‘મને કંઈ સમજાતું નથી. હજુ તો આમને હું ત્રણ જ વખત મળ્યો છું. પણ એમની પાસેથી જેવો ઘરે જાઉં કે મારું મન રાતદિવસ એમની પાસે જ પહોંચી જાય છે. અને વળી એમ જ થયા કરે કે ક્યારે એમની પાસે જાઉં! જાણે કોઈ મને અહીં ખેંચી લાવે છે. ઘણું ઇચ્છું છું કે બીજી જગ્યાએ જાઉં, પણ ખબર નહિ, મારે અહીં આવવું જ પડે છે! કેમ આટલો વિવશ બની જાઉં છું!’

આ વિવશતાથી ખેંચાઈને મેટ્રોપોલિટીન સ્કૂલના મુખ્ય શિક્ષક મહેન્દ્રનાથ ગુપ્ત ચોથી વખત શ્રીરામકૃષ્ણને મળવા દક્ષિણેશ્વરની કાલીવાડીમાં આવી પહોંચ્યા! જોયું તો શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં નાની પાટ પર બેસીને યુવાન ભક્તો સાથે વિનોદ કરી રહ્યા છે, જાણે એમના જેવડા જ ન હોય! જાણે કે ત્યાં આનંદનું બજાર ભરાયું છે! મહેન્દ્રનાથે આવીને જમીન પર મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને પછી ત્યાં બેસી ગયા. તેમને જોઈને, હસીને શ્રીરામકૃષ્ણ બોલ્યા, ‘અરે ફરી વાર આવ્યો છે!’ પછી ત્યાં બેઠેલા પોતાના યુવાન ભક્તોને હસવાનું કારણ સમજાવતાં કહ્યું: ‘જુઓ, એક મોરને એક દિવસે ચાર વાગે જરાક અફીણ પાઈ દીધું! બીજે દિવસે બરાબર ચાર વાગે મોર આવીને ઊભો રહ્યો; તેને અફીણનો સ્વાદ લાગી ગયો હતો. આ બરાબર એ જ સમયે અફીણ લેવા આવી ગયો છે!’

‘દિવ્યતાના અફીણનો નશો જેને શ્રીરામકૃષ્ણે કરાવ્યો હતો એ મહેન્દ્રનાથ ગુપ્ત નાનપણથી જ અત્યંત બુદ્ધિશાળી હતા. ૧૮૭૪માં પ્રેસિડન્સી કોલેજમાં ત્રીજો નંબર મેળવી તેમણે ઓનર્સ સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. વિદ્યાર્થી કાળમાં જ દર્શનશાસ્ત્ર, ઇતિહાસ, અંગ્રેજી સાહિત્ય, પાશ્ચાત્ય ફિલસૂફી અને વિજ્ઞાન વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો હતો. બી.એ. પછી પણ તેમણે આગળ અભ્યાસ કરી કાયદામાં પદવી પ્રાપ્ત કરવી હતી. પરંતુ ગૃહસ્થ જીવનની જવાબદારી આવી જતાં પછી એમને આગળ ભણવાનો વિચાર છોડી દેવો પડ્યો હતો. તેમનાં લગ્ન કેશવચંદ્ર સેનના બહેન નિકુંજદેવી સાથે થયાં હતાં. લગ્ન પછી તેમને નોકરી લેવી પડી. શરૂઆતમાં તો તેમણે વ્યાપારી દફતરમાં નોકરી લીધી. પછી તેમને તેમના મનપસંદ શિક્ષણક્ષેત્રમાં નોકરી મળી ગઈ. પછી તો તેઓ મુખ્ય શિક્ષક પણ બન્યા. સાથે સાથે તેઓ જુદી જુદી કોલેજોમાં પણ અધ્યાપક તરીકે સેવા આપતા હતા. તેમની વિદ્વત્તા, વિષય પરત્વેનું ઊંડું જ્ઞાન, અને સમજાવવાની અનોખી શૈલીને લઈને વિદ્યાર્થીઓમાં તેમનું ખૂબ માન હતું. કેશવચંદ્ર સેનના સંબંધને લઈને શરૂઆતમાં તેઓ બ્રાહ્મસમાજનાં સિદ્ધાંતોથી આકષાર્યા હતા. બ્રાહ્મસમાજના સભ્ય નરેન્દ્રનાથ ગુપ્ત પાસેથી એમણે શ્રીરામકૃષ્ણની મહિમાની વાતો સાંભળી હતી, પણ હજુ તેમને એમના પ્રત્યક્ષ દર્શન થયાં ન હતાં!

લગ્ન બાદ એમને કૌટુંબિક સંઘર્ષનો ભોગ બનવું પડ્યું. આથી એમના જીવનમાં હતાશા વ્યાપી ગઈ. પરિવારના લોકોનો સ્વાર્થ જોઈને એમને ભારે આઘાત લાગ્યો. તેમને જીવનમાંથી રસ ઊડી ગયો. તેથી તેઓ હવે આ અસાર સંસારમાં જીવવું નથી, એમ વિચારીને આત્મહત્યાના ઈરાદાથી ઘર છોડીને ચાલી નીકળ્યા. ત્યારે તો ચિત્ત વ્યગ્ર હતું, મન ઉદાસ હતું, સ્વાર્થ ભરેલી દુનિયાને છોડીને શાશ્વત શાંતિના પ્રદેશમાં ચાલ્યા જવાની ઇચ્છા બળવત્તર હતી. પણ કોઈ અમૃત રૂપી અફીણનો મોટો ગાંગડો લઈ, એમની પ્રતીક્ષા કરી રહ્યું છે, એની એમને બિલકુલ ખબર નહોતી! પણ જે મહાશક્તિએ અજાણ્યા અમેરિકામાં રેલ્વે સ્ટેશનમાં ગાડીના એક ડબ્બામાં આખી રાત ઠૂંઠવાઈને બેઠેલા સાધુને બીજે દિવસે સમગ્ર અમેરિકાના જ નહિ, પણ સમગ્ર વિશ્વના વંદ્ય વિભુતિ વિવેકાનંદ બનાવી દીધા એ જ મહાશક્તિ પોતાના એક અનોખા મહાન કાર્ય માટે મહેન્દ્રનાથ ગુપ્તને એના નિર્દિષ્ટ માર્ગે ખેંચી રહી હતી, એની એમને ક્યાં ખબર હતી!

તેઓ પોતાના બેન બનેવીને મળવા માટે વરાહનગર ગયા અને ત્યાં રોકાઈ ગયા! ૨૬મી ફેબ્રુઆરી રવિવારનો એ દિવસ હતો. નિરાશામાં સરી પડેલા મહેન્દ્રનાથ પોતાના મિત્ર સિધુ મજુમદાર સાથે બગીચામાં ફરવા નીકળ્યા. તેઓ બેનરજીના બગીચામાં ફરી રહ્યા હતા, ત્યાં સિધુએ અચાનક કહ્યું: ‘ગંગાકિનારે એક સુંદર બગીચો છે, એ જોવા જવું છે? ત્યાં એક પરમહંસ પણ રહે છે.’ મહેન્દ્રનાથે સંમતિ આપતાં બંને ફરતાં ફરતાં કાલીવાડીમાં આવી પહોંચ્યા. બગીચાના મુખ્ય દરવાજેથી પ્રવેશ કરીને બંને શ્રીરામકૃષ્ણના ઓરડામાં જ સીધા આવ્યા. પરમહંસદેવને ભક્તોની સાથે વાર્તાલાપ કરતા જોઈને મહેન્દ્રનાથને થયું કે જાણે સાક્ષાત્‌ શુકદેવજી ભાગવતની કથા કરી રહ્યા છે! અથવા તો જાણે શ્રીચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં રામાનંદ, સ્વરૂપ ગોસ્વામી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે! પરમહંસદેવની વાણીએ એમને મુગ્ધ કર્યા. અને તેમને થયું કે કેવું સુંદર સ્થળ છે! ત્યાંથી ખસવાનું તેમને મન જ નહોતું થતું! પણ પછી સ્થળ જોવાની ઇચ્છાથી તેઓ ત્યાંથી બહાર નીકળ્યા. ભવતારિણીનું મંદિર, રાધાકાન્તનું મંદિર, કાલીવાડી વગેરે જોઈને પાછા જ્યારે તેઓ શ્રીરામકૃષ્ણના ઓરડામાં આવી પહોંચ્યા ત્યારે શ્રીરામકૃષ્ણ ત્યાં એકલા જ હતા. થોડી વાતચીત કર્યા બાદ, પ્રણામ કરીને જ્યારે તેમણે જવા માટે રજા લીધી ત્યારે શ્રીરામકૃષ્ણે તેમને ફરી પાછા આવવાનું આમંત્રણ આપ્યું. ત્યારે પણ તેમને ખબર ન પડી કે દૈવી અમૃતના અફીણનો ઘૂંટ શ્રીરામકૃષ્ણે એમને પ્રથમ મુલાકાતે જ પીવડાવી દીધો છે, જેનો નશો હવે જન્મભર ઊતરવાનો નથી.

