શ્રી કૃષ્ણ જન્માષ્ટમી: શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ગુરુવાર તારીખ ૯ ઓગસ્ટના રોજ ઉજવાયો હતો. સવારે ૮ થી ૧૧ શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાયનું પઠન થયું હતું. સંધ્યા આરતી પહેલાં ‘શ્રી શ્યામનામ સંકીર્તન’નું સમૂહગાન કરવામાં આવ્યું હતું.

સ્વામી વિવેકાનંદ લોકમેળામાં શ્રીઘનશ્યામભાઈ ગઢવીની ‘સંપદા’સંસ્થાએ ‘સ્વામી વિવેકાનંદ અને ગુજરાત’નું ફોટો પ્રદર્શન ગોઠવ્યું હતું. લોકોએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો.

સ્વામી વિવેકાનંદ રથ

રાજકોટ પાસે આવેલ રાવકી ગામમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં સ્વામી વિવેકાનંદની રથયાત્રા ફેરવી હતી. રથયાત્રાના અંતે ગામના લોકો માટે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીએ સંબોધી હતી. આ પ્રસંગે રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું. રાવકી ગામની શાળાનાં વિદ્યાર્થી ભાઈબહેનોએ એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતે ભાવિકોમાં પ્રસાદવિતરણ થયુ હતું.

૧૫ ઓગસ્ટ, સ્વાતંત્ર્યદિનની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમના મંદિર પાછળના પટાંગણમાં ‘વિવેકાનંદ સર્વિસ કોપ્સ’ના તાલીમાર્થીઓએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજ્યો હતો. પિરામીડ, લાઠીદાવ, સળગતી રીંગ પરથી કૂદવું, મોટરસાઈકલ પર સમૂહ સવારી સાથે સલામી, રાવકી ગામના દરબારના બે યુવાનો દ્વારા તલવારબાજીનો સુંદર કાર્યક્રમ યોજાયો. ધ્વજવંદન પછી ઉપસ્થિત સજ્જનો તેમજ વિદ્યાર્થીઓને સ્વામી પ્રભુસેવાનંદજીએ સંબોધ્યા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડીની પ્રવૃત્તિઓ

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મદિનની ઉજવણી નિમિત્તે રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તા.૧૦/૭/૨૦૧૨ના રોજ ૨૦૪ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શાળાનો ગણવેશ અપાયો હતો.

તા.૨૦/૭/૧૨ ના રોજ શ્રી કિરીટસિંહ રાણા(વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત સરકાર)ના પ્રમુખ સ્થાને અને શ્રી ભદ્રાયુ વચ્છરાજાનીની નિશ્રામાં રામકૃષ્ણ મિશન, લીંબડીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ઉજવાયો હતો.

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી ના ઉપલક્ષ્યમાં તા.૧/૮/૧૨ ના રોજ રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સર.જે.મિડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની દીર્ધકાલીન કેળવણીના કાર્યક્રમનું ઉદ્‌ઘાટન સ્વામી આદિભવાનંદજી દ્વારા થયું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની ૩૦ પંસદ કરેલી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક તાલીમ અપાશે.

આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી પારઘી સાહેબ(જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સુરેન્દ્રનગર) તથા મુખ્ય મહેમાનરૂપે, શ્રીકૃષ્ણસિંહજી ઝાલા(ઉપાધ્યક્ષ, લીંબડી તાલુકા પંચાયત), શ્રી સંદીપભાઇ શાહ(લીંબડી તાલુકા કેળવણી નિરીક્ષક) શ્રી જીતુભા વાઘેલા (બી.આર. સી.કોઓર્ડીનેટર, લીંબડી તાલુકા) હતા.

આ કાર્યક્રમમાં લીંબડીની બધી શાળાના ધો.૧૦ અને ૧૨ના ૧૪૨૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. ૨૦૧૨-માર્ચમાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિકમાં સારા પર્સન્ટાઇલ રેંક મેળવનાર ૧૬ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓને મિશન તરફ્થી સ્વામીજીનું એક સ્મૃતિચિહ્ન તથા રૂ.૨૦૦નું રોકડ પારિતોષિક અપાયાં હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ૧૪૨૫ વિદ્યાર્થીઓને મિશન તરફ્થી ‘યશસ્વી વિદ્યાર્થી જીવન’ એ પુસ્તક આપવામાં આવ્યું હતું.

Total Views: 228

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.