બીજે દિવસે સોમવાર, તા. ૧૭મી ડિસેમ્બર, ૧૮૮૩. સવારના આઠ વાગ્યા છે. ઠાકુર એ ઓરડામાં બેઠેલા છે. રાખાલ, લાટુ વગેરે ભક્તોય છે. મણિ જમીન પર બેઠેલા છે. શ્રીયુત્ મધુ ડૉક્ટર પણ આવેલ છે. એ ઠાકુરની પાસે નાની પાટ ઉપર બેઠા છે. મધુ ડૉક્ટર અનુભવી. ઠાકુરની તબિયત બગડે એટલે મોટેભાગે એ આવીને તપાસી જાય. બહુ મજાકિયા માણસ.

મણિ ઓરડામાં આવીને પ્રણામ કરીને બેઠા.

શ્રીરામકૃષ્ણ (મણિને) – વાત એટલી કે સચ્ચિદાનંદ પર પ્રેમ. (આવવો જોઈએ.)

(શ્રીઠાકુરને સીતામૂર્તિનાં દર્શન – ગૌરી પંડિતની કથા)

‘કેવો પ્રેમ? ઈશ્વરને કેવી રીતે ચાહવો જોઈએ? ગૌરી પંડિત કહેતો કે રામને ઓળખવા હોય તો સીતા જેવા થવું જોઈએ. ભગવાનને ઓળખવા હોય તો ભગવતી જેવા થવું જોઈએ. ભગવતીએ જેમ શિવને માટે કઠોર તપશ્ચર્યા કરી હતી તેવી રીતે તપશ્ચર્યા કરવી જોઈએ. પુરુષને જાણવા માટે પ્રકૃતિ-ભાવનો આધાર લેવો જોઈએ, સખી-ભાવ, દાસી-ભાવ, માતૃભાવ.

‘મેં સીતાનાં દર્શન કર્યાં હતાં. જોયું તો તેમનું સમગ્ર મન રામમાં જ લીન. યોનિ, હાથ, પગ, શરીર, વસ્ત્ર, આભૂષણ વગેરે કશાયમાં નજર નહિ. જાણે કે જીવન જ રામમય! રામ ન હોય તો, રામ ન મળે તો, પ્રાણ ટકે નહિ!’

મણિ – જી હા, જાણે કે પાગલ!

શ્રીરામકૃષ્ણ – પાગલ! હા ઈ-ઈ-ઈ- પાગલ! ઈશ્વરને પામવો હોય તો પાગલ થવું જોઈએ!

‘કામિની-કાંચનમાં મન હોય તો ચાલે નહિ. કામિની સાથે રમણ, એમાં તે શું સુખ છે! ઈશ્વર-દર્શન થયે રતિસુખ કરતાં કરોડો ગણો આનંદ થાય. ગૌરી પંડિત કહેતા કે ‘મહાભાવ આવ્યે શરીરનાં બધાં છિદ્રો, રુંવાડાંનાં છિદ્રો સુધ્ધાં મહાયોનિ થઈ જાય. એક એક છિદ્રમાં આત્માની સાથે રતિસુખનો અનુભવ થાય.’

(ગુરુ પૂર્ણ જ્ઞાની હોવા જોઈએ)

‘આતુર થઈને ઈશ્વરને પોકારવા જોઈએ. ગુરુને મોઢેથી સાંભળી લેવું જોઈએ, કે કેમ કરીને ઈશ્વરને પમાય!

ગુરુ પોતે પૂર્ણ જ્ઞાની હોય, તો જ માર્ગ બતાવી શકે.

પૂર્ણજ્ઞાન થયે વાસના જાય, પાંચ વરસના બાળક જેવો સ્વભાવ થાય. દત્તાત્રેય અને જડભરત, એમનો બાળક જેવો સ્વભાવ થયો હતો.’

મણિ – એમના વિશે તો જાણવામાં આવ્યું છે; પણ એ ઉપરાંત પણ એમના જેવા બીજા કેટલાય જ્ઞાનીઓ થઈ ગયા છે!

શ્રીરામકૃષ્ણ – હા! જ્ઞાનીની બધી વાસનાઓ જાય. જે થોડી નજીવી રહી હોય તેનાથી કશું નુકસાન થાય નહિ. પારસમણિને અડવાથી તલવાર સોનાની થઈ જાય, ત્યારે પછી એ તલવારથી મારવાકાપવાનું કામ થાય નહિ. તે પ્રમાણે જ્ઞાનીનાં કામ, ક્રોધાદિનો આકાર માત્ર રહે, નામમાત્ર; તેથી કશું નુકસાન થાય નહિ.

