શ્રીરામકૃષ્ણ કપ્તાનને ઘરે થઈને શ્રીકેશવચંદ્ર સેનના ‘કમલકુટિર’ નામના મકાને આવ્યા છે. એમની સાથે રામ, મનોમોહન, સુરેન્દ્ર, માસ્ટર વગેરે અનેક ભક્ત લોકો છે. બધા બે માળના હાૅલમાં બેઠા છે. શ્રી પ્રતાપ મજુમદાર, શ્રી ત્રૈલોક્ય આદિ બ્રાહ્મભક્તો પણ હાજર છે.

શ્રીરામકૃષ્ણ કેશવને ખૂબ ચાહે છે. જે સમયગાળામાં બેલઘરિયાના બગીચામાં તેઓ શિષ્યોની સાથે સાધનભજન કરતા હતા ત્યારે (અર્થાત્ ઈ.સ. ૧૮૭૫ના માઘોત્સવ પછી કેટલાક દિવસોમાં) એક દિવસ શ્રીરામકૃષ્ણ બગીચામાં જઈને એમને મળ્યા હતા. સાથે એમના ભાણેજ હૃદયરામ હતા. બેલઘરિયાના આ બગીચામાં એમણે શ્રી કેશવ સેનને કહ્યુંઃ ‘તમારી પૂંછડી ખરી ગઈ છે. અર્થાત્ તમે સર્વકંઈ છોડીને સંસારની બહાર પણ રહી શકો છો અને સંસારમાં પણ રહી શકો છો. જે રીતે દેડકાના બચ્ચાની પૂંછડી ખરી પડે ત્યારે તે પાણીમાં પણ રહી શકે છે અને જમીન પર પણ રહી શકે છે.’ ત્યારબાદ દક્ષિણેશ્વરમાં, કમલકુટિરમાં બ્રાહ્મસમાજ વગેરે સ્થળોએ અનેકવાર શ્રીરામકૃષ્ણે કરેલા વાર્તાલાપોમાં એમને ઉપદેશ આપ્યો હતોઃ ‘અનેક પથોથી તથા અનેક ધર્માે દ્વારા ઈશ્વરપ્રાપ્તિ થઈ શકે છે. વચ્ચે વચ્ચે નિર્જન-એકાંતમાં સાધનભજન કરીને ભક્તિલાભ કરીને સંસારમાં રહી શકાય છે. જનક આદિ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને સંસારમાં રહ્ય હતા. વ્યાકુળ બનીને એમને પોકારવા પડે છે ત્યારે તેઓ દર્શન દે છે. તમે લોકો જે કંઈ કરો છો, નિરાકારની સાધના, એ ઘણું સારું છે. બ્રહ્મજ્ઞાન થવાથી બરાબર અનુભવ કરશો કે ઈશ્વર સત્ય છે અને બીજું બધું અનિત્ય; બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. સનાતન હિંદુધર્મમાં સાકાર અને નિરાકાર એ બંને માન્ય છે. અનેક ભાવે ઈશ્વરની પૂજા થાય છેઃ શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, મધુર. શરણાઈ વગાડતી વખતે એક માણસ કેવળ પુંઉંઉં જ વગાડે છે, જો કે એના વાદ્યમાં સાત છેદ હોય છે. પરંતુ બીજો માણસ, જેના વાદ્યમાં સાત છેદ છે, તે અનેક રાગરાગાણીઓ છેડે છે.’

