શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ઉપનિષદોનો સંદેશ’એ નામે પુસ્તક આકારે પ્રસિદ્ધ થશે. તેના અંશ ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. આશા છે કે ઉપદેશામૃતનું જ્ઞાન-પાન કરતા ભાવિકોને આ વિભાગ ઉપયોગી નીવડશે. -સં.

(ગતાંકથી આગળ)

ઉપનિષદોમાંથી ફલિત થતી ધર્મની આ અનન્ય લાક્ષણિકતા પર પ્રકાશ ફેંકતાં, ‘ભારતના સંતો’ વિશેના પોતાના વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ (કંપ્લીટ વર્ક્સ, વૉ. ૪, પૃ. ૨૪૮-૫૧ ૫૨) કહે છે:

‘આપણાં ધર્મશાસ્ત્રોમાં સત્યના બે આદર્શો છે; જેને આપણે સનાતન કહીએ છીએ તે એક છે અને, બીજો એટલો સત્તાશીલ નથી પણ ચોક્કસ સંજોગોમાં, સમયોમાં અને સ્થળોમાં એ બંધનકર્તા છે. જેને આપણે શ્રુતિઓ, વેદો, કહીએ છીએ તેમાં, આત્માઓ અને પરમાત્મા વચ્ચેના સનાતન સંબંધો અંકિત થયા છે. આપણે જેમને સ્મૃતિઓ કહીએ છીએ તેમાં, મનુ, યાજ્ઞવલ્ક્ય અને બીજા લેખકોના શબ્દોમાં અને તંત્રો સુધીનાં પુરાણોમાં સત્યોનો બીજો પટ સાંપડે છે….’

‘બીજી વિશેષતા એ છે કે, એમનામાં સત્યોની નોંધ માંડનાર ઘણા ઋષિઓ છે, મુખ્યત્વે પુરુષો, પણ કેટલીક સ્ત્રીઓ પણ છે. એમની જન્મતિથિઓ અને બીજી બાબતો વિશે, એમનાં વ્યક્તિત્વો વિશે, બહુ ઓછું જાણવા મળે છે. પણ, એમના ઉત્તમ વિચારો, હું એમને તેમની શોધો કહીશ,- બરાબર સચવાઈ રહેલ છે, આપણા દેશના પવિત્ર ગ્રંથો દેવોમાં મૂર્તિમંત થયેલ છે. ઊલટ પક્ષે, સ્મૃતિઓમાં વ્યક્તિત્વો વધારે ધ્યાન ખેંચે છે. આકર્ષક, વિરાટ, છાપ પાડે તેવી, જગત હલાવે તેવી વ્યક્તિઓ આપણી સમક્ષ કરતાં વધારે મોટી છે.’

‘આપણો ધર્મ નિર્ગુણ – સગુણ ઈશ્વરનો બોધ આપે છે એ લાક્ષણિકતા એમણે સમજવાની છે. ઢગલાબંધ અપૌરુષેય નિયમો ઉપરાંત ઢગલાબંધ વ્યક્તિત્વોનો બોધ આપે છે; પણ આપણા ધર્મનું ઉદ્‌ગમ સ્થાન શ્રુતિઓમાં છે, અર્થાત્ વેદોમાં છે અને વેદો સંપૂર્ણપણે અપૌરુષેય છે; વ્યક્તિઓ બધી સ્મૃતિઓમાં અને પુરાણોમાં આવે છે- પરમેશ્વરના મહાન અવતારો પયગંબરી વગેરે બધા ત્યાં છે. વળી, આપણા ધર્મ સિવાયનો જગતનો પ્રત્યેક ધર્મ તેના સ્થાપક કે સ્થાપકો પર આધારિત છે એ બાબત પણ ધ્યાનમાં રાખવી જ રહી. ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્તના જીવન પર ઊભો છે, ઈસ્લામ મહંમદના જીવન ૫૨, બૌદ્ધ ધર્મ બુદ્ધના જીવન પર અને જૈન ધર્મ તીર્થંકરોના જીવન ૫૨. પોતાની વિભૂતિઓને લગતા ઐતિહાસિક પુરાવાઓ અંગે એ ધર્મોના અનુયાયીઓમાં ઝઘડા થાય છે એમ તેથી ફલિત થાય છે. આ મહાનુભાવોના પ્રાચીન કાળમાંના અસ્તિત્વ વિશેની ઐતિહાસિક સાબિતીઓ નબળી માલૂમ પડે છે તો, એ ધર્મની આખી ઈમારત કડડભૂસ થઈ, વેરણ છેરણ થઈ જાય છે. આ દુર્ભાગ્યથી આપણે બચી ગયા કારણ કે, આપણો ધર્મ વ્યક્તિ નહીં, સિદ્ધાંત આધારિત છે. કોઈ ઋષિમુનિના, અરે અવતારના અધિકારથી પણ તમારો ધર્મ સાંપડ્યો છે માટે તમે તેમાં માનો છો તેમ નથી. વેદનું પ્રમાણ કૃષ્ણ નથી, વેદો કૃષ્ણનું પ્રમાણ છે. વેદોના થઈ ગયેલા બધા ઉપદેશોમાં એ સૌથી મહાન નેતા તે કૃષ્ણનો મહિમા છે. બીજા અવતારો વિશે અને, બીજા બધા આપણા ઋષિવરો માટે તેમ જ છે.’

