ગતાંકથી આગળ……

વિદ્યાર્થી કેવી રીતે પોતાના મનને અધ્યયનમાં એકાગ્ર કરી શકે :

૧. જે રીતે દરેક યોગીને ધ્યાન કરવા માટે એક સ્થિર તથા ઉચિત રૂપનું સુખદ આસન જોઈએ છે તેવી જ રીતે પ્રત્યેક વિદ્યાર્થી પાસે પોતાની ચોપડીઓ કે નોંધપોથીઓ ફેલાવીને સુવિધાપૂર્વક બેસવા માટે સુયોગ્ય ખુરશી – ટેબલ હોવા જોઈએ. વિદ્યાર્થીઓ અને યોગીઓમાં કેટલીક દૃષ્ટિએ સમાનતા જોવા મળે છે. નિર્ધન વિદ્યાર્થીઓ એટલી બધી માત્રામાં ખુરશી-ટેબલની વ્યવસ્થા કેમ કરી શકે, એવો પ્રશ્ન ઊભો ન થવો જોઈએ. વળી એ લોકો આવું પણ પૂછી નાખે ‘સાહેબશ્રી શું એમ વિશ્વેશ્વરૈય્યા પાસે એમના વિદ્યાર્થી જીવનમાં ખુરશી-ટેબલ હતાં ? શું તેઓ રસ્તા પરની રોશનીમાં વાંચીને વિશ્વવિખ્યાત વ્યક્તિ નથી બન્યા ?’ આવા તર્ક અહીં કરવાની આવશ્યકતા નથી. નિશ્ચિતરૂપે રસ્તાની રોશનીમાં વાંચનારાં બધાં બાળકો વિશ્વેશ્વરૈય્યા બની જતા નથી. વળી જેમની પાસે ખુરશી-ટેબલ લેવાની શક્તિ ન હોય ઓછામાં ઓછું એક ઢાળિયું ટેબલ રાખી શકે.

૨. એકવાર લખવા કે વાંચવા માટે બેસી ગયા પછી બિનજરૂરી આપણા શરીરને હલાવવું જોઈએ નહીં. ઘણા મોટાભાગના વિદ્યાર્થીઓ વાંચતી વખતે કઢંગી રીતે બેસે છે. વળી કેટલાક એવા છે કે જે વાંચતી વખતે અન્યમનસ્ક બનીને કોઈ ને કોઈ વસ્તુઓને નિરખીને જોતા જોતા પોતાના પેન કે પેન્સિલને ચાવે છે. જાણે કે તેઓ કોઈ ગહન ચિંતનમાં ન ડૂબી ગયા હોય. આવી જ બીજી પણ કેટલીય બાહ્ય દેખાવની ટેવો હોય છે. આ બધી ટેવો એકાગ્રતામાં બાધક નીવડે છે. જેમ એક હલતાં વાસણમાં રાખેલું પાણી સ્થિર રહેતું નથી. તેવી જ રીતે શરીરની બેસવાની મુદ્રાઓ બદલતા રહેવાથી મન પણ ચંચળ થતું રહે છે. એટલે અધ્યયન વખતે એક ઉચિત અને સ્થિર મુદ્રામાં બેસવું ઘણું અગત્યનું છે.

૩. અધ્યયન માટે એક જ સમયે, એક જ વિષય લેવો એમ કહેવું યોગ્ય નથી. જ્યારે અધ્યયન માટે એક નિર્ધારિત વિષય પસંદ કરી લઈએ, ત્યાર પછી મનને ઓછામાં ઓછું એક કલાક સુધી એ વિષયમાં લીન રાખવું જોઈએ. કોઈ પુસ્તકને માત્ર વાંચી નાખવાથી અધ્યયન થઈ જતું નથી. એક પુસ્તકને કેવળ વાંચી નાખવું અને તેનું અધ્યયન કરવું, એ વચ્ચે જે અંતર છે એને વિદ્યાર્થીએ અવશ્ય સમજી લેવું જોઈએ. આ બંને કાર્યમાં એકાગ્રતા તો આવશ્યક છે જ. ઉતાવળથી કોઈ એક પુસ્તકને વાંચીને વાચક એના સાર-સંક્ષેપથી પરિચિત બની શકે છે. પરંતુ વિસ્તારિત અધ્યયન મનને એ વિષયવસ્તુના ઊંડાણમાં ઊતરીને એના યથાર્થ તાત્પર્યને જાણી લેવા યોગ્ય બનાવી દે છે. અને ઉતાવળથી કે ઉપરછલ્લી રીતે કરેલું વાંચન આ વસ્તુથી આપણને દૂર રાખે છે. ઊંડાણથી વાંચવાને પરિણામે વિષયવસ્તુ પર સારી એવી પકડ આવે છે અને ભવિષ્યના અધ્યયનમાં પણ સહાયતા મળે છે.

