રોજ પ્રયાસ કરવો જોઈએ. સર્કસમાં જોઈ આવ્યો કે ઘોડો દોડ્યે જાય છે, તેના ઉપર છોકરી એક પગે ઊભી છે ! કેટલા પ્રયાસે એ થયું હશે ! અને તેનાં (પ્રભુનાં) દર્શન માટે ઓછામાં ઓછું રોજ એક વાર તો સાચા હૃદયથી રડૉ.

આ બે ઉપાય : અભ્યાસ અને અનુરાગ, એટલે કે ઈશ્વર-દર્શનની આતુરતા.

રાખાલ, નરેન્દ્ર, ભવનાથ વગેરે નિત્યસિદ્ધ. જન્મથી જ એમને ચૈતન્ય-જાગૃતિ. એમનું દેહધારણ લોકોપદેશના સારુ જ.

બીજો એક વર્ગ છે- કૃપા-સિદ્ધ. અચાનક ઈશ્વરની કૃપા થઈ અને તરત જ દર્શન અને જ્ઞાન-પ્રાપ્તિ. જેમ કે હજાર વરસનો અંધારો ઓરડો હોય તેમાં દીવો લઈ જતાં એક ક્ષણે જ પ્રકાશ થઈ જાય – ધીમે ધીમે ન થાય, તેમ.

જેઓ સંસારમાં રહ્યા છે તેમણે સાધના કરવી જોઈએ. એકાંતમાં જઈને આતુરતાથી ઈશ્વરને બોલાવવો જોઈએ.

અને ઈશ્વરની બાબતમાં વિચાર કરીને કોણ સમજવાનું હતું ? જેનાથી એના ચરણ-કમલમાં ભક્તિ આવે એ જ સૌએ કરવું ઉચિત.

તેનું (ઈશ્વરનું) અનંત ઐશ્વર્ય શું સમજવાના હતા? તેનું કાર્ય પણ શું સમજી શકવાના ?

ભીષ્મદેવ, કે જે સાક્ષાત્ અષ્ટ વસુઓમાંના એક વસુ, એય શરશય્યા પર સૂતા સૂતા રડવા લાગ્યા. કહે કે શી નવાઈ ! પાંડવોની સાથે સ્વયં ભગવાન હમેશાં રહે છે છતાં તેમનાં દુ:ખ, આપત્તિનો અંત નથી ! ભગવાનનું કાર્ય કોણ સમજી શકે !

કોઈ કોઈ મનમાં માની બેસે કે આપણે જરાક સાધનભજન કર્યું છે, એટલે આપણે તો ખાટી ગયા. પણ હાર, જીત ભગવાનને હાથ. અહીં એક સ્ત્રી(વેશ્યા)એ મરતી વખતે પૂરેપૂરા ભાનમાં ગંગાજીનો સ્પર્શ કરીને દેહ છોડ્યો !

આ આંખે દેખી ન શકાય. ઈશ્વર દિવ્ય-ચક્ષુ આપે ત્યારે દેખી શકાય. અર્જુનને વિશ્વરૂપ-દર્શન વખતે ભગવાને દિવ્ય-ચક્ષુ આપ્યાં હતાં.

તમારી ‘ફિલજફી’માં કેવળ ગણતરી જ કરે, કેવળ તર્ક ! એનાથી ભગવાનને પમાય નહિ.

જો રાગાત્મિકા ભક્તિ આવે, અનુરાગ સહિતની ભક્તિ આવે તો ભગવાન દૂર રહી શકે નહિ. ભક્તિ ભગવાનને કેવી ભાવે, ખબર છે ? ખોળ ભેળવેલું ખાણ જેવું ગાયને ભાવે તેવી. ગપ-ગપ કરીને ખાય.

રાગાત્મિકા ભક્તિ, શુદ્ધ ભક્તિ, અહેતુકી ભક્તિ એક જ, જેવી પ્રહ્‌લાદની હતી તેવી.

જેમ કે તમે કોઈ મોટા માણસ પાસે કશુંય માગો નહિ, પણ અમથા રોજ મળવા આવો, તેમને મળવાનું તમને ગમે એટલા માટે. તેઓ પૂછે તો તમે કહો કે ‘જી, જરૂર કશાયની નથી, માત્ર આપને મળવા આવ્યો છું.’ એનું નામ અહેતુકી ભક્તિ. તમે ઈશ્વરની પાસે કશું માગો નહિ, માત્ર તેને ચાહો. મૂળ વાત એટલી કે ઈશ્વર ઉપર રાગાત્મિકા ભક્તિ આવવી જોઈએ અને વિવેક, વૈરાગ્ય.

સચ્ચિદાનંદ જ ગુરુ. શબ-સાધના કર્યા પછી ઈષ્ટદર્શનને વખતે ગુરુ સામે આવી જાય અને કહે : ‘આ જો તારા ઈષ્ટ.’ ત્યાર પછી ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય. જે ગુરુ તે જ ઈષ્ટ. ગરુ રસ્તે ચડાવી દે.

વ્રત કરે અનંત, પરંતુ પૂજા કરે વિષ્ણુની. એમની જ અંદર ઈશ્વરનાં અનંત રૂપો !  (શ્રીરામકૃષ્ણ કથામૃત, 1.165-68

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.