૬૨. ઈશ્વરમાં વિદ્યામાયા અને અવિદ્યામાયા બંને રહેલી છે. વિદ્યામાયા માણસને ઈશ્વર ભણી લઈ જાય છે ત્યારે, અવિદ્યામાયા એને ઈશ્વરથી દૂર લઈ જાય છે. જ્ઞાન, વૈરાગ્ય, તાટસ્થ્ય, કરુણા – આ સર્વ વિદ્યામાયાનાં રૂપો છે; એમની સહાય વડે જ મનુષ્ય ઈશ્વરને પામી શકે.

૬૩. માયા જ બ્રહ્મને પ્રગટ કરે છે. માયા વિના બ્રહ્મને કોણ જાણી શક્યું હોત? ઈશ્વરના વ્યક્ત સ્વરૂપ, શક્તિને જાણ્યા વિના ઈશ્વરને ઓળખવાનો બીજો માર્ગ નથી.

૬૪. પરમજ્ઞાન અને પરમઆનંદની  પ્રાપ્તિ માયા વડે જ શક્ય બને છે. નહીં તો આ બધાંનું સ્વપ્ન પણ કોણ સેવી શકે? માયામાંથી જ દ્વૈત અને કાર્યકારણ ઉદ્‌ભવે છે; માયાથી ભોક્તા કે ભોગ્ય કશું નથી.

૬૫. બિલાડી પોતાનાં બચ્ચાંને પોતાના દાંતથી પકડે છે અને તેમને કશી ઈજા નથી થતી; પણ એવી રીતે પકડાયેલો ઉંદર મૃત્યુ પામે છે. આમ, બીજાને મારનાર માયાશક્તિ પોતાના ભક્તને મારતી નથી.

૬૬. માયા એટલે શું? આધ્યાત્મિક વિકાસના માર્ગમાં અડચણરૂપ થનાર વાસના એ છે.

૬૭. માયા (કાંચન) કે મેયે (કામિની) બધાંનો ગ્રાસ કરી જાય છે.

૬૮. સંસારની જાળમાં ફસાયેલા જીવો  કામિની-કાંચનનો મોહ છોડી નથી શકતા  અને ઈશ્રાભિમુખ થઈ નથી શક્તા, ભલે એ માટે એમને હજારવાર નીચું જોવું પડે.

૬૯. ગૃહસ્થો, બરાબર ચેતતા રહો! સ્ત્રીમાં અતિ વિશ્વાસ ન મૂકો; ઘણી ચતુરાઈપૂર્વક તમારી ઉપર એ પોતાનું વર્ચસ્વ સ્થાપી દેશે!

૭૦. તમે ગમે તેટલી કાળજી રાખો, કાજળની કોટડીમાં રહો કાળા ડાઘ લાગ્યા વગર રહી જ ન શકાય. એ જ રીતે, સ્ત્રીસંગમાં કોઈ પુરુષ વસે તો, એ ગમે તેટલો સાવધાન અને સંયમી રહે, એનામાં થોડી વાસનાનો ઉદય થવાનો જ.

૭૧. અતિશય બીમાર હોય અને સનેપાત થયો હોય એવા માણસની પાસે શીતળ જળ અને આમલીનું અથાણું રાખ્યું હોય તો, એને તરસ લાગતાં એ પેલું ઠંડું પાણી પીધા વિના અને ખાટું અથાણું ખાધા વિના રહી શકશે એમ તમે માનો છો? એ જ રીતે, કામજ્વરથી પીડાતો અને ઇન્દ્રિભોગ માટે આતુર હોય તેવો માણસ કામિની અને કાંચનની વચ્ચે મૂકાય તો તે લાલચોથી લપટાઈ જાય. ભક્તિના માર્ગથી એ દૂર જ ચાતરવાનો.

૭૨. એક વાર એક મારવાડી ગૃહસ્થ શ્રીરામકૃષ્ણ પાસે ગયા અને બોલ્યા: ‘મહાશય, મેં બધું તજી દીધું છે તો પણ મને કેમ ભગવાન દેખાતા નથી?’ ઠાકુરે ઉત્તરમાં કહ્યું: ‘તેલ રાખવા માટેની ચામડાની બરણી તમે જોઈ છે ને? તમે એમાંથી એકને ખાલી કરો છતાં, એમાં તેલ અને ગંધ તો રહી જ જાય. એ જ રીતે તમારામાં થોડી સાંસારિકતા રહેલી છે અને એની ગંધ પણ ચીટકી રહેલી છે.’

૭૩. યાદ રાખો કે ‘કામિની અને કાંચન’ લોકોને સંસારમાં ડૂબાડેલા અને ઈશ્વરથી દૂર રાખે છે. પોતાની પત્ની ભલી હોય કે ભૂંડી, દરેક પુરુષ એનાં વખાણ જ કરે એ નવાઈ જેવું છે.

૭૪. શિકારીને ચરણે વાંદરો પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે તે રીતે સુંદર સ્ત્રીને ચરણે પુરુષ કરે છે.

[હવે પ્રસિદ્ધ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]

Total Views: 75

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.