મહારાજ, હજી સુધી કંઈ ઇન્દ્રના ખબર-અંતર મળ્યા નથી. હવે હું આપની સેવામાં હાજર થઈ જઈશ. પરંતુ આપને એક વિનંતી છે.’ વિષયી લાલસામાં રત નહુષે વચમાં જ ટોકીને કહ્યું: ‘કહો સુંદરી! તમે શેનાથી પ્રસન્ન થશો? તમને જે કંઈ ગમશે તે હું કરીશ.’ આ સાંભળીને શચિએ કહ્યું: ‘હે મહારાજા, જો આપ સિદ્ધ ઋષિઓ દ્વારા તમારી પાલખી ઉપડાવીને મારા ભવનમાં પધારશો તો હું રાજીખુશીથી આપને અધીન થઈ જઈશ.’

કામ કે લોલુપતા પોતાનાં બાણોથી વિવેકની આંખો પર પહેલો પ્રહાર કરે છે. એનું કારણ એ છે કે જ્યાં સુધી વિવેકની આંખો ખુલ્લી હોય છે ત્યાં સુધી તે સજાગ બનીને જુએ છે. ત્યાં સુધી કામ મનુષ્યના હૃદયમાં પ્રવેશી શકતો નથી. રાજા નહુષ અધિકારમદમાં તો મસ્ત હતો એટલે કામના આ પ્રથમ પ્રહારે જ એના વિવેકને આંખ વિનાનો આંધળો બનાવી દીધો.

તેણે ગર્વ સાથે શચિને કહ્યું: ‘સુંદરી! ખરેખર તમે પ્રશંસાને પાત્ર છો. તમે મારા માટે એવું ઉત્તમ વાહન બતાવ્યું કે જેના પર હજી સુધી ત્રિલોકનાથ વિષ્ણુ પણ નથી બેઠા. હું ઋષિઓ દ્વારા જ પાલખી ઉપડાવીને તમારા ભવનમાં જરૂર આવીશ.’ કામમાં અંધ બનેલો રાજા નહુષ એ ભૂલી ગયો કે જે મહર્ષિઓને સ્વયં ભગવાન વિષ્ણુ પણ પ્રણામ કરે છે, જેમની શક્તિ આગળ રાજા ઇન્દ્ર પણ નમી જાય છે એમને પોતાની પાલખી ઉપાડનારા બનાવવા ઇચ્છે છે.

બીજે દિવસે નહુષે અગત્સ્ય વગેરે સિદ્ધ ઋષિઓને બોલાવ્યા. ઋષિઓ તો યથાસમયે સભામાં હાજર થઈ ગયા. ઉદ્ધત નહુષે એમનું અભિવાદન સુધ્ધાં ન કર્યું. સભાભવનમાં એક સુંદર મજાની શણગારેલી પાલખી રાખી હતી. ઋષિઓને આવેલા જોઈને નહુષ એમાં બેસી ગયો. અને આવેલા મહર્ષિઓને આજ્ઞા કરી: ‘આ પાલખી તમારા ખભે ઉપાડો અને મને શચિના ભવનમાં લઈ જાઓ.’

નહુષની આજ્ઞા સાંભળીને સભાના બધા સભ્યો સ્તબ્ધ બની ગયા. નિર્વિકાર ઋષિઓએ પાલખી ઉપાડી અને આગળ ચાલવા લાગ્યા. કૃષકાય તપસ્વીઓ માટે આ કામ ઘણું કઠિન હતું. એટલે તેઓ ધીમે ધીમે ચાલતા હતા. આ બાજુએ નહુષ કામ-વાસનાના અગ્નિમાં બળી રહ્યો હતો. એ તો ઊડીને શચિની પાસે જવા ઇચ્છતો હતો. ઋષિઓને ધીમે ધીમે ચાલતા જોઈને એણે અધીર બનીને ‘સર્પ! સર્પ! જલદી ચાલો, ઝડપથી ચાલો’ કહેવા લાગ્યો. આમ છતાં પણ અગત્સ્યને ઝડપથી ન ચાલતાં જોઈને તેના ક્રોધનો પાર ન રહ્યો. ક્રોધના આવેશમાં આવીને એણે અગત્સ્યના માથા પર લાત મારી. આ અપમાનથી ઋષિ ક્રોધે ભરાયા અને નહુષને અભિશાપ આપતાં કહ્યું: ‘હે દુષ્ટ! તું કામમાં અંધ બનીને મર્યાદા ઉલ્લંઘીને ‘સર્પ! સર્પ!’ એમ બરાડા પાડે છે. તો જા, તું સર્પ જ બની જા.’

નહુષના પાપનો ઘડો ભરાઈ ગયો હતો. ઋષિના અભિશાપથી તે તરત મૃત્યુલોકમાં પડ્યો અને હજારો વર્ષ સુધી સર્પ અને અજગર યોનિમાં દુ:ખપૂર્વક ભટકતો રહ્યો. પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં આજે સમગ્ર સમાજમાં સત્તા પ્રાપ્તિની હોડ મચી છે. પુત્ર પિતા પાસેથી અધિકાર માગે છે. સેવક સ્વામીનો અધિકાર મેળવવા ઝંખે છે. અધિકારી અને શાસક પોતાની સત્તા કે અધિકાર છોડવા માગતા નથી.

કોઈ પણ માણસ અધિકાર મેળવતા પહેલાં પોતાની યોગ્યતા કે પાત્રતાનો વિચાર કરતો નથી. આવા વિષમ અને સંક્રાંતિના કઠિન કાળમાં મહાભારતની કથા મહાસાગરમાં ભૂલા પડેલા નાવિકને માટે ધ્રુવતારા સમાન માર્ગદર્શન રૂપ બની રહે છે.

આપણને આ વાર્તા એ પણ ચેતવણી આપે છે કે કોઈ પણ સત્તા કે અધિકાર પ્રાપ્ત કરતાં પહેલાં જો આપણે પોતાની જાતને એ અધિકાર ગ્રહણ કરવા યોગ્ય ન બનાવી લઈ તો આપણો વિવેક ચોક્કસ અંધ જ બની જવાનો. આપણે પોતે જ આપણાં પતન અને વિનાશનું કારણ બનીશું.

દાનનો મર્મ

મહાભારતનું મહાતાંડવ સમાપ્ત થઈ ચૂક્યું હતું. દેશમાં સર્વત્ર સુખ-શાંતિ છવાયાં હતાં. મહારાજ યુધિષ્ઠિરના રાજ્યમાં બધા લોકો સુખી અને પ્રસન્ન હતા. રાજકાજ પણ સુચારુ રૂપે ચાલતાં હતાં. એ સમયે મહારાજ યુધિષ્ઠિરના મનમાં ‘હું પણ અશ્વમેધ યજ્ઞ કરીશ’ એવી એક પ્રબળ અભિલાષા જાગી. મનમાં આવો વિચાર આવતાં જ એમની છાતી ગર્વથી ફૂલી ગઈ અને મસ્તક ઊંચું થઈ ગયું, ભૂજાઓ ફરકવા લાગી. પોતાના નિર્ણયની વાત ભાઈઓને કહી સંભળાવી. બધાએ ધર્મરાજની વાતનું સહર્ષ સમર્થન કર્યું.

રાજ્યના બધા અધિકારીઓને આ મહાયજ્ઞની તૈયારી કરવાનો આદેશ આપી દીધો. અન્નના કોઠારો ભિન્ન ભિન્ન પ્રકારના અનાજથી ભરાવા લાગ્યા. પશુશાળામાં દૂધ અને દાન માટે અસંખ્ય ગાયો આવતી થઈ. યજ્ઞની વ્યવસ્થા માટે રાજકોશમાંથી અપાર ધન અપાયું. યજ્ઞની વેદી બનાવવા ઉચિત સ્થાનની પસંદગી પણ કરવામાં આવી. અનુભવી અને નિપુણ કલાકારો તેમજ શિલ્પકારોને મંડપ વગેરે બનાવવાની જવાબદારી સોંપી દીધી. અતિથિઓને ઉતરવા માટે મોટાં મોટાં અતિથિભવનો બની ગયાં. એમાં શયન-વિશ્રામ વગેરેની બધી સુખસુવિધાઓ હતી. અતિથિઓને પોતાની રુચિ પ્રમાણે ભોજન વગેરે મળતા રહે એટલા માટે અનેક પાકશાસ્ત્રીઓની વ્યવસ્થા પણ થઈ. રાજ્યના અંત: અંચલમાં બધી તૈયારીઓ થઈ રહી હતી. આ બાજુ પાંડવોની રાજસીમાની બહારના વિસ્તારમાં અશ્વમેધનો વિજય અશ્વ ભમી રહ્યો હતો સ્વચ્છંદ અને મુક્ત મને! મહાવીર અર્જુન પોતાની અજેય સેનાને લઈને અશ્વની રક્ષા માટે સાથે જઈ રહ્યા હતા.