મણિ – આપ જેમ કહો છો કે જ્ઞાની ત્રણે ગુણોથી અતીત થાય, તેમ. સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણમાંથી એકેય ગુણને જ્ઞાની વશ નહિ. એ ત્રણેય ગુણો લૂંટારા.

શ્રીરામકૃષ્ણ – એ બધાંની મનમાં ધારણા થવી જોઈએ.

મણિ – પૂર્ણ જ્ઞાની, મને તો લાગે છે કે દુનિયામાં ત્રણ-ચારથી વધારે નહિ હોય.

શ્રીરામકૃષ્ણ – કેમ ભલા? પશ્ચિમ તરફના મઠોમાં કેટલાય સાધુ-સંન્યાસીઓ જોવામાં આવે છે!

મણિ – જી, એવો સંન્યાસી તો હુંય થઈ શકું.

એ સાંભળતાં જ શ્રીરામકૃષ્ણ થોડી વાર સુધી મણિને એકી નજરે જોઈ રહે છે.

શ્રીરામકૃષ્ણ (મણિને) – શું બધું છોડીને?

મણિ – માયા ગયા વિના શું વળે? માયાને જીતી ન શકાય તો એકલા સંન્યાસી થયે શું વળે?

બધાય પળવાર ચૂપ બેસી રહ્યા છે.

(બાળક જેવા ત્રિગુણાતીત ભક્ત)

મણિ – જી, ત્રિગુણાતીત ભક્તિ કોને કહે?

શ્રીરામકૃષ્ણ – એ ભક્તિ આવ્યે બધું ચિન્મય દેખે. ચિન્મય શ્યામ, ચિન્મય ધામ, ભક્ત પણ ચિન્મય. બધુંય ચિન્મય. એવી ભક્તિ જૂજ માણસમાં આવે.

ડૉક્ટર મધુ (હસીને) – ત્રિગુણાતીત ભક્તિ એટલે કે ભક્ત કોઈ ગુણને તાબે ન હોય.

શ્રીરામકૃષ્ણ (હસીને) – બરાબર. જેમ કે પાંચ વરસનું છોકરું એકેય ગુણને વશ ન હોય, તેમ.

બપોરે જમ્યા પછી શ્રીરામકૃષ્ણ જરા આરામ કરી રહ્યા છે. શ્રીયુત્ મણિલાલ મલ્લિકે આવીને પ્રણામ કર્યા અને નીચે બેઠા. 

મણિ પણ નીચે બેઠેલા છે. ઠાકુર સૂતા સૂતા મણિ મલ્લિકની સાથે વચ્ચે વચ્ચે એકાદ બે વાતો કરતા જાય છે. 

મણિ મલ્લિક – આપ કેશવ સેનને જોવા ગયા હતા?

શ્રીરામકૃષ્ણ – હા. હવે કેમ છે?

મણિ મલ્લિક – કંઈ ઓછું થયું નથી.

શ્રીરામકૃષ્ણ – જોયું તો બહુ રાજસિક. ક્યાંય સુધી મને બેસાડી રાખ્યો. ત્યાર પછી મુલાકાત થઈ.

ઠાકુર ઊઠીને બેઠા. ભક્તોની સાથે વાતો કરે છે.

(શ્રીમુખકથિત ચરિતામૃત – ઠાકુર રામ-રામ કરીને પાગલ)

શ્રીરામકૃષ્ણ (મણિને) – હું ‘રામ’ ‘રામ’ કરતો પાગલ થયો હતો. એક સાધુના ઠાકુર રામ-લાલાને સાથે લઈ ફર્યા કરતો. એ રામ-લાલાને નવરાવતો, ખવડાવતો, સુવડાવતો, જ્યાં જતો ત્યાં સાથે ને સાથે જ લઈ જતો. ‘રામ-લાલા’ ‘રામ-લાલા’ કરીને ગાંડો થઈ ગયેલો!

Total Views: 336
ખંડ 17: અધ્યાય 10 : શ્રીરામકૃષ્ણનું દર્શન અને વેદાંતની ગૂઢ વ્યાખ્યાઓ - અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ - જગત શું મિથ્યા છે?
ખંડ 17: અધ્યાય 12 : દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે