અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા।
ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ॥

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): તમારાં લગ્ન થયાં છે?

માસ્ટર: જી હા.

શ્રીરામકૃષ્ણ (ચોંકી જઈને): અરે રામલાલ! (શ્રીયુત્ રામલાલ, શ્રીઠાકુરના મોટાભાઈના પુત્ર અને કાલીમંદિરના પૂજારી) જો, લગન પણ કરી નાખ્યું છે!

માસ્ટર આશ્ચર્યચક્તિ થઈને મોટા ગુનેગારની પેઠે માથું નીચું કરીને ચૂપ થઈને બેસી રહ્યા. તે વિચાર કરવા લાગ્યા કે લગ્ન કરવામાં શું એટલો બધો દોષ!

ઠાકુરે વળી પૂછ્યું – ‘તમારે કંઈ છોકરાં થયાં છે?’

માસ્ટરની છાતી ધબક ધબક થવા લાગી. ડરતાં ડરતાં તેઓ બોલ્યા, ‘જી, છોકરાં છે.’

ઠાકુર વળી દુઃખી થઈને કહે છે – ‘હેં હ્! છોકરાં પણ થઈ ગયાં છે!’

તિરસ્કાર પામીને માસ્ટર સ્તબ્ધ થઈ રહ્યા.

તેમનો અહંકાર ઓગળવા લાગ્યો. થોડીવાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ કૃપાદૃષ્ટિ કરીને સ્નેહપૂર્વક બોલવા લાગ્યા, ‘જુઓ, તમારાં ચિહ્નો સારાં છે. હું કપાળ, આંખ એ બધું જોઈને સમજી શકું…

‘વારુ, તમારી પત્ની કેવી છે? વિદ્યાશક્તિ કે અવિદ્યાશક્તિ?’

જ્ઞાન કોને કહે છે? અને મૂર્તિપૂજા

માસ્ટર: જી, ઠીક છે. પણ અજ્ઞાની!

શ્રીરામકૃષ્ણ (નારાજ થઈને): અને તમે જ્ઞાની!

માસ્ટર જ્ઞાન કોને કહેવાય, અજ્ઞાન કોને કહેવાય, એ હજુ જાણતા નથી. અત્યાર સુધી તો એટલું જાણતા કે ભણતાં ગણતાં શીખીએ અને પુસ્તક વાંચતાં આવડે એટલે જ્ઞાન થાય. આ ભ્રમ પાછળથી દૂર થયો. તેમણે સાંભળ્યું કે ઈશ્વરને જાણવો તે જ્ઞાન, ને ઈશ્વરને ન જાણવો તે અજ્ઞાન.

ઠાકુર બોલ્યા – તમે શું જ્ઞાની? માસ્ટરનું અભિમાન ફરી ઘવાયું.

શ્રીરામકૃષ્ણ: વારુ, તમારી ‘સાકાર’માં શ્રદ્ધા કે ‘નિરાકાર’માં?

માસ્ટર (નવાઈ પામી જઈને પોતાના મનમાં): સાકારમાં શ્રદ્ધા હોય તો શું નિરાકારમાં શ્રદ્ધા બેસે? ઈશ્વર નિરાકાર, એવી શ્રદ્ધા હોય તો પછી ઈશ્વર સાકાર એવી શ્રદ્ધા શું બેસી શકે? વિરોધી અવસ્થાઓ બેય સાચી હોય શકે? ધોળી ચીજ દૂધ, તે શું કાળું હોઈ શકે?

માસ્ટર: જી, નિરાકાર – મને તે સારું લાગે છે.

શ્રીરામકૃષ્ણ: તે મજાનું. એકમાં શ્રદ્ધા હોય તો બસ. નિરાકારમાં શ્રદ્ધા, એ તો સારું. પરંતુ એવી ભાવના રાખવી નહિ કે માત્ર એ જ સાચું, બીજું બધું ખોટું. એટલું જાણજો કે નિરાકાર પણ સાચું, તેમજ સાકાર પણ સાચું. તમને જેમાં શ્રદ્ધા હોય તેને પકડી રાખજો.

બંને સાચાં તે વાત ઉપરા ઉપરી સાંભળીને માસ્ટર નવાઈ પામ્યા. એ વાત તો તેમના પુસ્તકિયા જ્ઞાનમાં નથી!

તેમનો અહંકાર ત્રીજી વાર ચૂર્ણ થવા લાગ્યો. પણ હજુ તેનો સંપૂર્ણ ચૂરો થયો નથી. એટલે વળી વધુ દલીલ કરવા તૈયાર થયા.