એક પછી એક રાજ્યની સીમાઓ વટાવીને અશ્વ ફરી રહ્યો હતો. ધનુર્ધર અર્જુન અને એની વિશાળ સેનાને ભલા કોણ લલકારવાનું સાહસ કરી શકે! અશ્વ જે રાજ્યમાં જતો એ રાજ્યના રાજા ધર્મરાજ યુધિષ્ઠિરનું આધિપત્ય સ્વીકાર કરી લેતા અને અનેક બહુ મૂલ્ય રત્ન તેમજ પશુ વગેરે ભેટ રૂપે અર્જુનને અર્પણ કરતા.

ભારતની પરિક્રમા કરીને અર્જુન યથા સમયે હસ્તીનાપુર પાછા ફર્યા અને યુધિષ્ઠિરને કહ્યું : ‘મહારાજ, ભારતના બધા રાજાઓએ આપનું આધિપત્ય સ્વીકાર્યું છે. સાથે ને સાથે ભેટ રૂપે અનેક રત્ન, ધન, પશુ પણ આપ્યાં છે. બધાએ યજ્ઞમાં આવવાનું નિમંત્રણ પણ સ્વીકારી લીધું છે.’ અર્જુનની નિર્વિઘ્ન તેમજ સફળ વિજયયાત્રાના સમાચાર સાંભળીને ધર્મરાજ ખૂબ પ્રસન્ન થયા. ભાવભીના હૃદયે તેઓ અર્જુનને ભેટી પડ્યા. મંત્રીઓ તેમજ વિદ્વાનો સાથે પરામર્શ કરીને તપસ્વી ઋષિઓ, ત્યાગી તેમજ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો વગેરેને યજ્ઞ સંપન્ન કરવાના હેતુથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું. ચારેય દિશાઓમાં દૂર દૂર સુધી દૂતને મોકલવામાં આવ્યા. બધા ઋષિમુનિ તેમજ મનીષીઓએ ધર્મરાજ યુધિષ્ઠિરનું નિમંત્રણ સ્વીકારી લીધું અને યથા સમયે યજ્ઞમંડલમાં ઉપસ્થિત થઈ ગયા. મહારાજ યુધિષ્ઠિર પોતે જ ઋષિમુનિ વગેરે અતિથિઓનું સ્વાગત કરી રહ્યા હતા. એમનાં નિવાસ અને ભોજનની વ્યવસ્થાની જાત-દેખરેખ રાખતા હતા. રાજાની સુંદર મજાની વ્યવસ્થાથી બધા અતિથિઓ પ્રસન્ન અને સંતુષ્ટ હતા.

શુભમુહૂર્ત જોઈને યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો. વેદમંત્રના ધ્વનિથી દિશાઓ ગુંજી ઊઠી. બધા દેવતાઓનું આહ્‌વાન કરીને એમને યજ્ઞભાગ અર્પણ કરવામાં આવ્યો. યજ્ઞ પૂરો થયા પછી દાન દેવાનું મહાન કાર્ય શરૂ થયું. આ મહાયજ્ઞમાં દાન દાતાની ઇચ્છા પ્રમાણે નહિ પણ દાન લેનારની ઇચ્છા પ્રમાણે દેવાતું હતું. રાજભંડાર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. અન્નભંડાર પણ ખાલી કરી દીધો. લાખો ગાયો દાનમાં દેવામાં આવી. જેમણે જેટલું માગ્યું અને જે માગ્યું એટલું અને એ એમને આપવામાં આવ્યું. યુધિષ્ઠિરના આ મહાદાનથી સમગ્ર પૃથ્વી ધન્ય થઈ ગઈ. જાણે કે પૃથ્વી પરથી દુ:ખ અને દારિદ્ય્ર નિ:શેષ બની ગયાં. નિર્ધન ધનવાન બની ગયા. આ મહાપર્વની સમાપ્તિ થઈ. બધા બ્રાહ્મણો, મુનિઋષિ વગેરે મહારાજા યુધિષ્ઠિરની પ્રશંસા કરીને એમને આશીર્વાદ આપતા હતા ત્યારે એક વિચિત્ર ઘટના ઘટી.

જ્યારે યજ્ઞ મંડપમાં સ્તવનગાન થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાં મેઘ સમી એક ગંભીર ગર્જના થઈ. બધાએ આશ્ચર્ય સાથે જોયું તો ત્યાં એક વિચિત્ર એવું પ્રાણી ઊભું છે. તેનો અર્ધો દેહ સુવર્ણની જેમ ચમકી રહ્યો છે અને બાકીનું અરધું અંગ અસલ સ્વરૂપમાં હતું. એ વિચિત્ર પ્રાણી હતું, નોળિયો. બધા લોકો જિજ્ઞાસા સાથે નોળિયાને જોઈ રહ્યા હતા. તેણે માનવ વાણીમાં કહ્યું: ‘હે બ્રાહ્મણજનો! મહારાજ યુધિષ્ઠિરનાં આ મહાયજ્ઞ અને અનોખા દાનનું મહત્ત્વ એક શેર સત્તુના દાન બરાબર પણ નથી.’ ધૃષ્ટ નોળિયાની વાત સાંભળીને બધા લોકો ખળભળી ઊઠ્યા. સાથે ને સાથે નોળિયાની આ વિચિત્રતા અને એની નિર્ભિકતા જોઈને બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. કેટલાક લોકો આગળ આવ્યા અને હિંમત કરીને નોળિયાને પૂછ્યું: ‘હે નકુલરાજ, ધર્મરાજ યુધિષ્ઠિરે જે યજ્ઞ તથા મહાન દાન કર્યાં છે એવાં યજ્ઞ અને દાન આજ સુધી કોઈએ જોયાં કે સાંભળ્યાં નથી. ભવિષ્યમાં આવું થશે કે કેમ, એવી આશાયે ન કરી શકાય. આમ છતાં પણ તમે આ યજ્ઞની નિંદા કરી અને એનું મહત્ત્વ એક શેર જવના લોટ બરાબર પણ નથી એમ કેમ કહ્યું?’

નોળિયાએ હસીને કહ્યું: ‘હે બ્રહ્મદેવો, તમે મારા કહેવાનો મર્મ નથી જાણતા એટલે આ યજ્ઞ અને દાનની આટલી બધી પ્રશંસા કરો છો અને મેં કરેલી નિંદાનું કારણ પૂછો છો. મારી વાતનું તાત્પર્ય જાણી લીધા પછી આપ લોકો પણ મારી વાતનું સમર્થન કરશો એવો મને દૃઢ વિશ્વાસ પણ છે.’ બ્રાહ્મણોએ પૂછ્યું: ‘નકુલરાજ, તો હવે તમે અમને એ શેર જવના લોટનું મૂલ્ય અને એનું રહસ્ય સમજાવો.’ નોળિયાએ બ્રાહ્મણોને આ કથા સંભળાવી :

પૂણ્યભૂમિ કુરુક્ષેત્રમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. એ પરિવારમાં ચાર વ્યક્તિ હતાં – બ્રાહ્મણ, તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂ. પરિવારનાં બધાં સભ્યો નિષ્ઠાવાન અને ધર્મવૃત્તિવાળાં હતાં. આ પરિવારે અપરિગ્રહવૃત્તિનું વ્રત લીધું હતું. એ વ્રત પ્રમાણે બ્રાહ્મણ દેવતા ધન કે અન્નનો સંગ્રહ ન કરતા. પક્ષીની જેમ ખેતરોમાંથી અન્નના દાણા આવશ્યકતા પ્રમાણે લઈ આવતા અને અપરિગ્રહ વૃત્તિ સાથે જીવનનિર્વાહ કરતા. સાથે ને સાથે એમણે છેક છઠ્ઠા પ્રહરે ભોજન લેવાનું વ્રત લીધું હતું.

