શ્રીરામકૃષ્ણ: ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત લેતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા. એકલા આખો દિવસ ધ્યાન ચિંતન કરતા, રાત્રે આશ્રમમાં પાછા આવીને કંઈક ફળમૂળ ખાતા. જોવું, સાંભળવું, અડકવું વગેરે બધા વિષયોમાંથી મનને અળગું કરી રાખતા; ત્યારે જ આત્મામાં બ્રહ્મનો અનુભવ કરતા.

‘કલિયુગમાં અન્ન ઉપર પ્રાણનો આધાર; દેહ- બુદ્ધિ જાય નહિ. એવી અવસ્થામાં સોહમ્ (હું એ ઈશ્વર) એમ કહેવું ઠીક નહિ. બધુંય કર્યે જઈએ છીએ, અને છતાં હું બ્રહ્મ એમ બોલવું એ બરાબર નહિ. જેઓ વિષયત્યાગ કરી શકે નહિ, જેમની ‘અહંબુદ્ધિ’ કોઈ રીતે જાય નહિ, તેમને માટે ‘હું દાસ’, ‘હું ભક્ત’ એ અભિમાન સારું. ભક્તિમાર્ગે રહેવાથી પણ ઈશ્વરને પામી શકાય.

‘જ્ઞાની ‘નેતિ નેતિ’ કરીને વિષયબુદ્ધિનો ત્યાગ કરે, ત્યારે જ બ્રહ્મને જાણી શકે; જેવી રીતે સીડીનાં પગથિયાં છોડી છોડીને અગાસીએ પહોંચી શકાય. પરંતુ જે વિજ્ઞાની, જે વિશેષરૂપે ઈશ્વરની સાથે વાતચીત કરે તે એથીયે કંઈક વધુ અનુભવ કરે. તે જુએ કે અગાસી જે વસ્તુની બનેલી છે, એ જ ઈંટ, ચૂનો, રેતીથી પગથિયાં પણ બનેલાં છે. ‘નેતિ નેતિ’ કરી કરીને જેનો બ્રહ્મ તરીકે અનુભવ થયો છે, તે જ જીવજગત થયેલ છે. વિજ્ઞાની જુએ કે જે નિર્ગુણ તે જ સગુણ.

‘અગાસી ઉપર માણસ બહુ વખત રહી શકે નહિ. પાછા ઊતરી આવે. જેઓએ સમાધિસ્થ થઈને બ્રહ્મદર્શન કર્યું છે તેઓ પણ ઊતરી આવીને જુએ કે એ ઈશ્વર જ જીવજગત થઈ રહ્યો છે. સા, રે, ગ, મ, પ, ધ નિ. નિ-સૂરે વધુ વખત રહી શકાય નહિ. અહં જાય નહિ; એટલે પછી જુએ કે ઈશ્વર જ હું, તે જ જીવ, જગત, બધુંય થઈ રહેલ છે. એનું જ નામ વિજ્ઞાન. જ્ઞાનીનો માર્ગ પણ એક માર્ગ, જ્ઞાનમિશ્ર ભક્તિનો માર્ગ પણ એક માર્ગ, તેમજ વળી ભક્તિનો માર્ગ પણ એક માર્ગ. જ્ઞાનયોગ પણ ખરો, ભક્તિયોગ પણ ખરો. બધા માર્ગમાંથી ઈશ્વર પાસે જઈ શકાય. ઈશ્વર જ્યાં સુધી અહં રાખી દે, ત્યાં સુધી ભક્તિમાર્ગ જ સહેલો.

‘વિજ્ઞાની જુએ કે બ્રહ્મ અટળ, નિષ્ક્રિય, સુમેરુવત્. આ જગત સંસાર, ઈશ્વરના સત્ત્વ, રજ, તમ, એ ત્રણ ગુણોથી થયો છે. એ પોતે અલિપ્ત. વિજ્ઞાની જુએ કે જે બ્રહ્મ, તે જ ભગવાન; જે ગુણાતીત, તે જ ષડૈશ્વર્યપૂર્ણ ભગવાન. આ જીવ, જગત, મન, બુદ્ધિ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ બધું તેમનું ઐશ્વર્ય. (હસીને) જે શેઠને ઘરબાર હોય નહિ અથવા વેચાઈ ગયાં હોય એ શેઠ પછી શેઠ શેનો? (સૌનું હાસ્ય.) ઈશ્વર ષડૈશ્વર્યપૂર્ણ. તેને જો ઐશ્વર્ય ન હોત તો એને માનત કોણ? (સૌનું હાસ્ય.)

