ઠાકુર જમીને નાની પાટ ઉપર સહેજ બેઠા છે. હજી સુધી આરામ કરવાનો સમય મળ્યો નથી. ભક્તોનું આગમન થવા લાગ્યું. પહેલાં મણિરામપુરથી એક ભક્ત-સમુદાય આવી પહોંચ્યો. તેઓમાંથી એક જણ પી.ડબલ્યુ.ડી.માં નોકરી કરતા. હવે પેન્શન ખાય છે. એક ભક્ત તેમને લઈને આવેલ છે. થોડીકવાર પછી બેલઘરિયાથી એક ભક્તમંડળ આવ્યું. શ્રીયુત્ મણિ મલ્લિક વગેરે ભક્તોય ક્રમે ક્રમે આવ્યા. 

મણિરામપુરના ભક્તજનો કહે છે ‘આપના આરામમાં ખલેલ પડી!’

શ્રીરામકૃષ્ણ કહે છે – ‘ના, ના, એ બધી રજોગુણની વાતો, – ‘ભાઈ હવે આરામ કરશે!’- વગેરે

ચાનક-મણિરામપુર, એ શબ્દો સાંભળી ઠાકુરને તેમના બાલમિત્ર શ્રીરામની યાદ આવી છે. ઠાકુર કહે છે, ‘શ્રીરામની દુકાન તમારે ત્યાં. દેશમાં શ્રીરામ મારી સાથે પાઠશાળામાં ભણતો. તે દિવસે અહીંયાં આવ્યો હતો.’

મણિરામપુરના ભક્તો કહે છે કે શા ઉપાયે ભગવાનને પામી શકાય એ જરા કૃપા કરીને અમને કહો.

મણિરામપુરના ભક્તોને ઉપદેશ – સાધનભજન કરો અને વ્યાકુળ બનો

શ્રીરામકૃષ્ણ: જરાક સાધન-ભજન કરવું જોઈએ.

‘દૂધમાં માખણ છે’ એમ એકલું બોલ્યે ન વળે. દૂધનું દહીં જમાવી, તેને વલોવીને માખણ કાઢવું જોઈએ. પણ અવારનવાર નિર્જનમાં રહેવું જોઈએ. (યોગી યુંજીત સતતમાત્માનં રહસિ સ્થિતઃ । ગીતા ૬.૧૦) કેટલાક દિવસ નિર્જન સ્થળમાં રહીને ભક્તિ પ્રાપ્ત કરીને ત્યાર પછી ગમે ત્યાં રહો. પગમાં જોડા પહેરીને કાંટાવાળા જંગલમાંય અનાયાસે જઈ શકાય.

‘મુખ્ય વાત છે શ્રદ્ધા. ‘જેવો અંતરનો ભાવ, તેવો લાભ, મૂળ છે એ વિશ્વાસ.’ શ્રદ્ધા આવી ગઈ તો પછી બીક નહિ.’

મણિરામપુરનો ભક્ત: જી, શું ગુરુની જરૂર છે?

શ્રીરામકૃષ્ણ: ઘણા માટે જરૂર છે. (ગુરુની આવશ્યકતાઃ આચાર્યવાન પુરુષો વેદ- છાં.ઉપ.૬.૧૪.૨) પરંતુ ગુરુ-વાક્યમાં શ્રદ્ધા રાખવી જોઈએ. ગુરુને ઈશ્વર-સ્વરૂપ સમજીએ તો થાય. એટલે તો વૈષ્ણવો કહે છે કે ગુરુ-કૃષ્ણ-વૈષ્ણવ.

‘ઈશ્વરનું નામ હમેશાં લેવું જોઈએ. કળિયુગમાં નામનું માહાત્મ્ય છે. અન્ન ઉપર પ્રાણનો આધાર, યોગ થઈ શકે નહિ. ભગવાનનું નામ લઈને તાલી પાડતાં પાડતાં પાપ-પંખી ઊડી જાય.

સત્સંગની હમેશાં જરૂર છે. ગંગાની જેમ જેમ નજીક જાઓ, તેમ તેમ ઠંડી હવા લાગે. અગ્નિની જેમ જેમ નજીક જાઓ, તેમ તેમ તાપ લાગે.

‘ઢીલાઢફ જેવા થયે ઈશ્વર-પ્રાપ્તિ થાય નહિ. જેમનામાં સંસારનો ભોગ કરવાની ઇચ્છા રહી હોય, તેઓ કહેશે કે થશે, શી ઉતાવળ છે? ક્યારેક ને ક્યારેક તો ઈશ્વરને પામીશું.

મેં કેશવ સેનને કહ્યું હતું કે દીકરાને બહુ જ ઝઘડો કરતો જોઈને તેનો બાપ ત્રણ વરસ વહેલો જ તેનો ભાગ કાઢી આપે.

‘મા રાંધે છે, ને ખોળાનું ધાવણું છોકરું પડ્યું પડ્યું ઓસરીમાં રમે છે, માએ મોઢામાં ચૂસણી દીધી છે. પણ જ્યારે છોકરું ચૂસણી ફેંકી દઈને જોરથી ચીસ પાડીને રડે, ત્યારે મા તપેલું ઉતારી દોડી આવીને છોકરાને ખોળામાં લઈને ધવરાવે. આ બધી વાતો કેશવ સેનને કહી હતી.

કહે છે કે કળિયુગમાં એક દિવસ ને એક રાત રુદન કર્યે ઈશ્વર-દર્શન થાય.

મનમાં ગુમાન રાખવું અને કહેવું ‘ભગવાન, તેં મને પેદા કર્યો છે, માટે દર્શન દેવાં જ પડશે!’

સંસારમાં રહો કે ગમે ત્યાં રહો, ઈશ્વર મન જુએ. વિષયભર્યું મન જાણે કે ભીંજાયેલી દીવાસળી જેવું. ગમે તેટલી ઘસોને, એ સળગે નહિ. એકલવ્યે માટીના દ્રોણાચાર્ય (એટલે કે પોતાના ગુરુની મૂર્તિ) સામે રાખીને બાણ-વિદ્યા મેળવેલી.

‘આગે બઢો!’ કઠિયારાએ આગળ વધતાં જોયું કે ચંદનનાં લાકડાં, રૂપાની ખાણ, સોનાની ખાણ, એથીયે આગળ વધીને જોયું તો હીરા-માણેક!

‘જેઓ અજ્ઞાની છે, તેઓ જાણે કે માટીની ભીંતોવાળા ઘરની અંદર રહેલા છે. ઘરમાં એટલો સારો પ્રકાશ નહિ, તેમજ બહારની કોઈ વસ્તુને પણ દેખી શકતા નથી. જ્ઞાન-પ્રાપ્તિ કરીને જે સંસારમાં રહે તે જાણે કે કાચના ઓરડાની અંદર છે. અંદરેય પ્રકાશ ને બહાર પણ પ્રકાશ. અંદરની વસ્તુય દેખી શકે, અને બહારની વસ્તુય દેખી શકે.

બ્રહ્મ અને જગન્માતા એક છે

એક વિના બીજું કાંઈ જ નથી. એ જ પરબ્રહ્મ. ‘હું પણું’ જ્યાં સુધી રહેવા દે, ત્યાં સુધી દેખાડે કે આદ્યશક્તિરૂપે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે છે.

‘જે બ્રહ્મ તે જ આદ્યશક્તિ. એક રાજાએ કહ્યું કે મને એક વાક્યમાં જ્ઞાન કરાવી દેવું પડશે. યોગીએ કહ્યું, ‘વારુ, તમને એક વાક્યમાં જ જ્ઞાન થશે.’ જરાક વાર પછી રાજાની પાસે અચાનક એક જાદુગર આવીને હાજર થયો. રાજાએ જોયું કે તે આવીને માત્ર બે આંગળીઓ ફેરવ્યા કરે છે, અને કહે છે કે ‘રાજા, આમ જો, આમ જો.’ રાજા નવાઈ પામી જઈને જોયા કરે છે. થોડીવાર પછી જુએ છે તો બે આંગળીઓની એક આંગળી થઈ ગઈ! જાદુગર એક આંગળી ફેરવતાં ફેરવતાં કહે છે કે, ‘રાજા, આમ જો, આમ જો’ અર્થાત્ બ્રહ્મ અને આદ્યશક્તિ પહેલાં બે જુદાં હોય એમ લાગે, પરંતુ બ્રહ્મ-જ્ઞાન થયે પછી બે રહે નહિ, અભિન્ન, એક! જે એકનો બે નહિ એવું અદ્વૈતમ્!’

Total Views: 326
ખંડ 13: અધ્યાય 8: દક્ષિણેશ્વરમાં મણિરામપુર અને બેલઘરિયાના ભક્તો સંગે
ખંડ 13: અધ્યાય 10: બેલઘરિયાના ભક્તો સાથે