શ્રુતિનો અર્થ, સામાન્ય રીતે, વેદો થાય છે; એનો ખાસ અર્થ ઉપનિષદો છે; એ વેદોને અન્તે આવતાં હોવાથી વેદાન્ત કહેવાય છે પણ, ઊંડેરા અર્થમાં એ વેદોનું સારસત્ત્વ છે. વેદો કે શ્રુતિઓ સનાતન ધર્મનો બોધ કરે છે. સનાતન એટલે સર્વકાલીન. ભારતીય આધ્યાત્મિક પરંપરા વેદોને અનાદિ માને છે. શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં પોતાના પ્રવચનમાં આ વિચારને સ્પષ્ટ કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે (એજન, વૉ. ૧, પૃ. ૬–૭):

‘એક પુસ્તક અનાદિ કે અનંત હોઈ શકે તે આ શ્રોતાગણને હાસ્યાસ્પદ લાગશે. પણ વેદો એટલે કોઈ ગ્રંથો નથી. ભિન્ન ભિન્ન સમયે, ભિન્ન ભિન્ન લોકોએ શોધેલાં આધ્યાત્મિક સત્યોનો સંગૃહીત ખજાનો વેદો છે. ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયા પહેલાં અસ્તિત્વ ધરાવતો હતો અને, બધી માનવજાત તેને ભૂલી જાય તો પણ અસ્તિત્વમાં રહેશે તેમ, આધ્યાત્મિક વિશ્વનું નિયમન કરતા નિયમો વિશે પણ તેવું જ છે. આત્મા આત્મા વચ્ચેના નૈતિક સંબંધો અને, વૈયક્તિક આત્માઓ અને સર્વ આત્માઓના પિતા વચ્ચેના સંબંધો એમની શોધ પૂર્વે હતા અને, આપણે એમને ભૂલી જશું તો પણ, તે હોવાના જ.

‘આ નિયમોના શોધકો ઋષિઓ કહેવાય છે. અમે એમનો પૂર્ણાત્માઓ તરીકે આદર કરીએ છીએ. એમાંની કેટલીક વ્યક્તિઓ સ્ત્રી હતી એમ આ શ્રોતાસમુદાયને કહેતાં હું હર્ષ પામું છું.’

ઉપનિષદ શબ્દનો અર્થ

ઉપનિષદની વ્યુત્પત્તિ જણાવતાં શંકરાચાર્ય જે કહે છે તે પરથી સ્પષ્ટ થાય છે કે આ પારંપરિક દૃષ્ટિબિન્દુ છે. એ શબ્દનો અર્થ છે, ગુરુની ‘પાસે બેસીને’ શિષ્યે મેળવેલું જ્ઞાન. કઠ ઉપનિષદ પરના પોતાના ભાષ્યની પ્રસ્તાવનામાં આ શબ્દની નિષ્પત્તિ સમજાવતાં શંકરાચાર્ય કહે છેઃ

‘કેન પુનરર્થયોગેન ઉપનિષચ્છબ્દેન વિદ્યા ઉચ્યતે, ઈત્યુચ્યતે. યે મુમુક્ષવો દૃષ્ટાનુશ્રવિક-વિષય-વિતૃષ્ણાઃ સન્તઃ ઉપનિષચ્છબ્દવાચ્યાં વાક્ષ્યમાણલક્ષણાં વિદ્યાં ઉપસદ્ય, ઉપગમ્ય, તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયન્તિ, તેષાં અવિદ્યાદે: સંસારબીજસ્ય વિશરણાત્, હિંસનાત્, વિનાશનાત્, ઈત્યનેન અર્થયોગેન વિદ્યા ઉપનિષદિત્યુચ્યતે–’

‘શબ્દનિષ્પત્તિના ક્યા વ્યાપારથી ઉપનિષદનો અર્થ વિદ્યા થાય છે? એ હવે સમજાવાય છે. દેખાતા કે સંભળાતા બધા વિષય-પદાર્થો પ્રત્યે અતૃષ્ણાના ભાવથી ભૂષિત, મુમુક્ષાના ચાહકો ઉપનિષદ તરીકે ઓળખાવતા પદાર્થ તરફ વળે છે અને એક નિષ્ઠાથી એમને સેવે છે. આવા મનુષ્યોની અવિદ્યાને તે દૂર કરે છે, તોડે છે કે છેદે છે; એ અવિદ્યા સર્વ સાપેક્ષ અસ્તિત્વનું કે સંસારનું બીજ છે. આ અર્થયોગથી ઉપનિષદ વિદ્યા કહેવાય છે.’