વિભુરૂપે એક પરંતુ શક્તિવિશેષ

‘જુઓને, આ જગત કેવું આશ્ચર્યજનક છે! તેમાં કેટલી જાતની વસ્તુઓ- ચંદ્ર, સૂર્ય, નક્ષત્રો, કેટલી જાતના જીવો છે! – મોટા, નાના, સારા, નરસા; કોઈને વધુ શક્તિ, કોઈને ઓછી શક્તિ.

વિદ્યાસાગર: ઈશ્વરે શું કોઈને વધુ શક્તિ, તો કોઈને ઓછી આપી છે?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વર વિભુરૂપે સર્વ ભૂતોમાં છે, કીડી સુધ્ધાંમાં. પરંતુ શક્તિમાં તફાવત છે. એમ ન હોય તો એક માણસ દસ માણસને હરાવી દે, તેમ વળી કોઈ એક માણસથીયે ડરીને ભાગે એ કેમ બને? અને એમ ન હોય તો તમને પણ બધા માને શું કામ? તમને શું કોઈ બે શિંગડાં ઊગ્યાં છે? (હાસ્ય.) તમારામાં બીજા કરતાં વધારે દયા છે, તમારામાં વિદ્યા છે, એટલે તમને માણસો માને, મળવા આવે. આ વાત તમે માનો કે નહિ? (વિદ્યાસાગર ધીમું ધીમું મોં મરકાવી રહ્યા છે.)

કેવળ પાંડિત્ય, પુસ્તકીય વિદ્યા અસાર છે – ભક્તિ જ સાર છે

શ્રીરામકૃષ્ણ: એકલી પંડિતાઈમાં કાંઈ નહિ. ઈશ્વરને જાણવા સારુ, તેને પ્રાપ્ત કરવાના ઉપાય સારુ જ પુસ્તક વાંચવાનાં. એક સાધુને તેની પોથીમાં શું છે, એમ એક જણે પૂછ્યું. સાધુએ પોથી ઉઘાડીને બતાવ્યું. પાને પાને ‘ૐ રામ’ લખેલું, બીજું કાંઈ નહિ.

‘ગીતાનો અર્થ શો? દશ વાર ‘ગીતા’ બોલવાથી જે થાય તે. ‘ગીતા’ ‘ગીતા’ દશ વાર બોલવા જતાં ‘ત્યાગી’ ‘ત્યાગી’ થઈ જાય. ગીતાનો આ ઉપદેશ, કે હે જીવ, બધું ત્યાગ કરીને ભગવાનને મેળવવાનો પ્રયાસ કરો. સાધુ હો, કે સંસારી હો, મનમાંથી બધી આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. ચૈતન્યદેવ જ્યારે દક્ષિણમાં તીર્થભ્રમણ કરતા હતા ત્યારે તેમણે જોયું કે એક જગ્યાએ એક માણસ ગીતા વાંચે છે.

બીજો એક માણસ જરા દૂર બેસીને તે સાંભળે છે અને રડે છે. તેની આંખમાંથી આંસુની ધારા વહે છે. ચૈતન્યદેવે પૂછ્યું, ‘તમે આ બધું સમજી શકો છો?’ પેલાએ જવાબ આપ્યો કે ‘મહારાજ? હું શ્લોક, ભાષ્ય વગેરે કાંઈ સમજી શકતો નથી.’ ‘ત્યારે તમે કેમ રડો છો?’ – ચૈતન્યદેવે પૂછ્યું. એટલે ભક્તે કહ્યું, ‘પ્રભો, હું જોઉં છું અર્જુનનો રથ; અને તેની સાથે ભગવાન અને અર્જુન વાત કરી રહ્યા છે. એ જોઈને મારાથી રડી જવાય છે.’

Total Views: 658
ખંડ 3: અધ્યાય 3: ઠાકુર શ્રીરામકૃષ્ણ - જ્ઞાનયોગ અથવા વેદાંતવિચાર
ખંડ 3: અધ્યાય 5: ભક્તિયોગનું રહસ્ય - The Secret of Dualism