શ્રીકેશવચંદ્ર સેનના મકાન ‘કમલ કુટિર’માં શ્રીરામકૃષ્ણે ભક્તોને ઉપદેશ આપ્યો હતો

‘તમે લોકો સાકારને નથી માનતા એમાં કાંઈ હાનિ નથી; નિરાકારમાં નિષ્ઠા રહેવાથી પણ થઈ શકે છે. પરંતુ, સાકારવાદીઓના માત્ર પ્રેમના આકર્ષણને લેવું. મા કહીને તેમને પોકારવાથી ભક્તિપ્રેમ ખૂબ વધી જાય છે. ક્યારેક દાસ્ય, ક્યારેક સખ્ય, ક્યારેક વાત્સલ્ય, ક્યારેક મધુરભાવ. કોઈ કામના નથી, એમને ચાહું છું, આ ઘણો સારો ભાવ છે. એનું નામ છે અહૈતુકી ભક્તિ. રૂપિયા પૈસા, માન, આબરુ, એવું કંઈ ઇચ્છતો નથી, ચાહું છું કેવળ તમારાં ચરણકમળોમાં ભક્તિ. વેદ, પુરાણ, તંત્રમાં એક ઈશ્વરની અને એમની લીલાની વાત છે. જ્ઞાનભક્તિ બંને છે. સંસારમાં નોકરાણીની જેમ રહો. નોકરાણી બધાં કામ કરે છે પણ એનું મન રહે છે પોતાના ઘરે. પોતાના શેઠનાં બાળકોને પાળે પોષે છે, ‘મારો હરિ, મારો રામ’ એમ પણ કહે છે, પરંતુ તે બરાબર જાણે છે કે આ છોકરા એના નથી. તમે લોકો જે નિર્જન – એકાંતમાં સાધના કરો છો એ ઘણું સારું છે. એમની કૃપા થશે. જનકરાજાએ નિર્જનમાં કેટલી સાધના કરી હતી! સાધના કર્યા પછી જ સંસારમાં નિર્લિપ્ત બનવું સંભવ છે.’

‘તમે લોકો ભાષણ આપો છો, બધાના ઉપકાર માટે; પરંતુ ઈશ્વરને પ્રાપ્ત કર્યા પછી તથા એમનાં દર્શન મેળવ્યા પછી જ ભાષણ દેવાં ઉપકારક બને છે. એમનો આદેશ પામ્યા વિના બીજાને ઉપદેશ કે બોધ દેવો ઉપકારક નથી. ઈશ્વરને પ્રાપ્ત કર્યા વિના એમનો આદેશ મળતો નથી. ઈશ્વરપ્રાપ્તિનાં લક્ષણ આ છેઃ મનુષ્ય બાળક જેવો, જડ જેવો, ઉન્માદ જેવો, પિશાચ જેવો બની જાય છે; જેમ કે શુકદેવ વગેરે. ચૈતન્યદેવ ક્યારેક બાળકની જેમ, ક્યારેક પાગલની જેમ નૃત્ય કરતા; તેઓ હસતા, રોતા, નાચતા અને ગાતા. પુરીધામમાં તેઓ જ્યારે હતા ત્યારે બહુધા જડસમાધિમાં જ રહેતા હતા.

શ્રી કેશવચંદ્ર સેનની હિંદુધર્મ પર ઉત્તરોત્તર શ્રદ્ધા

આ રીતે અનેક સ્થળોએ શ્રીરામકૃષ્ણે આપેલા અનેક વાર્તાલાપોમાં શ્રીકેશવચંદ્ર સેનને અનેક રીતે ઉપદેશ આપ્યો હતો. બેલઘરિયાના બગીચામાં પ્રથમ દર્શન પછી કેશવ સેને ૨૮મી માર્ચ, ઈ.સ. ૧૮૭૫ના રવિવારના ‘મિરર’ સમાચારપત્રમાં લખ્યું હતુંઃ ‘અમે, થોડા દિવસ પહેલાં દક્ષિણેશ્વરના બેલઘરિયાના બગીચામાં પરમહંસ શ્રીરામકૃષ્ણનું દર્શન કર્યું હતું. એમનાં ગંભીરતા, અંર્તદૃષ્ટિ, બાલસહજસ્વભાવ જોઈને અમે મુગ્ધ થઈ ગયા છીએ. તેઓ શાંત સ્વભાવ તથા કોમળ પ્રકૃતિના છે અને જોવાથી એમ લાગે કે જાણે તેઓ સદા યોગમાં રહે છે. હવે અમારું એવું અનુમાન થાય છે કે હિંદુધર્મના ગંભીરતમ પ્રદેશોનું અનુસંધાન કરવાથી કેટલી સુંદરતા, સત્યતા તથા સાધુતા જોવા મળે છે! જો આવું ન હોત તો પરમહંસની જેમ ઈશ્વરીભાવમાં ભાવિત યોગીપુરુષ જોવા જ કેમ મળે?

(We met not long ago Paramhamsa of Dakshineswar, and were charmed by the depth, penetration and simplicity of his spirit. The never-ceasing metaphors and analogies in which he indulged, are most of them as apt as they are beautiful. The characteristics of his mind are the very opposite to those of Pandit Dayananda Saraswati, the former being so gentle, tender and contemplative, as the latter is sturdy, masculine and polemical.

