યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહા (તૈત્તિરીય ઉપનિષદ્, ૨.૪)

એક બ્રાહ્મભક્તે પ્રશ્ન કર્યો, ‘ઈશ્વર સાકાર કે નિરાકાર?’

શ્રીરામકૃષ્ણ: તે માત્ર આવો જ છે, એમ કહી શકાય નહિ. એ નિરાકાર તેમજ સાકાર બંને. ભક્તને માટે સાકાર, પરંતુ જે વ્યક્તિ જ્ઞાની છે, એટલે જેને મન જગત સ્વપ્નવત્ ભાસે છે, તેને માટે નિરાકાર. ભક્ત માને કે હું એક વસ્તુ અને જગત બીજી વસ્તુ. એટલે ઈશ્વર ‘વ્યક્તિ’ રૂપે ભક્તને દર્શન દે. જ્ઞાની, જેવા કે વેદાંતવાદી, કેવળ ‘નેતિ, નેતિ’, એમ વિચાર કરે. વિચાર કરીને જ્ઞાનીને અંતરમાં બોધ થાય કે ‘હું મિથ્યા, જગત પણ મિથ્યા, સ્વપ્નવત્.’ જ્ઞાની બ્રહ્મને આત્મામાં અનુભવે, બ્રહ્મ શું છે એ મોઢે બોલી શકે નહિ.

એ કેવું તે જાણો છો? જાણે કે સચ્ચિદાનંદરૂપી સમુદ્ર, ક્યાંય કિનારો નહિ, તેમાં ભક્તિરૂપી ઠંડીથી પાણી ઠેકાણે ઠેકાણે જામીને બરફ થઈ જાય. અર્થાત્ ભક્તની પાસે એ જ સચ્ચિદાનંદ ક્યારેક ક્યારેક વ્યક્તિ તરીકે સાકાર રૂપ લે. જ્ઞાન સૂર્ય ઊગે એટલે તેનો બરફ જેવો સાકારભાવ ઓગળી જાય. એ વખતે પછી ઈશ્વરનો વ્યક્તિરૂપે અનુભવ થાય નહિ, તેના રૂપનું દર્શન થાય નહિ, એનું સ્વરૂપ કેવું તે મોઢેથી બોલી શકાય નહિ. બોલે કોણ? બોલનાર જ ન મળે, તેનો ‘હું’ શોધ્યો જડે નહિ.

‘વિચાર કરતાં અંતે ‘હું’ જેવું કંઈ બાકી ન રહે. ડુંગળીનું ઉપલું લાલ ફોતરું ઉખેડ્યું, ત્યાર પછી પછી ધોળું ફોતરું, એ પ્રમાણે છેક સુધી ફોતરાં ઉખેડતાં ઉખેડતાં અંદર છેવટે કંઈ જડે નહિ.

જ્યાં પોતાનો અહં શોધ્યો જડે નહિ-અને શોધેય કોણ? – ત્યાં બ્રહ્મનું સ્વરૂપ અનુભવમાં કેવી રીતે આવે એ કહે કોણ!

એક મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ હતી. સમુદ્રમાં જેવી ઊતરી કે તરત જ ઓગળીને સમુદ્રમાં મળી ગઈ. પછી સમુદ્રના ખબર કોણ આપે?’

‘પૂર્ણ જ્ઞાનનું લક્ષણ, પૂર્ણ જ્ઞાન થયે માણસ ચૂપ થઈ જાય. એ વખતે ‘અહં’રૂપી મીઠાની પૂતળી સચ્ચિદાનંદરૂપી સાગરમાં ઓગળીને એકરસ થઈ જાય. પછી ભેદબુદ્ધિ જરાય રહે નહિ.

વિચાર કરવાનું જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ફટફટ તર્ક ને દલીલો કરે. તે પૂરો થયે ચૂપ થઈ જાય. ઘડો પૂરો ભરાઈ જાય એટલે કે પૂર્ણ થયે, ઘડાનું જળ અને તળાવનું જળ એક થઈ જાય પછી અવાજ રહે નહિ. જ્યાં સુધી ઘડો પૂરો ન ભરાય ત્યાં સુધી જ અવાજ.’

જૂના જમાનામાં માણસો કહેતાં કે કાળાપાણીએ ગયેલાં વહાણ પાછાં ન આવે.

‘હું’પણું જતું નથી

‘હું મર્યે મટે ઝંઝાળ.’ (હાસ્ય). પણ હજાર વિચાર કરો ભલે ને, અહં જાય નહિ. એટલે તમારા-મારા જેવા માટે ‘હું ભક્ત’ એ અભિમાન સારું.

‘ભક્તને માટે સગુણ બ્રહ્મ, અર્થાત્ તે (પરમાત્મા) સગુણ, એક વ્યક્તિ થઈને, રૂપ ધારણ કરીને દર્શન દે, પ્રાર્થના સાંભળે. તમે જે પ્રાર્થના કરો છો તે તેની જ કરો છો. તમે વેદાંતવાદી નથી, જ્ઞાની નથી, તમે ભક્ત. સાકારરૂપ માનો કે ન માનો, તેમાં કંઈ હરકત નહિ. ઈશ્વર એક વ્યક્તિ, એટલું જ્ઞાન રહે એટલે બસ, કે જે વ્યક્તિ પ્રાર્થના સાંભળે, સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે, જે વ્યક્તિની અનંત શક્તિ.

ભક્તિ-માર્ગથી જ પરમાત્માને સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય.’

Total Views: 426
ખંડ 6: અધ્યાય 3
ખંડ 6: અધ્યાય 5: ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર?