શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરમાં વિદ્યાસાગરની સ્કૂલને દરવાજે ગાડી કરીને આવી પહોંચ્યા. સમય ત્રણ વાગ્યાનો હશે. ગાડીમાં માસ્ટરને લઈ લીધા. રાખાલ અને બીજા એકબે ભક્તો ગાડીમાં છે. આજ બુધવાર, ૧૫મી નવેમ્બર, ઈ.સ. ૧૮૮૨. કાર્તિક સુદ પાંચમ. ગાડી ચિતપુર રોડ પર થઈને મેદાન તરફ જઈ રહી છે.

શ્રીરામકૃષ્ણ આનંદમય, પીધેલની જેમ એક વાર ગાડીની આ બાજુ જુએ, તો એક વાર પેલી બાજુએ મોઢું બહાર કાઢીને નાના છોકરાની પેઠે જોયા કરે છે, અને રસ્તા પર ચાલનારાઓ સંબંધે ભક્તો સાથે વાતો કરે છે. માસ્ટરને કહે છે કે ‘જુઓ, બધા માણસોને જોઉં છું તો નીચે દૃષ્ટિવાળા, બધા પેટ ભરવા સારુ જઈ રહ્યા છે. કોઈની ઈશ્વર તરફ નજર નહિ!’

શ્રીરામકૃષ્ણ આજે મેદાનમાં વિલ્સનનું સર્કસ જોવા જાય છે. મેદાનમાં પહોંચીને ટિકિટ લેવામાં આવી; આઠ આનાવાળી એટલે છેલ્લા વર્ગની ટિકિટ. ભક્તો ઠાકુરને લઈને ઊંચી જગાએ ચડીને એક બેંચ ઉપર બેઠા. ઠાકુર આનંદથી બોલે છે, ‘વાહ, અહીંથી મજાનું જોઈ શકાય છે.’

સરકસમાં કેટલીય વાર સુધી તરેહ તરેહના ખેલો જોયા. ગોળાકાર રસ્તામાં ઘોડો દોડી રહ્યો છે. ઘોડાની પીઠ ઉપર છોકરી એક પગે ઊભેલી છે. વળી વચ્ચે વચ્ચે સામે મોટી મોટી લોઢાની રીંગો રાખી છે. રીંગની પાસે આવીને ઘોડો જ્યારે રીંગની નીચે થઈને દોડે છે, ત્યારે એ છોકરી ઘોડાની પીઠ પરથી કૂદકો મારીને રીંગની અંદર થઈને ફરી પાછી ઘોડાની પીઠ પર એક પગે ઊભી થઈ રહે છે. ઘોડો વારે વારે ચક્કર ચક્કર ફરતો એ ગોળ રીંગમાં દોડવા લાગ્યો. પેલી છોકરીયે પાછી પહેલાંની પેઠે લોઢાની રીંગમાંથી નીકળીને પાછી દોડતા ઘોડા ઉપર એક પગે ઊભી રહે છે.

સર્કસ પૂરું થયું. ઠાકુર ભક્તો સાથે ઊતરી આવીને મેદાનમાં ગાડીની પાસે આવ્યા. ટાઢ પડે છે એટલે અંગે લીલી બનાત (એક પ્રકારનું ઊનનું કાપડ) ઓઢીને મેદાનમાં ઊભા ઊભા વાતો કરે છે. પાસે ભક્તો ઊભેલા છે. એક ભક્તના હાથમાં મુખવાસનો બટવો રહેલો છે, તેમાં મુખવાસનો મસાલો, ખાસ કરીને કબાબચીની છે.

પહેલાં સાધના પછી સંસારઃ અભ્યાસયોગ

શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે – ‘જોયું ને, છોકરી કેવી એક પગે ઘોડા ઉપર ઊભી હતી, અને ઘોડો જોસથી દોડ્યે જાય છે! કેટલું કઠણ! કેટલાય દિવસ સુધી અભ્યાસ કર્યો હશે ત્યારે એમ કરી શકતી હશે ને! જરાક ગાફેલ રહે તો હાથ-પગ ભાંગી જાય, વખતે મોત પણ આવે. સંસાર કરવોય એવો કઠણ. ખૂબ સાધન-ભજન કરીને કોઈ કોઈ ઈશ્વરકૃપાથી સંસાર ચલાવી શક્યા છે. મોટાભાગના લોકો કરી શકે નહિ. સંસાર ચલાવવા જતાં ઊલટા વધુ બદ્ધ થઈ જાય, ઊલટા ડૂબે, મોતની વેદના થાય. કોઈ કોઈ, જેમ કે જનક વગેરેએ, કેટલીયે તપસ્યાને જોરે સંસાર ચલાવ્યો હતો. એટલે સાધનભજનની ખૂબ જરૂર છે, નહિતર સંસારમાં બરાબર રહી શકાય નહિ.