હવે મહેન્દ્રનાથને શ્રીરામકૃષ્ણ પાસે જવાની તીવ્ર ઇચ્છા થવા લાગી. તેમનાં દર્શન કર્યાં વગર હવે તેઓ રહી શકતા ન હતા. આથી તેઓ સવારે આઠ વાગ્યામાં શ્રીરામકૃષ્ણના ઓરડામાં આવી પહોંચ્યા! આ બીજી મુલાકાત મહેન્દ્રનાથ ગુપ્તના અહંકારિક જીવનની સમાપ્તિ કરનારી બની રહી. તેમને પોતાને તો કરવી હતી આત્મહત્યા, અને હત્યા તો જરૂર થઈ, તેમના પોતાના દ્વારા નહિ, પણ બીજાના દ્વારા અને તે હત્યા હતી, એમના અહંકારની હત્યા. શ્રીરામકૃષ્ણ સાથેની ત્રણ મુલાકાતમાં તો એમના અહંકારના ચૂરેચૂરા થઈ ગયા. પોતાના જિદ્દી અહંકારને નિર્મૂળ કરનાર આ મહાપુરુષના શરણમાં તેઓ સંપૂર્ણ સમર્પિત બની ગયા! અહંકારનો વિલય થતાં આત્મપ્રકાશ પ્રગટી ઊઠ્યો. એ આત્મપ્રકાશમાં તેમણે જોયું કે જે ચૈતન્ય હતા, જે ઈશુ હતા, એ જ શ્રીરામકૃષ્ણ છે. પછી તો તેઓ લગભગ રોજ આ દિવ્યામૃતનું પાન કરવા માટે શ્રીરામકૃષ્ણ પાસે આવવા લાગ્યા. શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે જે વાતો કરતા તે અત્યંત એકાગ્રતાપૂર્વક સાંભળ્યા કરતા. તેમની પ્રકૃતિ અત્યંત શરમાળ હોવાથી બીજા ભક્તોની હાજરીમાં તેઓ ભાગ્યે જ પ્રશ્ન પૂછતાં. પરંતુ પોતાને કંઈ પણ પૂછવાનું હોય ત્યારે, શ્રીરામકૃષ્ણ એકલા હોય ત્યારે જ પૂછતા. બાકીનો સમય ચૂપચાપ સાંભળતા રહેતા. પણ તેઓ ફક્ત સાંભળવાનું જ કામ નહોતા કરતા, તેઓ તો શ્રીરામકૃષ્ણનો એક એક શબ્દ પોતાના અંતરમાં ઊતારી લેતા હતા! જાણે કે એમના હૃદયમાં કેસેટ ફરતી ન હોય, એમાં શબ્દેશબ્દ જાણે ઊતરી જતો હતો! એટલું જ નહિ પણ એમની એકાગ્ર દૃષ્ટિ શ્રીરામકૃષ્ણ ઉપર જ રહેતી. તેઓ કયા ભાવમાં છે, કઈ રીતે બોલી રહ્યા છે, કેવા હાવભાવ કરી રહ્યા છે, એ બધું જાણે એમના હૃદયમાં મૂકેલી વિડિયોકેસેટમાં કંડારાતું જતું હતું! જેમ જેમ તેઓ શ્રીરામકૃષ્ણના દિવ્યામૃતના સાગરમાં ડૂબવા લાગ્યા, તેમ તેમ તેમની મન:સ્થિતિ સાવ સહજપણે બદલાવા લાગી. અહંકાર ઓગળી ગયો. ચિત્ત શુદ્ધ થઈ ગયું. હતાશા ને નિરાશા ખંખેરાઈ ગયાં. તેમનું સમગ્ર અસ્તિત્વ જાણે શ્રીરામકૃષ્ણ સાથે તદ્રૂપ બની ગયું. આથી શ્રીરામકૃષ્ણથી તેઓ જ્યારે દૂર હોય, ત્યારે પણ જાણે શ્રીરામકૃષ્ણના ઓરડામાં બેઠેલા હોય, એવું અનુભવતા! તેર વર્ષની કિશોરવયે તેમણે રોજેરોજ બનતા મુખ્ય બનાવોને ડાયરીમાં નોંધવાની ટેવ પાડી હતી. એમની એ ટેવે જગતને આપ્યું, શ્રીરામકૃષ્ણનું સૂક્ષ્મ છતાં જીવંત સાંનિધ્ય – ‘કથામૃત’ના અનુપમ ગ્રંથ રૂપે. દિવસે તેમણે શ્રીરામકૃષ્ણ પાસેથી જે કંઈ સાંભળ્યું હોય તે સઘળું તેઓ રાત્રે પોતાની ડાયરીમાં લખી લેતા. આ વિશે પાછળથી સ્વામી માધવાનંદજીએ માસ્ટર મહાશયને પૂછ્યું હતું કે ‘તમે બધું એ જ વખતે લખી લેતા?’ ત્યારે તેમણે કહ્યું હતું: ‘ના હું ઘરે જઈને પછી રાત્રે બધું લખી લેતો. એ બધું મેં મારી સ્મૃતિમાંથી લખ્યું છે. શ્રીઠાકુરે મારા મનને એવું બનાવી દીધું હતું કે હું એમને સાતથી આઠ કલાક સુધી સાંભળતો રહેતો, તેમનું નિરીક્ષણ કરતો રહેતો. અને એ બધું જ્યારે રાત્રે ઘરે લખવા બેસતો, ત્યારે બધું જ યાદ આવી જતું.’ પોતાના ભાવિકાર્યને માટે શ્રીરામકૃષ્ણે મહેન્દ્રનાથની સ્મૃતિશક્તિને તીવ્ર બનાવી દીધી હતી કે સઘળી વાતો અને ભજનકીર્તન સુધ્ધાં તેમણે યાદ રહી જતાં! સ્વામી વિવેકાનંદે પણ પાછળથી જણાવ્યું હતું કે ‘હવે મને સમજાય છે કે શા માટે અમારામાંના કોઈ પણ અગાઉ એમના જીવન વિશે લખી શક્યા નહિ. આ મહાન કાર્ય તમારા માટે અનામત રાખવામાં આવ્યું હતું.’

અને ખરેખર એમ જ હતું. શ્રીરામકૃષ્ણના શિષ્ય તારકનાથને (સ્વામી શિવાનંદ) થયું કે ‘શ્રીરામકૃષ્ણના મુખમાંથી નીકળતા આ અમૃતમય વચનોની હું નોંધ રાખું, જેથી ભવિષ્યમાં કામ લાગે.’ એ રીતે તેઓએ નોંધ રાખવી શરૂ કરી. આ માટે તેઓ ખૂબ એકાગ્ર બનીને ઠાકુરની વાતો સાંભળવા લાગ્યા. એક દિવસ આ રીતે એકાગ્ર બનીને તેઓ શ્રીરામકૃષ્ણની વાત સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક શ્રીરામકૃષ્ણ એમની સામે જોઈને બોલી ઊઠ્યા, ‘કેમ રે? આમ કેમ સાંભળી રહ્યો છે.’ ત્યારે તારકનાથ સંકોચવશ કંઈ બોલી શક્યા નહિ પણ શ્રીરામકૃષ્ણ એની આંતરિક ઇચ્છાને જાણી ગયા હતા, એટલે કહ્યું: ‘તારો આ બધું કરવાનું નથી. તમારા લોકોનું જીવન જુદું છે.’ એ દિવસથી તારકનાથનો લખવાનો સંકલ્પ ઓગળી ગયો. અને એમણે જે કંઈ લખ્યું હતું એ સઘળું ગંગામૈયાના ખોળે વહાવી દીધું. આમ શ્રીરામકૃષ્ણદેવે પોતાની વાતો લખવાનું ઉત્તેજન કોઈનેય આપ્યું ન હતું, પોતાના પ્રિય શિષ્ય નરેન્દ્રનાથને પણ નહિ. કેમ કે આ કાર્ય માટે તેઓ સ્વયં માસ્ટર મહાશયને તૈયાર કરી રહ્યા હતા!

