બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો છે. પણ મનમાં બરાબર સમજવું કે એમાંથી કોઈ આપણું નથી.
મોટા માણસના ઘરની કામવાળી શેઠનું બધું કામ કરે, પણ તેનું મન હોય ગામડામાં પોતાને ઘેર. વળી તે શેઠનાં છોકરાંને પોતાનાં છોકરાંની માફક મોટાં કરે, ‘મારો રામ’, ‘મારો હરિ’ એમ કહીને બોલાવે; પણ મનમાં સારી રીતે સમજે કે એમાંથી મારું કોઈ નથી.
કાચબી પાણીમાં તર્યા કરતી હોય, પણ તેનું મન ક્યાં હોય તે ખબર છે? કાંઠા પર, જ્યાં તેનાં ઈંડાં પડ્યાં હોય ત્યાં. સંસારનું બધું કામ કરવું, પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું.
(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૧, પૃ.૧૪-૧૫)
Your Content Goes Here