એક દિવસે શિવમંદિરે પ્રવેશ કરીને શ્રીરામકૃષ્ણ ‘શ્રીશિવમહિમ્ન : સ્તોત્રમ્’નો પાઠ કરીને મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. પાઠ કરતાં કરતાં જયારે નીચેનો શ્લોક ઉચ્ચારવા લાગ્યા ત્યારે અપૂર્વ ભાવાવેશે તદ્દન સૂધબૂધ ખોઈ બેઠા :
असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे
सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी ।
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं
तदपि तव गुणानामीश पारं न याति ।।32।।
હે મહાદેવ! સમુદ્ર જેટલા ઊંડા પાત્રમાં વિશાળ હિમાલય જેટલી શાહી નાખીને, કલ્પતરુની શાખાની કલમ અને પૃથ્વીની સપાટી જેવો લાંબો પહોળો કાગળ લઈને, સ્વયં વાગ્દેવી સરસ્વતી પણ જો તમારા અનંત મહિમાની કથા અનંત કાળ સુધી લખતી રહે, તો પણ હે પ્રભો! તમારા ગુણવર્ણનનો અંત નથી.
શ્લોકનું પઠન કરતાં કરતાં શ્રીરામકૃષ્ણ પોતાના હૃદયમાં શિવમહિમાનો જવલંત દિવ્ય અનુભવ કરીને એકદમ વિહ્વળ બનીને બૂમો પાડતાં કેવળ વારંવાર બોલવા લાગ્યા, ‘ઓ મહાદેવ ! તમારા ગુણોની કથા હું કેવી રીતે કહી શકું !’ અને તેમના ગાલ ઉપરથી થઈને એક સરખી દડદડ આંસુની ધારા વહેવા લાગી.
Your Content Goes Here