૬૮૭. કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે.

૬૮૮.પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા ગુરુને આપણે માત્ર માનવ જ નહીં માનવા જોઈએ. શિષ્ય ઈશ્વરનું દર્શન કરે એ પહેલાં, દિવ્ય પ્રકાશમાં એ પોતાના ગુરુને જુએ છે. ને પછી, ગુરુ તેને ગોવિંદનું દર્શન કરાવે છે, એ પોતે જ ગૂઢ રીતે ગોવિંદમાં ફેરવાઈ જાય છે. પછી શિષ્ય માગે તે વરદાન ગોવિંદમય થયેલા ગુરુ આપે છે અને, શિષ્યને એ નિર્વાણના ઉચ્ચતમ આનંદશિખરે પણ લઈ જાય છે. અથવા શિષ્ય દ્વૈતની ભૂમિકાએ રહેવા ચાહે છે અને પૂજક તથા પૂજ્ય વચ્ચેનો ભેદ જાળવવા માગે છે. એ જે માગે છે તે, ગુરુ એને આપે છે.

૬૮૯. માનવગુરુ શિષ્યના કાનમાં મંત્ર બોલે છે; ગોવિંદગુરુ એના આત્મામાં પ્રાણ પૂરે છે.

૬૯૦. ગુરુ મધ્યસ્થ છે. એ ઈશ્વરને અને મનુષ્યને સાથે આણે છે; પ્રેમી અને પ્રેમિકાને ભેગાં કરનાર મધ્યસ્થી જેવા ગુરુ છે.

૬૯૧. ગુરુ મહાન ગંગા સમાન છે. લોકો બધો મળ અને કચરો ગંગામાં નાખે છે પણ તેથી, ગંગાનું પાવિત્ર્ય ઘટતું નથી. એ જ રીતે, ગુરુ બધાં અપમાન-નિંદાથી પર છે.

૬૯૨. વૈદ્યોની માફક ગુરુઓ પણ ત્રણ પ્રકારના હોય છે. એક પ્રકારના વૈદ્યો દર્દીઓને જોવા જાય ત્યારે, દર્દીને તપાસી, નાડ જોઈ, જરૂરી ઔષધ બતાવી, દર્દીને તે લેવાનું કહે. એ ઔષધ લેવાની દર્દી ના પાડે તો, એ બાબતની કશી ચિંતા કર્યા વગર એ વૈદ્ય જતા રહે. આ અધમ કક્ષાનો વૈદ્ય. એ રીતે એવા ગુરુઓ છે જે પોતાના બોધને શિષ્ય કેટલું મૂલ્ય આપે છે તેની દરકાર કરતા નથી. બીજા પ્રકારના વૈદ્યો દર્દીને દવા લેવાનું કહીને અટકી નથી જતા. એ એથી આગળ વધે છે. દવા લેવાની ના પાડનાર દર્દીને એ અનુરોધ કરે છે. એ જ રીતે, જે ગુરુઓ સત્યને પંથે ચાલવામાં અને ભક્તિ કરવામાં શિષ્યની પાછળ ખૂબ જહેમત ઉઠાવે તેનો વર્ગ મધ્યમ. અને ત્રીજા અને ઉત્તમ વર્ગના વૈદ્યો, પોતાનો અનુરોધ દર્દી ન માને તો, બળ વાપરતાં પણ ન અચકાય. દર્દીની છાતી પર ગોઠણ મૂકી એના ગળામાં આ વૈદ્ય દવા રેડે. એ જ રીતે, ઈશ્વરને પંથે જવામાં શિષ્યને સહાયરૂપ થવામાં, જરૂર પડે તો, કેટલાક ગુરુઓ બળપ્રયોગ પણ કરે. એ ઉત્તમ વર્ગના.

૬૯૫. ઈશ્વરનું રહસ્ય સમજવાને તમે ખરા આતુર હો તો, એ પોતે જ તમારી પાસે સદ્‌ગુરુ મોકલશે. ગુરુ શોધવાની કડાકૂટમાં તમારે પડવાની જરૂર નથી.

૬૯૬. ઈશ્વર પાસે જે નિષ્ઠાથી, આતુર પ્રાર્થનાથી, અને ઊંડી વ્યાકુળતાથી જાય એને ગુરુની જરૂર નથી. પણ અંતરની આવી વ્યાકુળતા જવલ્લે જ જોવા મળે છે, માટે ગુરુની આવશ્યક્તા. ગુરુ એક જ છે પણ, ઉપગુરુઓ ઘણા હોઈ શકે. જેની પાસેથી કંઈ પણ શીખવા મળે તે ઉપગુરુ. મહાન અવધૂત દત્તાત્રેયને ચોવીસ ગુરુ હતા.

(- ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી સાભાર)

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.