ઠાકુર શ્રીરામકૃષ્ણ બાળકની પેઠે વળી હસે છે અને વાતો કરે છે. બાળક જેમ તેને બહુ વેદના થતી હોય તોય વચ્ચે વચ્ચે હસતું, ખેલતું ફરે તેમ. મહિમા વગેરે ભક્તોની સાથે વાતો કરે છે.
શ્રીરામકૃષ્ણ – સચ્ચિદાનંદની પ્રાપ્તિ ન થઈ તો કાંઈ વળ્યું નહિ, બાપુ!
‘વિવેક, વૈરાગ્ય જેવી બીજી કોઈ વસ્તુ નથી.
‘સંસારીઓનો ઈશ્વરાનુરાગ ક્ષણિક, તપાવેલા તવા પર પાણીનો છાંટો જેટલી વાર રહે તેટલી વાર ટકનારો. એકાદું ફૂલ જોઈને કાં તો બોલી ઊઠે, ‘આહા! શી સુંદર ઈશ્વરની રચના!’
‘અંતરમાં આતુરતા જોઈએ. જ્યારે દીકરો મિલકતના ભાગ પાડવા માટે હેરાન હેરાન કરી મૂકે, ત્યારે બાપ-મા બન્ને આપસમાં મસલત કરીને પહેલાં છોકરાનો ભાગ કાઢી આપે. તેમ આતુર થઈને ઈશ્વરને સ્મર્યે, એ જરૂર જરૂર સાંભળે. ‘જ્યારે એમણે આપણને જન્મ આપ્યો છે, ત્યારે તેમની સંપત્તિમાં આપણો હિસ્સો છે જ. ઈશ્વર તો આપણા બાપ, આપણી મા, તેની ઉપર આપણું દબાણ ચાલે; એમ કે, ‘આપો દરશન, નહિતર ગળે છરી ફેરવું છું!’ એવી રીતે.’
માતાજીને કેવી રીતે સ્મરવાં જોઈએ, એ ઠાકુર શીખવે છે. ‘હું મા કહીને આવી રીતે બોલાવતો : ‘મા આનંદમયી! તારે દર્શન દેવાં જ પડશે!’
‘વળી ક્યારેક બોલતો કે ‘અરે ઓ દીનનાથ, જગન્નાથ! હું તો જગતની બહાર નથી, નાથ! હું તો જ્ઞાન વિનાનો, સાધના વિનાનો, ભક્તિ વિનાનો છું, હું કાંઈ જાણતો નથી, દયા લાવીને દર્શન દેવાં જ પડશે!’’
ઠાકુર અતિ કરુણ સ્વરે સૂર કાઢીને કેવી રીતે ઈશ્વરને સ્મરવો જોઈએ એ શીખવી રહ્યા છે. તેમનો એ કરુણ સ્વર સાંભળીને ભક્તોનાં હૃદય દ્રવીભૂત થઈ રહ્યાં છે, મહિમાચરણનાં નેત્રોમાં જળ ઊભરાઈ આવ્યાં છે.
મહિમાચરણને જોઈને ઠાકુર વળી કહે છે
‘બોલાવને મન પૂરા પ્રયાસે, કેમ મા શ્યામા આવે ના!…