બપોર પછી ભવનાથ આવ્યો છે. ઓરડામાં રાખાલ, માસ્ટર, હરીશ વગેરે છે. શનિવાર ૨૨ ડિસેમ્બર, ૧૮૮૩.
શ્રીરામકૃષ્ણ (ભવનાથને) – અવતારની ઉપર પ્રેમ ઊપજે એટલે બસ. આહા ગોપીઓનો શો પ્રેમ!
એમ કહીને ગોપીભાવે ગીત ગાવા લાગ્યા :
ગીત (૧) શ્યામ તમે જ પ્રાણના પણ પ્રાણ…
ગીત (૨) એ ઘરે મારે ન જવું કદીયે..
ગીત (૩) જે દિવસે હું દ્વારે ઊભી,
વધૂ (રાધા) – (ારે તમે વનમાં જાઓ શ્યામ,
ઇચ્છું હું ગોવાળ બનીને તમારી પોટલી શિરે ધરું!)
‘રાસલીલાની વચ્ચેથી જ્યારે શ્રીકૃષ્ણ અંતર્ધાન થયા, ત્યારે ગોપીઓ સાવ ગાંડી જેવી થઈ ગઈ. વૃક્ષોને જોઈને કહે છે કે ‘તમે તપસ્વી લાગો છો, જરૂર શ્રીકૃષ્ણને જોયા છે; નહિતર નિશ્ચલ, સમાધિ-મગ્ન થઈ રહ્યાં છો કેમ કરીને?’ નવીન ઘાસ ઊગેલી પૃથ્વીને જોઈને કહે કે ‘હે પૃથ્વી, તેં જરૂર કૃષ્ણનાં દર્શન કર્યાં છે; નહિતર તું રોમાંચિત થઈ રહી છો કેવી રીતે? જરૂર તેં કૃષ્ણના સ્પર્શ-સુખનો આનંદ લીધો છે!’ વળી માધવી (લતા)ને જોઈને કહે છે કે ‘ઓ માધવી, મને માધવ આપ!’ ગોપીઓનો એવો પ્રેમોન્માદ!
‘જ્યારે અક્રૂર આવ્યા અને શ્રીકૃષ્ણ, બલરામ મથુરા જવા માટે રથમાં ચડ્યા, ત્યારે ગોપીઓએ રથનાં પૈડાં પકડી લીધાં, આગળ જવા જ દે નહિ.
એમ કહીને શ્રીરામકૃષ્ણે વળી પાછું ગીત ઉપાડ્યું-
‘ધરો મા ધરો મા રથચક્ર, રથ શું ચક્રે ચાલે?
જે ચક્રના ચક્રી હરિ, જેના થકી જગત ચાલે,’
શ્રીરામકૃષ્ણ કહે છે, ‘રથ શું ચક્રથી ચાલે,’ એ શબ્દો મને મનમાં બહુ જ અસર કરે! ‘જે ચક્રે બ્રહ્માંડ ફરે’ ‘રથીની આજ્ઞાથી સારથિ ચલાવે’.