એક વખત શ્રીરામકૃષ્ણ શ્રીરામના સેવકભક્ત હનુમાનજીની જેમ દાસ્યભાવની સાધના કરતા હતા. તે વખતે થયેલ દર્શનનું વર્ણન કરતાં તેઓ કહે છે :
‘એક વખત હું પંચવટીમાં એક વૃક્ષ નીચે બેઠો હતો. એ વખતે એક તેજોજ્જ્વલ નારીની આકૃતિ મારી સમક્ષ આવી. તેમની દિવ્યપ્રભા બધે પ્રસરી ગઈ. એ વખતે મેં એ દિવ્ય નારીની સાથે પંચવટીનાં વૃક્ષ, છોડ, ગંગા અને બીજા પદાર્થાે પણ જોયા. પ્રેમ, કરુણા, વિષાદ, સહિષ્ણુતાને વ્યક્ત કરતાં એમના મુખારવિંદ પર ગંભીર અને પ્રભાવક ચૈતન્યની અભિવ્યક્તિ જોઈ શકાતી હતી. મારા તરફ અમીદૃષ્ટિ કરીને ધીમે પગલે તેઓ ઉત્તરથી દક્ષિણમાં મારા તરફ આવતાં હતાં. તેઓ કોણ હશે એના કુતૂહલમાં હું ડૂબ્યો હતો. એ સમયે એક કાળા મુખવાળો વાંદરો ક્યાંકથી આવી ચડ્યો. એ ક્યાંથી આવ્યો એની કોઈને ખબર ન પડી. એ તો એ દિવ્ય નારીનાં ચરણમાં પડીને પ્રણામ કરવા લાગ્યો. એની સાથે મારી ભીતરથી આ ઉદ્ગાર સરી પડ્યા : ‘આ તો સીતા ! આખું જીવન દુ :ખવિષાદ અનુભવનાર રાજા જનકની પુત્રી સીતા. જેમને મન રામ એ જ પોતાનું જીવન હતું, એ સીતા.’ વારંવાર માતાજી કહેતાં હું એમનાં ચરણમાં પડી જતો. તેઓ આવ્યાં અને આમાં (પોતાના દેહ તરફ આંગળી ચીંધીને) પ્રવેશી ગયાં.’
આ રીતે શ્રીમા સીતા અને શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનાં શ્રીરામકૃષ્ણે સાક્ષાત્ દર્શન કર્યાં હતાં.
Your Content Goes Here