(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.)
શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ
સ્કૂલ બેગનું વિતરણ
તા. 26 ફેબ્રુઆરીના રોજ રાજકોટ આશ્રમ દ્વારા જામનગરના ભાવપ્રચાર કેન્દ્ર હેઠળ સંચાલિત બાલ સંસ્કાર કેન્દ્રનાં ૬૦ બાળકોને સ્કૂલ બેગ, નોટબુક અને કંપાસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
તા. 28 ફેબ્રુઆરીના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સંચાલિત વિવેકાનંદ સંસ્કાર કેન્દ્ર, ઉપલેટા ખાતે ૧૬૫ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને નોટબુક તથા ૧૫૫ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી ચૈતન્ય મહાપ્રભુની જન્મતિથી
શ્રી ચૈતન્ય મહાપ્રભુની જન્મતિથિ નિમિત્તે ભજન-કીર્તન અને રંગ-ગુલાલ સાથે આશ્રમ-પ્રાંગણમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ભક્તોએ આ શોભાયાત્રામાં ભાગ લીધો. સંધ્યા આરતી પછી શ્રી ચૈતન્ય મહાપ્રભુના જીવન અને સંદેશ પર પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આધ્યાત્મિક શિબિર
સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત સંસ્થા ‘રામકૃષ્ણ મિશન’ની ૧૨૫મી વર્ષગાંઠ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રવિવાર, તા. ૧૨ માર્ચના રોજ એક દિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં રાજકોટ તથા ગુજરાતના અન્ય વિસ્તારમાંથી ૩૦૦ જેટલા આધ્યાત્મિક જિજ્ઞાસુઓએ ભાગ લીધો. શિબિરની શરૂઆત ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પૂજા, શ્રીરામકૃષ્ણ નામ-સંકીર્તન, શ્રીરામકૃષ્ણ અષ્ટોત્તરશતનામ તથા ગીતાપાઠ દ્વારા કરવામાં આવી. ત્યારબાદ શિબિરમાં રામકૃષ્ણ મિશન, ભોપાલના સચિવ સ્વામી નિત્યજ્ઞાનાનંદજી મહારાજે જિજ્ઞાસુઓને ‘રામકૃષ્ણ મિશનમાં સાધનાની પરંપરા’ વિષય પર માર્ગદર્શન આપ્યું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ‘રામકૃષ્ણ મિશનમાં મંત્રદીક્ષા એટલે શું, તેના લાભો, કોણ મંત્રદીક્ષા લઈ શકે’ વગેરે અંગેની માહિતી આપી તથા મંત્રદીક્ષા અંગેની લોકોની ગેરસમજ દૂર કરી. આ ઉપરાંત આશ્રમના વિદ્વાન વક્તાઓએ જિજ્ઞાસુઓને ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદના જીવન અને સાધના અંગે ભક્તોને માર્ગદર્શન આપ્યું.
શિબિરમાં ‘રામકૃષ્ણ મિશનના આદર્શ અને પ્રવૃત્તિઓ’ અંગેની ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી. ત્યારબાદના પ્રશ્નોત્તરી સત્રમાં આશ્રમના સંતો દ્વારા જિજ્ઞાસુઓની સાધના તથા જીવનની સમસ્યા અંગેની મૂંઝવણો દૂર કરવામાં આવી. શિબિરના અંતમાં સર્વે પ્રતિભાગીઓને આધ્યાત્મિક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.
પુસ્તકો અને સ્ટેશનરી કીટનું વિતરણ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૫ માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા, શાપરમાં તથા હડમતાલા પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદના બાલ્યજીવનના પ્રેરણાદાયી પ્રસંગો પર પ્રવચન તથા એકાગ્રતાની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું.
બંને શાળાના ૨૭૦ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડો, સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રનું પુસ્તક, પેન, પેન્સિલ, રબ્બર, સંચો, ફૂટપટ્ટી, પાઉચનો સેટ આપવામાં આવ્યો હતો.
અંતે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો. બંને શાળાઓને ધો. ૫ થી ૧૦ના વર્ગ માટેના મૂલ્યલક્ષી બોધકથા પુસ્તકનો સેટ તથા ૨૦૨૩ની ડાયરી, કેલેન્ડર તથા અન્ય પુસ્તકો ભેટ રૂપે આપવામાં આવ્યાં.
One Comment
Leave A Comment
Your Content Goes Here
Good job