ગદાઈ દશ વર્ષનો હતો. એક દિવસ કામારપુકુરમાં લાહાબાબુને ત્યાં શ્રાદ્ધના પ્રસંગે પંડિતો ભેગા થયા હતા. ભોજન પછી એમની વચ્ચે ધાર્મિક બાબત વિશે ચર્ચા ચાલી. સામસામી દલીલો ચાલી. એક પક્ષ ઉશ્કેરાઈને કહેવા લાગ્યો, ‘ખોટું ! તદ્દન ખોટું !’ બીજા પક્ષે બરાડીને કહ્યું, ‘આવી દલીલ તો મૂરખ હોય તે કરે!’
ઝઘડો વધી પડ્યો. ગામના છોકરાઓને તો આ બધું જોઈને ભારે મજા પડી. પંડિતોની વાતમાં છોકરાઓ શંુ સમજે ? પણ પંડિતોના હાવભાવ જોઈને તેમનું હસવું માય નહીં. કોઈ કોઈ તો પંડિતોની ચેષ્ટાના ચાળા પાડીને ગમ્મત કરવા માંડ્યા. ગદાઈ પણ આ બધું જોતો ત્યાં ઊભો હતો. એ હસતો ન હતો, પણ પંડિતોની વાત ઉપર ગંભીર વિચાર કરતો હતો.
પછી એકાએક તેણે પોતાના ઓળખીતા એક પંડિતને કહ્યું, ‘મહાશય, આ પ્રશ્નનો જવાબ આમ હોય ખરો ?’ પેલા પંડિતજીને તો ગદાઈનું કહેવું સાંભળીને ભારે નવાઈ લાગી ! બીજા પંડિતોને પણ આ વાતની ખબર પડી. તેમને થયું, ‘અજબની વાત છે ! જે આપણને કોઈને ન સૂઝ્યું તે આ ટાબરિયાને સૂઝ્યું !’
પેલા ઓળખીતા પંડિત મહાશયના આનંદનો તો પાર ન રહ્યો.
આમ, શ્રીરામકૃષ્ણ નાનપણથી જ ગભીર આધ્યાત્મિક પ્રશ્નોના હાર્દ સુધી પહોંચી તેમનો સરળ ઉપાય જોઈ શકતા હતા.
Your Content Goes Here