શ્રીરામકૃષ્ણ (બંકિમને) – દયા! પરોપકાર! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો? માણસનો આટલો આટલો રુવાબ, પણ જ્યારે ઊંઘી જાય, ત્યારે જો કોઈ ઊભું ઊભું તેના મોઢામાં મૂતરી જાય તો સાળાને ખબર પડે નહિ, મોઢું ભરાઈ જાય! એ વખતે એનો અહંકાર, અભિમાન, ગર્વ, રુવાબ ક્યાં ચાલ્યાં જાય?

‘સંન્યાસીએ કામિની-કાંચન તજવાં જોઈએ. તેનાથી એનો સ્વીકાર કરાય નહિ. થૂકેલું ગળી શકાય નહિ. સંન્યાસી જો કોઈને કંઈ આપે, તો એ પોતે આપે છે એમ તેણે માનવું નહિ. દયા ઈશ્વરની, માણસ વળી શી દયા કરવાનો? દાન-બાન વગેરે બધું રામની મરજી. સાચો સંન્યાસી મનથીયે ત્યાગ કરે, બહારથીયે ત્યાગ કરે. એ પોતે ગોળ ખાય નહિ, ને તેની પાસે ગોળ રહે એય સારું નહિ. પાસે ગોળ રાખીને જો એમ કહે કે અલ્યા, ગોળ ખાશો મા, તો માણસો તેનું સાંભળવાના નહિ.

‘સંસારી-વહેવારી માણસને પૈસાની જરૂર છે; કારણ કે તેને બૈરીછોકરાં છે. તેમણે પૈસાની બચત કરવી એ જરૂરનું છે, કારણ કે બૈરીછોકરાંને ખવડાવવાનું છે. સંચય કરે નહિ માત્ર પંછી ઔર દરવેશ, એટલે કે પક્ષી અને સંન્યાસી. પરંતુ પક્ષીનેય બચ્ચાં થાય એટલે તે ચાંચમાં ખાવાનું લઈ જાય; ત્યારે તેનેય સંચય કરવો પડે. એટલા માટે સંસારી માણસને પૈસાની જરૂર, પોતાના પરિવારનું ભરણપોષણ કરવાનું હોય છે માટે.

‘સંસારી માણસ શુદ્ધ ભક્ત હોય તો અનાસક્ત થઈને કર્મ કરે. કર્મનું ફળ, લાભ, નુકસાન, સુખદુ:ખ ઈશ્વરને સમર્પણ કરે. અને ઈશ્વર પાસે રાતદિન ભક્તિ માટે પ્રાર્થના કરે, અને કંઈ માગે નહિ. આનું જ નામ નિષ્કામ કર્મ, યાને અનાસક્ત થઈને કર્મો કરવાં. સંન્યાસીએ પણ બધાં કર્મો નિષ્કામ ભાવે કરવાં. પણ તોય સંન્યાસી સંસારીઓની પેઠે વિષય વહેવાર ન કરે.

‘સંસારી માણસ જો નિષ્કામ ભાવે કોઈને દાન કરે તો એ પોતાના ઉપકારને માટે, ‘પરોપકાર’ને માટે નહિ. એથી સર્વ ભૂતમાં જે હરિ છે તેની સેવા કરાય છે. હરિ-સેવા કરાવાથી પોતાને જ ઉપકાર થયો, ‘પર-ઉપકાર’ નહિ. આ સર્વભૂતોમાં રહેલા હરિની સેવા, માત્ર માણસની જ નહિ, પણ જીવજંતુઓની અંદર પણ હરિની સેવા જો કોઈ કરે, અને જો તે માન પાન ઇચ્છે નહિ, કીર્તિ ઇચ્છે નહિ; મુવા પછી સ્વર્ગ ઇચ્છે નહિ; જેમની સેવા કરે છે તેમની પાસેથી બદલામાં કશો ઉપકાર ઇચ્છે નહિ; એ પ્રકારના ભાવથી જો સેવા કરે તો તેનાથી ખરેખરું નિષ્કામ કર્મ, અનાસક્ત કર્મ થયું એમ કહેવાય. આ કર્મયોગ પણ ઈશ્વર-પ્રાપ્તિનો એક રસ્તો. પરંતુ બહુ કઠણ, કલિયુગને માટે નહિ.

‘એટલે કહું છું કે અનાસક્ત થઈને જે આ રીતે કર્મ કરે; દયા દાન કરે એ પોતાનું જ ભલું કરે. બીજા પર ઉપકાર, પારકાનું ભલું એ તો ઈશ્વર કરે, કે જેણે ચંદ્ર, સૂર્ય, માબાપ, ફળ, ફૂલ, ધાન્ય વગેરે જીવોને માટે કર્યાં છે. માબાપની અંદર જે સ્નેહ જુઓ છો એ ઈશ્વરનો જ સ્નેહ, જીવોના રક્ષણને માટે જ એણે આપેલો છે. તમે દયા બતાવો કે ન બતાવો, ઈશ્વર કોઈ કે કોઈ રીતે પોતાનું કામ કરવાનો જ; એનું કામ અટકી રહે નહિ!

‘એટલા માટે જીવનું કર્તવ્ય શું? બીજું શું, ઈશ્વરના શરણાગત થવું, અને જે રીતે એની પ્રાપ્તિ થાય, એનાં દર્શન થાય એ સારું આતુર થઈને ઈશ્વરની પાસે પ્રાર્થના કરવી.

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પૃ.૨૫૩-૫૪)

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.