એક વખત કુરુક્ષેત્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વર્ષ પર વર્ષ વીતતાં ગયાં. પાણીનું એક ટીપુંયે ન વરસ્યું. આખા વિસ્તારમાં ત્રાહિ ત્રાહિનો પોકાર મચી ગયો. પશુ પક્ષી ભૂખ અને પાણી વિના તરફડીને મરવાં લાગ્યાં. કેટલાંક બચ્યાં એમને પોતાના પેટની જ્વાલાને સંતોષવા માણસો એમને મારીને ખાઈ ગયા. પૃથ્વી સૂકી ભઠ્ઠ અને ચારે બાજુ તિરાડોવાળી થઈ ગઈ હતી. ધૂળની ડમરીઓ ઊડતી. આવા વિષમકાળમાં પરિવાર પર જાણે કે વિપત્તિનો પહાડ જ તૂટી પડ્યો. અપરિગ્રહ વૃત્તિ પરિવારે અન્ન-ધનનો સંગ્રહ કર્યો ન હતો. દુષ્કાળને કારણે ખેતખળાંમાં પણ કંઈ મળે તેમ ન હતું. દરરોજ ભોજન કરવાનો છઠ્ઠો પ્રહર આવી જતો અને બ્રાહ્મણ પરિવારને ભૂખમાં છોડીને ચાલ્યો જતો. આમ કેટલાંયે પ્રહર વીતી ગયા પણ અન્નનું દર્શન ન થયું. પરિવારનાં બધાં સભ્યો દુર્બળ બની ગયાં. ગમે તેમ કરીને પોતાના પ્રાણને જાળવી રાખ્યાં હતાં. આવા ઘોર સમયે એક દિવસ બ્રાહ્મણને એક શેર જવ દાનમાં મળ્યા. બ્રાહ્મણે અત્યંત કરુણાપૂર્વક આ કૃપા માટે પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી અને આનંદ ઉત્સાહ સાથે ઘરે પાછો આવ્યો. ઘરે આવીને મળેલું અન્ન પત્નીને આપ્યું. ઝડપથી પ્રસાદ બનાવીને ઈષ્ટદેવને નૈવેદ્ય ધરવાનું કહ્યું. બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક જવનો લોટ બનાવ્યો અને રાંધીને ઈષ્ટદેવને નૈવેદ્ય અર્પણ કર્યું. રાંધેલ અન્નના ચાર સરખા ભાગ કર્યાં. ચારેય ભાગ ક્રમશ: પતિ, પુત્ર, પુત્રવધૂ અને પોતાની વચ્ચે વહેંચી દીધા. જેવા એ લોકો ભોજન કરવા બેઠા કે બારણે એક કરુણ ક્ષીણ અવાજ સંભળાયો : ‘ભાઈ, કંઈ ભોજન સામગ્રી મળશે ખરી?’

બધાના હાથ એમને એમ રહી ગયા. ભોજનનો કોળિયો પાછો થાળીમાં મૂકી દીધો. બધાના મુખ પર એક જ પ્રશ્ન હતો : ‘શું બારણે કોઈ અતિથિ આવ્યા છે?’ બ્રાહ્મણે બારણું ખોલ્યું અને તેમણે એક ભૂખથી પીડિત જીવતા નરકંકાલ જેવા માણસને જોયો. ભૂખને કારણે એનું પેટ અને પીઠ જાણે કે એક થઈ ગયા હતા. એક દુર્બળ વ્યક્તિએ દયાભરી નજરે બ્રાહ્મણ તરફ જોયું અને વળી પાછો બોલ્યો: ‘બાબા, કંઈ ખાવાનું મળશે ખરું?’ બ્રાહ્મણે અતિથિને સહાય કરી અને આદરપૂર્વક ઘરની અંદર લાવ્યા. એને આસન પર બેસાડ્યા અને પોતાના ભાગનું ભોજન એની સામે મૂકી દીધું. ભૂખ્યો મહેમાન થોડી જ વારમાં બ્રાહ્મણનું ભોજન ખાઈ ગયો પણ એની ભૂખની જ્વાળા શાંત ન થઈ. જાણે કે એ વધુ પ્રજ્વલિત થઈ ઊઠી. ભૂખનો ભાવ એના મુખ પર સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. બ્રાહ્મણના સંકોચનો પાર ન હતો. હવે અતિથિની ભૂખ ભાંગવી કેમ? પોતાનો ભાગ તો આપી દીધો હતો. 

હવે કોને અન્નથી વેગળાં કરવા એ પ્રશ્ન હતો. પતિપરાયણ પત્નીએ પોતાના સ્વામીના મનનું દુ:ખ જાણી લીધું અને એણે કહ્યું: ‘નાથ, સ્ત્રી માટે પતિવ્રતાધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે. પત્નીને અર્ધાંગિની કહેવાય છે. પતિનાં પાપપુણ્યમાં એનો અડધો ભાગ હોય છે. અતિથિ સેવાના આ મહાન ધર્મ-પાલનમાં મારે પણ આપને સાથ આપવો જોઈએ. એટલે હું મારા ભાગનું અન્ન અતિથિદેવની સેવામાં અર્પણ કરી શકું એ માટે મને આદેશ આપો.’ 

બ્રાહ્મણનો સંકોચ દૂર થયો. પોતાની પત્નીનું સદાચરણ જોઈને એના આનંદ અને ગર્વનો પાર ન રહ્યો. એમણે આનંદપૂર્વક પત્નીનો ભાગ અતિથિની સેવામાં અર્પણ કરવા અનુમતિ આપી. અતિથિ પણ તરત જ આ ભાગ ઝાપટી ગયા. હજીયે એની ભૂખ ભાંગી ન હતી. એના મુખ પરના ભાવ જોઈને બ્રાહ્મણ દુ:ખી દુ:ખી થઈ ગયા. આજે અતિથિ સેવાના ધર્મના પથથી તેઓ હેઠા ઊતરે છે એવા વિચારથી એમના દુ:ખનો પાર ન રહ્યો. આજે એક અતિથિ એમના બારણેથી ભૂખ્યો પાછો ફરશે. એનો એને મોટો અફસોસ હતો.

પિતાના મુખની ઉદ્વિગ્નતા જોઈને પુત્રે વિનંતી કરી: ‘પિતાજી, માતપિતાની સેવા એ જ પુત્રનો પરમ ધર્મ છે એમ નીતિ કહે છે. એમની સેવાસુશ્રૂષાથી પુત્રને પરમગતિ મળે છે. તમે અત્યારે દુ:ખી છો. તમારું દુ:ખ દૂર કરવા જો હું મારા પ્રાણનું બલિદાન પણ આપી શકું તો એ મારું સદ્‌ભાગ્ય ગણાશે. હું પણ મારા ભાગનું અન્ન અતિથિદેવને આપું એવી આજ્ઞા મને પણ આપો.’

પુત્રનું આચરણ જોઈને બ્રાહ્મણદેવ ગળગળા થઈ ઊઠ્યા. પુત્રને ભેટી પડ્યા, આંખમાંથી આનંદના અશ્રુ વહેવા લાગ્યાં. ગળગળા અવાજે પુત્રને કર્તવ્ય પાલન માટે આજ્ઞા કરી. આ રીતે પુત્રએ પણ પોતાનો ભાગ અતિથિને આપી દીધો. અતિથિ મહાશય તો એ ભાગેય આરોગી ગયા. એમના મુખ પર સંતોષની છાયા દેખાતી ન હતી. વળી પાછા એમણે બ્રાહ્મણો તરફ જોયું. અતિથિના મુખ ભાવ જોઈને બ્રાહ્મણ વ્યાકુળ વ્યાકુળ થઈ ગયા. મનમાં વિચારવા લાગ્યા – ‘હે પ્રભુ આ શું? ભૂખી પત્ની અને પુત્રના મોંનો કોળિયો લઈને અતિથિદેવને અર્પણ કર્યો. હું પોતે ય ભૂખની જ્વાળામાં બળતો રહ્યો. છતાંયે આજે હું આ અતિથિને તૃપ્ત ન કરી શક્યો. હે ભગવાન! હું અતિથિસેવાના ધર્મમાંથી ભ્રષ્ટ થયો છું. હે પ્રભુ, મને માર્ગ બતાવો. મારા ધર્મની રક્ષા કરો.’