એક શક્ય વિરોધની અપેક્ષા કરી, શંકર આગળ કહે છેઃ

નનુ ચ ઉપનિષચ્છબ્દેન અધ્યેતારો ગ્રન્થમપિ અભિલષન્તિ ઉપનિષદમ્ અધીમહે, ઉપનિષદમ્ અધ્યાપયામ ઈતિ ચ. નૈષ દોષઃ; અવિદ્યાદિ સંસારહેતુવિશરણાદેઃ સદિધાત્વર્થસ્ય ગ્રન્થમાત્રે અસંભાવત્ વિદ્યાયાં ચ સંભવાત્, ગ્રન્થસ્થાપિ તાદર્થ્યેન તચ્છબ્દત્વોપપત્તેઃ, આયુર્વૈ ધૃતમ્ ઈત્યાદિવત્. તસ્માત્ વિદ્યામાં મુખ્યયા વૃત્ત્યા ઉપનિચ્છબ્દો વર્તતે, ગ્રન્થે તુ ભક્ત્યા ઈતિ. –

‘એમ કહી શકાય કે, વિદ્યાર્થીઓ ગ્રન્થના ઉલ્લેખ માટે ‘ઉપનિષદ’ શબ્દ પ્રયોજે છે જ્યારે તેઓ કહે છેઃ ‘આપણે ઉપનિષદ ભણીશું,’ ‘આપણે ઉપનિષદ શિખવીશું.’ આ કંઈ દોષ નથી; કારણ કે, (ઉપ્-નિ-ષદ્ માનાં) ધાતુ સદ્‌નો અર્થ સંસારબીજનો નાશ છે. એ કેવળ પુસ્તકમાંથી પ્રાપ્ત કરી શકાય નહીં પણ, જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત કરી શકાતો હોઈ, ગ્રંથને પણ આ નામે ઓળખી શકાય કારણ કે, (આડકતરી રીતે) ગ્રંથ પણ એ હેતુને જ સિદ્ધ કરે છે, જેમ, ‘ઘી જ ખરે જીવન છે,’ એમ આપણે કહીએ છીએ. એટલે, ‘ઉપનિષદ’ શબ્દનો પ્રાથમિક અર્થ જ્ઞાન થાય છે અને, દ્વૈતીયિક અર્થગ્રંથ છે.’

વિદ્યાર્થી ગુરુની ‘સાવ પાસે’ બેસીને ભણે એનો અર્થ ગુરુશિષ્ય વચ્ચેનો અંતરંગ સંવાદ. ખોજ જેટલી વધારે ઉચ્ચ જ્ઞાનની તેટલો સંવાદ ઉચ્ચતર અને, જ્ઞાનની આપલેમાં તેટલો વધારે મૌનનો સાથ. શીખાતું અને શિખડાવાતું જ્ઞાન, આત્મજ્ઞાન અથવા બ્રહ્મજ્ઞાન પરા કોટિનું હોય ત્યારે, આ મૂલ્યો પરાકાષ્ઠાએ પહોંચે છે; બ્રહ્મસૂત્ર (૧.૧.૨) પ૨ની પોતાની ટીકામાં શંકરાચાર્ય દર્શાવે છેઃ અનુભવાવસાનત્વાત્ ભૂતવસ્તુવિષયત્વાત્ ચ બ્રહ્મજ્ઞાનસ્ય – ‘જે સત્ય અસ્તિત્વ ધરાવે છે તેનો સંબંધ બ્રહ્મ સાથે હોઈ, અનુભૂતિ (કે સાક્ષાત્કાર)માં એ પૂર્ણતા પામે છે.

સત્ય વિરુદ્ધ મત

સત્ય માટેનો પ્રેમ અને સત્યની નિર્ભીક ખોજ ઉપનિષદોનું એક આકર્ષક લક્ષણ છે. આ સંબંધમાં રોબર્ટ અર્નેસ્ટ હ્યુમ પોતાના પુસ્તક ધ થર્ટીન પ્રિન્સિપલ ઉપનિષદ્‌ઝ (પૃ.૩૦, પાદટીપ)માં કહે છેઃ

‘સત્યની ખોજ માટેની તીવ્ર પ્રામાણિકતા ઉપનિષદોનું એક આનંદદાયક અને સરાહનીય લક્ષણ છેઃ’

ઉપનિષદોમાં આપણે હંમેશા લગનવાળા શિષ્યો અને ગુરુઓના સાથમાં હોઈએ છીએ; તત્ત્વચિંતનના ઈતિહાસમાં જવલ્લે જ જોવા મળતી નિષ્ઠા અને ચીવટથી તથા, પરલક્ષિતા અને તટસ્થતાથી, તેઓ સમગ્ર તત્ત્વદર્શનના અને ધર્મના મૂળભૂત પ્રશ્નો ચર્ચે છે. ટોમસ હકસલે જેને મત અને સત્ય વચ્ચેનો તફાવત કહે છે તે ઉપનિષદોએ ઈતિહાસના આદિકાળમાં શોધી કાઢ્યો હતોઃ

‘હું આમ અને આમ માનું છું.’ અને ‘હું આમ અને આમ સત્ય હોવાનું માનું છું.’ હકસલે કહે છે (પોતાના ઈન્ટ્રોડકશન ટુ સાયન્સ માં જે. આર્થર ટોમ્સને આપેલું અવતરણ, પૃ. ૩૨):

‘હું જેમ વધારે જીવું છું તેમ, મને સ્પષ્ટ દેખાય છે કે, માનવજીવનનું સૌથી વધારે પવિત્ર કાર્ય એમ કહેવાનું અને માનવાનું હોઈ શકે કે, ‘આમ આમ વાતને હું સત્ય માનું છું.’ અસ્તિત્વનાં બધાં ઉત્તમ પારિતોષિકો અને બધી આકરી શિક્ષાઓ આ એક કાર્યને વળગી રહી છે.’