માસ્ટર: જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને?

શ્રીરામકૃષ્ણ: માટીની શા માટે? ચિન્મય પ્રતિમા.

માસ્ટર ‘ચિન્મય પ્રતિમા’ એ સમજી શક્યા નહિ. તે બોલ્યા, ‘વારુ, જેઓ માટીની પ્રતિમાની પૂજા કરે તેમને તો આપણે સમજાવી દેવું જોઈએ ને, કે માટીની પ્રતિમા એ ઈશ્વર નથી, અને પ્રતિમાની સામે ઈશ્વરને જ ઉદ્દેશીને પૂજા કરવી જોઈએ?

‘લેક્ચર’ (Lecture) અને ઠાકુર શ્રીરામકૃષ્ણ

શ્રીરામકૃષ્ણ (નાખુશ થઈને): તમારા કોલકાતાના લોકોમાં આ એક ટેવ, કે કેવળ લેકચર આપવાં, અને બીજાને સમજાવી દેવું! પોતાને કોણ સમજાવે તેનું ઠેકાણું નહિ! સમજાવનારા તમે કોણ? જેનું જગત છે તે જ સમજાવશે. જેણે આ જગત સર્જ્યું છે, ચંદ્ર, સૂર્ય, માણસ, જીવજંતુ બનાવ્યાં છે, જીવજંતુઓના ખાવા – પીવાની વ્યવસ્થા કરી છે, પાલનપોષણ કરવા માટે માબાપ કર્યાં છે, માબાપમાં સ્નેહ મૂક્યો છે, તે જ સમજાવશે. તેમણે આટલી વ્યવસ્થા કરી છે, તો પછી આને માટે વ્યવસ્થા કરી નહિ હોય? જો સમજાવવાની જરૂર પડશે તો તે જ સમજાવી દેશે.

એ તો અંતર્યામી છે. અગર આ માટીની પ્રતિમાની પૂજા કરવામાં કાંઈ ભૂલ થતી હોય તો શું જાણતા નથી કે એ તેમની જ પૂજા થાય છે? તે આ પૂજાથી જ સંતોષ માનશે. એને માટે તમને આટલી બધી માથાકૂટ શા માટે? તમને પોતાને જેથી જ્ઞાન મળે, ભક્તિ મળે, તેનો પ્રયાસ કરોને.

માસ્ટરનો અહંકાર કદાચ આ વખતે સંપૂર્ણ ઓગળી ગયો. તે વિચાર કરવા લાગ્યા કે આ જે કહે છે તે તો સાચું છે! મારે બીજાને સમજાવવા જવાની શી જરૂર? મેં શું ઈશ્વરને જાણ્યો છે, કે મને તેના ઉપર ભક્તિ આવી છે? પોતાને સૂવાનું ઠેકાણું નહિ ને બીજાને બોલાવે! હું પોતે જાણું-સમજું નહિ ને બીજાને સમજાવવા જાઉં, એ તો ભારે શરમની વાત અને હીનબુદ્ધિનું કામ! આ તે શું ગણિત, કે ઇતિહાસ, કે સાહિત્ય છે કે બીજાને સમજાવાય? આ તો છે ઈશ્વરતત્ત્વ! તેઓશ્રી જે કહે છે તે બરાબર લાગે છે.

ઠાકુરની સાથે માસ્ટરનો આ પહેલો અને છેલ્લો વાદ.

શ્રીરામકૃષ્ણ: તમે માટીની પ્રતિમાની પૂજા કહેતા હતા ને? અગર તે માટીની હોય તો પણ તે પૂજાનોય ઉપયોગ છે. જુદી જુદી જાતની પૂજાનું ઈશ્વરે જ વિધાન કર્યું છે, જેનું જગત છે તેણે જ આ બધું બનાવ્યું છે, પાત્રના ભેદ પ્રમાણે. જેને જે માફક આવે તે પ્રમાણે મા રસોઈ બનાવે તેમ. એક માને પાંચ છોકરાં. તહેવાર આવ્યો. મા તે વખતે જેને જે માફક આવે અને પાચનશક્તિ પ્રમાણે કોઈને માટે લાડુ, કોઈને માટે શીરો, તો કોઈને માટે દૂધપાક બનાવે, સમજ્યા?

માસ્ટર: જી હા.

Total Views: 662
ખંડ 1: અધ્યાય 3: બીજું દર્શન
ખંડ 1: અધ્યાય 5: ભક્તિનો ઉપાય