બલરામને ઘરે શ્રીરામકૃષ્ણ

શ્રીરામકૃષ્ણ ગાડીમાં બેઠા. ગાડી બાગબજારમાં બસુપાડામાં બલરામના મકાનને બારણે ઊભી રહી. ઠાકુર ભક્તો સાથે બીજે માળે દીવાનખાનામાં જઈને બેઠા. સંધ્યા પછી દીવો પેટાવવામાં આવ્યો છે. ઠાકુર સર્કસની વાત કરી રહ્યા છે. કેટલાય ભક્તો એકઠા થયા છે. તેમની સાથે કેટલીય ઈશ્વરી વાતો થાય છે. મોઢે બીજી વાત નહિ, કેવળ ઈશ્વરની વાત.

Sri Ramakrishna : the Caste-System and the Problem of the Untouchables Solved

શ્રીરામકૃષ્ણઃ જાતિભેદ અને અસ્પૃશ્યતાની સમસ્યાઓનો ઉકેલ

જાતિભેદ સંબંધે પ્રસંગ નીકળ્યો. ઠાકુર બોલ્યા કે ‘એક ઉપાયે જાતિભેદ નીકળી જઈ શકેઃ એ ઉપાય ભક્તિ. ભક્તોને જાત નહિ. ભક્તિ હોય તો દેહ, મન, આત્મા બધું શુદ્ધ થાય. ગૌર-નિતાઈ હરિનામ બોલવા લાગ્યા, અને અસ્પૃશ્યો સુધ્ધાંને આલિંગન કરવા લાગ્યા. ભક્તિ ન હોય તો બ્રાહ્મણ એ બ્રાહ્મણ નહિ; ભક્તિ હોય તો અસ્પૃશ્ય એ અસ્પૃશ્ય નહિ. અસ્પૃશ્ય-જાતિયે જો ભક્તિ હોય તો શુદ્ધ, પવિત્ર થાય.

સંસારી બદ્ધજીવ

શ્રીરામકૃષ્ણ સંસારી, બદ્ધજીવની વાત કરે છે. તેઓ જાણે કે રેશમના કીડા જેવા, ધારે તો કોશેટો કાપીને બહાર આવી શકે, પરંતુ કેટલીય મહેનત લઈને કોશેટો બનાવ્યો હોય, એટલે એ છોડીને નીકળી શકે નહિ; તેમાં જ મોત થાય. તેમ જ જાણે કે વાંસ-જાળમાંની માછલી. જે માર્ગે જાળમાં પેઠી છે તે જ માર્ગેથી બહાર આવી શકે. પરંતુ પાણીનો મીઠો અવાજ અને બીજી માછલીઓની સાથે ક્રીડા, એનાથી એ ભૂલી રહે, બહાર આવવાનો પ્રયાસ કરે નહિ. છોકરા-છોકરીની કાલીકાલી બોલી જાણે કે જળકલ્લોલનો મીઠો અવાજ. માછલી એટલે જીવ, બીજી માછલીઓ એટલે જીવોનો પરિવાર. પણ તોય તેઓમાંથી એકાદ-બે દોડીને ભાગે. તેમને કહે મુક્તજીવ.

શ્રીરામકૃષ્ણ ગીત ગાઈ રહ્યા છેઃ

‘એવી મહામાયાની માયા, રાખ્યો છે શો ભેદ કરી;
બ્રહ્મા-વિષ્ણુ ભાન ભૂલ્યા, જીવો તે શું જાણી શકે?
ખાડો કરી પાંજરું મૂકો, મત્સ્ય તેમાં પ્રવેશ કરે,
નીકળવાનો માર્ગ છતાં મીન નવ નાસી શકે.
રેશમનો કીડો કોશ કરે, ધારે તો તે શકે છૂટી,
મહામાયાથી બદ્ધ કીડો પોતાની જાળમાં પોતે મરે.’

