શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના દેવાલયમાં, શિવમંદિરનાં પગથિયાં ઉપર બેઠા છે. જેઠ મહિનો, ઈ.સ. ૧૮૮૩. ગરમી ખૂબ પડી છે. જરાક વાર પછી સંધ્યા થવાની તૈયારી. બરફ વગેરે લઈને માસ્ટર આવ્યા છે અને ઠાકુરને પ્રણામ કરીને તેમનાં ચરણ પાસે શિવમંદિરનાં પગથિયાં પર બેઠા.
J.S. Mill and Sri Ramakrishna : Limitations of Man – a Conditioned Being
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): મણિ મલ્લિકના દીકરાનો જમાઈ આવ્યો હતો. તેણે કોઈક ચોપડીમાં નીચે (John Stuart Mill’s Autobiographhy. Mill, 1806-1873) વાંચ્યું છે કે ઈશ્વર એવો જ્ઞાની કે સર્વજ્ઞ લાગતો નથી. જો હોય તો જગતમાં આટલું બધું દુઃખ શા માટે? અને આ જે જીવોનું મૃત્યુ થાય છે, તે તેમને એકદમ મારી નાખે તોય ચાલે, એક પછી એક કેટલુંય કષ્ટ દઈને મારી નાખવા શું કામ? જેણે પુસ્તક લખ્યું છે તેણે કહ્યું છે કે જો હું હોત તો આના કરતાં વધુ સારી સૃષ્ટિ કરી શકત.
માસ્ટર નવાઈ પામી જઈને ઠાકુરની વાત સાંભળે છે અને મૂંગા બેસી રહ્યા છે. ઠાકુર વળી પાછા વાતો કરે છે.
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): ઈશ્વરને સમજી શકાય કે? હુંય ક્યારેક તેનો વિચાર કરું કે તે સારો, ક્યારેક વિચારું કે નરસો. એની મહામાયાની અંદર આપણને રાખ્યા છે. ક્યારેક એ જાગૃતિ આપે, ક્યારેક એ અજ્ઞાનમાં રાખે. એકાદ વખતે અજ્ઞાન ચાલ્યું જાય, પાછું ઘેરી વળે. તળાવ ઉપર ઉપર લીલથી ઢંકાઈ ગયેલું હોય. પથરો ફેંકો એટલે થોડુંક પાણી દેખાઈ જાય. પણ પાછું થોડીક વાર પછી લીલ નાચતી નાચતી આવીને એ પાણીને ઢાંકી દે.
જ્યાં સુધી દેહ-ભાવના હોય ત્યાં સુધી સુખ-દુઃખ, જન્મ-મૃત્યુ, રોગ-શોક હોય જ. એ બધાં દેહનાં જ છે, આત્માનાં નહિ. દેહના મૃત્યુ પછી ભગવાન કદાચ સાચી જગાએ લઈ જાય, જેમ કે પ્રસવ-વેદનાની પછી સંતાન-પ્રાપ્તિ. આત્મ-જ્ઞાન થાય એટલે સુખ-દુઃખ, જન્મ-મૃત્યુ, વગેરે સ્વપ્ન જેવાં લાગે.
આપણે શું સમજીએ? એક શેરની લોટીમાં શું દશ શેર દૂધ સમાય? મીઠાની પૂતળી સમુદ્રની ઊંડાઈ માપવા ઊતરેલી, તે પાછી બહાર આવીને સમાચાર ક્યાંથી આપે? ઓગળી જઈને એકરૂપ થઈ જાય.
છિદ્યન્તે સર્વ સંશયાઃ તસ્મિન્ દૃષ્ટે પરાવરે
સંધ્યા થઈ. દેવતાઓની આરતી થાય છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં નાની પાટ પર બેસીને જગન્માતાનું ચિંતન કરી રહ્યા છે. રાખાલ, લાટુ, રામલાલ, કિશોરી ગુપ્ત વગેરે ભક્તો બેઠા છે. માસ્ટર આજે રાત્રે રહેવાના છે. ઓરડાની ઉત્તરની નાની ઓસરીમાં ઠાકુર એક ભક્તની સાથે એકાંતમાં વાતો કરી રહ્યા છે. તેઓ કહે છે કે ‘વહેલી સવારમાં અને પાછલી રાતે ધ્યાન કરવું એ બહુ સારું, અને રોજ સંધ્યા કાળ પછી.’ કેવી રીતે ધ્યાન કરવું, સાકાર ધ્યાન, અરૂપ ધ્યાન, એ બધું કહે છે.
થોડીકવાર પછી ઠાકુર પશ્ચિમની ગોળ ઓસરીમાં આવીને બેઠા છે, રાતના નવ વાગવાનો સુમાર. માસ્ટર પાસે બેઠા છે. રાખાલ વગેરે અવારનવાર ઓરડાની અંદર આવજા કરે છે.
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): જુઓ, અહીં જેઓ જેઓ આવશે એ બધાના સંશયો મટી જશે, શું કહો છો?
માસ્ટર: જી હા.
એટલામાં ગંગાના પ્રવાહ પર ખૂબ દૂર કોઈ ખારવો હોડી લઈ જઈ રહ્યો છે અને તેણે ગીત ઉપાડ્યું છે. એ ગીતના અવાજે મધુર અનાહત-ધ્વનિની પેઠે અનંત આકાશની અંદર થઈને ગંગાના વિશાળ વક્ષસ્થળને સ્પર્શ કરીને ઠાકુરના કર્ણ-પ્રદેશમાં પ્રવેશ કર્યો. તરત જ ઠાકુર ભાવ-મગ્ન! આખું શરીર ખડાં-રુંવાડાંમય. ઠાકુર માસ્ટરનો હાથ પકડીને બોલે છે, ‘જુઓ, જુઓ, મને રોમાંચ થાય છે, મારે અંગે હાથ લગાડી જુઓ!’
