ત્વમેવ સૂક્ષ્મા ત્વં સ્થૂલા વ્યક્તાવ્યક્તસ્વરૂપિણી।
નિરાકારાપિ સાકારા કસ્ત્વાં વેદિતુમર્હતિ।। (મહાનિર્વાણ તંત્ર, ૪.૧૫)

આ બાજુ સ્ટીમર કોલકાતા તરફ જઈ રહી છે. કેબિનની અંદર જેઓ શ્રીરામકૃષ્ણનું દર્શન અને તેમની અમૃતમય કથાનું શ્રવણ કરી રહ્યા છે, તેમને સ્ટીમર ચાલે છે કે નહિ એ પણ ખબર નથી. ભ્રમર પુષ્પ ઉપર બેઠા પછી ગણગણ કરે કે?

ધીરે ધીરે સ્ટીમરે દક્ષિણેશ્વર પસાર કર્યું. સુંદર દેવાલયનું ચિત્ર દૃષ્ટિપટની બહાર ચાલ્યું ગયું. સ્ટીમરનાં ચક્રોથી ક્ષુબ્ધ થઈને ગંગાનાં આસમાની જળ, તેના ફીણમય તરંગો, કલ્લોલ કરવા લાગ્યાં. પરંતુ એ કલ્લોલ ભક્તોને કાને પહોંચી શકતો ન હતો. તેઓ તો મુગ્ધ થઈને જોઈ રહ્યા છે સહાસ્ય-વદન, આનંદમય પ્રેમાનુરંજિત નયન, પ્રિયદર્શન એક અદ્ભુત યોગી! તેઓ તો મુગ્ધ થઈને નીરખી રહ્યા છે, સર્વત્યાગી એક પ્રેમી વૈરાગી, કે જે ઈશ્વર સિવાય બીજું કાંઈ જાણે નહિ. આ બાજુ પરમહંસદેવની કથા ચાલી રહી છે.

શ્રીરામકૃષ્ણ: વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્, બ્રહ્મ જ ખરી વસ્તુ, બાકીનું બધું અવસ્તુ; શક્તિ પણ સ્વપ્નવત્, અવસ્તુ. પણ તમે હજાર વિચાર કરો ને, છતાં સમાધિસ્થ થયા વિના શક્તિની હદ ઓળંગી શકો નહિ. હું ધ્યાન કરું છું, હું ચિંતન કરું છું એ બધુંય શક્તિની સીમાની અંદર, શક્તિના ઐશ્વર્યની અંદર, એટલે બ્રહ્મ અને શક્તિનો અભેદ. એકને માનીએ એટલે બીજાને પણ માનવું પડે. જેમ કે અગ્નિ અને તેની દાહક-શક્તિ. અગ્નિને માનો એટલે તેની દાહક-શક્તિને માનવી જ પડે. દાહક-શક્તિને છોડીને અગ્નિનો વિચાર થઈ શકે જ નહિ. વળી અગ્નિને છોડી દઈને તેની દાહક-શક્તિનો પણ વિચાર થઈ શકે નહિ. સૂર્યને છોડીને સૂર્યનાં કિરણોનો વિચાર કરી શકાય નહિ. સૂર્યનાં કિરણોને છોડીને સૂર્યનો ખ્યાલ ન આવી શકે.

‘દૂધ કેવું હોય? ધોળું, ધોળું. દૂધને છોડીને દૂધની ધોળાશનો વિચાર ન આવી શકે, તેમજ દૂધની ધોળાશ છોડીને દૂધનો ખ્યાલ ન આવે.

‘એટલે બ્રહ્મને છોડીને શક્તિનો કે શક્તિને છોડીને બ્રહ્મનો વિચાર આવી શકે નહિ. નિત્યને (The Absolute) છોડીને લીલા કે લીલાને (The Relative Phenomenal world) છોડીને નિત્યનો ખ્યાલ સંભવે નહિ.’

‘આદ્ય-શક્તિ લીલામયી, સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરી રહી છે. એનું જ નામ કાલી. કાલી એ જ બ્રહ્મ, બ્રહ્મ એ જ કાલી. એક જ વસ્તુ. જ્યારે એમ વિચાર કરું કે એ નિષ્ક્રિય, સૃષ્ટિ, સ્થિતિ કે પ્રલય એમાંનું કોઈ પણ કામ કરતી નથી, ત્યારે તેને બ્રહ્મ કહું. પરંતુ જ્યારે એ જગતની સૃષ્ટિ, સ્થિતિ, લય વગેરે કરે, ત્યારે તેને કાલી કહું, શક્તિ કહું. એક જ વ્યક્તિ, ભેદ માત્ર નામરૂપનો.