જ્યારે શ્રીરામકૃષ્ણે જાણ્યું કે માસ્ટર પોતાના વાર્તાલાપોની ડાયરી બનાવે છે. ત્યારે તેમણે એ નોંધ મંગાવી, પોતે જોઈ અને એ માટે એમને પ્રોત્સાહન પણ આપ્યું. જ્યારે માસ્ટર મહાશયને કોઈ બાબતમાં શંકા હોય તો તેઓ બીજે દિવસે શ્રીરામકૃષ્ણને પૂછી લેતા. શ્રીરામકૃષ્ણ પણ કોઈ મહત્ત્વની વાત વિશે બીજે દિવસે માસ્ટર સાથે ચર્ચા પણ કરતા અને એથી એમણે એ બાબત સ્પષ્ટ બની જતી. તેઓ પોતાની નોંધમાં સુધારા-વધારા પણ શ્રીરામકૃષ્ણની સૂચના પ્રમાણે કરતા રહેતા. જાણે નિશાળના એક વિદ્યાર્થીની જેમ માસ્ટર પોતે કરેલું ‘હોમવર્ક’ પોતાના આ મહાશિક્ષક પાસે સુધરાવી લેતા. આમ સાડાચાર વર્ષ સુધી એકધારું આ કાર્ય ચાલ્યું અને તેમના આ કાર્ય પર શ્રીરામકૃષ્ણે સ્વયં સ્વીકૃતિની મહોર મારી દીધી હતી! તેમણે ડાયરીમાં બધી જ નોંધ લઘુલિપિમાં પોતાની રીતે કરી હતી પણ આ બધી નોંધ એમણે પોતાના માટે જ કરી હતી. મિત્રોને તેમણે કહ્યું હતું: ‘આ નોંધ ફક્ત મારા એકલા માટે જ છે, જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી બીજું કોઈ મેળવી શકશે નહિ.’ આમ પુસ્તક રૂપે નોંધ પ્રકાશિત કરવાની એમની બિલકુલ ઇચ્છા ન હતી પણ શ્રીરામકૃષ્ણની ઇચ્છા જુદી જ હતી. તેઓ પોતે આપેલું જ્ઞાનામૃત ફક્ત એક નાનકડા કાલખંડ પૂરતું જ સીમિત રહે તેવું ઇચ્છતા નહોતા, પણ યુગો સુધી મનુષ્યો આ જ્ઞાનામૃતનું પાન કરી, આ તપ્ત સંસારમાં શાંતિ મેળવી ઈશ્વરપરાયણ બની શકે, એવી એમની ઇચ્છા હતી, અને તેથી થયું પણ એમ જ!

માસ્ટર મહાશય ગૃહક્લેશથી થાકીને તો શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા હતા. ગૃહક્લેશમાંથી સંપૂર્ણ મુક્ત થવા માટે તેમને ગૃહત્યાગ કરી સંન્યાસી બની જવાની ઇચ્છા પ્રબળ બનતી જતી હતી. શ્રીરામકૃષ્ણ એમના યુવાન શિષ્યોને કામ-કાંચનના ત્યાગનું શિક્ષણ આપી, સંન્યાસના માર્ગે તૈયાર કરી રહ્યા હતા. પણ જ્યારે માસ્ટર મહાશયે સંન્યાસ ગ્રહણ કરવાની વાત કરી ત્યારે તેમણે કહ્યું, ‘ભગવાનની કથા કરનાર પંડિતને મા પોતે જ ગૃહસ્થ રહેવા દે છે. અને તે માટે મા તેમને ‘પાસ’ આપે છે.’ સંસારની વચ્ચે રહીને જ લોકોની આગળ ભગવાનની વાતો કરવાથી તેની અસર પ્રબળ બને છે. આમ કહીને તેમની સંન્યાસ લેવાથી ઇચ્છાને તેમણે અનુમોદન આપ્યું નહિ, એટલું જ નહિ પણ આ દ્વારા માસ્ટરને તેમણે તેમના ભાવિકાર્યની જાણ પણ કરાવી દીધી. પણ એ સમયે માસ્ટર શ્રીરામકૃષ્ણની આ વાતને સ્પષ્ટ રીતે સમજી શક્યા નહિ. સંન્યાસ ગ્રહણ કરવાની, અને સઘળાંનો ત્યાગ કરી દેવાની ઇચ્છા એમના મનમાંથી નિર્મૂળ થઈ નહિ. ફરી જ્યારે તેમણે ગૃહત્યાગની ઇચ્છા શ્રીરામકૃષ્ણ આગળ વ્યક્ત કરી, ત્યારે તેમણે તેમને દૃષ્ટાંત આપી સમજાવતાં કહ્યું, ‘કોઈ અનિવાર્યતા નથી. પાણી માટે ઘણી બધી પાઈપલાઈન હોય છે. એમાંની એક જો તૂટી જાય અને એમાંથી પાણી નીકળતું હોય તો શું પાણીનો પંપ બંધ થઈ જશે? પાણીનો પૂરવઠો અટકી જશે? ઇજનેર તૂટેલી પાઈપને કાઢીને તેની જગ્યાએ નવી પાઈપ મૂકી દેશે. અને માસ્ટર સમજી ગયા. બસ તે દિવસથી તેમણે ગૃહત્યાગની ઇચ્છા છોડી દીધી, સંસારની વચ્ચે રહીને, એંસી વર્ષના દીર્ઘજીવનકાળ સુધી દિવ્યતાનાં જળને વહન કરનારી મજબૂત પાઈપ બની રહ્યા, અને એથી જ તો જગતને મળ્યું ‘કથામૃત’!