માસ્ટર એ પ્રેમપૂર્ણ રોમાંચિત દેહને સ્પર્શ કરીને નવાઈ જ પામી રહ્યા. ‘પુલકે પૂરિત અંગ!’ ઉપનિષદમાં કહ્યું છે કે ઈશ્વર વિશ્વમાં, આકાશમાં ‘ઓતપ્રોત’ થઈ રહેલ છે. એ જ શું શબ્દરૂપે શ્રીરામકૃષ્ણને સ્પર્શ કરી રહ્યો છે? આ જ શું શબ્દ-બ્રહ્મ! (એતસ્મિન્નુ ખલ્વક્ષરે ગાર્ગ્યાકાશ ઓતશ્ચ પ્રોતશ્ચેતિ । – બૃહ.ઉપ. ૩.૮.૧૧), (રસો … શબ્દઃ ખે પૌરુષં નૃષુ । ગીતા.૭.૮)
થોડીક વાર પછી ઠાકુર વળી પાછા વાતો કરે છે.
શ્રીરામકૃષ્ણ: જેઓ જેઓ અહીં આવે છે તેઓના પૂર્વ સંસ્કાર છે; શું કહો છો?
માસ્ટર: જી હા.
શ્રીરામકૃષ્ણ: અધરના સંસ્કાર હતા!
માસ્ટર: એ વળી કહેવાની જરૂર કે?
શ્રીરામકૃષ્ણ: સરળ હોય તો ઈશ્વરને જલદી પામી શકાય અને બે માર્ગ છે, સત્ ને અસત્. સત્ માર્ગે જવું જોઈએ.
માસ્ટર: જી હાં, દોરાનો છેડો જરાકે આડો હોય તો સોયના નાકામાં જાય નહિ.
સર્વત્યાગ શા માટે ?
શ્રીરામકૃષ્ણ: કોળિયામાં જો મોવાળો આવ્યો હોય તો મોઢામાંથી બધું ફેંકી દેવું પડે.
માસ્ટર: તો પણ આપ જેમ કહો છો તેમ, જેણે ભગવાનનાં દર્શન કર્યાં છે તેને ખોટાનો સંગ કશું કરી શકે નહિ. ભડભડાટ બળતા જ્ઞાનાગ્નિમાં કેળાનું ઝાડ પણ બળી જાય!
શ્રીરામકૃષ્ણ અને શ્રીકવિ કંકણ – અધરના ઘરે ચંડી ભજનો
બીજે એક દિવસે ઠાકુર કોલકાતામાં બેનેટોલામાં અધરને ઘેર પધાર્યા છે. ૩૧, અષાઢ સુદ દશમ, શનિવાર, ૧૪મી જુલાઈ, ઈ.સ. ૧૮૮૩.
અધર ઠાકુરને રાજનારાયણનાં ચંડીનાં ગીત સંભળાવવાના છે. રાખાલ, માસ્ટર વગેરે સાથે છે. મંદિર સામેની ઓસરીમાં ગીત ગવાઈ રહ્યાં છે. રાજનારાયણે ગીત ઉપાડ્યુંઃ
‘અભયપદે પ્રાણ સોંપ્યા છે’ વગેરે.
અભય-પદે પ્રાણ સોંપ્યા છે, હવે ક્યાં યમનો ભય રાખ્યો છેે!…
કાલી નામ મહા-મંત્ર, આત્મ-શિર-શિખાએ બાંધ્યો છે;
દેહ વેચીને ભવ-બજારે, શ્રીદુર્ગા-નામ ખરીદી લાવ્યો છું…
કાલી-નામ કલ્પતરુ, હૃદયે રોપણ કર્યું છે,
યમ આવ્યે હૈયું ખોલી, દાખવવાને બેઠો રહ્યો છું…
દેહની અંદર છ જણ કુજન, તેમને ઘરની બહાર કાઢ્યા છે,
રામપ્રસાદ કહે દુર્ગા બોલીને, પ્રયાણ-તૈયારી કરી બેઠો છે…
ઠાકુર જરાક સાંભળતાં સાંભળતાં ભાવ-મગ્ન થઈને ઊભા થઈ રહ્યા છે અને કીર્તન-મંડળીની સાથે સૂર મેળવીને ગીત ગાય છે. ઠાકુર ગીતનો ઉથલો આપે છે, ‘ઓ મા, રાખો મા.’
ગાતાં ગાતાં ઠાકુર સમાધિ-મગ્ન! બહારનું ભાન લુપ્ત, નેત્રો સ્થિર, પલકહીન! પોતે ઊભેલા છે!
ગીત –
રણે આવી આ કોણ કામિની?
સજલ મેઘ લજાવતી કાય
દશને કંપે દામિની.
ઠાકુર વળી સમાધિસ્થ.
ગીત પૂરું થયું એટલે ઓસરીમાંથી જઈને ઠાકુર અધરના મેડી પરના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠા. અનેક ઈશ્વરી વાતો થઈ. કોઈ કોઈ ભક્ત ફલ્ગુ નદી સમાન અંતર્મુખી, બહારથી ભાવનો કોઈ પ્રકાશ નહિ – આ બધી વાતો થાય છે.






