બારસો નેડો અને તેરસો નેડીઓની એક વાર્તા છે. નિત્યાનંદ ગોસ્વામીના પુત્ર વીરભદ્રને તેરસો ‘મુંડિત’ શિષ્યો હતા. એમણે મોટી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હતી. એમના ગુરુ આથી ગભરાયા. વીરભદ્રને લાગ્યું કે, ‘મારા શિષ્યએ મહાન આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત કરી છે. લોકોને તેઓ જે કંઈ કહેશે તે થશે. જ્યાં જશે ત્યાં ક્યાંક ભયજનક પરિસ્થિતિ સર્જે; કારણ અજાણતાં લોકો એમને દુ:ખ પહોંચાડશે તો તેઓ તકલીફમાં આવી પડશે.’ આમ વિચારી વીરભદ્રે એક દહાડો એમને બોલાવી કહ્યું, ‘તમારી નિત્યપૂજા કર્યા પછી મને ગંગાતટે મળો.’ એ શિષ્યોની એવી આધ્યાત્મિક પ્રકૃતિ હતી કે, ધ્યાન કરતાં કરતાં એ સમાધિમાં સરી પડે અને, નદીમાં ભરતીનું પૂર આવે તેમનું તેમને ભાન ન રહે. પછી ઓટ આવે અને ત્યાં સુધી એ ધ્યાનમાં ડૂબેલા જ રહે.
પોતાના ગુરુ પોતાને શું કહેશે તે આ શિષ્યોમાંના સો જણના ધારવામાં આવી ગયું. ગુરુની આજ્ઞાનો અનાદર કરવો ન પડે એ માટે ગુરુના બોલાવ્યા પહેલાં તેઓ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. એટલે વીરભદ્ર પાસે, બીજા શિષ્યોની જોડે તેઓ ન ગયા. બાકીના બારસો પોતાના ધ્યાનમાંથી પરવાર્યા પછી ગુરુ પાસે ગયા. વીરભદ્રે કહ્યું : ‘આ તેરસો સાધ્વીઓ તમારી સેવા કરશે. તમે એમની સાથે લગ્ન કરી લો,’ શિષ્યો બોલ્યા : ‘જેવી આપની આજ્ઞા પણ અમારામાંના એક સો જણ જતા રહ્યા છે.’ ત્યાર પછીથી આ બારસોમાંનો દરેક પત્નીવાળો બની ગયો. પરિણામે એ સૌએ પોતાની આધ્યાત્મિક શક્તિ ગુમાવી. પછી એમનાં તપ અગાઉના જેવાં સમર્થ ન રહ્યાં. સ્ત્રીઓની સોબતથી એમની આધ્યાત્મિક શક્તિ હરાઈ ગઈ કારણ, એમનું સ્વાતંત્ર્ય જતું રહ્યું હતું.
Your Content Goes Here