(- Indian Mirror, 28th March, 1875)…. Hinduism must have in it a deep source of beauty, truth and goodness to inspire such men as these. (Sunday Mirror, 28th March, 1875.)ઈ.સ. ૧૮૭૬ના જાન્યુઆરીમાં ફરી માઘોત્સવ આવ્યો. એમણે ટાઉનહાૅલમાં ભાષણ આપ્યું. વિષય હતોઃ ‘બ્રાહ્મધર્મ અને આપણો અનુભવ.’ (Our Faith and Experiences) એમાં પણ તેમણે હિંદુધર્મની સુંદરતા વિશે અનેક વાતો કરી.

(If the ancient Vedic Aryan is gratefully honoured today for having taught us the deep truth of the Nirakar or the bodiless Spirit, the same loyal homage is due to the later Puranic Hindu for having taught us religious feelings in all their breadth and depth.” “In the days of the Vedas and the Vedanta, India was all Communion (Joga). In the day of the Puranas, India was all emotion (Bhakti). The highest and best feelings of religion have been cultivated under the guardianship of specific divinities.” – ‘Our Faith and Experiences’, lecture delivered in January, 1876.)

શ્રીરામકૃષ્ણ એમના પર જેવો પ્રેમભાવ રાખતા હતા, શ્રીકેશવ સેનને પણ એમના પ્રત્યે એવી જ ભક્તિભાવના હતી. પ્રાયઃ દર વર્ષે બ્રાહ્મોત્સવના સમયે તથા બીજા સમયે પણ શ્રીકેશવ સેન દક્ષિણેશ્વર જતા હતા અને એમને કમલકુટિરમાં લાવતા. ક્યારેક ક્યારેક એકલા કમલકુટિરના બીજા માળે ઉપાસનાગૃહમાં એમને પરમ અંતરંગ માનીને ભક્તિભાવ સાથે લઈ જતા તથા એકાંતમાં ઈશ્વરની પૂજા કરતા અને આનંદ કરતા.

ઈ.સ. ૧૮૭૯ના ભાદ્રોત્સવના સમયે કેશવ સેન શ્રીરામકૃષ્ણને ફરીથી નિમંત્રણ આપીને બેલઘરિયાના તપોવનમાં લઈ ગયા – ૧૫ સપ્ટેમ્બર, સોમવાર (૩૧ ભાદ્ર, ૧૨૮૬, કૃષ્ણા ચતુર્દશી) અને વળી પાછા ૨૧ સપ્ટેમ્બરે કમલકુટિરના ઉત્સવમાં સામેલ થવા લઈ ગયા. એ વખતે શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ થતાં બ્રાહ્મભક્તો સાથે એમનો ફોટો લેવામાં આવ્યો. શ્રીરામકૃષ્ણ ઊભા ઊભા સમાધિભાવમાં આવ્યા છે, હૃદય એમને પકડીને ઊભો છે. ૨૨ આૅક્ટોબર, ૬ કાર્તિક, ૧૨૮૬, બુધવારની મહાષ્ટમી – નવમીના દિવસે કેશવ સેને દક્ષિણેશ્વર જઈને એમનાં દર્શન કર્યાં.

સમાધિસ્થ શ્રીરામકૃષ્ણ

૨૯ આૅક્ટોબર, ૧૮૭૯, બુધવાર (૧૩ કાર્તિક, ૧૨૮૬)ની શરદપૂર્ણિમાના દિવસે ૧ વાગ્યાના સમયે શ્રી કેશવ સેન વળી પાછા ભક્તો સાથે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા ગયા હતા. સ્ટીમરની સાથે શણગારેલી એક મોટી નૌકા, છ બીજી નૌકાઓ અને બે નાની મોટી નાવડી પણ હતી. આશરે ૮૦ જેટલા ભક્તો હતા, એમની સાથે ધ્વજા, પુષ્પપર્ણ, મૃંદગકરતાલ અને ભેરી પણ હતાં. હૃદય અભ્યર્થ્યના કરીને શ્રી કેશવ સેનને સ્ટીમરમાંથી ઊતારી લાવ્યો અને એ પણ ગીત ગાતાં ગાતાં. ગીતનો મર્મ આવો છેઃ ‘સુરધુનિના તટ પર કોણ હરિનું નામ લે છે, સંભવતઃ પ્રેમ દેનારા નિતાઈ આવ્યા છે.’ બ્રાહ્મભક્તગણ પણ પંચવટીથી ‘સચ્ચિદાનંદ વિગ્રહ રૂપાનંદઘન’ એ કીર્તન કરતાં કરતાં એમની સાથે આવવા લાગ્યા. એમની વચ્ચે હતા શ્રીરામકૃષ્ણ અને વચ્ચે વચ્ચે તેઓ સમાધિ અવસ્થામાં મગ્ન બની જતા હતા. એ દિવસે સંધ્યા સમય પછી ગંગાજીના ‘બાંધા’ ઘાટ પર પૂર્ણચંદ્રના પ્રકાશમાં કેશવ સેને ઉપાસના કરી હતી.

