આજ જેઠ વદ ચૌદશ, સાવિત્રી-ચૌદશ, સાથે જ અમાસ અને ફલહારિણી પૂજા. ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પોતાના ઓરડામાં બેઠા છે. ભક્તો તેમનાં દર્શન કરવા આવતા જાય છે. સોમવાર તા. ૪થી જૂન, ૧૮૮૩. માસ્ટર આગલે દિવસે રવિવારે આવ્યા છે. આજે રાત્રે કાત્યાયિની-પૂજા છે. ઠાકુર પ્રેમના આવેશમાં સભામંડપમાં માની સામે ઊભા રહીને બોલી રહ્યા છે :
‘(બોલો રે શ્રી દુર્ગાનામ) મા તમે જ વ્રજની કાત્યાયિની, તમે સ્વર્ગ,
તમે મર્ત્ય, મા તમે એ પાતાળ; તમારામાંથી હરિ,
બ્રહ્મા, દ્વાદશ ગોપાળ, દશ મહાવિદ્યા, માતા દશ અવતાર;
આ વખતે કોઈ પણ રીતે મને કરવો પડશે પાર…’
ઠાકુર ગીત ગાય છે અને માની સાથે વાતો કરી રહ્યા છે. પ્રેમમાં એકદમ મતવાલા ! પોતાના ઓરડામાં આવીને પાટ પર બેઠા. તે રાત્રે રાતના બે પ્રહર સુધી માતાજીનું નામ-સંકીર્તન થયા કર્યું.
સોમવારે સવારે બલરામ અને બીજા કેટલાક ભક્તો આવ્યા. ફલહારિણી પૂજા પ્રસંગે ત્રૈલોક્ય વિશ્વાસ વગેરે કાલીમંદિરના માલિકો પણ સહકુટુંબ આવ્યા છે. સમય નવ વાગ્યાનો. ઠાકુર સહાસ્યવદન, ગંગા તરફની ગોળ ઓસરીમાં બેઠા છે. પાસે માસ્ટર. રમતને મિષે ઠાકુરે રાખાલનું માથું ખોળામાં લીધું છે, રાખાલ સૂતેલ છે. કેટલાક દિવસ થયાં ઠાકુર રાખાલને સાક્ષાત્ ગોપાલરૂપે જુએ છે.
શ્રીરામકૃષ્ણ (ત્રૈલોક્યને) – હેં ભાઈ ! ભવાઈ-લીલા થઈ નહીં ?
ત્રૈલોક્ય – જી, ભવાઈ-લીલા કરાવવાની જોઈએ તેવી સગવડ થઈ નહીં.
શ્રીરામકૃષ્ણ- તે આ વખતે જે થયું તે થયું; જો જો કે ફરીવાર એ પ્રમાણે ન થાય ! જેવો નિયમ છે બરાબર તે પ્રમાણે થવું સારું. (શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ-૧, પૃ. ૨૩૨-૩૩)
Your Content Goes Here