એમનું વ્યથિત હૃદય જાણે કે નેત્રો દ્વારા વહી રહ્યું હતું. બરાબર એ જ વખતે સુશીલ પુત્રવધૂએ અત્યંત નમ્રતાપૂર્વક પોતાના સસરાને કહ્યું: ‘પિતાજી, આપની કૃપાથી જ મને આપના સુપુત્ર પતિ રૂપે મળ્યા છે. હું પતિવ્રતા ધર્મનું પાલન કરવા સમર્થ છું. પતિનાં કાર્યમાં મદદ કરવી એ મારો ધર્મ છે. મારા પતિ માટે આપ જ દેવ સ્વરૂપ છો, એટલે આ અતિથિ સેવાના મહાન યજ્ઞમાં મારો ભાગ પણ આપીને આપને હું ચિંતામુક્ત કરું, એ મારો પરમધર્મ બની રહે છે.’

પુત્રવધૂની આ ઉદારતા અને ત્યાગ જોઈને બ્રાહ્મણના આનંદનો પાર ન રહ્યો. એના હૃદયની ગ્લાનિ દૂર થઈ ગઈ. અંત:કરણથી પુત્રવધૂને આશીર્વાદ આપ્યા અને એના ભાગનું અન્ન પણ અતિથિને અર્પણ કરી દીધું.

હવે અતિથિના હોઠ પર હાસ્યની રેખા ખેંચાઈ. પૂર્ણ તૃપ્તિ સાથે એણે ભોજન કર્યું. એમની ભૂખ હવે ભાંગી ગઈ. એના મુખ પર પૂર્ણ તૃપ્તિ અને સંતોષ છલકાઈ રહ્યો હતો. અતિથિ તો આશીર્વાદ આપીને ચાલતા થયા.

નિરંતર ઉપવાસ અને સાધનાની કઠોરતાને લીધે બધાં સભ્યોનાં શરીર દુર્બળ અને જર્જર બની ગયાં હતાં. ભૂખનો અગ્નિ અને સાધનાની કઠોરતા એમના દેહ વધુ સહન કરી ન શક્યા. કાળચક્રના અનિવાર્ય નિયમ પ્રમાણે તે ચારેય કાળનો કોળિયો બની ગયાં. નોળિયાએ બ્રાહ્મણોને કહ્યું: ‘હે દ્વિજજનો! હું એ જ જગ્યાએ એક ભોંણમાં રહેતો હતો. ભોજનની શોધમાં અહીંતહીં ભટકતો હતો. જે સ્થળે પેલા અતિથિએ ભોજન કર્યું હતું ત્યાં સત્તુના કેટલાક કણ પડ્યા હતા. અકસ્માત મારા શરીરનો એક ભાગ એ લોટને સ્પર્શી ગયો. એમના સ્પર્શમાત્રથી જ મારા શરીરનો એ ભાગ સોનાનો બની ગયો. એ દિવસથી હું એવા કોઈ મહાન ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ કે દાન વગેરેના પવિત્ર સ્થળની શોધમાં ભટકું છું કે એવી ભૂમિના સ્પર્શથી મારું બાકીનું અડધું શરીર પણ સુવર્ણમય બનાવી શકું એ મારો હેતુ છે. ત્યારથી માંડીને આજ સુધી દાનપુણ્ય થતાં કેટલાંય પવિત્ર સ્થળોએ ભટકતો રહ્યો છું. મહારાજ યુધિષ્ઠિરના યજ્ઞ અને દાનની પ્રશંસા મેં ખૂબ સાંભળી. એટલે હું અહીં આવી ગયો. પરંતુ બીજાં સ્થાનોની જેમ અહીં પણ મને નિરાશા જ મળી!

ધર્મ દેવ સ્વયં અતિથિના રૂપે એ બ્રાહ્મણની આકરી કસોટી કરવા આવ્યા હતા. ધર્મે જ પછીના કાળમાં દાનનો મહિમા બતાવ્યો હતો, એ જ હું આપને કહી રહ્યો છું : ‘સુખી અને સાધન સંપન્ન ઘણા લોકો પોતાની સુવિધા પ્રમાણે દાન દેતા હોય છે, પરંતુ એમનું દાન, દાનની પવિત્ર ભાવનાપૂર્વક થતું નથી.

એ લોકો તો દીનદુ:ખી પ્રત્યે દયા કે કરુણાની ભાવનાથી જ પ્રેરાઈને આવું કરે છે. એટલે એમની સંપન્નતા કે સક્ષમતા જ આ લોકોના દાનની પ્રેરણા બની જાય છે. પરિણામે એ દાનનું ફળ શ્રેષ્ઠ નથી હોતું.

જે લોકો નાશ-યશ કે કીર્તિની આશા રાખીને કે દાનને બદલે કંઈક મળે એવી અપેક્ષાથી દાન કરે છે એ દાન નિમ્નકક્ષાનું કહેવાય છે.

સાચું દાન તો એ છે કે જે કેવળ દાન આપવાની પ્રેરણાથી જ અપાય છે. દાન કરવું એ મારો ધર્મ છે એમ વિચારીને સામાન્ય પરિસ્થિતિમાં જે લોકો દાન કરે છે તેનું સુફળ પ્રાપ્ત થવાનું જ. પરંતુ અસાધારણ કે વિષમ પરિસ્થિતિમાં જ્યારે મનુષ્યને દાન દેવાની કોઈ સુવિધા હોતી નથી, દુ:ખ કષ્ટ અને વિપત્તિને કારણે જ્યારે માનવનું ચિત્ત વિક્ષુબ્ધ બની જાય ત્યારે પણ દાન વિશે એ માનવીની બુદ્ધિ નિર્લોભ રહે અને શુદ્ધ દાનની પ્રેરણાથી પ્રેરાઈને તે પોતાનું સર્વસ્વ શ્રદ્ધાપૂર્વક દાનમાં ધરી દે તો ચોક્કસ એ માણસને પરમપદની પ્રાપ્તિ મળવાની જ.

ધન જ એક માત્ર દાનનું સાધન નથી. કરોડો સુવર્ણ મુદ્રાઓના શ્રદ્ધાપૂર્વક કરેલા દાન કરતાં શ્રદ્ધાપૂર્વક દીધેલા થોડા અન્નના દાણાનું દાન શ્રેષ્ઠ છે. એટલે દાનનું ફળ વસ્તુગત નથી, ભાવગત છે. શ્રદ્ધા જ દાનની શ્રેષ્ઠતા કે ન્યૂનતાની કસોટી છે. દાન દેતી વખતે દાતાના મનમાં દાન પ્રત્યે જે ભાવ જાગે છે એ જ દાનની કસોટી છે અને એ જ દાનનો મર્મ છે.

હૃદય પરિવર્તન

જૂના જમાનામાં કોઈ એક ગાઢ જંગલમાં એક શિકારી રહેતો હતો. વ્યાધકુળમાં એનો જન્મ થયો હતો. જન્મથી જ એ ક્રૂર અને હિંસક હતો. પશુપક્ષી, જીવજંતુની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખતો. એની ક્રૂરતા એટલી બધી હતી કે એના સગા-સંબંધીઓએ પણ એને ત્યજી દીધો હતો. તે પોતાની પત્ની સાથે જંગલમાં રહેતો હતો.

એક દિવસ શિકારની શોધમાં તે ગાઢ જંગલમાં ભટકતો હતો. એમ કરતાં કરતાં દિવસ આથમવા લાગ્યો પણ શિકાર ન મળ્યો. થોડીવારમાં આકાશ કાળાં ઘેરાં વાદળાંથી ઘેરાઈ ગયું અને અંધકાર છવાઈ ગયો. આકાશમાં વીજળી ચમકવા લાગી. ભયંકર મેઘગર્જના સાથે મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. વરસાદ એટલે પ્રલયકારી વરસાદ! થોડીવારમાં આખું જંગલ પાણીમાં ડૂબી ગયું. આટલા વરસાદને લીધે કેટલાંય નાનાં નાનાં પક્ષી મરીને ઝાડ પરથી નીચે પડવા લાગ્યાં. ભયંકર અને મોટાં હિંસક પશુઓ પણ ભયંકર વરસાદ અને ઠંડીને કારણે અહીંતહીં ભટકવા લાગ્યા. શિકારી પણ વરસાદ, ઠંડી અને ભૂખથી વ્યાકુળ બની ગયો.

થોડીવાર પછી વરસાદ બંધ થયો. આકાશ સાફ થઈ ગયું. પણ રાત ઘણી થઈ ગઈ હતી. શિકારીને પોતાના ઘરનો રસ્તો બરાબર સૂઝતો ન હતો. ભયંકર વરસાદને લીધે રસ્તા અને કેડીઓ પાણીમાં ડૂબી ગયા. અસહાય નિરાશ થઈને એણે જંગલમાં જ કોઈ એક વૃક્ષ નીચે રાત વીતાવવાનો નિર્ણય કર્યો. તે ગાઢ વૃક્ષની તરફ જઈ રહ્યો હતો ત્યાં જ પાણીમાં કંઈક વસ્તુ પડી હોય એવો અવાજ સંભળાયો. એણે હાથ ફેંદીને જોયું તો એક અધમૂવું પક્ષી ફડફડતું હતું. એને પકડીને એક પાંજરામાં પૂરી દીધું. હાય રે હિંસા! પોતે આટલો દુ:ખમાં હતો એટલે એને પક્ષી પર દયા તો આવી પણ એના હૃદયમાં કરુણા ન જાગી. હિંસાએ એને પત્થરદિલ બનાવી દીધો હતો.

પાસે જ એક વિશાળ અને ગાઢ વૃક્ષ હતું. વૃક્ષની નીચેની જમીન કંઈક ઊંચી હતી એટલે ત્યાં પાણી ન હતું. શિકારીએ ત્યાં જ વિશ્રામ કરવાનો નિર્ણય કર્યો. પોતાનાં તીરકામઠાં, જાળ અને પાંજરાં વૃક્ષ નીચે જ મૂકી દીધાં. પોતે પાંદડાં પાથરીને એક શિલા પર માથું રાખીને સૂવાની તૈયારી કરતો હતો. વરસાદ પછીની ઠંડી અને ભૂખને કારણે એને ઊંઘ ન આવી.

એ વૃક્ષની ડાળ પર એક કબૂતરનો માળો હતો. એ માળામાં કબૂતર બેઠું બેઠું કરુણ સ્વરમાં વિલાપ કરતું હતું. એની પત્ની સવારે ચારો ચરવા ગઈ હતી અને હજી સુધી પાછી ફરી નહિ. કાંઈક અનિષ્ટ બન્યું હશે એવી આશંકાના દુ:ખથી એનું હૃદય કોરાતું હતું. અરે, આજની આ પ્રલયકારી વરસાદની રાતે એના પર કોઈ આપત્તિ તો નહિ આવી હોય ને? એ હેમખેમ તો હશે ને? આ ચિંતાઓમાં એને પોતાના ભૂતકાળના જીવનની મધુર ક્ષણો યાદ આવવા લાગી અને વિલાપ કરતાં કરતાં કબૂતર કહેવા લાગ્યું: ‘અરે! મારી પત્ની મને કેટલું ચાહતી! મને ખવડાવ્યા વગર પોતે અન્નનો કોળિયો પણ ન ખાતી. મારા રાજીપામાં પણ એ કેટલી રાજી રાજી થઈ જતી. મને ઉદાસ જોઈને તે દુ:ખના સાગરમાં ડૂબી જતી.

હવે બન્યું એવું કે પેલા શિકારીના પાંજરામાં બંધ પક્ષી એ જ પેલા કબૂતરની પત્ની હતી. પોતાના પતિના મુખે પોતા માટેના આટલા સ્નેહભર્યાં વચનો સાંભળીને કબૂતરીનું હૃદય પણ પીગળી ગયું. એ જ વખતે એની નજર પેલા શિકારી પર પડી. એનું હૃદય કરુણાથી ભરાઈ ગયું અને વિચારવા લાગી : ‘અરે! આ શિકારીની પત્ની પણ મારા પતિની જેમ ચિંતાતુર અને દુ:ખી દુ:ખી હશે. એના મનમાં પણ પોતાના પતિના અનિષ્ટની આશંકા હશે. તે પણ આકુળ વ્યાકુળ હશે. બિચારી કેટલી દુ:ખી દુ:ખી હશે!’ એ જ વખતે જ્યાં એનો માળો છે ત્યાં જ તે વૃક્ષની નીચે પેલો શિકારી સૂતો છે એમ એને યાદ આવ્યું. એટલે શિકારી તો એનો અતિથિ ગણાય અને અતિથિનો સત્કાર એણે કરવો જોઈએ. અતિથિ સત્કાર એ ગૃહસ્થનો પરમ ધર્મ છે. પરંતુ દુ:ખની વાત તો એ છે કે પોતે પાંજરામાં બંધ છે. હવે પોતાના અતિથિનું સ્વાગત કેમ કરે? ઘરે આવેલા અતિથિનું સ્વાગત ન કરવું એ અધર્મ છે. એટલે પ્રેમપૂર્વક કરુણાભર્યા સ્વરે એણે પોતાના પતિને બોલાવ્યો. પોતાની પ્રિય પત્નીનો અવાજ સાંભળીને કબૂતરના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે પૂછ્યું: ‘પ્રિયે તું ક્યાં છે!’ આમ કહેતો તે તરત જ વૃક્ષ નીચે ઊતરી આવ્યો. નીચે આવીને જોયું તો પોતાની પત્ની પાંજરામાં બંધ છે. આકુળવ્યાકુળ થઈને રોવા લાગ્યો. કબૂતરની પત્નીએ સાંત્વના આપતાં કહ્યું: ‘હે પ્રાણનાથ! મને પાંજરામાં પૂરનાર આ શિકારી આજે અતિથિ રૂપે આપણે ઘેર આવ્યો છે. આપણે અતિથિદેવની સેવા કરીએ એ આપણો ધર્મ છે. ગૃહસ્થનું આ મોટામાં મોટું કર્તવ્ય પણ છે. પોતાની પત્નીની ધર્મ પરાયણતા અને કર્તવ્યનિષ્ઠા જોઈને કબૂતર પ્રસન્ન થયો. પત્નીને આશ્વાસન આપીને તરત જ શિકારીની સેવામાં તે હાજર થયો. આ બાજુએ શિકારી ઠંડી અને ભૂખના દુ:ખ સાથે આંસું વહાવી રહ્યો હતો. કબૂતરે શિકારીને માનવ વાણીમાં કહ્યું: ‘હે વ્યાધરાજ! આપ અમારા અતિથિ છો. કહો હું આપની શી સેવા કરું?’ આ ગાઢ વનમાં મનુષ્યની વાણી સાંભળીને શિકારીના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઊઠીને એણે ચારે તરફ નજર નાખી, પણ ક્યાંય એણે માણસ ન જોયો. એની સામે જ એક કબૂતર બેઠું હતું. કબૂતરે વિનયપૂર્વક ફરીથી પોતાની વાત દોહરાવી.

શિકારીએ કહ્યું: ‘ભાઈ, મને ઠંડી બહુ લાગે છે. ગમે તેમ કરીને આ ઠંડીથી મને બચાવ.’ કબૂતર તો તરત જ આજુબાજુ અને દૂરથી સૂકાં પાંદડાં લઈ આવ્યો. શિકારી પાસે મૂક્યા. વળી પાછો ગામના લુહારની ભઠ્ઠીમાંથી અગ્નિ લાવ્યો. શિકારીએ આ પાંદડાંમાં આગ લગાડી અને પોતાનાં અંગોને શેકીને ગરમાવો આપવા લાગ્યો. થોડા સ્વસ્થ થયા પછી શિકારીએ કહ્યું: ‘પક્ષી રાજ! મને બહુ ભૂખ લાગી છે. મને કંઈક ખાવાનું આપો. શિકારીની વાત સાંભળીને કબૂતરને ઘણું દુ:ખ થયું. તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો: ‘હું તો એક પક્ષી છું અને પક્ષી તરીકે અમે સંગ્રહ કરતા નથી. આ શિકારીને ભોજન ક્યાંથી આપવું? જો હું એને ભોજન નહિ આપી શકું તો અતિથિધર્મ ચૂકી જઈશ, કર્તવ્યભ્રષ્ટ થઈ જઈશ.’ થોડીવાર ગંભીર મુદ્રામાં રહ્યા પછી એણે શિકારીને કહ્યું: ‘વ્યાધરાજ, આપ અગ્નિ બરાબર પ્રગટાવો. હું તમારા ભોજનની વ્યવસ્થા કરીશ.’ શિકારીએ એ સાંભળીને અગ્નિ જોરથી પ્રગટાવ્યો. ભડભડ બળતા અગ્નિને જોઈને કબૂતરે અગ્નિદેવને પ્રણામ કર્યા. તેણે ત્રણવાર અગ્નિની પરિક્રમા કરી અને શિકારીને કહ્યું: ‘હે અતિથિદેવ આપની ભૂખ ભાંગવા મારી પાસે આ શરીર સિવાય બીજું કંઈ નથી. એટલે મારા દેહથી જ તમારી ભૂખને શાંત કરો.’