ઉપાસના પછી શ્રીરામકૃષ્ણ કહેવા લાગ્યાઃ તમે સૌ બોલોઃ ‘બ્રહ્મ-આત્મા-ભગવાન’; ‘બ્રહ્મ-માયા-જીવ-જગત’; ‘ભાગવત-ભક્ત-ભગવાન’. કેશવ વગેરે બ્રાહ્મભક્તગણ એ ચંદ્રકિરણમાં ભાગીરથીના તટે એક સ્વરે શ્રીરામકૃષ્ણ સાથે એ બધા મંત્રોનું ભક્તિભાવ સાથે ઉચ્ચારણ કરવા લાગ્યા. શ્રીરામકૃષ્ણ ફરીથી બોલ્યાઃ બોલોઃ ‘ગુરુ-કૃષ્ણ-વૈષ્ણવ’; ત્યારે કેશવ સેને આનંદપૂર્વક હસતાં હસતાં કહ્યુંઃ ‘મહારાજ, આ સમયે આટલું બધું વધારે નહિ. જો અમે ‘ગુરુ-કૃષ્ણ-વૈષ્ણવ’ કહીએ તો લોકો અમને કટ્ટરપંથી કહેશે.’ શ્રીરામકૃષ્ણ પણ હસવા લાગ્યા અને કહ્યુંઃ ‘સારું, તમે (બ્રાહ્મ લોકો) જ્યાં સુધી જઈ શકો એટલું જ કહો.’

કેટલાક દિવસો પછી ૧૩ નવેમ્બર, (૨૮ કાર્તિક) ઈ.સ.૧૮૭૯ની કાલીપૂજા પછી રામ, મનોમોહન અને ગોપાલમિત્રે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણનું પ્રથમ દર્શન કર્યું.

ઈ.સ. ૧૮૮૦માં એક દિવસે ગ્રીષ્મકાળે રામ અને મનોમોહન કમલકુટિરમાં કેશવ સેન સાથે મળવા આવ્યા છે. કેશવબાબુનો શ્રીરામકૃષ્ણ વિશે શું અભિપ્રાય છે એ જાણવાની એમની પ્રબળ ઇચ્છા હતી. એમણે કેશવબાબુને જ્યારે આવો પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જવાબ આપ્યોઃ ‘દક્ષિણેશ્વરના પરમહંસ સાધારણ વ્યક્તિ નથી, આ સમયે પૃથ્વીભરમાં આટલી મહાન વ્યક્તિ બીજી કોઈ નથી. તેઓ એટલી સુંદર અને એટલી અસાધારણ વ્યક્તિ છે કે એમને ખૂબ સાવધાનીપૂર્વક રાખવા જોઈએ. સારસંભાળ ન લેવાથી એમનું શરીર વધારે ટકશે નહિ. આવી સુંદર મૂલ્યવાન વસ્તુને કાચના કબાટમાં રાખવી જોઈએ.’
(પ્રથમ જેઠ, ૧૪ મે, ૧૮૭૫. શ્રીરામકૃષ્ણ ફરી બેલઘરિયાના બગીચામાં આવ્યા. Bharat Asram Libel Suit (મુકદ્દમો) ૩૦ એપ્રિલ, ૧૮૭૫, ૧૮ વૈશાખ, ૧૨૮૨ બંગાબ્દ પૂરો થયો. કેશવ ત્યારે એ જ બગીચામાં રહેતા હતા. ૧૮૮૦માં ૩ માર્ચ, બુધવાર (૨૧ ફાગણ) થી ૧૦ ઓક્ટોબર (૨૫ આસો) સુધી શ્રીરામકૃષ્ણદેવ કામારપુકુરમાં ૮ માસ હતા. ત્યારે તેમણે સિઓડ, શ્યામબજાર, કયાપાટમાં કીર્તનાનંદ કર્યો હતો. (કામારપુકુરથી) પાછા આવતી વખતે કોતુલપુરના ભદ્રના ઘરે સપ્તમી પૂજાની આરતી શ્રીરામકૃષ્ણદેવે જોઈ હતી. રસ્તામાં કેશવ સેનના બ્રાહ્મોસમાજના ભક્તો સાથે મુલાકાત થઈ હતી. તેઓ દ્વારા જાણવા મળ્યું કે ઠાકુરનાં ઘણા સમય સુધી દર્શન ન થવાથી કેશવ ચિંતિત થયા છે. એ સમયે કામારપુકુરમાં રહેતી વખતે (ગૃહદેવતા) રઘુવીરની પૂજા માટે જમીન ખરીદવામાં આવી હતી.)