શ્રીરામકૃષ્ણદેવના લીલાસંવરણ પછી, તેઓ પોતાના પરિવારથી અલગ થઈ એકાંત ઓરડામાં રહેવા જતા રહ્યાં. શ્રીરામકૃષ્ણનું સતત સાંનિધ્ય મળે એ માટે પોતાની ડાયરીઓ ખોલીને, તેના દૃશ્યો, પ્રસંગો, વાર્તાલાપો બધું પોતાના અંતરપટ પર જીવંત કરવા લાગ્યા. ઘણીવાર તો કલાકો સુધી તેઓ આ દૃશ્યો અને શ્રીરામકૃષ્ણના શબ્દો પર ધ્યાન કરતા રહેતા, ઊંડા ધ્યાનમાં નિમગ્ન માસ્ટર જાણે ભૂતકાળને ભૂંસીને તે સમયમાં એકાકાર બની જતા. આ વિશે તેમણે પોતે જ કહ્યું હતું, ‘મારા આખા ય જીવન દરમિયાન મેં એ એકેએક દૃશ્ય પર હજારો વાર ધ્યાન કર્યા કર્યું છે. એટલા માટે ચાળીશ વર્ષો પહેલાં થયેલી શ્રીરામકૃષ્ણની લીલા કથા, તેમની કૃપાને લઈને હું આજે જ નિહાળી રહ્યો હોઉં અને કાળનો અંતરાય જાણે નાશ પામી ગયો હોય, એવી રીતે ફરીથી મારી સામે થઈ રહી છે! આ અર્થમાં એમ કહી શકાય કે શ્રીરામકૃષ્ણની કથા તેમની પોતાની જીવંત હાજરીમાં જ નોંધવામાં આવી છે.’ આમ ઊંડા ધ્યાનમાં, ચેતનાના ઉચ્ચોચ્ચ સ્તર પરથી, શ્રીઠાકુરની હાજરી અનુભવતાં અનુભવતાં, ડાયરીના પાનાનું કરેલું લેખન ‘કથામૃત’માં પરિણમ્યું!

૧૮૯૭માં ડાયરીનાં થોડા પાનાં – શ્રીરામકૃષ્ણના ઉપદેશની પુસ્તિકા રૂપે બંગાળીમાં પ્રકાશિત કરવાનું તેમણે મિત્રોના આગ્રહથી વિચાર્યું ત્યારે થયું કે સહુ પ્રથમ શ્રીમા શારદાદેવીને આ લખાણ વંચાવી, તેમનો અભિપ્રાય મેળવીને પછી જ પ્રકાશન કાર્ય હાથ ધરવું, એ જ યોગ્ય રહેશે. શ્રીમાના આશીર્વાદ મળી જાય તો પછી કોઈ ચિંતા જ નહિ રહે. આથી આ લખાણ તેમણે પોતાના પત્ની નિકુંજદેવી મારફત શ્રીમા શારદાદેવીને મોકલાવ્યું. આ લખાણ વિશે શ્રીમાએ તેમણે જે અભિપ્રાય આપ્યો, એ અભિપ્રાય જાણે શ્રીરામકૃષ્ણે શ્રીમા મારફત મોકલાવ્યો હોય એવી અનુભૂતિ એમને થઈ, અને જાણે પ્રકાશન અંગેની એમની મંજૂરી હવે મળી ગઈ છે એવું જણાતાં પ્રકાશન કાર્ય તેમણે હાથ ધર્યું. શ્રીમાએ એમને લખ્યું હતું:

‘તમને એમની (શ્રીરામકૃષ્ણ) પાસેથી જે બધી વાતો સાંભળી હતી, તે સઘળી સાચી છે. એક વખતે એમણે જ તમારી પાસે એ બધી વાતો કરી રાખી હતી. હવે જરૂર પ્રમાણે એ પોતે જ પ્રગટ કરાવી રહ્યાં છે. આ બધી વાતો બહાર ન પાડો તો લોકોમાં ચૈતન્ય જાગે નહિ એ જાણજો. તમારી પાસે જે બધી એમની વાતો (લખેલી) છે, તે બધીએ સાચી છે. એક દિવસ તમારે મોઢેથી એ બધી સાંભળીને મને લાગ્યું કે એ પોતે જ (શ્રીરામકૃષ્ણ) આ બધી વાતો કરી રહ્યા છે.’