અનુભૂતિની કસોટીએ ઊભી રહી હોય અને ઊભી રહી શકે તે માન્યતા જ સત્ય, કોઈ એક વ્યક્તિએ કહી છે કે એક ગ્રંથમાં લખેલી છે માટે નહીં. પાયાનાં વેદાન્તી સત્યો આ વર્ગનાં છે; સર્વ કોઈ એની સત્યતાની ખાતરી કરી શકે છે. માટે તો એ વૈશ્વિક સત્યો છે. બૃહદારણ્યક ઉપનિષદ પરની પોતાની ટીકામાં, શાસ્ત્રીય ઉક્તિઓની સત્યતા વિશે વાત કરતાં શંકરાચાર્ય આ બાબત વિશે જોરદાર રજૂઆત કરે છે (૧.૨.૩):

ન વાક્યસ્ય વસ્તન્વાખ્યાનમ્ ક્રિયાન્વાખ્યાનમ્ વા પ્રામાણ્યાપ્રામાણ્યકારણમ્, કિં તર્હિ? નિશ્ચિતફલવત્ વિજ્ઞાનોત્પાદકત્વમ્. તત્ યત્ર અસ્તિ, તત્ પ્રમાણં વાક્યમ્; યત્ર નાસ્તિ, તત્ અપ્રમાણમ્ –

‘કોઈ વસ્તુ કે કાર્ય વિશે વાક્ય કંઈ કહે છે તે એની સત્યતાની કસોટી નથી. તો એ કઈ છે? થોડું ફલદાયી જ્ઞાનનું ઉત્પાદન કરવાની એની શક્તિ તે છે. જે વાક્યમાં આ છે તે પ્રમાણ છે, જેનામાં એ નથી તે અપ્રમાણ છે.’

કોઈ વ્યક્તિ કે સમૂહની, સંપ્રદાયની કે મઠની, ખૂબ ભાવનામય તીવ્રતાથી ધારણ કરાયેલી અને, એટલા જ આગ્રહપૂર્વક બીજાંઓના સ્વીકાર માટે પ્રક્ષિપ્ત કરાયેલી ખાનગી માન્યતાઓ ‘ઉત્તમ પરિણામો’નો દાવો કરી શકે નહીં કારણ કે, તર્કબુદ્ધિની આકરી કસોટીએ ચડવાનું અને, પરીક્ષણ માટે જગતમાં ખુલ્લા મુકવાનું આકરામાં આકરું મૂલ્ય એણે ચૂકવ્યું નથી. વેદાન્તની આ અનન્ય લાક્ષણિકતાનો નિર્દેશ કરતાં (ધ લાઈફ ઓવ વિવેકાનંદ એણ્ડ ધ યુનિવર્સલ ગોસ્પેલ ત્રીજું સંસ્કરણ, ૧૯૪૭, પૃ. ૧૯૬)માં રોમાં રોલાં કહે છેઃ

‘પૂર્વ નિર્ધારિત ખ્યાલોના તંત્ર સાથે સાચી વેદાન્ત ભાવના આરંભાતી નથી. અવલોકવાની ઘટનાઓ અને એમના સંકલન માટેના વિવિધ અનુમાનો બાબત ધર્મોમાં એ સંપૂર્ણ સ્વાતંત્ર્ય અને અનન્ય હિમ્મત ધરાવે છે. પુરોહિતવર્ગથી સર્વદા અબાધિત, વિશ્વના ભવ્ય દર્શનની સમજ માટે પોતાને ઠીક લાગે તે માર્ગે જવા દરેક મનુષ્ય સ્વતંત્ર છે.’

ઉપનિષદોની માનસિક આબોહવા

આ ઉપનિષદોની સત્યની નિર્ભીક ખોજનો ઉલ્લેખ મેં અગાઉ કર્યો છે. પ્રાચીનભારતના આ ઋષિઓનાં તર્ક શુદ્ધ વલણ અને હિમ્મતભરી ખોજથી આ સાહિત્યનો કોઈ વાચક છટકી શકે નહીં.

એમની ખોજની ભાવના એમને અનુભૂતિ વિશે શંકા કરવા, ઊભેલા સંસાર વિશે શંકા કરવા એમને દોરી ગઈ; પોતાના દેવો વિશે અને પોતાની પારંપરિક શ્રદ્ધા વિશે પણ તેમણે નિર્ભયપણે શંકા ઉઠાવી. આ છેલ્લી બાબતમાં, પ્રાચીન જગતની બીજી મેધાવી પ્રજા, ગ્રીકોથી એમણે પોતાની વિશિષ્ટ ભિન્નતા દાખવી; પ્રાચીન ગ્રીક પ્રજાએ સામાજિક અને રાજકીય ઘટનાઓના બૌદ્ધિક અન્વેક્ષણમાં જે ધગશ દાખવી અને જેને પરિણામે તેમનું યોગદાન અનન્ય અને ચિરંજીવી બની શક્યું તે ધગશ આ ક્ષેત્ર માટે તેમના ચિત્તમાં જાગી નહીં. તર્કપૂત અને નિશ્ચિત જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, ઔપનિષદિક અને, વૈદિક ઋષિઓ પણ, શંકા કરતાં જરાય અચકાતા નહીં, શંકાવાદની સર્જનાત્મક અગત્યનું ઉદાહરણ એ પૂરું પાડે છે; સત્યની શોધમાં આવો સંશય બૌદ્ધિક શ્રદ્ધાનું પહેલું પગથિયું છે.