૪. પહેલાં આપણે બતાવ્યું છે કે એકવાર જ્યારે આપણે અધ્યયન માટે કોઈ વિષય સાથે બેસીએ છીએ તો એને એક કલાક સુધી ચાલુ રાખવું અત્યંત આવશ્યક છે. સામાન્યત : આપણું મન કોઈ નવા વિષયને એકાએક ગ્રહણ કરી લેવા તૈયાર નથી હોતું. આખો દિવસ આપણે વિભિન્ન કાર્યોમાં વ્યસ્ત હતા; મિત્રો કે બીજા લોકો સાથે વાતો કરતા રહેતા અથવા આપણા પોતાના મનમાં કેટલાક વિચાર ચાલી રહ્યા હતા. એ બધા હવે અધ્યયન આરંભ કર્યા પછી સક્રિય બની જશે. એટલે અધ્યયન માટે તૈયાર થવામાં મનને પ્રારંભમાં આઠ થી દસ મિનિટનો સમય લાગી જાય છે. જ્યારે આપણું મન આવા વિષયવસ્તુના ઊંડાણમાં લીન બનતું થાય ત્યારે અચાનક અધ્યયનને રોકી દેવાથી એકાગ્રતામાં ભંગ પડશે અધ્યયન કે વાંચનમાં નુકસાન થશે એટલે જ થોડી મિનિટો પછી જ્યારે મન એકાગ્ર થઈ જાય એ અવસરનો ઉપયોગ વિષયમાં ઊંડાણથી ઉતારીને એને ગંભીર અધ્યયન માટે તૈયાર કરવું જોઈએ. આવી રીતે મનને ઓછામાં ઓછું એક કલાક સુધી અબાધ રૂપે અધ્યયનમાં લગાડી રાખવું જોઈએ.

૫. આ અધ્યયન દરમિયાન એવો પણ સંભવ છે કે પરિવારના કોઈ સભ્ય વિનયપૂર્વક કોઈ બીજા કામ માટે બોલાવવા આવે. એટલે જ ઘરના લોકોને પહેલેથી જ દર્શાવી દેવું જોઈએ કે મહેરબાની કરીને મને એક કલાક સુધી કોઈ ન બોલાવો તો સારું. એનું કારણ એ છે કે આપણા મનમાં જો કોઈના બોલાવવાની સંભાવના રહે તો એ પૂરેપૂરી રીતે અધ્યયનમાં એકાગ્ર ન બની શકે. અત્યંત આવશ્યક સંજોગો સિવાય અધ્યયન સમયે મોબાઈલ ફોનને દૂર રાખવો જોઈએ.

૬. હવે વાત આવે છે અવાજના પ્રદૂષણની. ગામડામાં શાંત અને સ્વચ્છ વાતાવરણ વચ્ચે રહેનાર વિદ્યાર્થીઓ આ દૃષ્ટિએ નસીબદાર કહેવાય. શહેરમાં રહેનારા અને વિશેષ કરીને રાજધાની જેવાં મોટાં શહેરોમાં રહેનાર વિદ્યાર્થીઓને આ અવાજના પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવો પડે છે. આમ જોઈએ તો આ પ્રદૂષણ બધાં નાનાં મોટાં શહેરોમાં ભયંકર રીતે ફેલાઈ ગયું છે. એટલે એને સહન કરવા સિવાય એનો બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો આ સમસ્યાને નજર અંદાજ કરવાનો પ્રયાસ કરે પણ અવાજને વિસ્તારતાં યંત્રો ઘોંઘાટિયો અવાજ કરવા લાગે છે અને આપણા અધ્યયનમાં તરત જ અડચણ આવી જાય છે. પવિત્ર ગણેશ ચતુર્થીનો સમારોહ કે કોઈ ધાર્મિક ઉત્સવ આવે એટલે ક્યારેક દિવસોના દિવસો સુધી કે મહિનાઓ સુધી કર્કશધ્વનિ આપણા કાને અથડાયે રાખે છે. વળી કેટલાંક રાજ્યોમાં રાજ્યોત્સવ આરંભ થતા ઘણા સમય સુધી કોલાહલ થતો રહે છે. રામનવમી, દશેરા , ઈદ કે ખ્રિસ્તીઓના ઉત્સવોમાં આવા કોલાહલ માટે જેટલું કહીએ તેટલું ઓછું છે. બિચારા વિદ્યાર્થીઓ આવે સમયે પોતાની દુર્દશાને બરાબર સમજે જાણે છે. આ બધા મળીને નગરજીવનના નરક જેવા અનુભવોની સૃષ્ટિ ઊભી કરે છે.

સમાજના શિક્ષિત વર્ગ અને શિક્ષણશાસ્ત્રીઓ પણ આ બાબતમાં પોતાને અસહાય અનુભવે છે. સંભવત : શિક્ષણશાસ્ત્રીઓ પાસે અધિકાર નથી અને જેમની પાસે અધિકાર છે એમની પાસે વિવેકશક્તિનો અભાવ છે. અલબા ધ્વનિ-પ્રદૂષણમાંથી મુક્તિ મેળવવાનો એક જ ઉપાય છે અને તે છે, વિદ્યાર્થીઓ પોતાના મનમાં અધ્યયન પ્રત્યે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા વિકસિત કરે. જો મનમાં આવી તીવ્ર વ્યાકુળતા હોય તો પછી બાહ્ય શોરબકોર ભાગ્યે જ કાને પડે. ઉદાહરણ તરીકે જ્યારે આપણું મન કોઈ ચિંતામાં ઘેરાયેલું હોય ત્યારે આપણી નજીકમાં જ જોરથી વાગતા નગારાનો અવાજ પણ આપણને સંભળાતો નથી. પરીક્ષા માથે આવે ત્યારે વ્યાકુળતા કે ઉત્કંઠાની ચરમસીમા પર આ બધું દેખાય છે, પરંતુ પરીક્ષા દૂર હોય છતાં પણ આપણે એમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની એક દૃઢ આકાંક્ષા કેળવીએ તો આપણે અધ્યયનમાં એક પ્રકારની એકાગ્રતા વિકસિત કરી શકીએ ખરા. સાથે ને સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ માટે વાત-વાતમાં એકાગ્રતા કેળવી લેવી સંભવ નથી.

૭. એક બીજો ઉપાય પણ છે, એના દ્વારા અધ્યયનમાં એકાગ્રતા પ્રાપ્ત કરી શકાય છે. તે છે અભ્યાસ વિષય પર સારી રીતે ધ્યાન આપવું. આવી સતર્કતાને અવધાન કહે છે. એનો અર્થ એ થયો કે મનને સદૈવ જાગરૂક રાખવું જોઈએ. મોટા ભાગના વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક અધ્યયન કરવામાં અસમર્થ નીવડે છે. એનું કારણ એ છે કે એમનું મન એક પ્રકારના દિવાસ્વપ્નમાં મચ્યું રહે છે, અથવા કોઈ પણ હેતુ વિના અહીંતહીં ભટકતું રહે છે. જેમનું મન જાગ્રત છે કેવળ એવા લોકો જ એકાગ્રતા કેળવવામાં સફળ થઈ શકે છે. આ બધું વાંચીને આપણા મનમાં આવો પ્રશ્ન ઊભો થઈ શકે : ‘તો પછી આ મનને કેવી રીતે જાગ્રત કે સચેત રાખી શકાય ?’ એના માટે કેટલાક ઉપયોગી ઉકેલ આ પ્રમાણે છે :

* કેટલાક વિશેષ પ્રકારના ખાદ્યપદાર્થાે ઊંઘ વધારી દે છે. આવા પદાર્થાેનો ત્યાગ કરવો જોઈએ.

