* કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે.

* પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા ગુરુને આપણે માત્ર માનવ જ નહીં માનવા જોઈએ. શિષ્ય ઈશ્વરનું દર્શન કરે એ પહેલાં, દિવ્ય પ્રકાશમાં એ પોતાના ગુરુને જુએ છે. ને પછી, ગુરુ તેને ગોવિંદનું દર્શન કરાવે છે, એ પોતે જ ગૂઢ રીતે ગોવિંદમાં ફેરવાઈ જાય છે. પછી શિષ્ય માગે તે વરદાન ગોવિંદમય થયેલા ગુરુ આપે છે અને, શિષ્યને એ નિર્વાણના ઉચ્ચતમ આનંદશિખરે પણ લઈ જાય છે. અથવા શિષ્ય દ્વૈતની ભૂમિકાએ રહેવા ચાહે છે અને પૂજક તથા પૂજ્ય વચ્ચેનો ભેદ જાળવવા માગે છે. એ જે માગે છે તે, ગુરુ એને આપે છે.

* માનવગુરુ શિષ્યના કાનમાં મંત્ર બોલે છે; ગોવિંદગુરુ એના આત્મામાં પ્રાણ પૂરે છે.

* ગુરુ મધ્યસ્થ છે. એ ઈશ્વરને અને મનુષ્યને સાથે આણે છે; પ્રેમી અને પ્રેમિકાને ભેગાં કરનાર મધ્યસ્થી જેવા ગુરુ છે.

* ગુરુ મહાન ગંગા સમાન છે. લોકો બધો મળ અને કચરો ગંગામાં નાખે છે પણ તેથી, ગંગાનું પાવિત્ર્ય ઘટતું નથી. એ જ રીતે, ગુરુ બધાં અપમાન-નિંદાથી પર છે.

* વૈદ્યોની માફક ગુરુઓ પણ ત્રણ પ્રકારના હોય છે. એક પ્રકારના વૈદ્યો દર્દીઓને જોવા જાય ત્યારે, દર્દીને તપાસી, નાડ જોઈ, જરૂરી ઔષધ બતાવી, દર્દીને તે લેવાનું કહે. એ ઔષધ લેવાની દર્દી ના પાડે તો, એ બાબતની કશી ચિંતા કર્યા વગર એ વૈદ્ય જતા રહે. આ અધમ કક્ષાનો વૈદ્ય. એ રીતે એવા ગુરુઓ છે જે પોતાના બોધને શિષ્ય કેટલું મૂલ્ય આપે છે તેની દરકાર કરતા નથી. બીજા પ્રકારના વૈદ્યો દર્દીને દવા લેવાનું કહીને અટકી નથી જતા. એ એથી આગળ વધે છે. દવા લેવાની ના પાડનાર દર્દીને એ અનુરોધ કરે છે. એ જ રીતે, જે ગુરુઓ સત્યને પંથે ચાલવામાં અને ભક્તિ કરવામાં શિષ્યની પાછળ ખૂબ જહેમત ઉઠાવે તેનો વર્ગ મધ્યમ. અને ત્રીજા અને ઉત્તમ વર્ગના વૈદ્યો, પોતાનો અનુરોધ દર્દી ન માને તો, બળ વાપરતાં પણ ન અચકાય. દર્દીની છાતી પર ગોઠણ મૂકી એના ગળામાં આ વૈદ્ય દવા રેડે. એ જ રીતે, ઈશ્વરને પંથે જવામાં શિષ્યને સહાયરૂપ થવામાં, જરૂર પડે તો, કેટલાક ગુરુઓ બળપ્રયોગ પણ કરે. એ ઉત્તમ વર્ગના.

* બોધ આપનાર બધાને નહીં પણ તેમાંથી એકને જ આપણા ગુરુ કહેવાની શી આવશ્યક્તા છે? અજાણ્યા મુલકમાં જતી વેળા, ભોમિયાની સૂચનાનું પાલન આવશ્યક છે. ઘણાની સલાહથી ચાલવા જતાં પૂરી ગરબડ થવાનો સંભવ. એમ ઈશ્વરને પામવા માટે, એ પંથના જાણકાર ગુરુનું માર્ગદર્શન શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લેવાનું.

(શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણીમાંથી)

Total Views: 259

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.