આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવો. ભારત સરકારે આનું કારણ આપતાં કહ્યું છે કે – ‘એવું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન અને જે આદર્શોનું એમણે પાલન કર્યું તથા જેમનો એમણે ઉપદેશ આપ્યો, એ ભારતના યુવા વર્ગ માટે પ્રેરણાનો મહાસ્રોત્ર બની શકે તેમ છે.’ આના સંદર્ભમાં ભારત સરકારે રાષ્ટ્રીય યુવા સપ્તાહ (૧૨ થી ૧૯ જાન્યુઆરી) ઉજવવા માટે કાર્યક્રમો યોજવા નિર્દેશો પણ આપ્યા છે. ભારત સરકારનું આ પગલું ઘણું જ પ્રશંસનીય છે. ખરેખર તો આ ઘોષણા આઝાદી પછી તરત જ થવી જોઈતી હતી. ખેર, જાગ્યા ત્યારથી સવાર.

 ચિરયુવા સ્વામી વિવેકાનંદ યુવા વર્ગ માટે સદાય આદર્શરૂપ છે. સ્વામી વિવેકાનંદે ૩૯ વર્ષની વયમાં જ મહાસમાધિ લીધી અને આમ પોતાની યુવાવસ્થામાં જ મહાનતાનાં શિખરો આંબી લીધાં હતાં. ભૌતિકરૂપે તથા ભાવરૂપે બન્ને રીતે તેઓ સદા યુવા રહ્યાં. ૧૨ ભાગોમાં પ્રગટ થયેલ સ્વામી વિવેકાનંદના સંપૂર્ણ સાહિત્યનું અધ્યયન કરવાથી જોવા મળશે કે તેમણે લખેલા મોટાભાગના પત્રો પોતાના યુવા ગુરુભાઈઓ અથવા આલાસિંગા પેરૂમલ, ભગિની નિવેદિતા, વગેરે યુવક-યુવતીઓને લખેલા, મોટાભાગના તેમના વાર્તાલાપો શરતચંદ્ર ચક્રવર્તી વગેરે યુવકો સાથે થયેલા, મોટાભાગનાં તેમનાં વ્યાખ્યાનોના શ્રોતાઓ યુવકો (ભારતમાં) અને યુવતીઓ (વિદેશમાં) હતાં. તેમનાં વ્યાખ્યાનો સાંભળીને અથવા વાંચીને ઘણાં યુવક-યુવતીઓએ પોતાનું જીવન ભારતવર્ષને માટે સમર્પિત કરી દીધું હતું. ભગિની નિવેદિતા, શ્રી અરવિંદ, સ્વામી રામતીર્થ, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચારી, ડૉ. રાધાકૃષ્ણન વગેરે યુવક-યુવતીઓના પ્રેરણા-સ્રોત્ર હતા, સ્વામી વિવેકાનંદ.

ગાંધીજીએ કહ્યું હતું, ‘હું તેમનાં (સ્વામી વિવેકાનંદનાં) લખાણો સાંગોપાંગ ઝીણવટથી વાંચી ગયો છું, અને એ પૂરેપૂરાં વાંચી લીધા પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો.’ સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું, ‘શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ તરફનું મારું ઋણ હું શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકું? તેમના પવિત્ર પ્રભાવ તળે જ મારા જીવનની પહેલી જાગૃતિ થઈ હતી. સ્વામીજી આજે જો જીવિત હોત તો મારા ગુરુ બન્યાં હોત.’ તેમણે સ્વીકાર્યું છે કે, ‘અમારા સમયમાં વિદ્યાર્થીવર્ગ પર સ્વામીજીનાં ભાષણો અને લેખોનો જેવો પ્રભાવ પડ્યો તેવો બીજી કોઈ વ્યક્તિએ પાડ્યો નહોતો. તેમણે જાણે કે તેઓની આશાઓ અને અરમાનોને સંપૂર્ણપણે વ્યક્ત કર્યા હતાં.’

સ્વામી વિવેકાનંદનો સંદેશ દરેક યુવા પેઢી માટે પ્રેરક છે. આ સંબંધમાં શ્રી જવાહરલાલ નહેરુએ રામકૃષ્ણ મિશન, દિલ્હીમાં ૧૯૪૯માં જે કહ્યું હતું તે આજની યુવા પેઢી માટે પણ એટલું જ લાગુ પડે છે. તેમણે કહ્યું હતું, ‘અત્યારે યુવા પેઢીના કેટલા લોકો સ્વામી વિવેકાનંદનાં લેખો અને ભાષણો વાંચે છે તે હું જાણતો નથી. પણ હું એટલું કહીશ કે, મારી પેઢીમાંના ઘણા લોકો સ્વામીજીની પ્રબળ અસર હેઠળ આવેલા અને આજની પેઢી સ્વામીજીનાં લેખો અને ભાષણો વાંચશે તો તેને પણ તે ખૂબ લાભદાયી થશે એમ હું માનું છું.’