ઠાકુર વળી પાછા બોલે છે – ‘જીવો જાણે કે અનાજના દાણા; ઘંટીની અંદર પડ્યા છે; પિસાઈ જવાના. પરંતુ જે કેટલાક દાણા વચલા ખીલડાને વળગી રહે, તેઓ પિસાઈ જાય નહિ. એટલા માટે ખીલડાના એટલે કે ઈશ્વરના શરણાગત થવું જોઈએ. ઈશ્વરને સ્મરો, એનું નામ લો, ત્યારે મુક્ત થવાય. નહિતર કાળ-રૂપી ઘંટીમાં પિસાઈ જવાના.’

શ્રીરામકૃષ્ણ ફરીથી ગાય છેઃ

મા ભવસાગરે પડીને દેહનૌકા ડૂબે છે મારી,
માયામોહ આંધી અધિકાધિક વધે છે શંકરી.
એક અનાડી મનનાવિક, તેની સાથે છે છ મૂરખા,
કુવિચારનો ચડ્યો વંટોળ, હાલકડોલક થાય દેહનૈયા.
ભાંગ્યો છે ભક્તિકૂવાથંભ, ફાટ્યો છે શ્રદ્ધાનો પાલ,
હોડી વહી મોજાં માંહે શોધ્યો ન જડે કોઈ હલ?
ઉપાય ન રહેતાં કંઈ વિમાસે બનીને અકિંચન,
દુર્ગાનામનો લઈ તરાપો ઝંપલાવે સાગરે એ જન.

Duty to Wife and Children પત્ની અને સંતાનો પ્રત્યેનું કર્તવ્ય

વિશ્વાસ બાબુ કેટલીય વાર સુધી બેઠા હતા તે હવે ઊઠી ગયા. તેમની પાસે ખૂબ પૈસો હતો, પરંતુ ચરિત્ર મલિન હોવાથી બધો ઊડી ગયો છે. હવે પત્ની, દીકરી વગેરે કોઈની સંભાળ લેતા નથી. બલરામે એની વાત ઉપાડી એટલે ઠાકુર બોલ્યા કે ‘એ તો લક્ષ્મી વગરનો, દારિદિર (દરિદ્ર).’ ગૃહસ્થ માણસને પોતાનું કર્તવ્ય છે, ઋણ છે; દેવ-ઋણ, પિતૃ-ઋણ, ઋષિ-ઋણ. તેમજ પોતાના પરિવાર સંબંધે પણ ઋણ છે. સતી સ્ત્રી હોય તો તેનું પ્રતિપાલન, સંતાનોનું ભરણપોષણ, જ્યાં સુધી એ મોટાં થાય ત્યાં સુધી, વગેરે ઋણ છે.

‘માત્ર સાધુ સંચય કરે નહિ. સંચય કરે નહિ પંખી અને દરવેશ. પરંતુ પંખી પણ બચ્ચાં થાય એટલે સંચય કરે; બચ્ચાં સારુ પોતાની ચાંચમાં ભરીને ખાવાનું લઈ જાય.

બલરામ: હવે વિશ્વાસ બાબુને સાધુસંગ કરવાની ઇચ્છા છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): સાધુનું કમંડલુ ચારે ધામ ફરી આવે, પણ જેવું કડવું હોય તેવું જ કડવું રહે. મલયગિરિનો પવન જે ઝાડને લાગે તે બધાં ચંદનનાં થઈ જાય. પરંતુ શિમળો, પીપળો વગેરે ચંદન થાય નહિ. કોઈ કોઈ સાધુસંગ કરે તે ગાંજો પીવા સારુ. (હાસ્ય). સાધુઓ ગાંજો પીએ ને, એટલે તેમની પાસે આવીને બેસે ને ગાંજાની ચલમ તૈયાર કરી આપે અને પ્રસાદીરૂપે બે ફૂંક મળે! (સૌનું હાસ્ય).

Total Views: 446
ખંડ 6: અધ્યાય 7: બ્રાહ્મ-સમાજની પ્રાર્થનાપદ્ધતિ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન
ખંડ 7: અધ્યાય 2: ષડ્ભુજદર્શન અને શ્રીરાજમોહનના ઘરે શુભાગમન - નરેન્દ્ર