બહિર્જગતના સત્યની શોધ એ લોકો કરતા હતા ત્યારે, તેમની મતિ મૂંઝાઈ ગઈ; તપાસમાં ઊંડા ઊતર્યા તેમ રહસ્ય વધારે ઘેરું બન્યું. પ્રાચીન ભારતીય ચિત્ત પર આ રહસ્યની અસર ઋગ્વેદનું નાસદીય સૂક્ત આકર્ષક અને પડકાર રૂપે વર્ણવે છે. આંતર્જગતનું રહસ્ય સમજવા યત્ન ન કર્યો તો, જ્ઞાનની વૃદ્ધિ છતાં, બહિર્જગતનું રહસ્ય ઘટવાને બદલે વધારે ઘેરું થશે એમ, અર્વાચીન ચિંતકો જે આજે જાણે છે તે, પ્રાચીન ભારતીય ચિત્તે વહેલેરું જાણ્યું હતું. સત્યના સંપૂર્ણ તત્ત્વદર્શન માટે, અનુભૂતિનાં બાહ્ય અને આંતરિક, બંને ક્ષેત્રોની માહિતીની આવશ્યકતા છે.

અવલોકિત પક્ષના જ્ઞાન ઉપર અવલોકનારના પક્ષની અસર વિશે આધુનિક વિજ્ઞાન જાગ્રત થયું છે. જ્ઞાતા તરીકે આત્મા અન્ – આત્માના, જ્ઞાનના જ્ઞાનમાં સંડોવાય છે તો, આત્માના સ્વરૂપ વિશે અને જ્ઞાનના સ્વરૂપ વિશેની ખોજ, સત્યના સ્વરૂપના અન્વેષણમાં માત્ર ખરી નહીં પણ, અનિવાર્ય અને અંગભૂત ભાગ જેવી બની રહે છે. સર આર્થર એડિંગ્ટને જણાવ્યા પ્રમાણે (ફિલોસોફી ઓફ ફિઝિકલ સાયન્સ, પૃ. ૫):

‘આપણે જે જ્ઞાનની ખોજ કરીએ છીએ તેનું સ્વરૂપ સમજવા માટે, જ્ઞાનની ખોજમાં એ એક સાચું સાધન છે તેમ આપણે જાણી શક્યા છીએ.’

એટલે, આંતર્જગત વિશે વિચારવામાં સમર્પિત થવાનું ઉપનિષદોએ નક્કી કર્યું ત્યારે, માનવચિંતનથી એ ખૂબ જ આગળ હતાં. અંતરને ભેદવા ઉપર ભાર મૂકીને, ‘માનવી તારી જાતને ઓળખ,’ એ કથનની જોરદાર રજૂઆત ગ્રીકો સદીઓ પછી કરવાના હતા પરંતુ, એમાં તેઓ અર્ધે રસ્તે જ અટકી ગયા હતા. તે બાબતે ભારતીય સંસ્કૃતિ અને ચિંતનને ઉપનિષદોએ કેવળ સનાતન સ્વરૂપ આપ્યું એટલું જ નહી પણ, પૂર્વ અને પશ્ચિમના બધા તત્ત્વજ્ઞાન માટે કેડો પાડી આપ્યો.

ઉપનિષદો એમના ચિંતકો વિશે કોઈ અંગત વિગતો જણાવતાં નથી; પરંતુ તેમનાં ચિત્તના કાર્યની તેઓ ઝાંખી કરાવે છે. ’ વિચારનો વિચાર સાથેનો સંઘર્ષ, બુદ્ધિને વધારે સંતર્પક અને, અનુભૂતિની ઊંડેરી કક્ષાઓ સાથે વધારે સુસંગત એવા વધારે ને વધારે નવતર વિચારનો ઉદ્‌ગમ અને, ઓછા ઉપયુક્ત વિચારના અશ્રુપાત વગર ત્યાગનું અધ્યયન આપણે આ સાહિત્યમાં કરી શકીએ છીએ. અનુભવ અને તર્કની સરાણ ઉપર કસીને અનુમાનોનો સ્વીકાર અને ત્યાગ કરવામાં આવે છે, એક સંપ્રદાયની આજ્ઞાથી નહીં. આ રીતે, મનુષ્ય અને, જે વિશ્વમાં, એ વસે છે તેનું રહસ્ય ઉકેલવા ચિંતન આગળ વધે છે અને, ચિંતનનો આ વિકાસવેગ આપણે નિરખી શકીએ છીએ અને, પૂરા સંવેદનશીલ હોઈએ તો, મુણ્ડક ઉપનિષદ (૩.૨.૮) અનુસારની સત્ય, સુંદર અને આનંદનાં મહાસાગર ભણીની એના પ્રવાહની કૂચનો અનુભવ પણ કરી આપણા એકત્વનો અનેક પાછળના એક તરીકે સાક્ષાત્કાર કરી શકીએ છીએ :

યથા નદ્ય: સ્પન્દમાના સમુદ્રે
અસ્તં ગચ્છન્ત્તિ નામરૂપે વિહાય;
તથા વિદ્વાન્ નામરૂપાત્ વિમુક્તઃ
પરાત્પરમ્ પુરુષમુપૈતિ દિવ્યમ્ –

‘વહેતી નદીઓ નામરૂપ ત્યજી દઈ સમુદ્રમાં ભળે છે તેમ, નામરૂપ(થી ઉદ્ભવતા ભેદને) ત્યજી દઈ, અવ્યક્ત પ્રકૃતિથી પર દિવ્ય પરાત્પર બ્રહ્મને પામે છે.