કાકા કાલેલકર જ્યારે પોતે તરુણ હતા ત્યારે તરુણો પર સ્વામી વિવેકાનંદની કેવી જબરદસ્ત અસર થઈ હતી તેનું વર્ણન કરતાં તેઓ કહે છે, ‘જે સમયે સ્વામી વિવેકાનંદે દુનિયા પર અને ભારત પર પોતાનો તેજસ્વી પ્રભાવ પાડ્યો તે સમયનો હું એક તરુણ છું. સ્વામી વિવેકાનંદ પહેલાં અમે કેવી રીતે વિચાર કરતાં હતાં અને ત્યાર પછી કઈ રીતે વિચાર કરતા થયા. આ આખું પરિવર્તન મેં પોતે અનુભવ્યું છે.’

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે રોમાં રોલાંને કહ્યું હતું: ‘તમારે ભારતને સમજવો હોય તો વિવેકાનંદનું અધ્યયન કરો. તેમનામાં બધુંજ વિધેયાત્મક છે, કશું જ નિષેધાત્મક નથી.’

રોમાં રોલાંએ સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર ફ્રેંચ ભાષામાં લખ્યું ત્યારે સ્વામી વિવેકાનંદની મહાસમાધિને લગભગ ૩૦ વર્ષ થઈ ગયાં હતાં. તેમાં તેઓ સ્વામી વિવેકાનંદના ગ્રંથોની તેમના પરની અસરનું વર્ણન કરે છે – ‘તેમના (સ્વામી વિવેકાનંદના) શબ્દોને, જ્યારે સ્પર્શુ છું, જે ૩૦ વર્ષ પૂર્વેના ગ્રંથોના પાનાંમાં ફેલાયેલા છે, ત્યારે મારા દેહમાં વિદ્યુતનો એક આંચકો અનુભવ્યા વગર રહી શકતો નથી.’

સુષુપ્તપણે રહેલી યુવાશક્તિને જગાડવા માટે આજે આવા વિદ્યુતના આંચકાની જરૂર છે અને યુવા વર્ગને એ મળશે સ્વામી વિવેકાનંદના ગ્રંથોમાંથી. એશ-આરામની આશામાં ડૂબેલી, ફક્ત નોકરી મેળવવામાં જ જીવનનું સર્વસ્વ માનનારી આજની યુવા પેઢીને પોતાના ચારિત્ર્ય નિર્માણ અને દેશના પુનર્નિર્માણના કાર્યમાં લાગી જવાની પ્રેરણાશક્તિ સ્વામી વિવેકાનંદનાં લખાણોમાંથી મળશે.

આજનો યુવા વર્ગ ઉચિત માર્ગદર્શનના અભાવમાં પોતાની શક્તિને કેવી રીતે વેડફી રહ્યો છે! ક્રૂડ ઓઈલને જ્યારે રિફાઈન કરવામાં આવે છે ત્યારે જ તેમાંથી પેટ્રોલ, ડિઝલ, વગેરે મૂલ્યવાન પદાર્થો મળે છે. તેવી જ રીતે આજની યુવશક્તિને પણ રિફાઈન (શુદ્ધીકરણ) કરવાની આવશ્યકતા છે. આ રિફાઈનીંગની પ્રક્રિયા માટે અને યુવા વર્ગના ઉચિત માર્ગદર્શન માટે સ્વામી વિવેકાનંદના ગ્રંથો અત્યંત ઉપયોગી નીવડી શકે તેમ છે.

આજે આપણો દેશ જ્યારે ભયંકર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે યુવા વર્ગની જવાબદારી ઘણી વધી જાય છે. સ્વામી વિવેકાનંદની યુવા વર્ગ પાસેથી ઘણી અપેક્ષા હતી. તેમણે કહ્યું હતું – ‘મને યુવા પેઢીમાં – આધુનિક પેઢીમાં શ્રદ્ધા છે, મારા કાર્યકરો આ પેઢીમાંથી જ આવવાના છે. સિંહોની માફક તેઓ સમગ્ર પ્રશ્નોનું નિરાકરણ કરશે.’

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.