આટલું કહીને પ્રત્યુત્તરની રાહ જોયા વગર કબૂતર અગ્નિમાં કૂદી પડ્યું. આ દૃશ્ય જોઈને અને કબૂતરની વાત સાંભળીને શિકારી તો સ્તબ્ધ થઈ ગયો. એનું ક્રૂર અને કઠોર હૃદય પીગળી ગયું. તે વિચારવા લાગ્યો: ‘અરે, એક પક્ષી હોવા છતાંયે એણે કેટલો મહાન ત્યાગ કર્યો! મારી ભૂખ ભાંગવા એણે પોતાની જાતનું બલિદાન આપી દીધું! અને આ બાજુ હું છું – એક અધમ અને નીચ. પોતાની ભૂખને શાંત કરવા, વર્ષોથી કેટકેટલાં પ્રાણીઓની હત્યા કરતો રહ્યો છું. હું કેટલો પાપી છું! આ ક્ષણભંગૂર જીવનને બચાવવા હું કેવાં ઘોર દુષ્કાર્ય કરી રહ્યો છું.’ આમ વિચારીને એનું હૃદય વ્યાકુળ વ્યાકુળ થઈ ગયું. એ જ વખતે એની નજર પેલા પાંજરા પર પડી. એ પાંજરામાં કબૂતરની પત્નીને બંધ કરી રાખી હતી. આત્મગ્લાનિને લીધે શિકારીનું પશુપણું મરી ગયું અને એની માનવતા જાગી ઊઠી. તરત જ એણે એ પક્ષીને પાંજરામાંથી મુક્ત કરી દીધું. મુક્ત થતાં જ કબૂતરીએ પણ અગ્નિની પરિક્રમા કરી અને શિકારીને કહ્યું: ‘હે ભાઈ, તમારી ભૂખ દૂર કરવા જે મહાન ભાગ્યશાળી કબૂતરે પોતાનું બલિદાન આપી દીધું તે તો મારા પતિ હતા. આપ અમારા ઘરે પધાર્યા છો, એટલે મારા પણ અતિથિ છો. હું પણ મારા પતિની જેમ જ અતિથિ સેવાના મહાન ધર્મનું પાલન કરવા ઇચ્છું છું. આપ મારા માંસમાંથી પણ તમારી ભૂખ મટાડવા મારા પર કૃપા કરજો.’ એમ કહીને કબૂતરી પણ એ ભડભડતા અગ્નિમાં કૂદી પડી.

આ હૃદય વિદારક દૃશ્ય જોઈને શિકારીનું હૃદય ચીરાઈ ગયું. અતિથિના રૂપે આવેલ શત્રુ માટે પણ આ કબૂતરીએ આપેલું આત્મબલિદાન જોઈને શિકારીનું હૃદય દુ:ખ અને પશ્ચાત્તાપની આગમાં બળવા લાગ્યું. પોતાનાં અત્યંત ક્રૂર કર્મોને લીધે તેને પોતાની જાત પ્રત્યે ખૂબ ઘૃણા થવા લાગી. એણે પોતાનાં અસ્ત્રશસ્ત્ર ફેંકી દીધા અને અપરાધોનું પ્રાયશ્ચિત્ત કરવા એ ગાઢ જંગલમાં ચાલતો થયો. એણે અન્ન-જળનો ત્યાગ કરી દીધો. વ્યાકુળ હૃદયે પોતાના અપરાધોમાંથી મુક્તિ આપવા માટે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો.

એક દિવસ ભયંકર આંધી આવી. આંધી અને તોફાનના વેગને કારણે જંગલનાં સૂકાં વૃક્ષોની વચ્ચે ઘર્ષણ થયું અને એને લીધે વનમાં દવ લાગી ગયો. જોત જોતામાં એક ભયંકર વડવાનલ સમગ્ર જંગલમાં છવાઈ ગયો. વનનાં જીવ-જંતુ, પ્રાણીપક્ષી પોતાનો જીવ બચાવવા અહીંતહીં ભાગવાં લાગ્યાં. આ બાજુ પેલા શિકારીને તો પોતાના શરીરનું ભાન જ ન રહ્યું. તેનું મન તો પ્રભુનાં ચરણોમાં લીન થઈ ગયું. ભડભડતી આગ વધતી ગઈ. અને પોતાની હજારો જીભ વડે શિકારીના દેહને પોતાનામાં સમાવીને બાળીને ભસ્મ કરી દીધો. શરીર તો મરી ગયું પણ શિકારી અમર થઈ ગયો. એને સદ્‌ગતિ તો મળી પણ તે પેલાં કબૂતર-કબૂતરીના બીજાના કલ્યાણાર્થે આત્મ બલિદાન આપવાને લીધે મળી. પ્રાચીન મહાભારતની આ કથા આપણને એક નવીન સંદેશ આપે છે. માનવ સ્વભાવ ભૂલો કરવાનો છે. તે સ્વાભાવિક રીતે અપરાધ પણ કરી લે છે. પરંતુ જ્યારે આપણી ભીતર ચેતના જાગે અને આપણી ભૂલોનું આપણને ભાન થાય ત્યારે આપણી ભૂલો માટે આપણે ખરા હૃદયનો પસ્તાવો કરવો જોઈએ. સાથે ને સાથે વ્યાકુળ મને ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ અને પોતાના જીવનનાં ભયંકર પાપને ધોવાનો પ્રયત્ન કરવો જોઈએ. પસ્તાવાની મદદથી એક પાપી પણ પોતાને સદ્‌ગતિનો અધિકારી બનાવી લે છે.

ધર્મનું રહસ્ય

જૂના જમાનાની વાત છે. કૌશિક નામના એક તપસ્વી બ્રાહ્મણ હતા. બાળપણથી જ વેદશાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. યુવાન થતાં તેઓ એક વનમાં ચાલ્યા ગયા અને ત્યાં રહીને વેદોનો ઊંડો અભ્યાસ અને તપ કરવા લાગ્યા. એક દિવસ તેઓ એક વૃક્ષ નીચે બેસીને વેદપાઠ કરતા હતા. એ વૃક્ષની ડાળ પર એક બગલી શાંતિથી બેઠી હતી. થોડીવાર પછી એ બગલી ચરકી. કમનસીબે એનું ચરક બ્રાહ્મણ પર પડ્યું. ચરક પડતાં જ બ્રાહ્મણદેવ રાતાપીળા થઈ ગયા. લાલચોળ આંખે ઉપર નજર નાખી. ક્રોધભરી નજર પડતાં જ બિચારી બગલી પ્રાણ ગુમાવીને નીચે પડી ગઈ અને થોડીવારમાં બળીને ખાક થઈ ગઈ.

