મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા; અને સહુથી સુંદર સાદ કોઈ હોય તો તે સાદ છે ‘મારી મા.’ એ એક એવો શબ્દ છે, જે આશા અને પ્રેમથી ભરેલો છે, એક મધુર અને માયાળુ શબ્દ જે હૃદયના ઊંડાણમાંથી આવે છે, મા સઘળું છે- શોકમાં તે આપણું આશ્વાસન છે, દુઃખમાં તે આપણી આશા છે, દુર્બળતામાં તે આપણી શક્તિ છે. તે પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે.”

વિશ્વની મહાન વિભૂતિઓ – સંતો, સાહિત્યકારો, કલાકારો, સમ્રાટો, નેતાઓ – પોતાની મહાનતાનો શ્રેય પોતાની જનેતાને આપે છે. જ્યૉર્જ હર્બર્ટ કહે છે, “દરેક જાતિમાં, દરેક ધર્મમાં, દરેક દેશમાં અને દરેક યુગમાં મનુષ્ય તેની માતા તેને જેવો બનાવે તેવો જ તે થાય છે.” નેપોલિયન કહે છે, “કોઈ પણ બાળકનાં ભાવિ ઉન્નતિ કે અવનતિનો આધા૨ તેની માતા ઉપર જ છે. હું કર્તવ્યનિષ્ઠા અને ધૈર્ય મારી માતાની ગોદમાંથી શીખ્યો છું.” અબ્રાહમ લિંકન કહે છે, “હું જે કંઈ કરી શકું છું, અને જે કંઈ થઈ શકું છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે.”

મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, શિવાજી, સર આશુતોષ મુખર્જી, શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ખાન અબ્દુલ ગફાર ખાન, વીર સાવરકર, કાકા કાલેલકર, વિનોબા ભાવે, હૅલન કેલર, કવિવર રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી રામતીર્થ, આદિ શંકરાચાર્ય વગેરેની માતૃભક્તિ અને તેમના પર તેઓની માતાનો પ્રભાવ તો સુપ્રસિદ્ધ છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસ તીર્થયાત્રા કરવા વૃન્દાવન ગયા ત્યારે તેમને એટલું ગમી ગયું કે ત્યાં જ રહી જવાનો નિર્ણય કર્યો પણ પછી પોતાની જનેતા મા ચંદ્રામણિદેવીનો વિચાર આવ્યો- “મારા વગર કલકત્તામાં તેમને કોણ જોશે?

બસ વિચાર આવ્યો અને તરત જ કલકત્તા ત૨ફ જવા રવાના થયા. ત્યાગીઓના બાદશાહ હોવા છતાં, માની સેવાનું કર્તવ્ય તેઓ ન ભૂલી શક્યા.

અમેરિકામાં ભાષણ આપતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાની જનેતા ભુવનેશ્વરી દેવી વિશે કહ્યું હતું “જગતમાં મને લાવનાર તપસ્વિની એ હતી; મારા જન્મ સારુ વર્ષો સુધી તેણે પોતાનો દેહ પવિત્ર રાખ્યો, પોતાનું મન પવિત્ર રાખ્યું, પોતાનું ભોજન પવિત્ર રાખ્યું, પોતાનાં વસ્ત્રો પવિત્ર રાખ્યાં, પોતાની ભાવના પવિત્ર રાખી. તેણે એ બધું કર્યું માટે એ પૂજન યોગ્ય છે.”

એક યહૂદી કહેવત પ્રમાણે “ઈશ્વર સદેહે બધે પહોંચી શકે નહિ માટે એણે માતાનું સર્જન કર્યું.” દુર્ગાસપ્તશતીમાં કહ્યું છે, ‘યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા’ ‘એ જગન્તામાતા-દેવી બધા જીવોમાં માતૃરૂપે વિરાજે છે.’ હઝરત મોહમ્મદ પયગંબર કહે છે, “તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે.” આપણાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે.

‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી’ ‘માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે!’ મનુસ્મૃતિ પ્રમાણે – ઉપાધ્યાયાન્દશાચાર્ય આચાર્યાણાં શંત પિતા

સહસ્રં તુ પિતૃન્માતા ગૌ૨વેણતિરિચ્યતે।।

દશ ઉપાધ્યાય કરતાં એક આચાર્ય ચડે, સો આચાર્ય કરતાં એક પિતા ચડે અને સહસ્ર પિતા કરતાં એક માતા ચડે.

એટલે જ તો બાલમુકુંદ દવે માને જગતના તીર્થોત્તમરૂપે પોતાની કવિતામાં આલેખે છે. શ્રી હરીન્દ્ર દવે એક લેખકને ટાંકીને લખે છે- ‘તારા એક સ્મિત માટે હું લાખ જોજનનું અંતર કાપીશ, મારી મા!’ શ્રી ગુલાબદાસ બ્રોકર કહે છે, “ચહું જન્મોજન્મે શિશુ તુજ હું, ને માત મુજ તું.’ એટલે જ તો પ્રેમાનંદની કવિતામાં આ શબ્દો સરી પડે છે – ‘ગોળ વિના મોળો કંસાર, માત વિના સૂનો સંસાર.’

સાંસારિક સંબંધોમાં સૌથી વધુ નિઃસ્વાર્થ પ્રેમ હોય છે – માતાનો શિશુ પ્રત્યેનો. માના પ્રેમમાં ઈશ્વરના પ્રેમની છાયા અનુભવાય છે. તાજેતરમાં પાશ્ચાત્ય દેશોમાં નારી સ્વાતંત્ર્ય ચળવળની સાથે સાથે ઈશ્વરને ‘માતા’ રૂપે ભજવાનો અધિકાર મેળવવાની ચળવળ પણ ચાલુ થઈ છે. ખ્રિસ્તી ધર્મમાં અત્યાર સુધી ઈશ્વરને ‘પિતા’ (Father) રૂપે જ સંબોધવાની છૂટ હતી, હવે ઈશ્વરને ‘માતા’ (Mother) રૂપે સંબોધવાની પણ પરવાનગી મળી ગઈ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો વૈદિક કાળના પૂર્વેથી ઈશ્વરને માતારૂપે ભજવાની પરંપરા છે.

આ યુગ નારી સ્વાતંત્ર્યનો – નારી જાગરણનો છે. નારીઓ – માતાઓ – દ્વારા એક નવા યુગનો પ્રારંભ થવાનો છે, એટલે જ આ યુગના અવતાર શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં નારી સન્માનનું – માતૃપૂજાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. શ્રીરામકૃષ્ણદેવે વિભિન્ન ધર્મોની, વિભિન્ન માર્ગોની સાધના કરી, પણ સાધનાનો પ્રારંભ મા કાળીની પૂજાથી કર્યો. એક નારીને – ભૈરવી બ્રાહ્મણીને – ગુરુરૂપે સ્વીકારી – તેમની પાસેથી ૬૪ તંત્રોની સાધના તેઓ શીખ્યા, પોતાના ધર્મપત્ની શ્રીમા શારદાદેવીની જગન્માતારૂપે ષોડશીપૂજા કરી અને પોતાની સર્વ સાધનાનું ફળ તેમનાં ચરણોમાં તેમણે સર્મપિત કર્યું અને તેમને સમસ્ત જગતની માતાના ઉચ્ચતમ આસને બિરાજમાન કર્યાં. ૧૮૮૬માં શ્રીરામકૃષ્ણદેવના તિરોધાન પછી ૩૪ વર્ષો સુધી શ્રીમા શારદાદેવીએ વૈશ્વિક માતૃત્વની લીલા કરી.

એક વા૨ શ્રીમા શારદાદેવીને કોઈ ભક્તે પૂછ્યું, “મા, અન્ય અવતારોમાં તો જોવા મળે છે કે પહેલાં શક્તિનો તિરોભાવ થાય છે, પણ આ વખતે તો ઠાકુર પહેલા ચાલ્યા ગયા, આમ કેમ થયું? શ્રી શ્રીમાએ ઉત્તર આપતાં કહ્યું, “દીકરા, ઠાકુર (શ્રીરામકૃષ્ણદેવ) ઈશ્વરના માતૃત્વનો પ્રચાર ક૨વા મને પાછળ મૂકી ગયા છે.”