ત્યાર પછી થોડા દિવસો બાદ ઈ.સ. ૧૮૮૧માં માઘોત્સવના સમયે જાન્યુઆરી મહિનામાં શ્રી કેશવ સેન શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા માટે દક્ષિણેશ્વર ગયા હતા. એ સમયે ત્યાં રામ, મનોમોહન, જયગોપાલ સેન વગેરે અનેક ઉપસ્થિત હતા.

શ્રીકેશવચંદ્ર સેન

૧૨૮૮, ૧ શ્રાવણ કૃષ્ણ ચતુર્થી, શુક્રવાર, ૧૫મી જુલાઈ, ઈ.સ. ૧૮૮૧ના રોજ શ્રી કેશવ સેન ફરીથી શ્રીરામકૃષ્ણને દક્ષિણેશ્વરથી સ્ટીમરમાં લઈ ગયા.

ઈ.સ. ૧૮૮૧ના નવેમ્બર માસમાં મનોમોહનના મકાને જે સમયે શ્રીરામકૃષ્ણનું શુભાગમન તથા ઉત્સવ થયો હતો તે સમયે પણ આમંત્રિત થઈને શ્રી કેશવ સેન ઉત્સવમાં સામેલ થયા હતા. શ્રી ત્રૈલોક્ય આદિએ ભજન ગાયાં હતાં.

ઈ.સ. ૧૮૮૧ના ડિસેમ્બર માસમાં શ્રીરામકૃષ્ણ આમંત્રિત મહેમાન બનીને રાજેન્દ્ર મિત્રના મકાને ગયા હતા. શ્રી કેશવ સેન પણ ત્યાં ગયા હતા. આ મકાન ઠનઠનિયાના બેચૂ ચેટર્જી સ્ટ્રીટમાં આવેલ છે. રાજેન્દ્ર રામ તથા મનોમોહનના માસા હતા. રાજેન્દ્રે રામ, મનોમોહન, બ્રાહ્મભક્ત રાજમોહન તથા કેશવ સેનને સમાચાર આપીને આમંત્રિત કર્યા હતા.

કેશવને જે સમયે સમાચાર આપવામાં આવ્યા તે સમયે તેઓ ભાઈ અઘોરનાથના શોકમાં અશૌચ અવસ્થામાં હતા. પ્રચારક ભાઈ અઘોરે ૨૪ અગ્રહાયણ, ૮ ડિસેમ્બર અને ગુરુવારના રોજ લખનૌ શહેરમાં દેહત્યાગ કર્યો હતો. બધાનું અનુમાન એવું હતું કે કેશવ સેન આવી શકશે નહિ. સમાચાર મળતાં શ્રી કેશવ સેન બોલ્યાઃ ‘આ તે કેવું! પરમહંસ મહાશય આવશે અને હું ન જાઉં? અવશ્ય જઈશ જ. અશૌચમાં છું એટલે હું અલગ સ્થાને બેસીને ખાઈશ.’

મનોમોહનની માતા પરમભક્તિમતી શ્યામાસુંદરીદેવીએ શ્રીરામકૃષ્ણને ભોજન પીરસ્યું. રામ ભોજન સમયે પાસે જ ઊભા હતા. જે દિવસે રાજેન્દ્રના ઘરે શ્રીરામકૃષ્ણે શુભાગમન કર્યું તે દિવસના ત્રીજે પહોરે સુરેન્દ્રે એમને ચીનાબજારમાં લઈ જઈને એમનો ફોટો પડાવ્યો. શ્રીરામકૃષ્ણ સમાધિભાવમાં ઊભા છે.

ઉત્સવના દિવસે મહેન્દ્ર ગોસ્વામીએ ભાગવતની કથા કરી.

જાન્યુઆરી, ઈ.સ.૧૮૮૨ માઘોત્સવના ઉપલક્ષ્યમાં સિમુલિયા બ્રાહ્મસમાજના ઉત્સવમાં જ્ઞાન ચૌધરીના મકાને શ્રીરામકૃષ્ણ અને કેશવ સેન આમંત્રિત મહેમાનરૂપે ઉપસ્થિત હતા. આંગણામાં કીર્તન થયાં. આ સ્થળે શ્રીરામકૃષ્ણે પહેલી જ વાર નરેન્દ્રનું ગીત સાંભળ્યું અને એને દક્ષિણેશ્વર આવવા માટે કહ્યું.

ઈ.સ. ૧૮૮૨ના ફેબ્રુઆરીની તા. ૨૩મી, ૧૨ ફાગણ, ગુરુવારે શ્રી કેશવ, ફરી વાર દક્ષિણેશ્વરે શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા ભક્તો સાથે આવેલા. સાથે જોસેફ કૂક તથા એક અમેરિકન પાદરી, મિસ પીગોટ સાથે બ્રાહ્મભક્તો. કેશવે ઠાકુરને સ્ટીમરમાં સાથે લઈ લીધેલા. કૂકસાહેબે શ્રીરામકૃષ્ણની સમાધિ અવસ્થા જોઈ. શ્રીયુત્ નગેન્દ્ર પણ એ સ્ટીમરમાં હતા. તેમના મુખેથી બધું સાંભળીને માસ્ટરે દસ પંદર દિવસની અંદર જ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણનાં પહેલવહેલાં દર્શન કર્યાં હતાં.

ત્રણ માસ બાદ, એપ્રિલ મહિનામાં શ્રીરામકૃષ્ણ કમલકુટિરે કેશવને મળવા આવેલા. એ વખતનું થોડું વિવરણ આ અધ્યાયમાં અપાયું છે.

શ્રીરામકૃષ્ણનો શ્રી કેશવ પ્રત્યે સ્નેહ – જગન્માતાની પાસે સાકર-નાળિયેરની માનતા

આજે કમલકુટિરના દીવાનખાનામાં ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે બિરાજમાન છે. ઈ.સ. ૧૮૮૨ના એપ્રિલની બીજી તારીખ, સાંજે પાંચ વાગ્યા છે. કેશવ અંદરના ઓરડામાં હતા, તેમને ખબર પહોંચાડવામાં આવ્યા. એ પહેરણ પર ખેસ નાખી બહાર આવીને તેમણે પ્રણામ કર્યા. તેમના ભક્તમિત્ર શ્રી કાલીનાથ બસુ બીમાર હતા, કેશવ તેમને જોવા જવાના હતા. ઠાકુર આવ્યા એટલે કેશવનું જવાનું બંધ રહ્યું. ઠાકુર કહે છે કે તમારે ઘણાં કામકાજ, સમાચારપત્રોમાં લખવાનું હોય, એટલે ત્યાં (દક્ષિણેશ્વર) આવવાનો સમય ન મળે, તેથી હું જ તમને મળવા આવ્યો છું. તમારી તબિયત સારી નથી એ સાંભળીને મેં માતાજીની નાળિયેર-સાકરની માનતા કરેલી. માને કહ્યું ‘મા, કેશવને જો કાંઈ થાય તો કોલકાતા જાઉં ત્યારે વાતો કોની સાથે કરવી?’

શ્રીયુત્ પ્રતાપ વગેરે બ્રાહ્મભક્તોની સાથે શ્રીરામકૃષ્ણ કેટલીયે વાતો કરી રહ્યા છે. પાસે માસ્ટર બેઠા છે એ જોઈ શ્રીઠાકુર કેશવને કહે છે કે આ કેમ ત્યાં (દક્ષિણેશ્વર) આવતા નથી એ પૂછો તો જરા; આમ તો એ ઘણું કહે છે કે સ્ત્રીપુત્રાદિ ઉપર મન નથી!’ માસ્ટર તરતમાં, હજી એક મહિનો થયો ઠાકુરની પાસે નવાનવા આવજા કરવા લાગ્યા છે. છેવટની વખતે ત્યાં જવામાં કેટલાક દિવસનો વિલંબ થયો છે એટલે ઠાકુર આવી રીતે બોલે છે. ઠાકુરે કહી રાખ્યું છે કે આવતાં વધારે દિવસો થવાના હોય તો મને કાગળ લખજો.