બગલીની આવી દુર્દશા જોઈને બ્રાહ્મણને દુ:ખ થયું. તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એની સાથે એના હૃદયના એક ખૂણામાં પોતાના તપને કારણે મળેલી શક્તિનો અહંકાર પણ જાગી ઊઠ્યો. બગલીનું અનિષ્ટ થયું એને લીધે બ્રાહ્મણ દુ:ખી હતો અને મનમાં ને મનમાં પસ્તાતો હતો. આવાં ચિંતા અને વિચારમાં પોતાનાં દૈનિક કર્મો પતાવીને નજીકના નગરમાં બ્રહ્મદેવ ભિક્ષા માગવા ગયા. એક ગૃહસ્થના બારણે જઈને એમણે ‘હે મા ભિક્ષા આપો’ એવો સાદ કર્યો. ભીતરથી એક સ્ત્રીનો નમ્રતાપૂર્વક અવાજ આવ્યો: ‘બાબા, જરા ઊભા રહેજો. હું હમણાં ભિક્ષા લાવું છું.’ બ્રાહ્મણ તો ઊભા રહ્યા. સારો એવો સમય ગયો પણ કોઈ ભિક્ષા લઈને આવ્યું નહિ અને કોઈ કાંઈ બોલ્યું-કર્યું પણ નહિ. લગભગ એક ઘડી વધુ વીતી ગઈ. ભિક્ષા લઈને કોઈ આવ્યું નહિ. હવે બ્રાહ્મણની ધીરજ ખૂટી. પશ્ચાત્તાપને કારણે એણે ક્રોધના ઘોડા પર રાખેલી સંયમની લગામ છૂટી ગઈ. વળી પાછો એના મનમાં ક્રોધનો અગ્નિ ભભકવા લાગ્યો. જ્ઞાનને બદલે વળી પાછું તપનું અભિમાન બ્રાહ્મણના અંત:કરણમાં જાગી ઊઠ્યું. તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો:

‘આ મૂર્ખ ગૃહિણી મારા તપના પ્રતાપને જાણતી નથી. બ્રાહ્મણના તપમાં કેટલું બળ હોય છે એ આજે હું એને બતાવી દઉં. બ્રાહ્મણના અપમાનનું શું પરિણામ આવે એ પણ મારે એને બતાવી દેવું છે.’ આમ બ્રાહ્મણના મનમાં વિચારનો વંટોળિયો ચાલતો હતો. ત્યાં જ બારણું ખૂલ્યું અને એક સ્ત્રીએ અત્યંત વિનમ્ર અવાજે કહ્યું: ‘હે બ્રહ્મદેવ, આ લો ભિક્ષા.’ ભિક્ષાનું પાત્ર આગળ ધરવાને બદલે બ્રાહ્મણે ક્રોધિત સ્વરે કહ્યું: ‘અરે ગૃહિણી, તમારું આ કેવું વર્તન! બ્રાહ્મણને ભિક્ષા માટે રોકીને બે ઘડી સુધી એને તારા દ્વારે ઊભો રાખ્યો અને એના ખબર-અંતરેય ન પૂછ્યા? એટલોયે વિવેક નહિ?’ આ સાંભળીને પેલી સ્ત્રીએ શાંત અને વિનમ્ર સ્વરે કહ્યું: ‘બ્રાહ્મણદેવ માફ કરજો. હું તો ગૃહસ્થ સ્ત્રી છું અને કોઈ જરૂરી કામમાં રોકાઈ ગઈ હતી. એટલે આપને ભિક્ષા આપવામાં આટલું મોડું થયું. મારા પતિ બહારથી ઘરે આવ્યા હતા અને હું એમની સેવામાં હતી.’ બ્રાહ્મણનો ક્રોધ તો જલજલા થઈ ગયો. એણે કહ્યું: ‘શું કહ્યું? શું તમારા પતિ બ્રાહ્મણથી ચડિયાતા છે? એટલે જ મારી અવગણના કરીને એની સેવામાં હતી, એમ ને?’ પેલી સ્ત્રીએ વળી પાછો શાંતિથી પણ થોડા મક્કમ સ્વરે કહ્યું: ‘માફ કરજો, વિદ્વાન મહારાજ. મારે માટે તો પતિ જ સૌથી મોટા દેવ છે.’

સાંભળીને બ્રાહ્મણ રાતાપીળા થઈ ગયા અને કહ્યું: ‘અરે! અભિમાની નારી! પતિને ઉત્તમ ગણે છે અને બ્રાહ્મણનું અપમાન કરે છે! તને ખબર છે કે બ્રાહ્મણોથી તો દેવરાજ ઇન્દ્ર પણ ડરે છે. બ્રાહ્મણોનું તેજ અને તેના પ્રતાપને તું જાણતી નથી? જો બ્રાહ્મણ ઇચ્છે તો સંસારને બાળીને ભસ્મ કરી શકે છે.’

બ્રાહ્મણનાં વચનો સાંભળીને પેલી સ્ત્રીએ કહ્યું: ‘હે તપોધન, આટલો ક્રોધ ન કરો. હું કંઈ પેલી બગલી નથી કે જે તમારા ક્રોધથી ભસ્મ થઈ જાઉં. ક્રોધ કરીને તમે મારું કંઈ બગાડી શકવાના નથી. હે બ્રાહ્મણવર! ક્રોધ તો એવો શત્રુ છે કે જે ક્રોધને આશ્રય આપનારનો જ નાશ કરે છે. મેં બ્રાહ્મણનું અપમાન નથી કર્યું. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે – જે જિતેન્દ્રિય, ધર્મપરાયણ અને સ્વાધ્યાયમાં તત્પર અને પવિત્ર છે, તેમજ જેણે કામક્રોધને જીતી લીધા છે એને દેવો બ્રાહ્મણ કહે છે.’ (વનપર્વ – ૨૦૬.૩૪)

આ પતિપરાયણ પવિત્ર સ્ત્રીના મુખે બગલીને ભસ્મ કર્યાની વાત સાંભળીને બ્રાહ્મણનો ક્રોધ ઓગળી ગયો. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. વિનમ્રભાવે એ પવિત્ર નારીની માફી માગી અને પૂછ્યું: ‘હે મા! તમે બગલીના ભસ્મ થવાની વાત કેવી રીતે જાણી? એ ઘટનાને તો આ જગતમાં મારા સિવાય કોઈ જાણતું જ નથી.’ પેલી પતિવ્રતા સ્ત્રીએ કહ્યું: ‘હે બ્રહ્મદેવ! હું તો એક સાધારણ ગૃહસ્થ નારી છું. મેં કોઈ સાધના તપ કર્યાં નથી. વેદવેદાદિનું અધ્યયન કર્યું નથી. હું તો નિષ્ઠાપૂર્વક પતિની સેવા કરું છું. એ જ એક માત્ર મારો ધર્મ છે. હે બ્રહ્મદેવ! પતિસેવા રૂપી જે ધર્મ મને મળ્યો છે એ જ મને અત્યંત પ્રિય છે. બધા દેવતાઓમાં મારા પતિ જ મારા માટે સૌથી મોટા દેવ છે. હે બ્રહ્મદેવ! આપ તો નિ:સંદેહ ત્યાગી, તપસ્વી અને વિદ્વાન છો. આમ હોવા છતાં પણ આપ ધર્મનું રહસ્ય સમજ્યા નથી. જો તમે ધર્મનું રહસ્ય કે તત્ત્વ જાણવા ઇચ્છતા હો તો મિથિલાપુરીમાં ધર્મવ્યાધ નામના એક જ્ઞાની વ્યાધ રહે છે. એને જઈને પૂછજો.’

પેલી વિદ્વાન મહિલાની જ્ઞાનપૂર્ણ વાતો સાંભળીને બ્રાહ્મણ આશ્ચર્યમુગ્ધ બની ગયો. પરંતુ વ્યાધ એટલે એક માંસ વેંચનારા કસાઈની પાસે જઈને ધર્મનું રહસ્ય પૂછવાની બાબતમાં બ્રાહ્મણના મનમાં સંકોચ થયો. એનામાં બ્રાહ્મણ હોવાનું અભિમાન પણ હતું. આમ છતાં પણ પેલી નારીની દિવ્ય દૃષ્ટિ અને જ્ઞાનને કારણે એની વાતો પર અવિશ્વાસ તો કરી શકાય એવું ન હતું. આ બાજુએ એને ધર્મનું રહસ્ય જાણવાની ઇચ્છા હતી.