કેવી અદ્ભુત હતી એ માતૃત્વની લીલા! ગરીબ – તવંગર, ઉંચ – નીચ, પુરુષ – સ્ત્રી, આબાલ વૃદ્ધ, સજ્જન – દુર્જન, સંન્યાસી – ગૃહસ્થ, પાપી – પુણ્યાત્મા, સૌ ૫૨ નાતજાતના કે ધર્મના ભેદભાવ વગર કરુણારૂપી શ્રીમા શારદાદેવીએ અહેતુક કૃપા વરસાવી હતી, માતૃસ્નેહનું વર્ષણ કર્યું હતું અને આજે પણ સૂક્ષ્મરૂપમાં આ વર્ષણ તેઓ કરી રહ્યાં છે. એટલે જ તો અમેરિકા, ઈંગ્લેન્ડ, જર્મની, ફ્રાંસ, રશિયા, જપાન, હૉલેંડ, બાંગ્લાદેશ વગેરે દેશોમાંથી લાખો નરનારીઓ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, યહૂદી, બૌદ્ધ, જૈન, વગેરે શ્રીમા શારદાદેવીના સ્નેહપાશમાં બદ્ધ થઈ રહ્યાં છે.

ઘૃણાની એવી ધારણા છે કે અમેરિકામાં સ્વામી વિવેકાનંદ અને શ્રીરામકૃષ્ણને જ વધારે માનતા હશે. પણ થોડાં વર્ષો પૂર્વે અમેરિકાના હૉલિવુડની વેદાંત સોસાયટીના અધ્યક્ષ સ્વામીજીએ એક વાતચીતના પ્રસંગમાં જણાવ્યું કે ત્યાં (અમેરિકામાં) ભક્તો શ્રીમા શારદાદેવીને વધુ ચાહે છે, કારણ કે ત્યાંનો સમાજ Permissive (સ્વચ્છંદ) છે તેઓ એવું શરણ શોધે છે, જ્યાં તેઓને – પાપી – તાપીઓને આશરો દિલાસો મળી શકે. શ્રીમા શારદાદેવીની આ વાણી, “હું સજ્જનોની પણ મા છું, દુર્જનોની પણ મા છું. બાળક જો કાદવથી ખરડાઈ જાય તો માતાએ જ તેને સાફ કરીને ખોળામાં લેવું પડે ને? તેઓને આકર્ષે છે. શ્રીમા શારદાદેવી ખોળો પાથરીને બેઠા છે. અને જાણે કે સૌને આમંત્રણ આપી રહ્યા છે, “આવો, આવો, પાપી – તાપી, દુઃખિયારાં, બધાં આવો. હું તમારી મા છું, કહેવા ખાતરની મા નહિ ફક્ત ગુરુપત્ની નહિ, પણ સાચુકલી મા.”

આદિ શંકરાચાર્ય ‘અપરાધક્ષમાપન સ્તોત્ર’માં લખે છે- ‘કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતિ.’ “પુત્ર કુપુત્ર થાય, પરંતુ માતા કદી કુમાતા થતી નથી.”

શ્રીમા શારદાદેવીનું જીવન જાણે આ ઉક્તિનું સાક્ષાત્ પ્રમાણ છે.