શ્રીમાની મંજૂરી મળતા માસ્ટરે ‘શ્રીરામકૃષ્ણ-ઉપદેશ’ ૧૮૯૭માં નાની પુસ્તિકા રૂપે પ્રકાશિત કર્યો. આ વાંચીને સ્વામી વિવેકાનંદે તેમને લખ્યું: ‘તમને લાખ લાખ ધન્યવાદ માસ્ટર! તમે શ્રીરામકૃષ્ણને ખરા અર્થમાં બરાબર પકડી પાડ્યા છે! અરે, ઘણા ઓછા લોકો એમને સમજે છે. મારું હૈયું આનંદથી નાચી ઊઠ્યું છે!’ આમ પ્રથમ પ્રકાશિત થયેલી આ નાની પુસ્તિકાએ શ્રીરામકૃષ્ણના શિષ્યો સમક્ષ શ્રીરામકૃષ્ણ સાથે ગાળેલું જીવન તાદૃશ કરી દીધું! આ પુસ્તિકા એમને એ ભાવજગતમાં લઈ ગઈ! આથી બધાંએ સમગ્ર વાર્તાલાપો પ્રકાશિત કરવા માટે માસ્ટર મહાશયને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપ્યું! પછી ૧૯૦૨માં આ વાર્તાલાપનો પ્રથમભાગ પ્રકાશિત થયો. ૧૯૦૪માં બીજો, ૧૯૦૮માં ત્રીજો, ૧૯૧૦માં ચોથો અન ૧૯૩૨માં એમના દેહત્યાગના થોડા સમય બાદ પાંચમો ભાગ પ્રકાશિત થયો. જાણે કથામૃતના પ્રકાશન માટે જ તેમનું જીવન હોય એમ જ્યારે કથામૃતના પાંચમા ભાગના છેલ્લા પ્રુફ એમણે તપાસી લીધાં અને બીજે દિવસે ફલહારિણી કાલીપૂજાના બીજા દિવસે ૧૯૩૨ની ચોથી જૂને સવારે તેમણે દેહ છોડ્યો!

કથામૃત ગ્રંથની ત્રણ વિશિષ્ટતાઓ ઊડીને આંખે વળગે છે. સહુ પ્રથમ તો એ છે કે જેમ ઈશ્વર એની સૃષ્ટિમાં સર્વે વ્યાપેલો છે. છતાં ક્યાંય દેખાતો નથી, એ જ રીતે કથામૃતના લેખક માસ્ટર મહાશય સમગ્ર ગ્રંથમાં વ્યાપેલા છે, તેઓ કથામૃતના સર્વ વાતાવરણ સાથે ઓતપ્રોત છે, તેઓ જાણે એમાં ઓગળી ગયા છે, ક્યાંય અલગ દેખાતા નથી. લેખક તરીકે તેઓ ક્યાંય પ્રગટ થતાં નથી. આવી વિશિષ્ટતા જેમાં લેખક શબ્દે શબ્દે હોવા છતાં ય સંપૂર્ણપણે છૂપાયેલા હોય, એ ક્યાંય જોવા મળતી નથી. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘પ્લેટોએ લખેલા સોક્રેટિસના સંવાદોમાં તો પ્લેટોની છાપ રહેલી છે, પણ સમગ્ર કથામૃતમાં તમે તો પોતાને સાવ છૂપાવી દીધા છે!’

બીજું, આ વાર્તાલાપ જે દિવસે થયો હોય, એ જ દિવસે ડાયરી લખાયેલી હોવાથી એમાં ક્યાંય ઘટનાઓની ભેળસેળ નથી. કે કોઈ ઉપજાવી કાઢેલી કે કલ્પનાના રંગોથી રંગેલી ઘટના નથી. બધું યથાતથ આલેખાયેલું છે. તેથી એ ચોક્કસ અને પ્રમાણભૂત બની રહે છે.

ત્રીજું, એ વર્તમાનમાં લખાયેલી છે. સામાન્ય રીતે ડાયરીમાંથી ઉદ્ધૃત કરેલા બનાવો – ઘટનાઓ – બધું ભૂતકાળમાં જ લખાયેલું હોવું જોઈએ. પણ ‘કથામૃત’ની એ વિશિષ્ટતા છે કે એ બધું જાણે અત્યારે જ બની રહ્યું હોય એ રીતે લખાયેલું છે. શ્રીરામકૃષ્ણના તિરોધાન પછીના ૫૦ વર્ષ સુધી માસ્ટર મહાશયે આ ડાયરીના પાનાંઓ ઉપર ઊંડું ચિંતન કરીને કાર્ય કર્યું છે. એમ કહી શકાય કથામૃતના એક એક ભાગને પ્રકાશિત કરતાં એમનાં જીવનનો એક દશકો ગયો છે. જો તેમણે પોતાની રીતે કથામૃત લખ્યું હોત તો પાંચ વર્ષમાં તેઓ પાંચ ભાગ પ્રકાશિત કરી શક્યા હોત! પણ તેમણે પોતે ભૂતકાળમાં અનુભવેલી સમગ્ર લીલાને વર્તમાનમાં જીવંત કરી છે! એ માટે જીવનના પાંચ દાયકાનું તપ તેમણે એમાં રેડ્યું છે! ‘કથામૃત’નો વાચક એવું અનુભવે છે કે પોતે શ્રીરામકૃષ્ણની ભક્તમંડળીમાં બેઠો છે, અને શ્રીરામકૃષ્ણ એમની સન્મુખ વાતો કરી રહ્યા છે! ‘કથામૃત’ની આ વિશિષ્ટતા એ માસ્ટર મહાશયની લેખક તરીકેની મહાન સિદ્ધિ ગણાવી શકાય. આ સંદર્ભમાં ક્રિસ્ટોફર ઈશરવૂડ કહે છે કે ‘કથામૃતના વાતાવરણનું વર્ણન કરવા માટે જો કોઈ સીધો સાદો શબ્દ વાપરવો હોય તો એ શબ્દ હશે – હમણાં જ.’

