પોતાનાં પૂર્વકર્મોનાં ફળ સૌએ ભોગવવાં જ પડે. પૂર્વ જન્મોથી પ્રાપ્ત વૃત્તિઓનો સ્વીકાર કરવો જ પડે તેમજ પ્રારબ્ધ કર્મનાં પરિણામોનો પણ સ્વીકાર કરવો જ પડે…. અને દેહધારીનાં લક્ષણો સુખદુ:ખ છે, એનો સ્વીકાર પણ કરવો જ પડે. કવિ કંકણના ચંડીમાં લખેલું છે કે, કાળુવીરને કેદખાનામાં મોકલવામાં આવ્યો હતો અને એની છાતી પર વજનદાર પથરો રાખવામાં આવ્યો હતો. છતાંય કાળુનો જન્મ જગજ્જનીની કૃપાથી થયો હતો. આમ દેહધારીને માટે સુખદુ:ખ અપરિહાર્ય છે. વળી શ્રીમંતનો દાખલો લો; એ મહાન ભક્ત હતો. એની માતા ખુલ્લણા મહાન દેવીભક્ત હતી, તે છતાં એની પીડાનો અંત ન હતો. એનું મસ્તક લગભગ કાપી નાખવામાં આવ્યું હતું. જગદંબાના મહાન ભક્ત કઠિયારાનો દૃષ્ટાંત પણ છે. કઠિયારા પાસે પ્રગટ થઈને માએ તેની પર ખૂબ કૃપા અને પ્રેમ વરસાવ્યાં; પણ એને પોતાનો કઠિયારાનો ધંધો જ ચાલુ રાખવો પડ્યો હતો અને ખૂબ મહેનત કરી રોટલો રળવો પડ્યો હતો. વળી કૃષ્ણની માતા દેવકી કેદખાનામાં હતાં ત્યારે એને ગદા, ચક્ર, શંખ અને કમલ ધારણ કરતા ચતુર્ભુજ ભગવાનનાં દર્શન થયાં હતાં. પણ એ છતાં તેઓ કેદખાનાની બહાર નીકળી શક્યાં ન હતાં.
Your Content Goes Here