અદ્ભુત બૌદ્ધિક અને આધ્યાત્મિક ઉથલપાથલ ઉપનિષદોના કાળમાં મચી રહી હતી. સત્ય અને અર્થની મનુષ્યની ખોજમાં કંઈ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરાઈ હોય એવો માનવઈતિહાસનો એ અનન્ય યુગ હતો; પછીના યુગો પર એની ખૂબ ઊંડી અસર પડી છે. સત્ય માટેની ઉત્કટ ભાવનાથી અને, માનવી સુખ અને કલ્યાણ માટેની એટલી જ ઉત્કટ ભાવનાથી ઉપનિષદોની બૌદ્ધિક આબોહવા સભર ભરી છે. મેક્સમૂલરે(થ્રી લેકચર્ઝ ઓન વેદાન્ત ફિલોસોફી, પૃ. ૩૯માં) આ પ્રમાણે, લખ્યું છે. ‘એમના ચિંતકો લોકોને ખુશ રાખવાની કે ટીકાકારોને રાજી રાખવાની ઈચ્છાથી મુક્ત હતા. દુન્યવી આનંદો અને સ્વર્ગીય સુખો જ માત્ર નહીં પણ, જે સાધવું પડે છે તે, ગમતી માન્યતાઓ અને ખુશ કરતા પૂર્વગ્રહો સુધ્ધાંનો ત્યાગ તેમને આકરો લાગ્યો ન હતો. પોતાના પુસ્તક, સિક્સ સિસ્ટમ્સ ઓફ ઈણ્ડિયન ફિલોસફીમાં (પૃ.૧૪૨ ૫૨), ઉપનિષદોની આ લાક્ષણિકતા ઉલ્લેખતાં, મેક્સમૂલર કહે છેઃ ‘હજારો વર્ષો પૂર્વ ભારતના અથાક અને નિર્ભીક ચિંતકોએ વેદાન્ત જેવી વિચારધારા ધીમે ધીમે ખીલવી હોય એ અતિ આશ્ચર્યજનક છે; ગોથિક કેથેડ્રલ (દેવળ)ના ગોળ, ઊંચા મિનારાનાં છેલ્લાં પગથિયાં ચડતાં જેમ માથું ચક્કર ચક્કર ભમવા લાગે છે તેમ આ વિચારધારાથી આપણું મસ્તક આજે પણ ભમવા લાગે છે. હેરાક્લિટસ, પ્લેટો, કાંટ કે હેગલ સહિતના, કોઈનાયે અપવાદ વિના, આપણા કોઈ દાર્શનિકે, ઝંઝાવાતો, વીજપ્રપાતોનો ડર રાખ્યા વિના, આવા મિનારાઓ ચણ્યા નથી. પહેલું પગથિયું મુકાયા પછી, આદિમાં માત્ર એક ને એક જ હતું પછી એને આપણે આત્મા કહીએ કે બ્રહ્મ કહીએ – તેનું સ્પષ્ટ દર્શન થયા પછી, પથ્થર પછી પથ્થર પછી પથ્થર આવ્યા કરે છે.’

ધગશવાળા અને સંનિષ્ઠ ગુરુશિષ્યોની આંજે તેવી પરંપરા; અહીં નાની મંડળીઓમાં અને ત્યાં મોટી પરિષદોમાં જીવન ચર્ચા અને શિષ્ટ વિચાર સંઘર્ષની દિલ હલાવે તેવી નોંધ; છટાદાર અને પ્રત્યક્ષ, મુક્તિ અને આનંદનાં ગીતોમાં અંકિત, અવારનવાર ભવ્ય ઉચ્ચતા આંબતા ચિંતનની ઊડ; એમનાં ઊડતાં તીરોમાં પીછાંની ગરજ સારતાં સુંદર રૂપકો અને દૃષ્ટાંતોનો અસરકારક ઉપયોગ; સત્યની શોધમાં કે તેનાં આદાનપ્રદાનમાં ખુલ્લા કે ગોપિત, ધર્મનિપેક્ષ કે ધાર્મિક, હઠાગ્રહનો સદંતર અભાવ; માણસની સન્મુખે મુકાયેલાં સત્યોનાં અન્વીક્ષણ માટે તેને નિત્ય આવાહન; ધર્મ, જાતિ અને લિંગમાં વિભક્ત નહીં પણ, માણસ પ્રત્યે માણસ તરીકેનું વર્તન – આ અને આવાં બીજાં લક્ષણો ઉપનિષદોને સનાતન તત્ત્વદર્શનની અને, અમર સાહિત્યના સૌન્દર્ય અને પ્રસાદની ચિરંજીવ અને મહાન શક્તિ અર્પે છે.

અન્યત્રનાં તત્ત્વદર્શનો અને અહીંનાં બીજાં દર્શનોથી ઊલટું, વેદાન્ત જીવંત દર્શન છે; અને, એ ઝાંખા ભૂતકાળમાં એની પ્રથમ માંડણી થઈ ત્યારથી તે આજ સુધી, ભારતની વિશાળ અને વિવિધ સાંસ્કૃતિક અનુભૂતિ પાછળનું આધ્યાત્મિક પ્રેરણાબળ એ રહેલ છે.

