શ્રીશ્રીવિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫, રવિવાર. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કોલકાતામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં સાથે રહે છે અને ઠાકુરની સેવા કરે છે. ભક્તોમાંથી કોઈએ હજી સુધી સંસારત્યાગ કર્યાે નથી. તેઓ પોતાનાં ઘેરથી આવજા કર્યા કરે છે.

(સુરેન્દ્રની ભક્તિ – ‘મા હૃદયમાં વસો’)

ઠંડીના દિવસો છે. સવારના આઠ વાગ્યા છે. ઠાકુર બીમાર; પથારીમાં બેઠા છે. પરંતુ પાંચ વરસના બાળકની પેઠે મા વિના બીજું કશું જાણે નહિ. સુરેન્દ્ર આવીને બેઠા. નવગોપાલ, માસ્ટર અને બીજા પણ કોઈ કોઈ હાજર છે. સુરેન્દ્રને ઘેર દુર્ગા-પૂજા હતી. ઠાકુર જઈ શક્યા ન હતા, ભક્તોને પ્રતિમાનાં દર્શન કરવા મોકલ્યા હતા. આજે વિજયાદશમી (પ્રતિમાનું વિસર્જન થવાનું); એટલે સુરેન્દ્રનું મન દુઃખી છે.

શ્યામપુકુરનું શ્રીઠાકુરનું નિવાસસ્થાન

સુરેન્દ્ર – ઘરમાંથી નાસી આવ્યો.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – એમાં શું? મા હૃદયમાં રહો!

સુરેન્દ્ર ‘મા’ ‘મા’ કરીને ભગવતીને ઉદૃેશીને કેટલીયે વાતો કરવા લાગ્યા.

ઠાકુર સુરેન્દ્રને જોતાં જોતાં આંસુ મુશ્કેલીથી ખાળી રહ્યા છે. માસ્ટરની સામે જોઈને ગદ્‌ગદ સ્વરે બોલે છે, ‘શી ભક્તિ! અહા, આની કેવી ભક્તિ!’

શ્રીરામકૃષ્ણ – કાલે સાંજે સાત સાડા સાતને સમયે ભાવ-અવસ્થામાં મેં જોઈ તમારી ઓસરી. ત્યાં દેવી-પ્રતિમા રહી છે. જોયું તો બધું જ્યોતિર્મય. અહીં ને ત્યાં એક થઈ રહેલ છે. જાણે કે પ્રકાશનો એક પ્રવાહ બંને જગાની વચ્ચે વહી રહ્યો છે! આ ઘર અને તમારા ઘરની વચ્ચે!

સુરેન્દ્ર – એ વખતે હું ઓસરીમાં માતાજીની સામે ‘મા!’ ‘મા!’ કહીને પુકારી રહ્યો હતો. ભાઈઓ મને છોડીને ઉપર ચાલ્યા ગયેલા! મનમાં અવાજ આવ્યો, મા બોલ્યાં, ‘હું પાછી આવીશ!’

(ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ભગવદ્‌ગીતા)

અગિયાર વાગવા આવ્યા છે. ઠાકુરે (ડૉક્ટરે) કહેલ માંદાનો ખોરાક લીધો. મણિ મોં ધોવા માટે હાથ પર પાણી રેડે છે.

શ્રીરામકૃષ્ણ (મણિને) – ચણાની દાળ ખાઈને રાખાલની તબિયત બગડી છે. સાત્ત્વિક આહાર ખાવો સારો. તમે ગીતામાં જોયું નથી? તમે ગીતા વાંચતા નથી?

મણિ – જી, હા. યુક્ત આહારની વાત આવે છે. સાત્ત્વિક, રાજસિક અને તામસિક આહાર. વળી સાત્ત્વિક, રાજસિક અને તામસિક દયા; સાત્ત્વિક અહંકાર વગેરે બધું છે.

શ્રીરામકૃષ્ણ – ગીતા તમારી પાસે છે?

મણિ – જી, છે.

શ્રીરામકૃષ્ણ – એમાં સર્વ શાસ્ત્રોનો સાર છે.

મણિ – જી, ઈશ્વરને જુદે જુદે રૂપે જોવાની વાત છે; આપ જેમ કહો છો કે જુદે જુદે રસ્તે થઈને ઈશ્વરની પાસે જવું, તેમ જ્ઞાન, ભક્તિ, કર્મ, ધ્યાન છે.

શ્રીરામકૃષ્ણ – કર્મ-યોગનો અર્થ શો ખબર છે? બધાં કર્માેનું ફળ ભગવાનને સમર્પણ કરવું.

મણિ – જી, જોયું છે; એમાં છે. વળી કર્મ ત્રણ પ્રકારે કરી શકાય એમ કહ્યું છે.

શ્રીરામકૃષ્ણ – કઈ કઈ રીતે?

મણિ – પ્રથમ જ્ઞાનને માટે. બીજું લોક-શિક્ષણને માટે, ત્રીજું સ્વભાવથી.

ઠાકુર મોં ધોઈને પાન ખાય છે. મણિને મોંમાંથી કાઢીને પાન-પ્રસાદ આપ્યો.

Total Views: 415
ખંડ 41: અધ્યાય 8 : શ્રીરામકૃષ્ણની અદ્‌ભુત સંન્યાસી-અવસ્થા - તારકસંવાદ
ખંડ 51: અધ્યાય 2 : શ્રીરામકૃષ્ણ - Sir Humphrey Davy અને અવતારવાદ