* જ્યારે શરીરનાં ભિન્ન ભિન્ન અંગ સ્વચ્છ રહે ત્યારે મન સશક્ત બને. આ ઉપરાંત પહેરવાનાં વસ્ત્ર, પથારી જેવી દરરોજ ઉપયોગમાં આવતી બધી વસ્તુઓ સ્વચ્છ સુઘડ રહેવી જોઈએ.

* ઓરડાની બીજી બધી વસ્તુઓ તથા દરરોજ ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ સુવ્યવસ્થિત રૂપે રાખવી જોઈએ. આવી સુવ્યવસ્થાની કળા સબળ રૂપે મનની જાગ્રત અવસ્થાને પ્રગટ કરે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓમાં બેદરકારીનો ભાવ જોવા મળે છે. એમની પોતાની વ્યક્તિગત ચીજવસ્તુઓ અને પુસ્તકોની અવ્યવસ્થા જોઈને આપણે સરળતાથી એટલું સમજી શકીએ છીએ કે તેઓ કેટલા બધા બેદરકાર છે !

* વિદ્યાર્થીઓ માટે જાણવા જેવી એક બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે શરીરની જેમ મનને પણ સ્વચ્છ રાખવું આવશ્યક છે. અશ્લીલ અને અભદ્ર વિચારોને મનમાં પ્રવેશતાં રોકવા જોઈએ સાથે ને સાથે મનને એની હવા પણ ન લાગે એ જોવું જોઈએ. એનું કારણ એ છે કે આવા વિચારો જ આપણા મનમાં વિનાશ નોતરવાનું અને તેને બગાડવાનું મૂળભૂત કારણ છે. જો મન તંદ્રામાં રહેલું હોય કે સ્વપ્ન પરાયણ હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. આમ છતાં પણ અશ્લીલતા અને અભદ્રતા જો એકવાર મનમાં પ્રવેશી ગઈ તો પછી એકાગ્રતાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. એક શુદ્ધ અને દોષરહિત મન સરળતાથી એકાગ્ર બની જાય છે. એટલે જ ખરાબ અને દુષિત વિચારોને મનની પાસે ફરકવા પણ ન દેવા જોઈએ.

* વિદ્યાર્થીઓએ મનમાં ને મનમાં આવો સંકલ્પ કરી લેવો જોઈએ : ‘હું એક કલાકમાં જ અભ્યાસ વિષયના આટલા ભાગનું સાંગોપાંગ અધ્યયન કરીશ.’ અને નિર્ધારિત સમય દરમિયાન આ અંશનું અધ્યયન પૂરું કરવા માટે વિદ્યાર્થીમાં ઉદ્વિગ્નતા હોવી જોઈએ. સંભવ છે કે શરૂઆતમાં નિર્ધારિત સમયમાં ચોક્કસ વિષયવસ્તુનું અધ્યયન સમાપ્ત ન પણ થઈ શકે. આમ છતાં આવા આકુળ પ્રયત્નોથી મનની જાગરૂક રહેવાની સંભાવના વધી જાય છે. આવી રીતે મનને જાગ્રત રાખવાનો આવો નિરંતર પ્રયાસ ઠીક ઠીક પ્રમાણમાં મનની એકાગ્રતાને ઉન્નત કરવામાં ઉપયોગી નીવડે છે.

૮. એકાગ્રતા વિકસિત કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ નિરર્થક ગપસપને ઝેર જેવી ગણીને ત્યજી દેવી જોઈએ. આવા મિત્રો સાથે પાઠ્યક્રમના વિષયો પર ચર્ચા કરવાથી નિશ્ચિત રૂપે સહાયક નીવડે છે. આપણી માનસિક ઊર્જાનો મોટો અંશ નિરર્થક બકવાદોમાં નાશ પામે છે – આવી વાત આપણા પ્રાચીન યોગીઓ અને ઋષિઓએ શોધી કાઢી છે. નિરર્થક બકવાદથી મનનો સંયમ અને વિચારની સાંકળ નાશ પામે છે. એક દુર્બળ અને અસંબદ્ધ મન એકાગ્રતા માટે અયોગ્ય બની જાય છે. દુર્બળ શરીર તથા દુર્બળ મનવાળા વ્યક્તિ માટે એકાગ્રતા એ ખાટી દ્રાક્ષ જેવી બની જાય છે. (ક્રમશ 🙂

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.