જેમ કે ‘જળ’, ‘વોટર’, ‘પાણી.’ એક તળાવને ત્રણ-ચાર ઘાટ. એક ઘાટે હિંદુઓ પાણી પીએ, તેઓ કહે ‘જળ.’ બીજે ઘાટે મુસલમાનો પાણી પીએ, તેઓ કહે ‘પાની’. ત્રીજે ઘાટે અંગ્રેજો પાણી પીએ, તેઓ કહે ‘વોટર’. એ ત્રણેય એક, માત્ર નામ જુદાં. તેવી રીતે તેને (પરમાત્માને) કોઈ કહે છે ‘અલ્લાહ’, કોઈ કહે ‘ગોડ’, કોઈ ‘બ્રહ્મ’, કોઈ ‘કાલી’, તો કોઈ ‘રામ’, ‘હરિ’, ‘ઈશુ’, દુર્ગા’ વગેરે વગેરે.

કેશવ (સહાસ્ય): કાલી કેટલી કેટલી રીતે લીલા કરે છે તે વાત એક વાર કહો તો.

કેશવચંદ્ર સેન સાથે વાર્તાલાપ – મહાકાલી અને સૃષ્ટિ પ્રકરણ

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): એ ઘણીયે રીતે લીલા કરે છે. એ જ મહાકાલી, નિત્યકાલી, સ્મશાનકાલી, રક્ષાકાલી, શ્યામાકાલી. મહાકાલી, નિત્યકાલીની વાત તંત્રોમાં છે. જ્યારે સૃષ્ટિ હજી થઈ ન હતી, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, પૃથ્વી વગેરે હતાં નહિ, હતો માત્ર ગાઢ અંધકાર, ત્યારે એકલાં મા નિરાકાર, મહાકાલી મહાકાલ સાથે બિરાજી રહ્યાં હતાં.

‘શ્યામા-કાલીનો ઘણે અંશે કોમળભાવ, વર-અભય-દાયિની. ગૃહસ્થોના ઘરમાં તેની જ પૂજા કરવામાં આવે. જ્યારે મહામારી, દુષ્કાળ, ભૂકંપ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વગેરે થાય ત્યારે રક્ષા-કાલીની પૂજા કરવી જોઈએ. સ્મશાન-કાલીની સંહારમૂર્તિ, શબ, શિયાળ, જોગણી, ડાકણો વગેરે બધાંની વચ્ચે સ્મશાનમાં રહેનારી. તેને હોય છે, રુધિરની ધારા, ગળામાં મુંડમાળા, કેડે નરહસ્તનો કમરબંધ. જ્યારે જગતનો નાશ થાય, મહાપ્રલય થાય ત્યારે મા સૃષ્ટિનાં બીજ બધાં ભેગાં કરીને રાખી મૂકે. ઘરમાં સ્ત્રીઓની એક એવી માટલી હોય, કે જેમાં ગૃહિણી જાતજાતની ચીજો સંઘરી રાખે. (કેશવ અને સૌનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): હા ભાઈ હા. ઘરની સ્ત્રીઓ એવી એક માટલી રાખે. તેમાં સમદરફીણ, ગળીની ગોટી, કાકડી, પતકોળાં તેમજ દૂધીનાં બી વગેરે નાની નાની પોટલીઓમાં બાંધીને રાખી મૂકે. જરૂર પડ્યે બહાર કાઢે. મા બ્રહ્મમયી સૃષ્ટિના નાશ પછી એવાં બધાં બીજ સંઘરી રાખે. સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી આદ્ય-શક્તિ જગતની અંદર જ રહે. જગતનો પ્રસવ કરે, તેમજ તેની અંદર રહે! વેદમાં છે ઊર્ણનાભિઃ એટલે કરોળિયાની વાત. કરોળિયો અને તેની જાળ, કરોળિયો પોતાની અંદરથી જ જાળ બહાર કાઢે, તેમજ પોતે એ જાળની અંદર રહે. તે જ પ્રમાણે ઈશ્વર જગતનો આધાર અને આધેય બંને.

કાલીબ્રહ્મ – કાલી નિર્ગુણા અને સગુણા

‘કાલી શું કાળી છે? દૂર છે એટલે કાળી; જાણી શકીએ તો કાળી નથી. આકાશ દૂરથી આસમાની રંગનું દેખાય, પાસે જઈને જુઓ તો કશો રંગ નથી! સમુદ્રનું જળ દૂરથી વાદળી દેખાય, પાસે જઈને હાથમાં લઈને જુઓ તો કશો રંગ નહિ! એમ કહીને પ્રેમોન્મત્ત થઈને શ્રીરામકૃષ્ણે ગીત ઉપાડ્યુંઃ

‘શ્યામા મા શું મારી કાલી રે,
કાળરૂપી દિગંબરી હૃદયપદ્મને કરે ઉજ્જવળ રે…
લોક કહે કાલી કાલી પણ મન ન કહે આ કાલી રે,
કદી શ્વેત એ કદીક પીળી, કદી લાલ એ કદીક લીલી,
મેં ના જાણી કેવી જનની, વૃથા જનમ વિસારી રે…
કદી પુરુષ એ કદી પ્રકૃતિ છે કદીક એની ન કો આકૃતિ છે,
વિચારી એ ભાવ કમલાકાન્ત, બુદ્ધિ બની મતવાલી છે…’

Total Views: 438
ખંડ 5: અધ્યાય 3: જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય
ખંડ 5: અધ્યાય 5: સંસાર શા માટે?