મનમોહનના દીવાનખાનામાં ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન એટલું બધું ઐશ્વર્ય બતાવવા લાગ્યો, પરંતુ તેને ઘેર ભગવાન ગયા નહિ, એ વિદુરને ઘેર ગયા. એ ભક્તવત્સલ. વાછરડાની પાછળ જેમ ગાય દોડે, એવી રીતે ભગવાન ભક્તની પાછળ પાછળ જાય. 

‘ચૈતન્યદેવને કૃષ્ણનું નામ સાંભળતાં આંસુ ઝરતાં. ઈશ્વર જ ખરી વસ્તુ, બીજું બધું ખોટું. માણસ ધારે તો ઈશ્વર-પ્રાપ્તિ કરી શકે. પરંતુ તે કામિની-કાંચનનો ઉપભોગ કરવામાં જ મશગૂલ. માથા પર મણિ રહ્યો છે, છતાં સાપ દેડકાં ખાતો ફરે!’

‘ભક્તિ જ સાર. ઈશ્વરને તર્ક-વિચાર કરીને કોણ જાણી શકે? આપણે જરૂર છે ભક્તિની. ઈશ્વરનું ઐશ્વર્ય અનંત, એ બધું જાણવાની આપણે શી જરૂર? એક બાટલી દારૂથી જો હું પાગલ થઈ જાઉં, તો કલાલની દુકાનમાં કેટલાં પીપ દારૂ પડ્યો છે એ બધી વિગતની મને કઈ જરૂર? એક લોટો પાણીથી જો મારી તરસ છીપે, તો પછી આખી પૃથ્વીમાં કેટલું જળ છે એ માહિતી લેવા જવાની મારે કાંઈ જરૂર ખરી?’

સુરેન્દ્રના ભાઈ – મહાશય, બ્રાહ્મ-સમાજમાં કહે છે કે સ્ત્રીઓને સ્વાતંત્ર્ય આપો; જાતિભેદ કાઢી નાખો; એ બધું આપને શું લાગે છે?

શ્રીરામકૃષ્ણ- ઈશ્વર ઉપર નવો નવો પ્રેમ જન્મે ત્યારે એમ થાય. તોફાન થાય ત્યારે ખૂબ ધૂળ ઊડે. એ વખતે કયું આંબલીનું કે કયું આંબાનું ઝાડ એ ખબર ન પડે. તોફાન જ્યારે શમે, ત્યારે સમજી શકાય. એમ નવી ઈશ્વર-પ્રીતિનું તોફાન જ્યારે શમી જાય ત્યારે પછી સમજાય કે ઈશ્વર જ શ્રેય, નિત્ય પદાર્થ, બીજું બધું અનિત્ય. સાધુ-સંગ, તપસ્યા કર્યા વિના આ બધાંની ધારણા થાય નહિ. તબલાંના બોલ મોઢે બોલ્યે શું વળે? હાથમાં ઉતારવા બહુ કઠણ! એકલાં લેકચર દીધે શું વળે? તપસ્યા જોઈએ, ત્યારે ધારણા થાય. જાતિભેદ? જાતિભેદ માત્ર એક ઉપાયથી નીકળી શકે. એ ઉપાય છે ભક્તિ. ભક્તોને જાત ન હોય. ભક્તિથી અસ્પૃશ્ય જાત શુદ્ધ થાય. ચાંડાળ પણ ભક્તિ હોય તો પછી ચંડાળ રહે નહિ. ચૈતન્યદેવે ચંડાળ સુધ્ધાંને આલિંગન આપ્યું હતું.

‘બ્રાહ્મ-સમાજીઓ હરિનામ લે એ ઘણું સારું. આતુર થઈને સમર્યે, ભગવાનની કૃપા થાય, ઈશ્વર પ્રાપ્તિ થાય.’

‘બધા માર્ગોએ થઈને ઈશ્વરને પામી શકાય. એક જ ઈશ્વરને વિવિધ નામે બોલાવે છે. જેમ કે એક ઘાટેથી પાણી હિંદુઓ પીએ છે, તેઓ કહેશે જળ; બીજે એક ઘાટે ખ્રિસ્તીઓ પીએ, તેઓ કહેશે વોટર; ત્રીજે ઘાટે મુસલમાનો પીએ, તેઓ કહેશે પાની.’

સુરેન્દ્રના ભાઈ – મહાશય, થિયોસોફી આપને શું લાગે છે?

શ્રીરામકૃષ્ણ- સાંભળ્યું છે કે એમાં ચમત્કારો વગેરેનું કહે છે. દેવ મોડલને ઘેર જોયો હતો એક જણ પિશાચસિદ્ધ. પિશાચ એને કેટલીયે વસ્તુઓ લાવી દેતો. એવી શક્તિઓ લઈને શું કરવું? એમનાથી શું કંઈ ઈશ્વરપ્રાપ્તિ થાય? જો ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ તો પછી બધુંય ખોટું!

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ’ – ૧, પૃ.૧૧૫-૧૬)

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.