ઉપનિષદો અને ભારતીય સંસ્કૃતિ

ઉપનિષદોને સમજ્યા વિના ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિનો તાગ કાઢવાનું શક્ય નથી. ભારતમાંના ધર્મ અને દર્શનના પછીના દરેક વિકાસે ઉપનિષદો પાસેથી ખૂબ લીધું છે. સગુણ ભક્તિનો માર્ગ, કર્મ માર્ગ અને ગીતા બોધિત સમન્વિત આધ્યાત્મિકાનો માર્ગ, સઘળા ઉપનિષદોમાંથી ફલિત થયેલા છે. ગીતાનું વર્ણન બ્રહ્મવિદ્યાન્તર્ગત યોગશાસ્ત્ર તરીકે કરવામાં આવ્યું છે. ભારતીય ધર્મો ઉપરની ઉપનિષદોની આ ઘેરી છાયા પર ભાર દેતાં સ્વામી વિવેકાનંદ (કંપ્લીટ વર્ક્સ, વૉ. ૪ પૃ. ૨૪૦-૪૧ ૫૨) કહે છેઃ

‘ઉપનિષદો પછીના કાળમાં થયેલી બધી ધાર્મિક વિચારણા આપણને ઉપનિષદોમાં સાંપડે છે. કેટલીક વાર તદ્દન નિરાધારપણે દલીલ કરવામાં આવે છે કે ઉપનિષદોમાં ભક્તિનો આદર્શ નથી. ઉપનિષદોના અભ્યાસીઓ જાણે છે કે આ આક્ષેપ સાચો નથી. દરેક ઉપનિષદોમાં તમે શોધશો તો પૂરતી ભક્તિ મળશે; પણ, પુરાણોમાં અને બીજી શ્રુતિઓમાં પછીથી પૂર્ણ રૂપે વિકસેલા આ ખ્યાલો ઉપનિષદોમાં બીજરૂપે છે. જાણે કે રૂપરેખા હતી, માળખું હતું. કેટલાંક પુરાણોમાં એને પૂર્ણ કરવામાં આવ્યું. પણ જેનું મૂળ ઉપનિષદોમાંથી ન શોધી શકાય તેવી પૂર્ણ વિકસિત એક પણ ભારતીય વિચાર નથી.’

બ્લૂમફીલ્ડ (ધ રિલીજ્યન ઓવ ધ વેદઝ, પૃ. ૫૧)ના શબ્દો અનુસારઃ

‘રૂઢિ વિરોધી બૌદ્ધવાદ સહિતની ભારતની અગત્યની એક પણ વિચારાધારા એવી નથી જેનાં મૂળ ઉપનિષદોમાં ન હોય.’

ભારતના દીર્ઘ ઈતિહાસના દરેક સર્જનાત્મક કાળમાં આ વેદાન્તી પ્રેરણાની અસર એની પાછળ રહેલી છે. આ પ્રેરણાસ્રોત સુકાયો છે ત્યારે, તે જ રીતે, ભારતની સંસ્કૃતિમાં અને ચેતનામાં ઓટ આવી છે. ભૂતકાળમાં ગીતા, બુદ્ધ અને શંકરના અને, અર્વાચીન કાળમાં, શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના યુગો ભારતના પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસમાં આવા દિશાસૂચકો છે. વેદાન્તના આ બલપ્રદ અને પાવનકારી તત્ત્વદર્શન સાથે અદ્યતન વિજ્ઞાન અને ટેકનોલોજીની ઊર્જા જોડીને, ભારતના નવસર્જન માટે સ્વામી વિવેકાનંદે તેને વહેતાં મૂકેલ છે. વેદાન્તની એ ઊર્જા કેવળ ભારત પૂરતી મર્યાદિત રાખી શકાતી નથી; એ પ્રથમ પશ્ચિમમાં અને પછી પૂર્વમાં વહી છે અને અર્વાચીન માનવીને ઘડી રહી છે.

આમ ઉપનિષદો શક્તિ અને સર્જકતાનું શાશ્વત ઝરણ છે. માનવ વ્યક્તિત્વના અનંત પરિમાણ, અમર આત્મા તરીકે માનવને જોવાથી એમને આ સર્જકતા અને શક્તિ સાંપડે છે. મનુષ્ય આત્માની મુક્તિ એમનું વિષય-વસ્તુ છે અને, નિર્ભયતા, પ્રેમ, સેવા એમનો સંદેશ છે. મુક્તિના અને નિર્ભયતાના, પ્રેમ અને સેવાના અને દરેક પુરુષ કે સ્ત્રી વડે પોતાના મૂળભૂત આધ્યાત્મિક સ્વરૂપને પામવાના તથા સાન્ત સંસારની મર્યાદાઓ ઓળંગવાના મહાન સાહસ માટે એ પ્રત્યેકને પોકારે છે. સામાજિક, રાજકીય કે ધાર્મિક, માત્ર એટલું જ નહીં પણ, જીવમાત્રમાં રહેલી, વારસાગત મુક્તિની ઝંખનાની અભિવ્યક્તિ તરીકે, જીવનની ઘટનાને, એક કોષમાં કે દેહે, સામાજિક કે રાજકીય યંત્રણામાં, ધાર્મિક માન્યતામાં કે તાત્ત્વિક વિચારણામાં કે સંબંધોના તાણાવાણામાં કે સાપેક્ષતાની જાળમાં બદ્ધ અનન્તના દરેક મહાન આંદોલનને એ સમજાવે છે. એટલે તો મનુષ્યને તેમનું આહ્વાન છે જાગવાનું અને આગળ વધવાનું : ‘ઊઠો! જાગો! અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો!’ આમ કઠ ઉપનિષદના ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત’, એ શક્તિશાળી શબ્દોને સ્વામી વિવેકાનંદે અપનાવતાં કહ્યું હતું.