દુવિધાઓ અને શંકામાં ડૂબતા બ્રાહ્મણદેવ મિથિલાપુરી પહોંચ્યા. સવારનો સમય હતો. નગરમાં બધા લોકો અહીંતહીં જતા-આવતા હતા. બજારમાં પહોંચીને બ્રાહ્મણે ધર્મવ્યાધનું ઠામઠેકાણું પૂછ્યું. ચાલતાં ચાલતાં એની દુકાને પણ પહોંચી ગયા. અહીં આવીને જોયું તો તે એક નાનકડા પાટલા પર બેઠો છે. એની સામે મરેલા પશુઓના મડદાં પડ્યાં છે. એમાંથી માંસના લોચા કાપીને કાપીને ગ્રાહકોને વેંચી રહ્યો છે. આ બિભત્સ દૃશ્ય જોઈને બ્રાહ્મણની ઘૃણા વધી ગઈ. એક બાજુએ એકાંતમાં જઈને ઊભા રહ્યા. થોડીવાર પછી પેલો વ્યાધ પોતાના પાટલેથી ઊઠીને બ્રાહ્મણની પાસે આવ્યો અને વિનયપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું: ‘હે બ્રહ્મદેવ, મને ખબર છે કે આપને પેલી પતિવ્રતા સ્ત્રીએ મારે ઘરે ધર્મનું રહસ્ય પૂછવા મોકલ્યા છે. અને મારું આ કર્મ જોઈને તમને મારા પર તિરસ્કાર થયો એ વાત પણ હું જાણું છું. થોડીવાર તમે અહીં ઊભા રહો. પછી તમે મારે ઘરે મારી સાથે આવજો. ત્યાં જ ધર્મની ચર્ચા થશે.’

બ્રાહ્મણ માટે તો આ બીજી અદ્‌ભુત ઘટના હતી. મનમાં ને મનમાં વિચારતો હતો કે મને પેલી સતી સ્ત્રીએ મોકલ્યો છે એ વાતનો ખ્યાલ આ વ્યાધને કેવી રીતે આવી ગયો! પોતાનું કામ પૂરું કરીને કસાઈએ બ્રાહ્મણને કહ્યું: ‘ચાલો બ્રહ્મદેવ! તમારી ચરણરજથી મારું ઘર પવિત્ર કરો.’ અને ઘરે બ્રહ્મદેવ પહોંચ્યા. જોયું તો ઘર હતું તો નાનું પણ અત્યંત સ્વચ્છ સુંદર! પ્રત્યેક વસ્તુમાં સ્વચ્છતા અને પવિત્રતા તરવરતી હતી. દેવને અર્પિત કરેલ ચંદન-ધૂપ વગરેની સુગંધ ચારે-તરફ ફેલાઈ રહી છે. કસાઈએ બ્રાહ્મણને બેસવા માટે એક સ્વચ્છ આસન આપ્યું. બેસતાં બેસતાં બ્રાહ્મણે કહ્યું: ‘હે વ્યાધશ્રેષ્ઠ! આ માંસ વેંચવાનું ઘોર કર્મ ખરેખર તમારા માટે યોગ્ય નથી. તમે એને છોડી દો. તમારું આ ઘોર કર્મ મને ઘણો સંતાપ આપે છે.’

વ્યાધે જવાબ આપતાં કહ્યું: ‘હે બ્રહ્મદેવ! આ કામ તો મારા બાપદાદાના સમયથી ચાલતું આવ્યું છે. મારા કૂળ માટે જે ઉચિત છે તે જ કામકાજ મેં સંભાળ્યું છે. હું મારા પોતાના ધર્મનું જ પાલન કરું છું. એટલે આપ મહેરબાની કરીને મારા પ્રત્યે રોષ ન રાખતા.’ અલબત્ત, હું જે કામકાજ કરું છું એ ખરેખર ઘોર કર્મ જ કહેવાય. પરંતુ હે બ્રહ્મદેવ! હું એના દોષના નિવારણ માટે પણ પ્રયાસ કરતો રહું છું. હે વિપ્રવર! હું મારો પોતાનો આ સ્વધર્મ છે એમ માનીને આ કામ છોડતો નથી. પહેલેથી જ મારા પૂર્વજો આ કામ કરતા આવ્યા છે એમ સમજીને એ જ પ્રમાણે હું મારું જીવન વિતાવું છું.

પોતાના કર્મનો પરિત્યાગ કરનારાને અધર્મની પ્રાપ્તિ થાય છે. જે લોકો પોતપોતાનાં કર્મમાં તત્પર છે તે જ વાસ્તવિક રીતે ધર્મપૂર્ણ છે. આ એક નિશ્ચિત સિદ્ધાંત છે. આમ છતાં પણ જે વ્યક્તિ પોતાનાં પૂર્વ કર્મોને કારણે આ સમયે ક્રૂર કર્મમાં લાગ્યો રહે તો એણે હંમેશાં એ વિચારતા રહેવું જોઈએ કે હું કેવી રીતે આવા ઘોર કર્મમાંથી મુક્તિ મેળવી શકીશ. નિરંતર આ પ્રકારનો સદ્‌વિચાર કરવાથી મનુષ્ય ચોક્કસ પોતાના ક્રૂર કર્મમાંથી મુક્તિ મેળવે છે. પોતપોતાનાં કર્મમાં રત રહેનાર વ્યક્તિ જ મહાન યશનો ભાગીદાર બને છે. હે તપોધન! સામાજિક વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે હું પોતાના કૂળના ધર્મનું પાલન કરું છું. વ્યક્તિગત વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે એટલે કે ગૃહસ્થધર્મમાં રહીને હું મારાં કર્તવ્યનું પાલન પણ કરું છું.

હે ભગવન્‌! માતપિતા જ મારે મન મુખ્ય દેવતા છે. જે કંઈ મારે દેવો માટે કરવું જોઈએ એ હું મારાં માતા અને પિતા માટે કરું છું. મારાં સ્ત્રીપુત્રો પણ એમની સેવાચાકરી કરે છે. આ જ અમારો પરમધર્મ છે. માતપિતાની સેવા એ જ મારા માટે પરમ તપ છે. આ તપના પ્રભાવથી જ મને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ છે. આ તપના પરિણામે હું ધર્મના રહસ્યને સમજ્યો છું. એ પતિવ્રતા સ્ત્રીને પતિસેવા રૂપી ધર્મનું પાલન કરવાથી એ જ ફળ મળ્યું છે અને એવું જ ફળ મને માતપિતાની સેવાથી પ્રાપ્ત થયું છે. આવું ફળ તો યોગીઓને યોગ દ્વારા અને તપસ્વીઓને તપ દ્વારા મળે છે.’

કૌશિક બ્રાહ્મણની જેમ આજે આપણામાં પણ મોટા ભાગના લોકો એવા છે કે જે ધર્મનું રહસ્ય સમજી શકતા નથી. આ જ કારણે કોઈ વિશેષ પૂજા, અનુષ્ઠાન, દ્વારા જ ઈશ્વરપ્રાપ્તિ કે ધર્મલાભ થાય છે એવું કહેતા રહે છે. આ સમસ્યાના ઉકેલ માટે મહાભારતમાં ધર્મવ્યાધની કથા આવે છે. મહાભારતની આ કથામાં ધર્મના વ્યાવહારિક સ્વરૂપની ચર્ચા થઈ છે. એમાં બતાવ્યું છે કે આપણા દૈનંદિન જીવન આપણાં વ્યાવસાયિક કર્મો સાથે ધર્મ કેવી રીતે જોડાયેલો છે, જીવનનાં કાર્યો કરતાં કરતાં પણ કેવી રીતે આપણે ધર્મલાભ મેળવી શકીએ. આ કથામાં ઉદાહરણો દ્વારા એ પણ બતાવ્યું છે કે આપણા કર્મ બાહ્ય રીતે ભલે ક્રૂર લાગે, ઉપર ઉપરથી ઘર ગૃહસ્થીની માયાજાળમાં બંધાયેલ દેખાતા હોઈએ પણ જો આપણે જીવનનાં કર્મોને ભગવાનની પૂજા રૂપે કરીએ અને એનાં ફળાફળ પ્રભુને સમર્પિત કરી દઈએ તો એ જ આપણા માટે મુક્તિનું સાધન બની જાય છે. એનાથી ઊલટું જો આપણે જપ-તપ વગેરે સાત્ત્વિક કર્મ અથવા વેદાધ્યયન જેવા જ્ઞાનાત્મક કર્મ પણ અહંકાર સાથે કરીએ તો એનાથી ધર્મલાભ થતો નથી.

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.