આ ઉપરાંત, કથામૃત શ્રીરામકૃષ્ણના સમગ્ર વ્યક્તિત્વનું દર્શન કરાવે છે. અંતરંગ ભક્તો, બહિરંગ ભક્તો, ગૃહસ્થ ભક્તો સાથેના શ્રીરામકૃષ્ણના વ્યવહાર દ્વારા પ્રકટતી તેમની અહૈતુકી કૃપા અને કરુણામાં વાચક પણ ભીંજાયા વગર રહેતો નથી. શ્રીરામકૃષ્ણનું અનુભૂત જ્ઞાન, સહજ અને સરળ રીતે સમગ્ર ગ્રંથમાં એવું અસ્ખલિત વહેતું રહે છે, અને એ પ્રવાહ ક્યાંય તૂટતો નથી, કે ક્યાંય ક્લિષ્ટ બનતો નથી, અને વાચક પણ એ જ્ઞાનગંગાની ભાગીરથીમાં ડૂબીને નવા સ્વરૂપે બહાર આવે છે. ખૂબ સરળભાષા ને રોજિંદા જીવનમાંથી લીધેલાં દૃષ્ટાંતો, દ્વારા વેદાંતનું ગહનમાં ગહન જ્ઞાન પણ શ્રીરામકૃષ્ણે એવું તો આસ્વાદ્ય અને સુપાચ્ય બનાવી દીધું છે, અને માસ્ટર મહાશયે એ જ શૈલીમાં નિરુપ્યું છે, તેથી જ્ઞાનનો આવો મહાગંભીર ગ્રંથ પણ એટલો રસિક અને સરળ બન્યો છે કે હાથમાં લીધા પછી વાચક એના રસમય પ્રવાહમાં ડૂબવા લાગે છે. તેની જાણબહાર જ તેના અંતરતમમાં જાણે શ્રીરામકૃષ્ણ પ્રવેશી જાય છે, કહો કે, માસ્ટર મહાશયની જેમ વાચકને પણ તેઓ દિવ્યઅમૃતના અફીણનો નશો લગાડી દે છે!

મહાભારત માટે એવું કહેવાય છે કે જે ‘વિશ્વમાં છે, તે સઘળું અહીં છે, અને જે અહીં નથી, તે વિશ્વમાં ક્યાંય નથી’. કથામૃત માટે પણ આપણે આ ઉક્તિ લાગુ પાડી શકીએ. કેટકેટલું ‘કથામૃત’માં આવરી લેવાયું છે. કથામૃત જ્ઞાનનો ગ્રંથ છે, એટલો જ ભક્તિનો ગ્રંથ છે, અને એટલો જ કર્મ માર્ગની મહત્તા કરતો ગ્રંથ છે. એમાં ઈશ્વરના સાક્ષાત્કારનો સીધો માર્ગ કંડારેલો છે. તો સાથે સાથે સંસારમાં રહીને, દૈનંદિન જીવનનાં કાર્યો કરતાં કરતાં કેવી રીતે ભગવદ્‌ પરાયણ જીવન જીવવું, એનો માર્ગ પણ એમાં બતાવાયેલો છે. તે દિવ્ય જીવનનો આદર્શ આપે છે. તેમાં યોગનું નિરૂપણ છે. સાધનાનો સર્વોચ્ચ માર્ગ પણ બતાવે છે. જાણે સાક્ષાત્‌ શ્રીરામકૃષ્ણ પોતે હાથ પકડીને સંભાળપૂર્વક પરમાત્માની સમીપ લઈ જઈ રહ્યા હોય, એવું વાચક અનુભવે છે, કેમ કે ‘કથામૃત’ એ કંઈ સ્થૂલ પુસ્તક નથી, એ તો માસ્ટર મહાશય દ્વારા શ્રીરામકૃષ્ણદેવે પોતે કંડારેલું પોતાનું જ સાક્ષાત્‌ રૂપ છે!

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.