બ્રાહ્મભક્તો શ્રીયુત્ સમાધ્યાયીને દેખાડીને ઠાકુરને કહે છે કે આ પંડિત, વેદ વગેરે શાસ્ત્રો ખૂબ ભણ્યા છે. ઠાકુર કહે છે કે હા, એની આંખોમાંથી એની અંદરનું બધું દેખી શકાય છે, જેમ કાચના દરવાજામાંથી ઓરડાની અંદરનું બધું દેખી શકાય તેમ.

શ્રીયુત્ ત્રૈલોક્ય ગીત ગાય છે. ગીત ગાતાં ગાતાં સંધ્યાના દીવા પેટાવવામાં આવ્યા. ગીત ચાલવા લાગ્યું. ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર અચાનક ઊભા થઈ ગયા, અને માનું નામ લેતાં લેતાં સમાધિમગ્ન! સહેજ સ્વસ્થ થઈને નૃત્ય કરતાં કરતાં પોતે જ ગાવા લાગ્યાઃ

સુરાપાન કરું નહીં હું, સુધા પીઉં જય કાલી બોલી,
ભાવાવેશે માને જોઈને, પીધેલ એને પીધેલ કહે,
ગુરુમંત્ર બીજ ગોળ લઈને જપ-પ્રવૃત્તિનો મસાલો કરી
જ્ઞાન પાત્રમાં ઉકાળ્યો એને, પાગલ થઈને પાન કરું,
મૂલમંત્ર સારગર્ભ તારા નામે શોધન કરું,
પ્રસાદ કહે આવી સુરા પીએ કોઈ ચતુર્વર્ગ મળે સોઈ.

શ્રીયુત્ કેશવને ઠાકુર સ્નેહમય નેત્રે જોઈ રહ્યા છે. જાણે કે એ તદ્દન આપ્તજન. અને જાણે કે કેશવ પાછા બીજા કોઈના અર્થાત્ સંસારના થઈ જાય એ બીકે તેમના સામે જોઈને વળી પાછું ગીત ઉપાડ્યુંઃ

‘વાત કે’તાંયે ડરું, ન કહેતાંયે ડરું,
મનમાં સંદેહ મને થાય કે તને હારું.
હું તો જાણું છું મન તારું, મંત્ર દીધો તને એ સારુ,
હવે તું જાણે મન તારું તરું જે મંત્રે ને તારું.’

હું જાણું છું કે તારું મન શું છે, એથી તને તે મંત્ર આપ્યો. હવે તું તારું મન જાણે. અર્થાત્ સર્વ છોડીને ભગવાનને સમરો, એ જ સત્ય, બાકી બધું મિથ્યા. ભગવાનને ન મેળવ્યા તો કાંઈ જ વળ્યું નહિ. એ જ મહામંત્ર.

વળી પાછા બેસી જઈને ભક્તોની સાથે વાતો કરે છે.

ઠાકુરને જલપાન કરાવવાની તૈયારી થાય છે. ખંડની એક બાજુને ખૂણે એક બ્રાહ્મભક્ત પિયાનો બજાવી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ હસતે વદને; બાળકની પેઠે પિયાનાની પાસે જઈ ઊભા રહીને જુએ છે. થોડી વારમાં, સ્ત્રીઓ પ્રણામ કરી શકે એટલા માટે તેમને અંદરના ભાગમાં નાસ્તો કરવા લઈ જવામાં આવ્યા.

ઠાકુર શ્રીરામકૃષ્ણે નાસ્તો કર્યો. પછી ગાડીમાં બેઠા. બ્રાહ્મભક્તો બધા ગાડીની પાસે ઊભા રહ્યા. કમલકુટિરથી ગાડી દક્ષિણેશ્વર મંદિર તરફ રવાના થઈ.

Total Views: 619
ખંડ 2: અધ્યાય 2: શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના પ્રાણકૃષ્ણના ઘરે
ખંડ 3: અધ્યાય 1: શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું મકાન