એકવાર બેલુર મઠમાં સાધુ બ્રહ્મચારીઓ ગંગામાં સ્નાન કરી રહ્યા હતા. એક બ્રહ્મચારીને (નગેનને) એ લોકોએ કહ્યું, “આજે તો મહાપુરુષ મહારાજ તને બે પૈસા આપવાના છે.” બ્રહ્મચારી નગેન ગભરાઈ ગયો. મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદજી) ત્યારે બેલુર મઠનો વહીવટ સંભાળતા. કોઈ સાધુ બ્રહ્મચારી મઠના નિયમનું બરાબર પાલન ન કરે તો તેમને બે પૈસા પકડાવી દેવામાં આવતા. (ગંગા પાર કરવા માટે નાવમાં જવાનું ભાડું ત્યારે બે પૈસા હતું.) અર્થાત્ મઠમાંથી તેમને કાઢી મૂકવામાં આવતા. બ્રહ્મચારી નગેન એટલો ડરી ગયો કે કોઈને પણ કહ્યા વગર, કપડાંલત્તા લીધા વગર પગે ચાલતા શ્રીમા શારદાદેવી પાસે જવા જયરામવાટી રવાના થયા. લગભગ ૭૦ માઈલનું અંતર કાપી થાકથી લોથપોથ થઈ તે જ્યારે જયરામવાટી પહોંચ્યો ત્યારે એનાં મેલાં કપડાં ને છૂટા વાળ જોઈ પહેલાં તો કોઈ સમજી પણ ન શક્યું કે એ બેલુ૨મઠથી આવ્યો હશે. પરિચય મળતાં શ્રી શ્રીમાએ એને બે ધોતિયાં અને એક ઉપરણું અપાવ્યાં, સારી રીતે જમાડ્યો અને સ્વામી શિવાનંદજીને પત્ર લખાવ્યો કે “ચિરંજીવી તારક, નાના નગેને કંઈ અપરાધ કર્યો છે, તેથી તું એને કાઢી મૂકીશ એ બીકે એ આખો રસ્તો પગે ચાલીને મારી પાસે આવ્યો છે, તો દીકરા, મા કોઈ દિવસ કંઈ દીકરાનો દોષ જુએ ખરી! એને કંઈ કહેતો નહીં.” જવાબ મળતાં સુધી એમણે નગેનને પોતાની પાસે જ સારી રીતે રાખ્યો. વળતી ટપાલે જવાબ આપ્યો, “નાનો નગેન આપની પાસે આવ્યો છે, જાણી અમારી ચિંતા દૂર થઈ છે, અમે એને શોધતા હતા કે ક્યાં ગયો. એને મોકલી આપશો. અહીં પૂજા કરનારનો અભાવ છે. હું એને નહીં વઢું.” પત્ર મળતાં જ શ્રી શ્રીમાએ નગેનને બેલુર મઠ મોકલી આપ્યો. મઠમાં પહોંચતા જ સ્વામી શિવાનંદજી એને ભેટી પડ્યા ને કહ્યું, “બેટા, તું મારી સામે ફરિયાદ કરવા માટે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો?

જયરામવાટીના પાસેના ગામના સેવક પૈસાદાર કુટુંબના ભણેલા યુવકે શ્રી શ્રીમા પાસે દીક્ષા લીધી હતી. એમની પાસે એ હંમેશાં આવતો. એની મદદથી ગામડામાં એક આશ્રમ પણ ખોલવામાં આવ્યો હતો, પણ કમનસીબે એ પોતાની નજીકની સંબંધી બાળવિધવાના પ્રેમમાં પડ્યો. બદનામીની વાતો હવામાં ઊડતી આવે. થોડા વખતમાં જયરામવાટીના ભક્તોએ એ વિશે સાંભળ્યું. ગુસ્સે થઈ તેઓએ શ્રી શ્રીમા પાસે આવીને કહ્યું કે એને તેમની પાસે આવવા ન દેવો જોઈએ. સંતાનના કલંકની વાત સાંભળી શ્રી શ્રીમાને ઘણું દુઃખ થયું, પણ એમણે કહ્યું, “મા થઈને હું એને કેવી રીતે આવતાં રોકી શકું! કઠોર શબ્દો મારે મોઢેથી નીકળશે જ નહીં.” તેથી એ યુવકની અવરજવર પહેલાંની માફક જ ચાલુ રહી. મા તે મા!