પોતાના જીવનનાં અને સંસ્કૃતિનાં લગભગ બધાં તેજસ્વી પાસાંઓ માટે ભારત ઉપનિષદોનું ઋણી છે. પોતાની હદમર્યાદામાં સક્રિય સહિષ્ણુતાના અને, ધર્મને લગતા વિદેશો સાથેના સંબંધોમાં સતત શાંતિમય અને ઉદાર સ્વરૂપના તેજસ્વી ઈતિહાસ માટે ભારત એમનું ઋણી છે. પોતાના ઈતિહાસનાં હજારો વર્ષોમાં આક્રમક રાજકીય કે લશ્કરી નીતિરીતિના અનન્ય અભાવ માટે ભારત એમનું ઋણી છે. પોતાના જીવનનાં રાષ્ટ્રીય સ્રોતો ગુંગળામશ અનુભવતા સુકાઈ જતા લાગે ત્યારે, એમના પુનર્જીવન માટે ભારત ઉપનિષદોનું ઋણી છે. તેમજ, સર્વ શક્તિમાન મંદિરના લાંબા હાથના અને, રાષ્ટ્રીય જીવન અને મન ઉપર જેની પકડમાંથી ન છટકી શકાય તેવી ધર્મશાસ્ત્રની નાગચૂડના અભાવ માટે દેશ તેમનો જ ઋણી છે; એમના એક પછી એક આવેલા ઉત્તરકાળમાં, યુક્ત, સર્જનાત્મક અને વૈશ્વિક આત્માઓના પ્રાગટ્યને તથા નિબંધ કાર્યને તેમણે શક્ય બનાવેલ છે; આ મહાન આત્માઓ લોકોની સુષુપ્તિને દૂર કરી તેમના આત્માઓને પવિત્ર રાહે વાળવા તથા પુનઃ ચેતનવંતા બનાવવા આવ્યા હતા તેમજ ઉપનિષદોએ ભારતના ધર્મોને બક્ષેલ અપૌરુષેય ભૂમિકાના આશીર્વાદના અભાવથી બધા સેમિટિક ધર્મોમાં આધ્યાત્મિક સુધારકોને જે શત્રુતાનો અને ત્રાસનો સામનો કરવો પડ્યો હતો તેનો સ્થાને આ મહાત્માઓને ભારતની પ્રજાએ આવકાર આપી દૈવી સન્માન કર્યું હતું; આવા લોકોત્તર જનો ભારતના ઈતિહાસના દરેક પૃષ્ઠને ઉજાળે છે.

અને, આજે, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદમાં એ વેદાન્તી ભાવના, એ શક્તિનો અભૂતપૂર્વ આવિષ્કાર ભારતને એના ઈતિહાસને બીજે આવે સર્જનાત્મક તબક્કે મૂકે છે.

શ્રીરામકૃષ્ણની જન્મશતાબ્દી પ્રસંગે, ૧૯૪૯માં, તેમને અંજલિ આપતાં રવીન્દ્રનાથ ઠાકુરે ગાયું હતુંઃ

બહુ સાધકેર બહુ સાધનાર ધારા
ધ્યાને તોમાર મિલિત હોએછે તારા;
તોમાર જીવને અસીમેર લીલાપથે
નૂતન તીર્થ રૂપ નીલો એઈ જગતે;
દેશ વિદેશર પ્રણામ આનિલ ટાનિ,
સેથાઈ આમાર પ્રણતિ દિલામ આમિ –

‘તમારા ધ્યાનમાં અનેક સાધકોની અનેક સાધનાધારાઓ ભળી ગઈ છે, તમારા જીવનના અસીમ લીલાપથે આ જગતમાં એક નવીન તીર્થનું રૂપ ધારણ કર્યું છે, દેશ વિદેશના સાધકોના પ્રણામ એ આકર્ષે છે, તેમાં હું મારા પ્રણામ જોડું છું.’

બંગાળના ક્રાંતિકારી મુસ્લિમ કવિ કાઝી નઝરુલ ઈસ્લામ એમને માટે કહે છેઃ

મંદિરે મસ્જિદે ગિરિજાય
પૂજિલે બ્રહ્મે સમશ્રદ્ધાય;
તવ નામ માખા પ્રેમ નિકેતને
ભરિયાછે તાઈ ત્રિસંસાર –

‘મંદિરમાં, મસ્જિદમાં અને ગિરિજાઘરમાં સમાન શ્રદ્ધાથી તેં બ્રહ્મને આરાધ્યો છે; એ કારણે, તું જે પ્રેમભંડાર છો તે પ્રેમ વડે સમગ્ર જગત વ્યાપી રહ્યું છે.’

(ક્રમશઃ)

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.