શ્રી શ્રીમા ‘ઉદ્બોધન’ ભવનમાં (કલકત્તામાં) રહેતાં હતાં, ત્યારની વાત છે. તેઓ પૂજાના ઓરડામાં હતાં. અચાનક તેમને કાને રુદનનો સ્વર સંભળાયો. તેઓ બહાર આવ્યાં તો જોયું કે એક યુવતી રડી રહી છે. શ્રી શ્રીમાએ કહ્યું “દીકરી અંદર આવ, તું કેમ રડે છે? યુવતી વધુ જોરથી રડવા માંડી. તેણે રડતાં રડતાં કહ્યું, “મા, હું ચારિત્ર્યભ્રષ્ટ થઈ ગઈ છું. આ પવિત્ર ઓરડામાં પ્રવેશ કરવાનો પણ મને અધિકાર નથી.” શ્રી શ્રીમાએ યુવતીને બાથમાં લઈ લીધી અને તેનો હાથ પકડીને પ્રેમપૂર્વક ઓરડામાં લઈ આવ્યાં. તેમણે યુવતીનાં આંસુ લૂછતાં કહ્યું, “દીકરી, હવે તને પશ્ચાતાપ થયો છે. માટે ચિંતા કરીશ નહી, ગઈ ગુજરી ભૂલી જા, આજથી તારો નવો જન્મ થયો છે.” મા તે મા!

એક વાર એક સંન્યાસી મઠનો ત્યાગ કરી ચાલ્યા જતા હતા. શ્રી શ્રીમા પાસે વિદાય લેતી વખતે તેઓ રડવા લાગ્યા. શ્રી શ્રીમા પણ રડવા લાગ્યાં. થોડા વખત પછી પોતાના પાલવથી આંસુ લૂછીને એમને મોં ધોઈ આવવાનું કહ્યું. પછી હેતપૂર્વક બોલ્યાં, “મને ભૂલી ન જતો. તું ભૂલીશ નહીં એ હું જાણું છું તો પણ હું કહું છું.” સંન્યાસીએ કહ્યું, “મા, તમે મને ભૂલી જશો? શ્રી શ્રીમાએ કહ્યું, “મા તે કોઈ દિવસ સંતાનને ભૂલી શકે? જાણજે કે હું હંમેશાં તારી પાસે જ હોઈશ, કંઈ ભય નથી.” મા તે મા!

શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થભક્ત સાધુ નાગમહાશય કહેતા, “બાપ કરતાં માની દયા વધુ છે.” અર્થાત્ શ્રીરામકૃષ્ણદેવ કરતાં શ્રી શ્રીમા શારદાદેવી વધુ દયાળુ છે.

સ્વામી વિવેકાનંદજીએ પણ સ્વામી શિવાનંદજીને પત્રમાં લખ્યું હતું, “મારે મન તો માતાજીની કૃપા પિતાની કૃપા કરતાં લાખો ગણી કિંમતી છે. માતાની કૃપા, માતાના આશીર્વાદ મારે મન સાર્વભૌમ બાબત છે. મને માફ કરજો, પણ માતાજીની બાબતમાં હું જરાક અંધશ્રદ્ધાળુ છું.”

શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું, “જ્યારે તમે મુસીબતમાં હો ત્યારે યાદ રાખજો કે તમારી એક મા છે.” શ્રીમા શારદાદેવીની ૧૪૨મી જન્મતિથિ વિશ્વભરમાં આ વર્ષે ૨૫મી ડિસેમ્બરે ઉજવાશે, એ પ્રસંગે શ્રી શ્રીમાના ચરણોમાં પ્રાર્થના કરીએ, “મા, તમારી અમારી પાસે એક જ અપેક્ષા છે, કે અમે તમને યાદ કરીએ. પણ અમે સંસારના રમકડાં રમવામાં એવાં ખોવાઈ જઈએ છીએ કે તમને સાવ ભૂલી જઈએ છીએ. તેમ છતાંય તમે અમને ભૂલતાં નહીં અને હાથ પકડીને સન્માર્ગે લઈ જજો, જેથી ચિરકાળ માટે તમારી ગોદમાં આશ્રય મળે.”

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.